Tag Archive | હાસ્યનિબંધ

અમને પૈસા પાછા મળવા જોઈએ!

મિત્રો,  રવિવારની બપોરની શુભ સલામ સાથે અમે આપના દિમાગની કઢી કરવા માટે હાજર થયા છીએ તો મન મોટું રાખજો અને આ લેખમાં મજા ન આવે તો ઇન્ટરનેટનું ભાડું પાછું ન માંગવાની ઉદારતા દાખવજો.

પણ… સાચુ કહેજો .

અમને પૈસા પાછા મળવા જોઈએ.

અમને પૈસા પાછા મળવા જોઈએ.

અમને પૈસા  પાછા મળવા જોઈએ.

એવું કહેવામાં મજા આવે છે કે નહીં ? ભલે પૈસા પાછા ન મળે પણ  આ લોકશાહીમાં પૈસા પાછા આપવાની માંગણી તો થઈ શકે છે ને!આમેય મળવાના તો નથી! માંગવામાં શું જાય છે. હેં?

વાત એમ છે કે- આજકાલ નહોતી ધારી એવી સેવાઓ માટે પૈસા પાછા માંગવાની વાતો થઈ રહી છે! જેમ કે- કોઈને ફિલ્મમાં મજા ન આવી  તો એણે એક છાપામાં વાત મૂકી કે- ફિલ્મના દર્શકને ફિલ્મમાં મજા ન આવે તો એને પૈસા પાછા મળવા જોઈએ. હવે  આ પૈસા પાછા મળવાની વાત કોઈ વાચકને  એવી તો ગમી ગઈ કે- એણે માંગણી કરી કે- આ લેખમાં મને મજા ન આવી માટે આ છાપાના પૈસા મને પાછા મળવા જોઈએ! પૈસા વસૂલ તો થવા જ જોઈએ!જેમ કે- જેમ કે સેવઉસળની લારીએ સેવઉસળ ખાતાં ખાતાં બે પાંઉ વધારે ખવાઈ  જવાથી અને ત્રણ ગ્લાસ પાણી પીવાઈ જવાથી પૈસા વસૂલ  થઈ જાય છે તેમ!

આ વાત તો અમને નવી નવાઈના નવલા જેવી લાગી! આવું તો  આપણે આવું તો કદી વિચાર્યું જ નહોતું!  ચામાં મજા ન આવી હોય તો આ  મોંઘવારીમાં  ચા વાળોય પૈસા પાછા ન આપે. ને ફિલ્મવાળો પૈસા પાછા આપે? એમાંય જે ફિલ્મ ઉતારીને પોતે જ ધોવાઈ ગયો હોય તે ફિલ્મવાળો?  એ વધારે ધોવાવા માટે તૈયાર થાય ખરો?  અને  એવી માંગણી કરીને પડ્યા પર પાટું મારવામાં આપણી શોભા  ખરી?

આપણે તો વ્યાજે પૈસા લઈને ખરીદેલી ચીજોનાય પૈસા પાછા મળવાની વાત વિચારી શકતા નથી! પછી ભલે એ ચીજો આનંદવર્ધક્ના બદલે શોકવર્ધક નીવડી હોય. ઠીક છે કે- ગ્રાહક રાજા છે. પણ આપણા દેશમાં તો  હજી એ કહેવાતો જ રાજા છે ને ?  છે. ગ્રાહક સુરક્ષા મંડળો  છે.  અદાલતો છે.  વકીલો છે.  ન્યાયાધીશો છે .  ન માનવામાં આવે એવા સમાચાર  ક્યારેક વાંચવામાં આવે છે ખરા! ફ્રીજના પૈસા પાછા મળ્યાના સમાચાર તો  કોઈને સારવારના પૈસા પાછા મળ્યાના સમાચાર!  પરંતુ આવા નસીબદાર કેટલા? ને  આવી રીતે જંગે ચડવાની તૈયારી કેટલાની? કોઈ કંપનીના સામાન્ય કર્મચારીને ગ્રાહક સુરક્ષામાં જવાની ઊલ મારનારા તો ઘણાંય હોય છે પણ એમાંથી જનારા કેટલા ? પેટ્રોલ પંપ પર દસ   મિનિટ ઊભા રહેવાની આપણામાં ધીરજ નથી તો ન્યાય મેળવવા માટે વર્ષો સુધી રાહ જોવાની તૈયારી છે ખરી?

મુંબઈમાં બિલ્ડર સામે જંગે ચડનારને ત્રીસેક વષો પછી  ન્યાય મળ્યો પોતાનો અને ફલેટ મળ્યો.  એ જંગે ચડ્યો ત્યારે એના માથા પર કાન ઢંકાઈ જાય એટલા વાળ  હશે અને ન્યાય મળ્યો ત્યારે માથા પર કાન સુધી પહોંચે એટલા પણ વાળ રહ્યા નહોતા! એના  ચહેરા પર વિજયની રેખાઓ હતી ખરી પરંતુ એથી વિશેષ વર્ષોની ભોગવેલી પીડાની રેખાઓ  હતી! ને…   બિલ્ડરે મુલાકાતમાં મોંઘબો ખુશ હુવાની અદામાં એવું કશુંક કહ્યું કે-  એ માણસ ખોટમાં ગયો છે! જો એણે મારી સાથે સમાધાન કરી લીધું હોત તો  ફાયદામાં હોત!

મતલબ કે- ફિલ્મમાં કે છાપામાં મજા ન આવે તો પૈસા પાછા માંગવાની વાત તો આમઆદમીને કહતલ  ભી દીવાના અને સૂનતલ ભી દીવાના જેવી લાગે! એ તો એમ જ વિચારે કે–

ભેળસેળિયા તેલમાં તળેલાં ભજીયાં ખાઈ જનાર હું મારા બગડેલા ગળાનું વળતર નથી માંગતો અને એકાદ  ફિલ્મ જોઈને મારા બગડેલા મૂડનું વળતર માંગું?

અરે!એક જ ધોણે પેન્ટની ચડી થઈ ગઈ હોય તો ય હું એને ઘરમાં પહેરી નાંખું પણ પૈસા પાછા લેવા ન જનારો હું એક  છાપાના પૈસા પાછા માંગું?  પસ્તીના ?

પણ વિચાર કરો મિત્રો કે-ખરેખર   ફિલ્મ અને છાપાના પૈસા પાછા મળે એવો સતયુગ આવી જાય તો કેવાં કેવાં દૃશ્યો જોવા મળે!

આવો જોઈ લો … ઝલક દીખલા જા…

ફિલ્મ જોઈને  બહાર  નીકળેલો કોઈ  પ્રેક્ષક સીધો ટિકિટરી પર જઈને હાથ પછાડીને કહે છે  કે-  અબે.. કિધર ગયા?  ફિલમ મેં મજા નહીં આયા! સિર્ફ સલમાન કે ડાન્સ મેં મજા આયા.  ચલ ઈસકા પચાસ કાટ લે ઔર બાકીકા પચાસ વાપીસ કર!

અને છાપાવાળાની દુકાને માથાનો ફરેલો વાચક જઈને   કહે છે  કે-  ઓ ભાઈ આ કેવું છા પું છે ? એક આખું પાનું અવસાન નોંધથી ભરેલું છે! કોઈની દાદીમાને મર્યે દસ વરસ થયા એમાં મારે કેટલા ટકા? ચાલ , આ જાહેરાતના બે પાનાં પાછા   લઈ લે અને લાવ દસ  રૂપિયા પાછા!

છાપાવાળો કહે છે કે- દસ કેવી રીતે?છાપાના તો ત્રણ લીધા છે.

કેમ?  આ પાછું આપવા એમનેમ અવાયું છે ? પેટ્રોલ  મફત આવે છે ?

એક અનોખું વ્યક્તિત્વ:નકલપ્રિયા

હે બ્લોગજનો, અમારા આ ઓટલે આપનું સ્વાગત છે. અમે આગળ વાત કરી હતી કે અમારી કેટલીક પ્રેરણામૂર્તિઓ છે કે જે અમને COPY PASTE બાબત લખવા માટે સતત પ્રેરણા આપતી રહે છે. એમાની કેટલીક પ્રેરણામૂર્તિઓ બાબત અમે અગાઉ વાત કરી છે. આજે અમે એવી જ એક પ્રેરણામૂર્તિનો વ્યક્તિગત પરિચય આપવાનો પ્રયાસ કરીશું.

એ પ્રેરણામૂર્તિનું નામ છે નકલપ્રિયા. કેવું સરસ નામ છે નહીં? એવું જ સરસ તેમનું કામ છે. ખૂબ જ વિશાળ  એમનું દિલ છે.મિત્રો,નકલપ્રિયાનો પરિચય અમને શ્રીચિત્તભ્રમજી મહારાજની શિબિરમાં થયો હતો.જ્યારે એમણે જાણ્યું કે અમે અમારી રચનાઓની COPY PASTE દ્વારા થતી ઉઠાંતરીથી પરેશાન છીએ ત્યારે એમણે મારી તરફ એ રીતે જોયું કે જાણે કોઈ વિશાળકાય પોસ્ટ નાનકડા ગતકડા પર નજર નાખતી હોય! ત્યારબાદ અમારી વચ્ચે થયેલો વાર્તાલાપ અત્રે રજૂ કરું છું.

નકલપ્રિયા ઉવાચ: “નરસિંહ મહેતા, તુલસીદાસ, સૂરદાસ જેવા અનેક લોકોની રચના  COPY PASTE થાય છે છતાંય  એ લોકો વાંધો નથી ઉઠાવતાં તો વાંધો ઉઠાવનારા તમે કોણ? બોલો, એ લોકોએ ક્યારેય ફરિયાદ કરી?”

નકલપ્રિયા એટલાં બધાં ઉત્તેજિત હતાં કે અમે કશી દલીલ જ ન કરી શક્યા. અમારે કહેવું પડ્યું કે “ના”

નહીંતો અમારે કહેવું હતું કે એ લોકો સંત હતા એટલે વાંધો ન ઉઠાવે. વળી એ લોકો હયાત પણ નથી એટલે વાંધો ઉઠાવવાનો સવાલ પણ  નથી. ને સૌથી મોટી વાત તો એ છે કે તેઓ આજે હયાત હોત તો આવી જ  રચનાઓ કરત કે નહીં એ કહેવું મુશ્કેલ છે.

નલકપ્રિયા ઉવાચ: “આજે જ્યારે ગુજરાતી ભાષાને બચાવવા માટે COPY PASTE દ્વારા મહાયજ્ઞ  ચાલી રહ્યો છે. દુનિયાભરની વસ્તુઓનું  COPY PASTE થઈ રહ્યું છે એ તમે નથી જાણતા? અરે ઘોડા ગધેડાઓનું પણ  COPY PASTE થઈ રહ્યું છે! એ લોકો પણ  COPY PASTE નો વાંધો નથી ઉઠાવતા તો વાંધો ઉઠાવનાર તમે કોણ?અત્યારે હવનમાં હાડકાં નાખવાની પ્રવૃત્તિ કરવાને બદલે તમે પણ COPY PASTE કરો એ જ શ્રેષ્ઠ રસ્તો છે.”

અમે નકલપ્રિયાનાં વ્યક્તિત્વ સામે એકદમ વેરવિખેર થઈ ગયા હતા છતાંય  હતી એટલી હિમત એકઠી  કરીને અમે બોલ્યા: : “ અમે COPY PASTEની સગવડતાનો  વિવેક્પૂર્ણ ઉપયોગ કરવામાં માનીએ છીએ. જે લોકો પોતાના બ્લોગમાં અમારી રચનાઓ વગર રજાએ COPY PASTE  કરીને મૂકે છે અને  જે તે બ્લોગની LINK નથી મૂકતા એ  બાબત ઠીક નથી એટલું જ અમે કહેવા માંગીએ છીએ. પણ આટલી અમસ્તી વાતના જવાબમાં તમે પણ  અન્ય લોકોની  જેમ ભળતી દલીલો કરો છો તે ઠીક નથી. આમાં ઘોડાં ગધેડાં COPY PASTEનો વિરોધ નથી કરતાં એવી વાતો  વચમાં ન લાવો તો સારું.”

નકલપ્રિયા: “મિસ્ટર. તમે એક વાત સમજી લો. ગુજરાતી ભાષાને બચાવવી હોય તો એક જ ઉપાય છે. અને એ છે COPY PASTE, COPY PASTE અને COPY PASTE. COPY PASTEનુ પણ COPY PASTE.  COPY PASTEના COPY PASTEનુ પણ COPY PASTE.એનું પણ COPY PASTE. બોલો હવે તમારે કશું કહેવુ છે?”

અમે ખૂબ જ નમ્રભાવે કહ્યું કે: “દેવી, અમે અમારા બ્લોગમાં અમારી જાતે તૈયાર કરેલી રચનાઓ જ મૂકીએ છીએ.”

અમારો જવાબ સાંભળીને લાલચોળ ચહેરે નકલપ્રિયાએ કહ્યું: “મૂર્ખાઈની  પણ હદ હોય છે. COPY PASTE નો સહેલો રસ્તો હોવા છતાં જાતે લખવાની જરૂર જ ક્યાં છે? તમે જાતે લખો એટલી વારમાં તો કેટલું બધું COPY PASTE થઈ જાય એનો હિસાબ માંડ્યો છે? આવું કરવા રહેશો તો ગુજરાતી ભાષા બચશે કેવી રીતે?”

અમે કહ્યું: “ COPY PASTE સમજી વિચારીને થવું જોઈએ.  મૂળ લખનારે બ્લોગમાં ખોટું લખ્યું હોય તો એનું COPY PASTE કરવાથી  અર્થનો અનર્થ થઈ જાવાનો ભય રહે છે. જેમ કે  ઘણા COPY PASTE માં જાગને જાદવાને બદલે જાગને જાડવા જ  થઈ ગયું  છે. એને સુધારવાની પણ  તસ્દી લેવામાં આવતી નથી!!”

“તો એમાં તમારું શું ગયું? બધુ એક જ છે. પંતુજીવેડા ન કરો. ભાવને સમજો. શબ્દોને મહત્વ ન આપો. બોલો સામે  સામે શું દેખાય છે?”

“ગલૂડિયું”

“હવે એને હલુરિયુ કહેવાથી કશો ફરક પડશે.”

“નહીં પડે.”

“બોલો હવે સામે શું દેખાય છે?”

“સામે એક મોતરગારી દેખાય છે અને તેમાંથી એક માનસ નીચે  મૂટલે  છે.” અમે કહ્યું.

“ શું બોલો છો?જરા વ્યવસ્થિત બોલો” નકલપ્રિયા ગુંચવાઈ ગયાં.

અમે કહ્યું: “ડેવી, ભાવને સમજો. શબ્ડોને મહટ્વ ન આપો તો સાલું.”

નકલપ્રિયા ખૂબ જ આનંદિત થઈ ગયાં કારણ કે ખ્યાલ આવી ગયો કે અમે એમની શિખામણને માન આપ્યું છે.

“તમારી સમજ શક્તિ સારી છે.”

“અમાલી સમજશક્ટિ જોલડાર છે.”

“હવે જવાબ આપો કે હું કોન છું?” નકલપ્રિયાએ વાત આગળ વધારી.

“તમે સુંડલ મજાના નાડી છો. પણ એ નાડીથી અલગ છો કે જે નાડીના ધબકાલા  વૈદ લોકો તપાસે છે અને ડવા આપે છે. તમે બહુ જ ઉડાર મટવાડી છો કે જેને માતે નલસિંહ મહેટા, સુલડાસ કે સામાન્ય  બ્લોગલ વચે  કોઈ જાટનો ટફાવત નઠી. તમે એવી નાડી છો કે જે ગુજલાટી ભાશાને બચાવવા માતે રાત ડિવસ જોયા વગલ  કૉપિપેસ્ત  કલે છે. ટમે એમ માનો છો કે: એકનું એક લખાણ વાલંવાલ લગાટાર કૉપીપેસ્ટ નહીં કલીએ ટો બિચાલી ગુજરાટી ભાશા ટરફડી ટરફડીને મરી જશે.  તમે એમ માનો છો કે આપલી ભાશાને જીવટી રાખવી હોય તો કોપિ પેસ્ત વગર આડો ઓવાદો નઠી. ટમે એમ માનો છો કે: પોતાના ડિમાગથી બેપાંચ લાઈનો લખવા કલટા કોઈના બ્લોગમાંથી ટોપલા ભરી લેવા એ સહેલો અને સરલ રસ્ટો છે. તમે એમ માનો છો કે રામ અને શ્યામ કે સીટા અને ગીટા એ બઢા જ અડલ બડલ થઈ જાય તો ડુનિયાની માથે કોઈ મોતું આભ તૂતી પલવાનું નઠી. તમે એવી નાડી છો કે જેમને ફાંકો છે કે આવા બ્લોગ બનાવ્યે રાખવાઠી ગુજલાટી ભાષા બચી જશે. .. …”

” ઓહ, મને માફ કરજો. મને એક કામ યાદ આવી ગયું છે. મેં COPY તો કર્યું છે પણ PASTE કરવાનું બાકી રહી ગયું છે. મારે જલ્દીથી જવું પડશે.”

એવું કહીને નકલપ્રિયા ચાલ્યાં ગયાં. પણ એમના વ્યક્તિત્વની ઊંડી છાપ  અમારા પર છોડી ગયાં. જેની એક ઝલક આપવાનો અમે પ્રયાસ કર્યો છે. કાશ, અમે એમનું COPY PASTE  કરી લીધું હોત!!!

રાહુલ ગાંધી ઊંઝા આવશે ત્યારે

[તસવીર: http://www.tarladalal.com/Tasty-Punjabi-Samosa-12348r]

રવિવારના છાપામાં  પ્રથમ પાને મુખ્ય સમાચાર તો “સીટ સમક્ષ મોદીનું મેરેથોન સીટીંગ ” એવા છે. પરંતુ એક નાનકડા સમાચારે અમારા રીપોર્ટર મિત્ર શ્રી કરસનદાસ કચોરીવાલાને દોડતા કરી દીધા.  તે સમાચાર  આ મુજબના છે:

__________________________________________________________________________________

રાહુલે   ‘રામ ભરોસે’ સમોસાની લહેજત માણી

[પી.ટી.આઈ.] અમેઠી  તા.27

અમેઠીના જૈસ બજારના રામ ભરોસે સમોસાની દુકાન પર આજે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ઓચિંતા મહેમાન બન્યાં હતાં.

નજીકથી પસાર થતાં રાહુલ ગાંધી ગરમાગરમ  સમોસાનો સ્વાદ ચાખ્યા વિના રહી શક્યા  નહોતા. અમેઠીના ગૌરીગંજ ખાતે કાર્યકરોની બેઠક પૂર્ણ થયા બાદ બપોરે તિલોઈ જતી વેળાએ રાહુલનો કાફલો જૈસ બજારમાંથી પસાર થયો હતો. આ સમયે રસ્તાની બાજુમાં ‘રામ ભરોસે’ માં તળાતા સમોસા રાહુલની નજરે પડ્યા હતાં. રાહુલ ગાંધીએ તરત જ કાર રોકાવી દીધી અને અર્ધો ડઝન સમોસા અને બ્રેડ પકોડા મંગાવ્યા હતાં અને તેના નાણાં પણ ચૂકવી આપ્યા હતાં.

——————————————————————————————————————————–

શ્રી કચોરીવાલાએ આ સમાચાર બાબતે સમાજના વિવિધ અગ્રગણીઓની મુલાકાત લીધી. વિવિધ લોકોના પ્રતિભાવ અત્રે રજૂ કરીએ છીએ.

[1] કોંગ્રેસી કાર્યકર શ્રી કનક કાપડિયા:

કરસનદાસ: કનક ભાઈ, રાહુલભાઈએ  રામ ભરોસે સમોસાં ખાધાં એ બાબતે આપનું મંતવ્ય જણાવશો.

કનક કાપડિયા: દેશના વડાપ્રધાન સમોસા ખાય એનાથી મોટી  આનંદની વાત કઈ હોઈ શકે? આ વાત દેશના યુવાનોને એક જોરદાર  સંદેશો મળશે.

કરસનદાસ : આપની ભૂલ થાય છે. રાહુલભાઈ દેશના વડાપ્રધાન નથી.

કનક કાપડિયા: [અકળાઈને} નથી તો થશે.  ભાવિ વડાપ્રધાન ખરા કે નહીં? એમને કોઈ રોકી નહીં શકે. નરેન્દ્ર મોદી પણ નહીં.

ત્યારબાદ કનક કાપડિયા  મોદીના કારનામાં ગણાવવા લાગ્યા. આથી કરસનદાસ ત્યાંથી સરક સરક સરકી ગયા.

[2] શ્રી ભગુભાઈ ભાજપવાલા:

ભગુભાઈએ છાપાનો ઘા કરતાં જણાવ્યું હતું કે: આ બધી સ્ટંટબાજી છે. દેશના લોકો મોંઘવારીથી ત્રાહિમામ પોકારી ગયાં છે ત્યારે એમના રાહુલભઈને સમોસાં ખાવાનું મન થાય છે. સામાન્ય માણસ આજે એક સમોસું ખાતાં સો વખત વિચાર કરે છે ત્યારે રાહુલભાઈ  અર્ધો ડઝન સમોસા ખાય છે! એ પણ  રામ ભરોસે! આ દેશ રામ ભરોસે ચાલી રહ્યો છે  એનાથી મોટું  પ્રમાણપત્ર બીજું કયું હોઈ શકે? વળી પાછા છાપાવાળા લખે છે કે રાહુલે પૈસા ચૂક્વ્યા. કેમ? નવાઈ કરી? આ દેશના લાખો લોકો વસ્તુ ખરીદીને પૈસા ચૂકવે છેને?  છાપોને એ બધા સમાચાર!

ત્યારબાદ ભગુભાઈ “કોંગી ઇઝ ઢોંગી’ ના વિષય પર ચડી જવાથી કરસનદાસ ત્યાંથી પણ સરક સરક સરકી ગયા.

[3] વજુભાઈ વકીલ :

વજુભાઈ વકીલે બળાપો કાઢ્યો કે: છાપામાં આવેલી તમામ વાતો આ દેશની પ્રજા  સાચી માની લે છે. શંકા થાય તો કેસ કરતા નથી.  અમે વકીલો શા કામના છીએ? કરોને કેસ! અમે સાબિત કરી દઈએ કે: રાહુલે સમોસાં નથી ખાધા કે ખાધાં છે. અમે તો બંને બાબતો માટે તૈયાર છીએ!  અમને કેસ આપો. બાકી બધી વાતો જવા દો! કાયદાની વાત કરો. પુરાવા લાવો! અરે! લોકોને માહિતી માંગવાનો અધિકાર છે! પણ કોણ માહિતી માંગે  છે કે: રાહુલે ખરેખર સમોસાં ખાધાં કે નહીં? ખાધાં તો કેટલાં ખાધાં? કઈ સાઈજનાં ખાધાં? સમોસાં તેલમાં તળેલાં હતાં કે ઘીમાં? સમોસાંના કેટલા પૈસા આપ્યા?  આ આકસ્મિક ઘટના હતી કે પૂર્વયોજિત?

ત્યારબાદ વજુભાઈ કાયદાની  વિવિધ કલમોનો પાઠ કરવા લાગ્યા એટલે કરસનદાસ ત્યાંથી સરક સરક સરકી ગયા.

[4] મનુભાઈ મૅનેજમેન્ટવાળા :

વિદ્યાર્થીઓને મૅનેજમેન્ટના ફંડા ભણાવતા મનુભાઈનું કહેવું છે કે: આ  બનાવ એક કેસસ્ટડી તરીકે સ્થાન પામે એમ છે. રાહુલ ગાંધી મત-બજારમાં પોતાની  નેતા તરીકેની બ્રાન્ડને મજબૂત બનાવવાની કોશિશ કરી રહ્યા છે. તેઓ ઘણા વખતથી તનતોડ મહેનત કરી રહ્યા છે. તેઓ કોઈ વખત લારી પરની ચા પીવે છે તો કોઈ વખત ઝૂંપડીમાં પ્રવેશ કરી જાય છે.   મોટાના પગમાં પડે છે તો નાનાંને રમાડે છે!   કોઈપણ નેતાએ આવા  ફંડા ધ્યાનમાં રાખવા  જરૂરી છે.

વળી  રામ ભરોસે સમોસાવાળાને પણ પોતાના સમોસાંની એક બ્રાન્ડ બનાવીને માર્કેટમાં પોઝિશન ઊભી કરવાની તક મળી છે. આ તકનો તેણે બને તેટલો લાભ ઉઠાવવો જોઈએ.  રાહુલજીની પસંદને  દેશની પસંદ  બનાવી દેવી જોઈએ.

ત્યારબાદ મનુભાઈ    મનેજમેન્ટના   અવનવા ફંડાની ફેકમફેંકી કરવા લાગ્યા એટલે કરસનદાસ ત્યાંથી સરક સરક સરકી ગયા.

[5] વૈદ શ્રી કડવાણીશંકર:

લોકોએ એ વાત ખાસ સમજવાની છે કે: સમોસામાં બટકાનો વપરાશ થાય છે જે  વાયુવર્ધક છે.  આવા પદાર્થોના અતિસેવનના કારણે માણસ શારિરિક અને માનસિક  વિકૃતિનો  ભોગ થઈ શકે છે. રાહુલભાઈએ જો ખરેખર અર્ધો  ડઝન સમોસાં ખાધાં હશે તો  અવશ્ય તેમના શરીરે પ્રતિક્રિયા આપી જ હશે.  એ બાબતના સમાચાર જો  બહાર આવે તો જરૂર દેશની પ્રજાને આરોગ્ય બાબત અગત્યની માહિતી મળે.  જો દેશના લોકો  રાહુલભાઈની માફક સમોસાનું અતિસેવન કરવા લાગે તો લાંબેગાળે  દેશના  પર્યાવરણ પર પણ મોટું  જોખમ ઊભું થઈ  શકે છે!

ત્યારબાદ કડવાણી શંકર  વાયુપ્રકૃતિ બાબત વિશેષ  ઉદાહરણો આપવા લાગ્યા એટલે કરસનદાસ ત્યાંથી સરક સરક સરકી ગયા.

[6]  શર્માજી સમોસાવાળા:

શર્માજી એ જણાવ્યું કે રાહુલજીના આ પગલાથી દેશભરના સમોસાવાળાઓ ખૂબ જ ઉત્સાહમાં આવી ગયા છે.  આ ઘટના જેવી તેવી નથી. તમે નહીં માનો.  અમે સમોસા પ્રચારક મંડળની સ્થાપના પણ કરી દીધી છે.  મને એ મંડળનો પ્રમુખ બનાવવામાં આવ્યો છે. અમારું સૂત્ર છે કે: “જુવાન હોય કે ડોસા … સહુ ખાય સમોસા”

અમે આવતી ચૂંટણીમાં જરૂર રાહુલજીને મદદ કરીશું. દેશનો  સમોસા ઉદ્યોગ ઝડપથી આગળ વધે તે માટે અમે સરકાર પાસે મોટા પેકેજની માંગણી પણ  કરીશું.

ત્યારબાદ શર્માજી સમોસાચાળીસાનું પઠન કરવા લાગ્યા એટલે કરસનદાસ ત્યાંથી સરક સરક સરકી ગયા.

[7] ઉમંગી ઊંઝાવાળા :

ઉમંગી ઊંઝાવાલાએ કરસનદાસને જણાવ્યું હતું કે: રાહુલ વિવિધ પ્રદેશમાં જાય છે ત્યારે ત્યાંની વાનગીને  ન્યાય આપે છે એ સારી વાત છે. તેઓ જ્યારે ઊંઝા આવશે  ત્યારે અમે પણ  એમને અમારી વાનગી ચખાડીશું.

કરસનદાસે જ્યારે પૂછ્યું કે : શું તમે તેઅમને ઊંઝા જોડણી ચખાડશો?

ત્યારે ઉમંગભાઈએ  અકળાઈને કહ્યું હતું કે: તમને લોકોને ઊંઝા જોડણી સિવાય કશું જ દેખાતું નથી?

કરસનદાસે કહ્યું કે : મારો ઇરાદો એવો નથી.પણ તમે રાહુલજીનું સ્વાગત શાનાથી કરશો?

ઉમંગભાઈએ ઉમંગથી કહ્યું હતું કે: કેમ ? મારી પાસે ઇસબગુલ નથી? મોટો કારોબાર કરીએ છીએ તે કેમ ભૂલી જાઓ છો?  અલકમલકનો આચોકૂચો ખાધાપછી રાહુલજીને પણ ઇસબગુલના સેવનથી કેટલી રાહત થશે એનો વિચાર કેમ નથી કરતા?

ત્યારબાદ ઉમંગભાઈએ  ઇસબગુલના  કારોબારની કથા શરૂ કરી એટલે કરસનદાસ ત્યાંથી સરક સરક સરકી ગયા.

કરસનદાસ થાક્યાપાક્યા “અસર”ના ઓટલે આવ્યા અને અમને કહેવા લાગ્યા કે: આ દુનિયામાં બધા પોતપોતાની પપૂડી વગાડે છે! કાશ ! અમારી કચોરીની  કદર કોઈ નેતા કરે  અને કચોરીનો  ધંધો ઊંચકાઈ જાય તો આ રીપોર્ટિંગની માથાકૂટ મટી  જાય !!!

તમારે તમારા બ્લોગની તબિયત મફતમાં બતાવવી છે?

[આગોતરા જામીન: અમે આ અહેવાલ વાસંતી વાયરાની અસર હેઠળ રંગીન મનોદશામાં તૈયાર કરેલો છે! કોઈ મિત્રને ખોટું લાગે તો અમારી પાસે એક જ જવાબહશે કે: બૂરા મત માનો ભાઈ, હોલી હૈ.]

બ્લોગજગતમાં અનેરી ચહલપહલ શરૂ થઈ ગઈ. વાત એમ હતી કે વિવિધ બ્લોગલેખકોના આગ્રહથી  વૈદરાજ શ્રી બ્લોગાચાર્ય પધારવાના  હતા અને તેઓ  બ્લોગની નાડી તપાસી ને યોગ્ય ઔષધ વિના મૂલ્યે આપવાના  હતા. આ અનેરી  તકનો લાભ લેવા કેટલાય બ્લોગલેખકો પોતપોતાના બ્લોગને આંગળીએ  વળગાડીને લાઈનમાં ઊભા રહી ગયા હતા.

યશવંત ઠક્કર પણ પોતાના બ્લોગ અસરિયા કહેતા અસર ને  લઈને  સહુથી પહેલા ઊભા રહી ગયા હતા. એમને એમનો બ્લોગ ગાંઠતો નહોતો! વારેવારે આંગળી છોડાવીને ભાગી જતો હતો.એ ઘડીમાં  ઘડીમાં શાહરૂખખાનની વાત કરતો હતો તો  તો બીજી જ ઘડીએ  વિચિત્ર કહેવાય એવાં ભજન ગાતો હતો!  બધાં હસતાં હતાં એમ એમ એ વધારે ને વધારે ચગતો જતો હતો. યશવંત ઠક્કરને ઘણું નીચાજોયું થતું હતું પણ શું કરી શકે? એક બે વખત ઠપકો આપ્યો તો  એ ભાગી  જવાની વાત કરવા લાગ્યો!.

… ને બ્લોગાચાર્ય  આરોગ્યખંડમાં પધાર્યા. યશવંત ઠક્કર પોતાના અસરને ઢસરડીને અંદર લઈ ગયા. એમણે ફરિયાદ શરૂ કરી દીધી: “વૈદરાજ,આનો કશો ઇલાજ કરો. મનમાં આવે તે બોલ બોલ કરે છે. ચિત્ર વિચિત્ર કલ્પનાઓ કરે છે. ભાતભાતના ગાંડા કાઢે છે. બધાંને હસવાનું થાય છે ને આ ભાઈ ચગતા જાય છે.”

“એમાં વાંધો શો છે? ” વૈદરાજ બોલ્યા.” બીજાને હસાવે છે ને રડાવતો નથીને? “

“પણ એની હદ હોવી જોઈએને? બધું રીતે સારું લાગેને?”

” એ તો ભાઈ , જેવો તમારો ઉછેર!. “

વૈદરાજે અસરિયાની નાડી  પર હાથ મૂક્યો. માથા પર હાથ દબાવ્યો.તો અસરે પણ વૈદરાજની નાડી પર  પોતાનો હાથ મૂક્યો અને વૈદરાજનું માથું દબાવ્યું. યશવંત ઠક્કરે એની સામે આંખો કાઢી પણ અસર પર એની કોઈ અસર થઈ નહીં.

” થોડોક કલ્પના પ્રકોપ થયો છે. આખું માથું કલ્પનાઓથી ફાટ ફાટ થાય છે. પણ  ચિંતા જેવું નથી. ” વૈદરાજ બોલ્યા.

“પણ  મારી તો ઊંઘ  હરામ થઈ ગઈ છે. એના લીધે કોઈની ફરિયાદ આવે તો મને તો મરવા જેવું થાય!. “

“એવું કાંઈ ન થાય.ભલા માણસ,આ જમાનામાં તો બધા બ્લોગ એવા જ હોય. આ કલ્પનાશામક ચૂર્ણ આપું છું. કલાકે કલાકે એને ઠંડા જળ સાથે પીવડાવતા રહેજો.  ધીરે ધીરે સુધારો જણાશે. “

“પણ આવું થવાનું કારણ? “

” પ્રકૃતિ. બીજું કશું નહીં. એમાં તાત્કાલિક ફેર પાડવાના ધમપછાડા કરવાના નહીં.”

યશવંત ઠક્કર પોતાના બ્લોગને લઈને બહાર નીકળ્યા અને  વારો આવ્યો રાઉલજીનો.

ધગધગતા “કુરુક્ષેત્ર”  ને લઈને રાઉઅલજી વૈદરાજ ની સામે બેઠા. બોલ્યા:”વૈદરાજ, આ મારા  બ્લોગ નું શરીર ચોવીસે કલાક અને બારે મહિના ગરમ રહે છે. તમે  હાથ લગાડો તો ખ્યાલ  આવશે. ”

વૈદરાજે કુરુક્ષેત્રને તપાસ્યો ને કહ્યું કે: “આક્રોશજન્ય બીમારીમાં આવું થાય. બ્લોગ હંમેશા ફાટ ફાટ થતો હોય, એની આંખોમાં હંમેશા  લાલાશ રહેતી  હોય અને  વાણીમાં પણ ગરમાવો હોય! ”

” એનું કારણ ? ”

“અસમતોલ આહાર. તમે એને આક્રોશી પદાર્થો વધારે ખવડાવ્યા છે.  એનો પ્રકોપ થયો છે. એનું શમન કરવું પડે. આ લલિત ઘનવટીની ડબ્બી આપું છું. એમાંથી  રોજ સવાર .બપોર અને સાંજ બબ્બે ગોળીઓ  આપજો. આજુબાજુમાપણ  કોઈ કવિ કે શાયર રહેતા હોય તો એની પાસે રોજ એકાદ કલાક બેસાડજો. જેને લીધે એનામાં લલિત ભાવ જાગશે. થોડા દિવસો સુધી  ઐતિહાસિક વાતાવરણથી  દૂર રાખશો એટલે જરૂર ફેરપડશે. ”

“પણ પછી ઊલમાંથી ચૂલમાં પડવા જેવું નહીં થાયને? એ ગીતડાં ગાતો નહીં થઈ જાયને? મને એ નહીં પોસાય. જો એવું જ થવાનું હોય તો  આ લઈ લો તમારી દવા પાછી.”

“બાપુ, તમે આકરા ન થાવ. એવું કશું જ નહીં થાય.  એની ગરમ પ્રકૃતિ તો જળવાઈ જ રહેશે. આ તો જરા કોઠો ઠંડો કરવાની વાત છે. ”

” તો ઠીક”  કહીને રાઉલજી કુરુક્ષેત્રને લઈને બહાર નીકળ્યા.

… ને  વિનયભાઈ પોતાના બ્લોગ funngyan.com [ફનગ્યાનને] લઈને અંદર ગયા.

ફનગ્યાનના હાથમાં  રમકડાની ગન હતી અને તે વારેવારે  એનાથી નિશાન તાકતો હતો! અંદર જઈને તે દવાખાનામાં ખાંખાખોળા કરવા લાગ્યો.વૈદરાજના ટેબલ પર એક ચબરખી પડી હતી જેમાં એક શાયરી લખેલી હતી.

” આ શાયરી કોણે લખી છે? ” ફનગ્યાને પૂછ્યું.

“મેં  હમણા જ લખી છે. કેવી લાગી? ”

“જૂઠું ન બોલો. આ શાયરી મેં વર્ષો પહેલાં વાંચેલી છે. તમે કેવી રીતે લખી  હોય?”

“અરે દોસ્ત, હું ભૂલી ગયો.આ શાયરી તો  મેં  મારા મોબાઈલના મેસેજબોક્ષમાંથી જોઈને લખી છે.  એ ક્યા શાયરે લખી છે એની મને નથી ખબર. ”

“ખબર ન હોય તો એની નીચે “અજ્ઞાત” લખો.  જે  સારું લાગે તે તમારા નામે ચડાવી દેવાની ટેવ સારી નથી “

વૈદરાજે આનાકાની કરી પણ ફનગ્યાને પીછો છોડ્યો નહીં એટલે છેવટે એમણે  પેલી શાયરીની નીચે “અજ્ઞાત’ લખ્યું .

“  વિનયભાઈ, આ તે તમારો બ્લોગ છે કે  જાસૂસ? ”

“શું કરું?આનો કશો ઇલાજ કરો. એને નકલખોરી સિવાય બીજું કશું ધ્યાનમાં જ નથી આવતું! ઘણાં બ્લોગલેખકોની આંખે ચડી ગયો છે!”

” પણ એમાં ખોટું શું છે? આપણા સમાજમાં પોલિસખાતાની જરૂર કેમ છે? એટલા માટે છે કે  સમાજમાં ચોરી કે ઉઠાતંરીના કિસ્સા અવારનવાર બને છે. બ્લોગજગતમાં પણ જાણ્યે અજાણ્યે અન્યની રચનાઓ પોતાના નામે મૂકનારા બ્લોગધારીઓનો તોટો નથી.  શહેરમાં પોતાની ગાયોને છૂટી મૂકનારા માલધારીઓ જેવા જ આ બ્લોગધારીઓ છે.  એ લોકોમાં  તમારા  આ બ્લોગ દ્વારા પર થોડોઘણી સમજ આવતી હોય તો  એ સારું જ છે ને? ”

“પણ આ બીજાંની આંખે ચડવાના ધંધા ક્યાં સુધી? “

“જૂઓ ભાઈ, દરેક બ્લોગજન એવું જ વિચારે કે હું ચૂપ જ રહું , અળખામણો ન થાઉં કે જેમ ચાલતું હોય તેમ ચાલવા દઉં  તો પછીઆ સુંદર મજાના બ્લોગજગતની દશા કેવી થાય? એમાં ને ચોરબજારમાં કશો ફેર રહે ખરો? ”

” પણ તોય કશી દવા આપો. એ  ગીત કે ગઝલ  બોલતો થાય એવું કરો. ”

વૈદરાજ ખડખડાટ હસ્યા. ” હવે આની તાસીર ન બદલાય! પણ એક કામ કરો. એને ખાંખાખોળા તો કરવા જ  દો.એમ કરીને નવા નવા ઉત્સાહી બ્લોગલેખકોને પ્રકાશમાં લાવવા દો. એમને મદદરૂપ થવા દો.  જૂના, જાણીતા અને કહેવાતા વિદ્વાન લેખકોનું એંઠું ચાટનારાં અને ચટાવનારાં તો આ બ્લોગજગતમાં બહુ છે. હરાયા ઢોરની જેમ એની એ જ રચનાઓ  બ્લોગજગતમાં શીંગડાં ઉછાળતી ઘૂમી રહી છે. એની પૂજા કરનારા ભલે કરતાં.પણ તમારો ફનગ્યાન જો  નવા બ્લોગરની રચાનાઓને નકલખોરીથી બચાવશે અને એને પોતાની ઓળખાણ મળે એવું કરશે  તો  બ્લોગજગત માટે  સારું કામ કર્યું કહેવાશે. ફનગ્યાન , નવા બ્લોગલેખકોને બ્લોગરચનામં કોઈ તકલીફો પડતી હોય તો એને સહાય કરશે તો જરૂર એ હકારાત્મક પ્રવૃત્તિ કહેવાશે. બ્લોગજગતમાં તાજગીને અને નવીનતાની જરૂર  છે. બાકી ,તમારો આ ફનગ્યાન ગીત કે ગઝલ  બોલતો થાય એવી કોઈ દવા નથી. અને એ એવું કરે  એ જરૂરી હોવાનું હું માનતો  પણ નથી. માટે એને ખુશીથી ખાંખાખોળા કરવા દો. એને નવરો ન પડાવા દેતા. ”

વિનયભાઈ અને વૈદરાજની મુલાકાત લાંબી ચાલત પણ બહાર લાઈનમાં ઊભેલા બ્લોગલેખકો અધીરા થયા હોવાથી, વૈદરાજ પાસેથી  ફરી મળવાના વચન સાથે વિનયભાઈ પોતાના ફનગ્યાનને લઈને બહાર નીકળ્યા અને હેમંત પુણેકર પોતાના ઊંઘતા બ્લોગ ” હેમકાવ્યો” ને  લઈને અંદર આવ્યા. 

વૈદરાજને નમસ્કાર કરીને હેમંતભાઈએ “હેમક્કાવ્યો”ને ટેબલ પર સૂવડાવી દીધો અને ચિંતા વ્યક્ત કરી. ” વૈદરાજ,  આ મારો બ્લોગ ઊંઘ્યા જ કરે છે. ઊઠવાનું નામ નથી લેતો. “

” કયારથી આવું થયું છે?”

” બે મહિના થવા આવ્યા. જૂઓને, એની નોંધ  “કવિતા’ અને “દિવ્યભાસ્કરે”  લીધી ત્યારપછી જ આવો થઈ ગયો છે. મોટાભાગે સૂનમૂન જ પડ્યો રહે છે. એ  વધારે પડતી ખુશીને લીધે એવો થઈ ગયો હશે? “

“બની શકે.” વૈદરાજે ‘હેમકાવ્યો” ને તપાસ્યો અને આગળ બોલ્યા:”  આનો કોઠો તો ઘણો જ તેજ છે. ભલભલી વાહ વાહ કે ટીકાને પચાવી શકે એવો છે.”

” તો પછી શું થયું હશે? એને હજી ઘણી જ મંઝિલ કાપવાની છે. આમ અત્યારથી જ આળસુ થઈને પડ્યો રહે એ બરાબર તો નથીને? “

“ચિંતાનું કોઈ કારણ નથી. હેમંતભાઈ,તમારો બ્લોગ પહેલીથી જ ઓછું બોલનારો,પણ જ્યારે બોલે ત્યારે ભલભલાનું ધ્યાન ખેંચાય એવું બોલનારો છે. એમાંય થોડાક મોટા માણસોનું ધ્યાન ખેંચ્યા પછી એ હવે પોતાની જવાબદારી વધી ગઈ હોવા નું માનવા લાગ્યો હોય એવું બની શકે છે. એના લીધે એ નિષ્ક્રિય થઈ ગયો  હોય એવું  લાગે છે. એને થોડોક  સક્રિય કરવો પડે! “

“કોઈ દવા?”

“આ ‘ સક્રિયતા લેપ’  આપું છું. એના કપાળે રોજ રાતે લગાડજો. સવારે ઊઠશે ત્યારે એક નવી ગઝલ  લઈને ઊઠશે.

“રોજ એક ગઝલ? મારો બ્લોગ રોજ ઊઠીને  ગઝલ રજૂ કરે એ મને ન પોસાય! એની ગુણવતાને અસર ન થવી જોઈએ. ”

“નહીં થાય. જે  રચનાઓ  એના મનમાં એકઠી થઈ ગઈ  છે એ  બધી પ્રગટ થઈ જશે ત્યારપછી બધું જ રાબેતા મુજબ થઈ જશે.”

વૈદરાજનો આભાર માનીને હેમંતભાઈ બહાર નીકળ્યા એટલે વારો આવ્યો  પંચમ શુક્લનો. પોતાના બ્લોગ પ્રત્યાયન  ને  લઈને તેઓ વૈદરાજની સામે બેઠા.

“તમારા બ્લોગનું કપાળ તો ઝઝગારા મારે છે. ભારે તેજસ્વી બ્લોગ  છે.” વૈદરાજ બોલ્યા.

એટલામામાં પ્રત્યાયનનું ધ્યાન એક લાકડી તરફ ગયું.એ મોટે મોટેથી બોલવા લાગ્યો:”બડીકો!બડીકો!” લાકડીનીબાજુમાં એક પથ્થર હતો.એ જોઈને પ્રત્યાયન ખુશ થઈને બોલવા લાગ્યો કે: “પાણકો!પાણકો!”

“જોયું વૈદરાજ, એ ગીત અને ગઝલમાં એવા એવા જૂના શબ્દો બોલે છે કે લોકોને શબ્દકોષનો સહારો લેવો પડે છે.”

“ભલા માણસ.  તમારે તો  રાજી થવું જોઈએ. આપણી ભાષાના ભુલાયેલા  શબ્દોને વીણી વીણીને રજૂ કરે છે.  એ પણ સાહિત્યમાં!”

“પણ એનો અતિરેક તો સારો નહીંને? મને અતિરેક થવાની બીક લાગે છે? ”

વૈદરાજે પ્રત્યાયનની નાડી પર હાથ મૂક્યો.  “ધબકારા એકદમ  લયબદ્ધ છે. શંકાને કોઈ સ્થાન નથી. “  તેઓ બોલ્યા.

“કોઈ સારવારની જરૂર? ”

“મને તો જરૂર લાગતી નથી.એની ક્યારેય  કોઈ  ફરિયાદ આવી છે? ”

“ફરિયાદ તો  નથી આવી. પણ કદાચ આવે તો?”

” આવે ત્યારની  વાત ત્યારે. અત્યારે તો મને  દવા આપવા જેવું લાગતું નથી. ”

“દવા નહીં. ઔષધ કહેવાય. “  પ્રત્યાયન  બોલ્યો.

“જોયું એનું ડહાપણ! ” પંચમજી બોલ્યા.

” અમારા જેવાના કાન પકડે એવો છે. પંચમજી.  આની સારવાર  ન હોય! ‘ વૈદરાજ હસતા હસતાબોલ્યા.

… અને પંચમજી હસતા હસતા બહાર નીકળ્યા.

મિત્રો,  અમે આટલો  અહેવાલ આપીને અટકી એ છીએ.  અમરે બ્લોગલેખન કરવાનું હોવાથી અમે વધારે વખત  બ્લોગલેખનના દવાખાને  રોકાયા નહોતા.  પણ અમે એટલું જરૂર કહીશું કે સહુ બ્લોગલેખકોએ પોતાના બ્લોગની તબિયત મફતમાં બતાવવાનો આ મોકો જતો કરવા જેવો નથી!!

આવજો અને જલસા કરજો.

કોના કોના બ્લોગે ચડિયા ચોર! હેલ્લારો…

હે બ્લોગજનો,  આપ સૌ જાણો જ છો કે અમારા લેખ મોટાભાગે આપની   દિમાગી ઉર્જાનો બચાવ કરનારા હોય છે! તો એવી જ રીતે ઓછામાં ઓછું દિમાગી બળતણ વાપરીને અમારો આ લેખ પણ વાંચશો તો જરૂર ફોરમતા ફાગણનો  કેસુડિયો  સ્પર્શ પામશો.

વાત એમ છે કે અમારા શહેરમાં મચ્છરોની બહુ બોલબાલા છે. મોંઘવારીના આ જમાનામાં દવા કેટલી છંટાય! અમને તો મચ્છરોને ભગાડવા માટે દવા છાંટવાનો ઉપાય બરાબર લાગતો નથી! કારણ કે એ ઉપાયથી માત્ર બેત્રણ કલાક અને નસીબ સારા હોય તો એકાદ દિવસ રાહત રહે છે. કાયમી રાહત થતી નથી. જ્યારે આખું શહેર સહન કરતું હોય તો અમે વળી કોણ ? જ્યારે તંત્રએ જ મચ્છરો સાથે શાંતિકરાર કરી લીધા હોય ત્યારે અમે શું કરી શકીએ? પંપ લઈને શહેરમાં ફરીએ?આ મોંઘવારીમાં?

પંપ લઈને હું ઘરમાં ફરું પણ નગરમાં ફરું કેમ?
મચ્છરોથી તો મરતાં મરું હું મોંઘવારીથી મરું કેમ?

…  મચ્છરો મારવાની દવા પાછળ વિશેષ ખર્ચ કરવાનું અમને યોગ્ય લાગતું નથી. એના કરતાં એટલો ખર્ચ સારું સારું ખાવામાં કર્યો  હોય તો લોહીમાં સુધારો થાય અને લાંબેગાળે મચ્છરોની સામે ટક્કર ઝીલી શકાય!  મિત્રો, અમે ઘણું ઘણું ચિંતન કર્યું તો અમને જ્ઞાન પ્રાપ્ત થયું કે: મચ્છરોને ભગાડવા કરતાં એને સહન કરવામાં જ ડહાપણ છે. કેટલા મચ્છરોને ભગાડી શકાય? કેટલા સમય સુધી ભગાડી શકાય? એ પ્રવૃત્તિમાં આપણો કેટલો સમય બરબાદ થાય? એ સમયમાં અન્ય કઈ પ્રવૃત્તિ  કરી શકાય? … તોફાની ટપુડા જેવા આવા અનેક પ્રશ્નોએ  અમારા દિમાગને વલોવ્યું, જેના પરિણામે અમને ભાન થયું કે :

તમે હાથ  હેઠા  કરી દ્યો હવે કે મચ્છરો  ભગાડી શકાતા નથી.
પપુડાં વગાડી શકાય છે .. સાંબેલાં વગાડી શકાતાં નથી.

જેવો વાસ્તવિક જગતમાં મચ્છરોનો પ્રભાવ એવો જ  બ્લોગજગતમાં COPY-PASTEનો પ્રભાવ!

ખૂબ લખાયું છે! અમે પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી  જેવું અમારું ડહાપણ અવારનવાર દર્શાવ્યું છે કે :COPY-PASTE દૂષણ પણ છે અને આભૂષણ પણ છે. એ કેવી રીતે કરવામાં આવે છે અને શાં માટે કરવામાં આવે છે એના પર બધો આધાર છે. પણ અમને લાગે છે કે  મચ્છરો પાછળ જેમ સમય અને શક્તિ બગાડવાં વ્યર્થ  છે એમ જ COPY-PASTEની સમસ્યા પાછળ  સમય અને શક્તિ બગાડવાં વ્યર્થ છે!

જેમ આજકાલ ડાયાબિટિશ કે હૃદયરોગ જેવી બીમારીઓ શારીરિક ખામી ન ગણાતાં શારીરિક જરૂરિયાત ગણાવા લાગી છે એમ જ COPY-PASTEની બિમારી એ બ્લોગજગત માટે જરૂરિયાત મનાવા  લાગી છે. વળી જે બ્લોગને જન્મથી જ COPY-PASTEની બીમારી હોય એનો ઉપાય ક્યાંથી હોય? જેનો કોઠો જ COPY-PASTEથી ભરેલો હોય એ બ્લોગ બિચારો તંદુરસ્ત થવા માંગે તો પણ કેવી રીતે થઈ શકે? એને નિભાવવો જ પડે! ઘણી  વખત તો  એવું લાગે કે આ બીમારી તો ગઈ ગોથાં ખાતી ત્યાં તો  ફરીથી હુમલો થાય! આમાં  અમે બ્લોગરનો દોષ જોતા નથી! COPY-PASTEનાં જીવાણું એનામાં પ્રવેશ કરી જાય એમાં એનો વાંક નથી!વાંક જીવાણુંનો છે. એના માટે ફરિયાદ,બળતરા કે કકળાટ કરવો વ્યર્થ છે! પણ અમને  કોઈપણ  વિશેષ ચિંતન કરવાની ટેવ એટલે  કરી બેઠા અને પરિણામે આ સમસ્યાનો એક  હોવાથી એક ઉપાય સૂઝ્યો છે!

એ ઉપાયનું નામ છે : હેલ્લારો!

હા,હેલ્લારો! ગામડાંમાં કે નાનાં નગરોમાં જાગરણના તહેવારોમાં  બાળાઓ હેલ્લારોના પોકારો  કરતી હતી! એક બાળા  સૂત્રની માફક  બોલે અને બીજી બાળાઓ જવાબમાં મોટેથી “હેલ્લારો”  એમ બોલે! જેમ કે:

કોની કોની મેડીએ ચડિયા ચોર? … હેલ્લારો !
શામજીભાઈની  મેડીએ ચડિયા  ચોર…. હેલ્લારો!

તો હે બ્લોગજનો, આ હેલ્લારોનો ઉપયોગ બ્લોગજગતમાં પણ કરવા જેવો નથી?

જેમ  કે કોઈ બ્લોગરને એમ લાગે કે પોતાના બ્લોગમાંથી  બીજા કોઈ બ્લોગરે વગર રજાએ COPY-PASTE કરીને એના પોતાના  બ્લોગમાં કશું મૂકી દીધું છે  અને મૂળ લેખકનું નામ કે LINK  આપ્યાં નથી તો એ માટેની ફરિયાદ  હેલ્લારા દ્વારા જાહેર કરે!

અમે  અમારી  વાત કેટલાક ઉદાહરણો દ્વારા તમારા ગળે ઉતારવાની મહેનત કરીશું.

ઉદાહરણ [1]

કોના કોના બ્લોગે ચડિયા ચોર?  હેલ્લારો!
યશવંતભાઈના  બ્લોગે ચડિયા ચોર! હેલ્લારો!

ઈ રે બ્લોગનું શું રે નામ?….  હેલ્લારો!
ઈ રે બ્લોગનું અસર નામ! …. હેલ્લારો!

ઈ રે બ્લોગમાંથી શું શું ગ્યું? … હેલ્લારો!
ઈ રે બ્લોગમાંથી ભવાઈ ગઈ! … હેલ્લારો!
બ્લોગજગતની નવાઈ ગઈ! .. હેલ્લારો.

ઈ રે ચોરનું શું છે નામ? … હેલ્લારો!
ઈ રે ચોરનું મફતલાલ નામ! … હેલ્લારો !

ચોરના બ્લોગનું શું છે નામ? … હેલ્લારો!
ચોરના બ્લોગનું “દેડકો” છે નામ! … હેલ્લારો!

ઉદાહરણ :[2]

કોના કોના  બ્લોગે ચડિયા ચોર? … હેલ્લારો!
ચંદુભાઈના બ્લોગે ચડિયા ચોર!… હેલ્લારો!

ઈ રે બ્લોગનું શું છે નામ?… હેલ્લારો!
ઈ રે બ્લોગનું  “ધમાધમ” નામ!… હેલ્લારો!

ઈ રે બ્લોગમાંથી શું શું ગ્યું? … હેલ્લારો!
આખેઆખું ગીત ગ્યું…. હેલ્લારો!
અરધીપરધી ગઝલ ગઈ! …હેલ્લારો!
થોડીઘણી કથા ગઈ! … હેલ્લારો!
ઉપરઉપરથી વ્યથા ગઈ! … હેલ્લારો!

ઈ રે ચોરનું શું છે નામ? … હેલ્લારો!
ઈ રે  ચોરનું “શાહુકાર” નામ! … હેલ્લારો!

ચોરના બ્લોગનું શું છે નામ? … હેલ્લારો!
ચોરના બ્લોગનું  “કોથળો”  નામ! … હેલ્લારો!

હે ચતુર સુજાણો, અમે વધારે ઉદાહરણો આપીશું  તો  એનો અર્થ એ થશે કે અમને તમારી સમજ શક્તિ અને કલ્પનાશક્તિ પર ભરોસો નથી! માટે વિશેષ  ઉદાહરણો ન આપતાં આ હેલ્લારાથી થતા લાભાલાભ ટૂંકમાં જણાવીશું.

[1]  હેલ્લારાના કારણે  ફરિયાદ ફરિયાદ ન રહેતા  એક પોસ્ટ બની જશે. જેથી બ્લોગરને ઓછી મહેનતે એક પોસ્ટ મૂકી શકવાનો લાભ થશે.

[2]જેના બ્લોગમાંથી COPY-PASTE થયું છે એની તેમજ એના તેમજ એના બ્લોગની જાહેરાત થશે!

[3] જેણે COPY-PASTE કર્યું  છે એની તેમજ એના બ્લોગની પણ જાહેરાત થશે!

[4] એવી શક્યતા ઓછી છે પણ કદાચ COPY-PASTE કરનારનું હૃદયપરિવર્તન થાય!

[5] ભુલાઈ ગયેલી હેલ્લારા સંસ્કૃતિ કદાચ ફરીથી જીવિત થાય!

આ સિવાયના પણ ઘણા લાભ  થઈ શકે .

તમને શું લાગે છે? હેલ્લારાનો પ્રયોગ કરવા જેવો ખરો? જરૂર કહેજો.

બાકી, અત્યારે તો અમે કહીશું કે ” આવજો અને જલસા કરજો!”



વાહ! ક્યા SCENE હૈ!

વાહ! ક્યા SCENE હૈ!

મિત્રો, આ બ્લોગ પર અમે એક લેખ મૂકેલો. જેમાં નરેન્દ્ર મોદી અને અમિતાભ બચ્ચન વચ્ચેની સરખામણી કરવાનો હળવાશભર્યો પ્રયાસ કર્યો હતો. જેમાં અમે એક કલ્પના કરેલી કે આ બંનેને એક જગ્યાએ ભેગા કરવા જોઈએ.

નરેન્દ્ર મોદી અને અમિતાભ બચ્ચન બંને કઈ કઈ બાબતોમાં સરખા છે!

આમ તો એ એક તુક્કા જેવી જ વાત હતી! પરંતુ એ તુક્કાએ પણ હકીકતનું રૂપ લઈ લીધું! ફિલ્મ “પા” ના પ્રમોશનના પ્રસંગે બંને કાલે  મળ્યા. આ વખતે બંનેની ભેગી તસવીર છાપાંમાં જોવા મળી. અમારે કહેવું પડ્યું કે વાહ! ક્યા SCENE હૈ!

અને હા, શિયાળો બિલ્લીપગે ગુજરાતમાં આવી ચૂક્યો છે. તો માણો કેટલાક અન્ય દ્શ્યો!!!! અને પસંદ પડે તો કહેજો કે :!

વાહ! ક્યા SCENE હૈ?

શિયાળાની સવારના કેટલાક દ્શ્યો!

ધુમ્મસના શેમ્પૂથી નહાતો સૂરજ!

સૂરજની સાક્ષીની રાહ જોતી સ્ટ્રીટ લાઈટ !

જાગેલાને જગાડવા મથતો પૂજારી!

ગુનાખોરીનું પોટલું બાંધતો હોય એમ બિસ્તરો બાંધતો રાતપાળીનો પોલિસ જમાદાર!

બાકીની ઊંઘ પૂરી કરવા ઘર તરફ જતો નાઈટ- વોચમેન!

માલિક સાથે મોર્નિંગવૉકમાં નીકળેલા કૂતરાની સામે સૂત્રોચ્ચાર કરતાં શેરીનાં કૂતરાં!

સ્પોર્ટસશૂઝની મદદથી  ઘડપણને ભગાડવા ઝડપથી ચાલતો   સિનિઅર સીટીજન!

બાઈકની સાથે સાથે, સિનિઅર સીટીજનને હેરાન કરવાનો જીવનમંત્ર લઈને નીકળી પડેલો જુનિઅર સીટીજન!

સીધી ચાલ  ચાલનારાંને  આડી ચાલ ચલાવતી રસ્તે રઝળતી ગાયો!

ઘટનાઓનો ભાર ઘેર ઘેર વેચીને પરત ફરી રહેલો છાપું ફેંકનારો!

નવોનક્કોર થઈને જૂના સમાચારો ખરીદવા બેઠેલો પસ્તીની દુકાનવાળો!

દુકાનની સામે સ્વેટર પહેર્યાં વગર ચણવા નીકળી પડેલાં કબૂતરો!

ટ્યુશન કલાસની બહાર જામેલો શિક્ષણપૂડો!

હોમવર્કથી ભરેલાં દફતરોની સમયસર ડીલિવરી કરવા સ્કૂલ તરફ દોડતી રિક્ષાઓ!

રસ્તા વચ્ચે પહોંચેલી, જોબનથી ફાટ ફાટ એવી ઉભરાતી ગટર!

મગજના ફરેલાને સરનામું પૂછતો એક અજાણ્યો!

ગરીબીને ભગાડવા જોર કરતો હોય એવાં જોરથી ગાંઠિયાનો લોટ બાંધતો કારીગર!

GIDC તરફ સાયકલો પર નીકળી પડેલા, ઔદ્યોગિક પ્રગતિના આંકડા જેવા કામદારો!

હનુમાન ચાલીસાના તાલે તાલે ગ્રાહકના માથાનો ભાર હળવો કરતો  કેશકલાકાર!

પેસેંજરો આવીને ખીસાં ગરમ કરે  એની રાહમાં  તાપણે બેસીને હાથ ગરમ કરતા રિક્ષાવાળાઓ!

શિક્ષિત ગુલામોને પકડવા માટે  નીકળી પડેલી કંપનીઓની બસો!

બગીચાને બાંકડે  બેસીને કવિતાને કાલાવાલા કરતો કવિ!

એક સાલા બ્લોગ આદમીકો ચોર બના દેતા હૈ

આજકાલ સ્વાઈન ફ્લૂ થી બચવાના ઈલાજો ધક્કામૂક્કી કરી રહ્યા છે!! અમને વિચાર આવે છે કે શું આ ઉપાયો બ્લોગજગતમાં  કૉપીપેસ્ટથી બચવા માટે કામ લાગી શકે?  જો લાગતા હોય તો કેવું સારું!

જો ખરેખર એવું હોય તો જાહેરાતો પણ કેવી થાય?

-બ્લોગ  પર લખાણ લખતાં પહેલાં આપના હાથ ડેટોલથી ધૂઓ જેથી બ્લોગનું કૉપીપેસ્ટ ન થઈ શકે.

-કમ્પ્યુટરનો પરદો ટીસ્યૂ પેપરથી લૂછ્યા પછી જ બ્લોગ પર લખાણ  લખવાનું  શરૂ કરો.

-તુલસીનાં પાન  ખાઈને બ્લોગ લખો. તુલસીમાં એ તાકાત છે કે કોઈને કૉપીપેસ્ટ કરતાં અટકાવી શકે.

- અતિશય કડવા ઉકાળા પીઓ અને પછી કૉપીપેસ્ટ વિરુદ્ધ ઉકળતા લેખો લખો જેની અસરથી કૉપીપેસ્ટ કરનારાંને પણ મૌલિક વિચારો આવે.

-શબ્દોની ભીડભાડવાળા બ્લોગની મુલાકાત લેવાનું ટાળો.

-આપના લખાણનું  કોપીપેસ્ટ થયું છે એવી શંકા પડે કે તરત જ કૉપીપેસ્ટનો ઈલાજ કરનારા ડૉક્ટરોની સલાહ લો.

-ગભરાવાની જરૂર નથી. સાવધાનીની જરૂર છે.

….પણ  ખરેખર એવું નથી. સ્વાઈન ફ્લૂ કદાચ કાબુમાં આવી જશે પણ કૉપીપેસ્ટ કાબુમાં નહીં આવે. અમે તો રહ્યા મેન્ગો પીપલ !! એટલે એક સામાન્ય માણસને છાજે એવી વિનંતી બ્લોગ પર મૂકી હતી.  આપે વાંચી ન હોય તો આ રહી:

મારા વાલીડાઓ. “અસર”નો આ ઓટલો અમે જાતે જ તૈયાર કર્યો છે. એ માટે અમે ખૂબ જ મહેનત કરી છે. અમારું કોઈપણ લખાણ તમને ગમે તો તમારા બ્લોગમાં એની link આપશો તો તમને અને સાથે સાથે અમને પણ મજા આવશે. પણ દયાભાવ રાખીને copy-paste નો હાડ્ય હાડ્ય થયેલો રસ્તો કદી ન અપનાવશો. એનાથી સતત નવું લખવાની અમારી લગન પર અવળી અસર પડે છે. તમારી સમજદારી પર અમને વિશ્વાસ છે. આ ઓટલાને હેમખેમ રાખવા કાજે સહકાર આપશો અને નકલ કરવાથી દૂર રહેશો. જય બ્લોગજગત.
—- લિ. બે હાથ જોડેલો યશવંત ઠક્કર

કોઈને એવું થાય કે આ તે કેવી લાચારી? પણ શું થાય? હળહળતો કળિયુગ આવ્યો છે! આપણાં ઘરમાં ચોરી ન થાય એ માટે આપણે બે હાથ જોડીને  નમસ્કારની મુદ્રામાં ઊભું રહેવાનું? હાસ્તો. સામાન્ય માણસ  વિનંતી સિવાય બીજું શું કરી શકે? સામેવાળાની ખાનદાની અને સંસ્કારો પર આધાર રાખવો જ રહ્યો!!!

ઠીક છે અત્યારે તો બ્લોગજગતમાં  મોટાભાગે  બ્લોગ લખનારા મેન્ગોપીપલ છે. પણ જ્યારે મિર્ચીપીપલ બ્લોગ  લખવાનું  શરૂ કરશે ત્યારે?  બધા અમારી માફક જ નમ્ર થઈને ઊભા રહેશે? ના ભાઈ ના! તો તો આ બ્લોગજગતનું  શું થાય?

અમે એવા કેટલાંક નમૂના રજૂ કરીએ છીએ જેઓ બ્લોગ લખે તો  કૉપીપેસ્ટ કરનારાને કેવી કેવી ચેતવણી આપે!!!

[1]   ગુજરાતી ફિલ્મોનો નાયક અને ધગધગતાં લોહીનો ધણી “વીર બ્લોગવાળો”:

ખબરદાર. કોઈએ અમારા બ્લોગ પરથી  કૉપીપેસ્ટનાં કાળાં કારનામાં કર્યા છે તો.  ધીગાણાં થઈ જાહે  ધીંગાણાં. કૉપીપેસ્ટ કરનારાના બ્લોગના ટૂકડે ટૂકડા કરીને ગામના કૂતરાઓને નો ખવડાવું તો મારું નામ બ્લોગવાળો નઈં.

[2] “વાસ્તવ”નો ભાઈ [સંજયદત્ત] :

એ વાચકભાઈ, પઢના હૈ તો પઢ. લેકિન કોપીપેસ્ટકા સપના મત દેખ.  યે ઘોડા દેખ ઘોડા .  દો ખોખેકા હૈ. કિતનેકા? દો ખોખેકા. ચલ જાયેગા તો  ખેલ ખલ્લાસ!!!  તેરી કૉપી  ઈધર રહેગી ઔર તું પેસ્ટ હો જાયેગા  સીધા ઉપર! ક્યા સમજા? કૉપીપેસ્ટ  નહીં કરનેકા.  સપનેમેં ભી નહીં કરનેકા.

[3] “શોલે”નો જય  [અમિતાભ બચ્ચન ખરો પણ  બીગ અડ્ડાવળો નહીં ] :

અગર કિસીને કૉપીપેસ્ટકી કોશિશ કી તો થૂંકકે રખ દૂંગા. કૉપીસિંગ,અપની અંગૂલિયોંકો કહ દે કિ કોપીપેસ્ટકા ધંધા છોડ દે.

[4]  ”ગોપી” નો  ગોપી [દિલીપકુમાર] :

હે  રામચંદ્ર કહ ગયે સીયાસે ઐસા કલજૂગ  આયેગા

હંસ લિખેગા બ્લોગ અપના ..કૌઆ બ્લોગ  ચુરાયેગા…

[5] “શોલે”નો જેલર [અસરાની]:

એટેન્શન ..  બ્લોગજગતકે બ્લોગરો. કાન ખોલકર સૂન લો. હમારે જાસુસ ઈસ બ્લોગજગતકે કૌનેકૌનેમેં ફૈલે હુએ  હૈ. યહાં કૌન  કહાંસે કબ કૉપીપેસ્ટ  કરતા હૈ વો સબ હમેં પતા ચલ જાતા હૈ. હમ અંગરેજકે જમાનેકે બ્લોગર હૈ. હમ આધા બ્લોગ ઈધરસે લાતે હૈ …આધા બ્લોગ ઉધરસે લાતે હૈ. ઔર બાકીકા અપની ખોપડીસે લાતે હૈ. આગે…. પઢ.

[6] ગમે તે ફિલ્મનો  નાના પાટેકર :

મૈ અપના સર પટક પટકકર થક ગયા… પાગલ હો ગયા પાગલ .  મગર મેરી સમઝમેં યે નહીં આતા હૈ કિ આપ  લોગ કિસીકે બ્લોગમેંસે કૉપીપેસ્ટ ક્યોં કરતેં હૈ!  ક્યોં કરતેં હૈ ઐસી મનમાની ? અરે ભાઈ. બ્લોગ   દિલસે લિખા જાતા હૈ..દિમાગસે લિખા જાતા હૈ. લેકિન  અગર આપકે દિલકે દરવાજેં બંધ હૈ  …અગર આપકે દિમાગકી બત્તી નહીં જલતી હૈ તો ક્યોં બનાતે  હૈ બ્લોગ? બૈઠે બૈઠે પકોડેં બનાઓ  ઔર પેટ ભરો અપના.  કિસીકે બ્લોગસે સામાન ચુરાકર અપના બ્લોગ ક્યોં ભરતે હો? લેકિન ક્યા કરે? એક બ્લોગ ..એક સાલા બ્લોગ.. આદમીકો ચોર બના દેતા હૈ.

ખાડાદર્શન

છેલ્લાં ત્રણેક વર્ષોથી વડોદરા નગરીમાં ખોદકામ અને તોડફોડ પ્રવૃત્તિ ચાલી રહી છે. ઘણી જગ્યાએ ખાડા ખોદવામાં આવ્યા છે અને માટીના ઢગલા કરવામાં આવ્યા છે. અને પછીએ જાણે એ અખંડ રહેવાના હોય એમ વહીવટી તંત્ર એને વતાવતું નથી. વહીવટી તંત્ર આ પ્રવ્રુત્તિને નવસર્જનનું રૂપાળું નામ આપે છે. પણ કેટલાક નગરજનોને  તો આ પ્રવ્રુત્તિ વિસર્જનની પ્રવૃત્તિ લાગી રહી છે અને તેથી તેઓ  અજ્ઞાત ભયથી પીડાય રહ્યાં છે. હતાશા,ઉશ્કેરાટ ,તણાવ જેવી માનસિક બીમારીનો શિકાર થઈ પડ્યાં છે. પ્રસ્તુત લેખથી એ લોકોને થોડીઘણી રાહત પહોંચશે એવા શુભ આશયથી આ લેખ રજૂ કરવામાં આવ્યો છે.

આમ તો અન્યને કોઈપણ પ્રકારનો ઉપદેશ આપવો એ અમારી હેસિયત બહારની વાત છે. પણ  ખબર નહીં, ઉમરનો પ્રતાપ હોય કે પછી વાતાવરણની અસર હોય! આજકાલ અમને બધી બબતોમાં  શાંત ચિત્તે અને હકારત્મક રીતે વિચારવાની આદત પડતી જાય છે. આ  ખાડાઓ અને માટીના ઢગલાઓ નો અમે પૂરતો અનુભવ લીધો છે અને એ બાબત બાબત અમે ઘણું ચિંતન કર્યું  છે. એથી કરીને અમને  દિવ્ય કહી શકાય એવાં જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે. જ્ઞાન જેટલું વહેંચાય એટલું સારું એવી અમારી  માન્યતા છે. એ માન્યતાને આધીન અમારું  જ્ઞાન વહેંચવાનો  અમારો આ પ્રયાસ છે. અમને વિશ્વાસ છે કે  સુજ્ઞ વાચકોને અમારો આ પ્રયાસ  જરૂર ગમશે.

એક દિવસ અમે  અમારાં દ્વિચક્ર વાહન પર સવાર થઈને શહેરમાં નીકળ્યા હતા.  અચાનક જ  અમે  એવી જગ્યાએ પહોંચી ગયા કે  જે અમને સાવ અજાણી લાગી. એકદમ ઉજ્જડ જગ્યા. માટીના ઢગલા. ઊંડા ઊંડા  ખાડા.  એકાદ જ ખૂલ્લી દુકાન.  આરામ ફરમાવતા કૂતરાઓ.  ઝાડ નીચે વગડાને માણતી હોય એવા ભાવ સાથે ઊભેલી ગાયો. કોઈ પ્રકારનો  અવાજ નહીં. અમને નવાઈ લાગી. અમે  એકદમ જ  આ ક્યાં ગામડે આવી પહોંચ્યા? અમને  મતિભ્રમ જેવું થઈ ગયું.  પણ  ત્યાં તો અમારું ધ્યાન  એક મોટા  અને જાણીતા કોમ્પલેક્સ તરફ  ગયું.  ત્યારે અમને  ભાન થયું કે :અરે, અમે  તો વડોદરાના એ  રાજમાર્ગ પર ઊભા છીએ કે  જે માર્ગ ઘણા વખતથી બંધ રાખવામાં આવ્યો  છે.

અમને તો સમગ્ર વાતાવરણ ખૂબ જ ગમ્યું એટલે  મનભરીને ગ્રામ્યદર્શનનો લાભ લીધો.  શહેરની માયાજાળમાં અટવાયેલા એવા અમે વર્ષોથી ગામડે જઈ શક્યા નહોતા. આ તો ઘેર બેઠાં ગંગા! શહેરીજનોએ તો આવી અમૂલ્ય તકનો લાભ લઈને અમારી જેમ ગ્રામ્યદર્શનનો લાભ લેવો જોઈએ. પોતાના બાળકોને હોંશે હોંશે ખાડાના દર્શન કરાવવા જોઈએ.  ગામડે જવું હોય  તો મફતમાં જવાય છે? કેટલું કષ્ટ પડે? પણ અરેરે! મૂઢ આત્માઓ શહેરના વહીવટી તંત્રના શુભ આશયને સમજી શકતા નથી. મજાનો   લહાવો લેતા નથી અને છાપાં ની વાદેવાદે વ્યર્થ  ઉહાપોહ કરે છે.

… અને આ માટીના ઢગલા! અહાહા! માટીમાં રમતું આ નગર ફરી મળે ના મળે! આટલી માટી સાથે અને આટલો વખત આ શહેર કદી રમ્યું નથી!! અરેરે! શહેરમાં ક્યારેક તો  શોધી માટી પણ નથી મળતી! અને જ્યારે માટીના એકાગ્ર ચિત્તે દર્શન કરવાનો મોકો મળ્યો છે ત્યારે વાતવાતમાં ‘ આ બધું ક્યારે સરખું થશે?’ એવા અર્થહીન પ્રશ્નો કરનારાંને શું કહેવું? અરેરે! આડે દિવસે વતનની ધૂળને માથે ચડાવવાનાં ગીતો લલકાવનારા , તમને  જ્યારે ખરેખર એ ધૂળમાં નહાવાનો મોકો મળ્યો છે ત્યારે ઊભી પૂછડીએ  ભાગો છો? આ તમારો દંભ નથી તો બીજું શું છે?  કથાકારો ગળું ફાડી ફાડીને કહે છે કે ‘એક દિવસે તો આપણે માટીમાં જ મળી  જવાનું છે.’ તો  પછી આપણાં ભવિષ્યનાં રહેઠાણને મનભરીને નીરખવાના બદલે દુ;ખી થવાનો અર્થ ખરો? અમે તો કહીએ છીએ કે  કે કશો જ અર્થ નથી!વાતવાતમાં માતાપિતાને  AC મુકાવી દેવાની સલાહ આપનારા સંતાનોને એ માબાપ કહી શકે કે : ‘દીકરાઓ, AC  મુકાવવું જ હોય તો આ ખાડામાં મુકાવીએ કારણ કે એ જ આપણું કાયમી રહેઠાણ  છે. ‘

એ તો સાવ સાદી ને સીધી વાત છે કે  ખાડો  હોય તો દી ક્યારેક પડી  પણ જવાય. TV ના પરદે વિદેશીઓની  જીવના જોખમે રમાતી રમતો જોઈને ‘ આપણે ત્યાં આવું બધું  ક્યારે આવશે?’ એવા સવાલો કરીને જીવ બાળનારાં  સાહસપ્રિય લોકોને તો  આ ખાડાઓ તો મફતમાં મળેલી ભેટ જેવા લાગવા જોઈએ. જોખમ વગરનું જીવન શાં કામનું? નગરના કવિઓએ તો  ખાડાકાવ્યો રચવા જોઈએ જેવાં કે : ખાડાની  ધારે ધારે તું  ચાલ્યો જા… ચાલ્યો જા…

પણ આવું ક્યાં કોઈને સૂઝે  છે? ખાડામાં પડવાના એકાદ બે બનાવ બને છે કે છાપાંમાં સવાલો પૂછાય છે કે : ‘વહીવટી તંત્ર હજી કેટલાંના ભોગ લેશે?’   પણ  અમારો સવાલ છે કે ખાડાઓ પુરાશે પછી  વધારે ભોગ નહીં લેવાય? લેવાવાના જ છે. કારણ કે ખાડા પુરાશે તો રસ્તા સારા થશે અને મોટા થશે. પરિણામે વાહનોની અવર જવર વધશે અને એમની ઝડપ પણ વધશે જેનાં પરિણામે અકસ્માતો વધશે ને ભોગ લેવાનો આંકડો વધશે.એથી કરીને અમારું માનવું છે કે વહીવટી તંત્ર જે વિલંબ દાખવી રહ્યું છે તે જાહેર જનતાના લાભાર્થે જ છે. ખરેખર તો આ    વિલંબ  લાગતાવળગતાઓને   ખાડાની ધારે કે માટીના ઢગલા પર ઊભા રાખીને  જાહેરમાં  સન્માન કરવું જોઈએ.

ખાડા ખોદાય ત્યારે ટેલિફોનખાતામાં  ફલાણી જગ્યાએ કેબલ કપાયો… કેબલ કપાયો… એવા ખબર ફરી વળે છે. જાણે કે કોઈ વીર યોધ્ધો રણ મેદાનમાં વીરગતિ પામ્યો હોય!  એ કેબલ સંધાય ત્યાં સુધી સૌ ટેલિફોન ધારકોને ટેલિફોનથી મુક્તિ મળે છે . વ્યર્થ વાણીવિલાસ અટકે છે. સમયની ઘણી જ બચત થાય છે. જે સમયનો ઉપયોગ પ્રભુ સ્મરણ માટે કરી શકાય. મૌન ધારણ કરીને બેઠેલા ટેલિફોનમાં સૌએ  તપ કરવા બેઠેલા મુનીનાં  દર્શન કરવા. ધંધામાં નુકસાન જવાની વાતો કરીને સરકારી ખાતાઓને દોષ દેનારા કમાણી કરતી વખતે એ જ ખાતાઓને કેમ યાદ નથી કરતા?  જે કાંઈ તકલીફો પડે છે તે તમને  આવી વાતોનું ભાન કરાવવા માટે માટે પડે  છે એમ માનવું.

ખાડાની કામગીરીના કારણે જેમની દુકાને ઘરાકો ન આવી શકતા હોય એમણે આવી નવરાશ  મળવા  બદલ રાજી થવું જોઈએ.  દુકાનો બંધ કરીને આરામ કરવો જોઈએ. ફરવા જવું જોઈએ. સગાવ્હાલાંને ત્યાં મહેમાન તરીકે ધામા નાખવા જોઈએ. કારણ કે અમસ્તા દુકાન બંધ કરવાનો  જીવ ચાલતો નથી. બીજો દુકાનદાર વધું કમાઈ લેશે એવો ડર લાગે છે!! જ્યારે સૌના ધંધા બંધ હોય ત્યારે એવો ડર રહેતો નથી.

આમ  ખાડાઓના કારણે  કેટલાય  વળગણોથી થોડીઘણી પણ   મુક્તિ મળે છે. જેથી કરીને સરવાળે આપણાં જીવને નિરાંત મળે છે. બીજું આપણને જોઈએ શું?

અને છેલ્લી વાત. કેટલાક લોકો કહે છે કે આવા ખાડા ખોદીને જે તે  ખાતાંવાળાં પૈસા  ખાય છે! લો કરો વાત! ખાતાંવાળા મફતમાં તો પૈસા ખાતા નથી! આપણને માટી ખવડાવીને પૈસા ખાય છે. પછી કકળાટ શાનો?

અમે માનીએ છીએ કે જે કોઈ  પૂરા ભાવથી ખાડાદર્શન કરશે એમને  અમને  થયું એવું જ દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થશે. ખાડા જેવા અમને ફળ્યા એવા સૌને ફળજો! અસ્તુ!  જય ખાડેશ્વર.

તમે સ્વામીશ્રી ચિત્તભ્રમજી વિષે ન જાણતાં હો તો વાંચો આ અહેવાલ.

સ્વામી શ્રી ચિત્તભ્રમજીનું નામ હવે લોકોથી અજાણ્યું નથી. કોઈક જ એવો મૂઢ આત્મા હશે કે જે સ્વામી શ્રી ચિત્તભ્રમજી વિષે ન જાણતો હોય! હાલમાં જ્યારે મંદીનું વાતાવરણ ચારે તરફ છવાયેલું છે ત્યારે સ્વામી શ્રી ચિત્તભ્રમજી જ નોધારાના આધાર છે. દેશમાં આટલા બધા સ્વામીઓ છે પણ તેઓ તો માત્ર શાસ્ત્રોના આધારે એક જ પ્રકારની વાતો કરે છે જ્યારે સ્વામી શ્રી ચિત્તભ્રમજીનું વ્યક્તિત્વ જ અલગ પ્રકારનું છે. તેઓ પાસે એક અનોખો ‘સૂરસૂરિયાંવાદ’ છે જેનાથી આજ સુધી આપણી આધ્યાત્મિક હસ્તિઓ અજાણ હતી.

આવા સ્વામી શ્રી ચિત્તભ્રમજી ગઈકાલે આ શહેરમાં પધાર્યા હતા. ‘ તેજી’ છાપ ફટાકડાના નિર્માતા તરફથી સ્વામી શ્રી ચિત્તભ્રમજીના એક પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાલ ‘ તેજી’ છાપ ફટાકડા ન ફૂટવાના કારણે જ્યારે લોકો નિરાશાની ઊંડી ગર્તામાં ધકેલાઈ ગયાં છે ત્યારે સ્વામી શ્રી ચિત્તભ્રમજીના પ્રવચનો લોકોના ઘા પર મલમની ગરજ સારી રહ્યાં છે. સ્વામીજીને સાંભળવા માટે કાલે કાળી ચૌદશની અર્ધી રાત્રે શહેરના સ્મશાનઘાટ પર માનવમહેરામણ ઊમટી પડ્યો હતો.

સ્વામી શ્રી ચિત્તભ્રમજીએ ‘સૂરસૂરિયાંનો આનંદ’ એ વિષય પર ખૂબ જ માર્મિક પ્રવચન આપીને લોકોને રસતરબોળ કરી દીધાં હતાં. સ્વામીશ્રીએ પોતાનાં પ્રવચનમાં જણાવ્યું હતું કે ‘ તેજી’ છાપ ફટાકડા ન ફૂટે તો લોકોએ નિરાશ થવાની જરાય જરૂર નથી. એને ફોડવાના પ્રયત્નો કરવા જોઈએ. આ પ્રવૃત્તિ તમને આશાવાદી બનાવશે. જો ફટાકડાનું સૂરસૂરિયું થશે તો તમને અમુક માત્રામાં પૈસા વસૂલ થયાનો આનંદ પ્રાપ્ત થશે. ને જો ફટાકડાનું સૂરસૂરિયું નહીં થાય તો તમે મોહમુક્ત થશો. આમ તમારે તો બંને હાથમાં લાડવો છે. સ્વામીશ્રીએ એમ પણ જણાવ્યું હતું કે ક્યારેક તો ફટાકડો ફૂટે ને જે આનંદ પ્રાપ્ત થાય એનાથી વિશેષ આનંદ સૂરસૂરિયું આપતો હોય છે.

પ્રવચન પછી હવાઈ ગયેલા ‘ તેજી’ છાપ ફટાકડાને ફોડવાનો ને સૂરસૂરિયાંનો આનંદ માણવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેનો લોકોએ મન મૂકીને લાભ લીધો હતો. સ્વામીશ્રી પોતે પણ ભક્તો સાથે આ કાર્યક્રમમાં જોડાયા હતા. એક સૂરસૂરિયું જ્યારે સ્વામીશ્રીની લુંગીમાં પ્રવેશી ગયું હતું ત્યારે લોકોનો આનંદ ચરમ સીમાએ પહોંચ્યો હતો.

આમ સ્વામી શ્રી ચિત્તભ્રમજીએ લોકોની કાળી ચૌદશ સુધારી દીધી હતી અને દિવાળી સુધરે એ માટે લોકોને માનસિક રીતે તૈયાર કરી ધીધાં હતાં.

નરેન્દ્ર મોદી અને અમિતાભ બચ્ચન બંને કઈ કઈ બાબતોમાં સરખા છે!

નરેન્દ્ર મોદી અને અને અમિતાભ બચ્ચન આમ જૂઓ તો તફાવતનો કોઇ પાર નહીં. નરેન્દ્ર મોદી નેતા અને અમિતાભ બચ્ચન કલાકાર. માનનારા તો મોદીને પણ મહાન કલાકાર માને છે પણ એ અલગ વાત થઈ. એમ તો બચ્ચન પણ નેતાગીરી કરવા નીકળેલા પણ એમને ખ્યાલ આવી ગયો કે નેતાગીરી માટે જે પ્રકારની કલા-સૂજ હોવી જોઈએ એ પોતાનામાં કદી આવી નહીં શકે એટલે ફરી પોતાની દુનિયામાં પાછા ફરી ગયેલા. હવે તેઓ નેતાઓ સાથે ખાટા [રાજ ઠાકરે સાથે] અને મીઠા [અમરસિંહ સાથે] સંબધો રાખીને મન મનાવી લે છે. કામધંધા ઉપરાંત બંને ઉંમર, તબિયત, સ્વભાવ, પરિવાર જેવી બાબતોમાં પણ ઘણા જુદા પડે. પરિવારની બાબતમાં મોદીને એક વાતનું મોટું સુખ કે પત્ની-પૂત્રની હરકતો માટે માફી માંગવાનો કદી સવાલ જ ઊભો થતો નથી.

મારો પ્રયાસ આ બંને કઈ બાબતોમાં સરખા છે એ રજૂ કરવાનો છે. કેટલીક બાબતો મને નજરવગી લાગી છે. જેમ કે …..

* બંને જણા કામઢા બહુ. બંનેના જણાવ્યા મુજબ બંનેની ઊંઘ પણ ઓછી.બંને જણા સાજામાંદા થઈને બીજાની પણ ઊંઘ હરામ કરી શકે એવા.

* બંનેને વિવાદો સાથે ખૂબ જ નજીકનો નાતો. કેટલીક વાર તો એવું લાગે કે વિવાદમાં રહેવું એ જ એમનો મુખ્ય વ્યવસાય હશે.

* બંનેને કાનૂની ફટકાર વાગ્યા જ કરે. મોદીને અદાલત તરફથી તો અમિતાભને આવક્વેરા-ખાતા તરફથી.

* બંનેને મિડિયા વગર ચાલે નહીં ને મિડિયા સાથે ફાવે નહીં. મિડિયા જેટલી એમની વધારે ટીકા કરે એટલો એમને વધારે ફાયદો. ચૂંટણી વખતે મોદીને અને પોતાની નવી ફિલ્મની રજૂઆત વખતે અમિતાભને. મિડિયાને પણ આ બંને સાથે પનારો પડવામાં જ પોતાની સફળતા દેખાય.

* બંને જણા કોલમવગા. કોલમ લખનાર જામી ગયેલો પત્રકાર હોય કે આથો ન આવેલાં [ખમણ- ઢોકળાનાં] ખીરા જેવો હાસ્યલેખક હોય; મોદી કે અમિતાભના દાખલા વગર એમની કોલમ અવગતે જાય! વિષય રાજકીય, સામાજિક કે આધ્યાત્મિક હોય; આ બંને બધામાં કામ લાગે. એટલે તો આ બંને ઠાવકાઈથી કહે છે કે –અમને ગાળો દેવાથી કોઈના રોટલા નીકળતા હોય તો અમને શો વાંધો હોય?

* બંનેના પ્રશંસકો અને ટીકાકારો બંને કટ્ટર! પ્રશંસકોને એમનામાં એકેય અવગુણ ન દેખાય ને ટીકાકારોને એમનામાં એકેય ગુણ ન દેખાય. વ્યક્તિ-પૂજા અને વ્યક્તિ-ફટકાર બંનેના એ અધિકારી!

* મોટા ભાગના સમાજશાસ્ત્રીઓ આ બંનેથી નારાજ. એમનો આક્ષેપ છે કે આ બંને જણા પોતાના લાભ માટે લોકોની ભાવનાને બહેકાવે છે અને તેથી સામાજિક માહોલ બગડે છે. અમિતાભ પર તો આરોપ છે કે એણે તો પહેલા મારફાડવાળી ફિલ્મોમાં સચોટ અભિનય કરીને દેશના યુવાનોને બગાડ્યા ને હવે “કભી અલવિદા ના કેહના” અને “ચીની કમ” જેવી ફિલ્મોમાં એવોજ સચોટ અભિનય કરીને દેશના બુઢાઓને પણ બગાડે છે.

યાદી તો લાંબી થઈ શકે એમ છે પણ અટકું. એક વિચાર એવો પણ આવે છે કે આ બંનેને કોઈએ એકાદ વખત તો ભેગા કરવા જોઈએ. એક મંચ પરથી આ બંનેને મુક્તપણે બોલવાનું હોય અથવા તો એક જ ફિલ્મમાં આ બંનેએ મુક્ત અભિનય આપવાનો હોય. પછી જૂઓ કોણ કોને ખાઈ જાય છે! પણ આવો ખેલ તો કોણ પાર પાડી શકે?

વિચારો અને કોઈ નામ ઠીક લાગતા હોય તો જણાવો. એ બહાને કોમેન્ટસમાં વધારો થશે. બાકી મારાં ધ્યાનમાં એક માણસ તો છે જ.