મિત્રો, પહેલાં સારી વાત કરી લઈએ.
હું યશવંત ઠક્કર આપ સૌને હોળી- ધૂળેટીના શુભ પર્વ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આપ સૌ આ તહેવાર રંગેચંગે ઉજવશો એવી મારી લાગણી છે.
હવે બ્લોગલેખક પર કાયદેસરનાં પગલાં લેવાની નરસી વાત. મિત્રો, હોળી-ધૂળેટીનો તહેવાર આપ સૌને રંગવા માટે આવીને ઊભો રહ્યો છે તેવા સમયે કોઈ બ્લોગલેખક પર કાયદેસરનાં પગલાં લેવાની વાતથી કદાચ તમને આઘાત લાગશે. અમને પણ આ વાત ઠીક નથી લાગતી પરંતુ જે હકીકત છે તે અમારે જણાવવી જ રહી.
હકીકત એ છે કે: તમામ બ્લોગલેખકો પોતાની મરજીથી યોગ્ય જણાય તે રીતે બ્લોગલેખનનું કામ કરે છે. એના પર કોઈ અધિકારીનો કાબુ હોતો નથી. એ વાત અલગ છે કે, બ્લોગલેખકો એકબીજાના લખાણમાંથી વાંધાવચકા કાઢીને સાહેબગીરી કરી લે છે.
પરંતુ અમને વિચાર એવો આવે છે કે: આ સમગ્ર બ્લોગલેખનની પ્રવૃત્તિનું સંચાલન જો કોઈ સરકારી ઑફિસની રીતે ચાલતું હોય તો? મતલબ કે, બ્લોગ લખનારાઓને બ્લોગલેખક તરીકે [વગર પગારે ] નોકરીએ રાખવામાં આવતા હોય તો?
તો તે માટે પ્રથમ તો વિવિધ માધ્યમો દ્વારા બ્લોગલેખકોની ભરતી માટે જાહેરાત થાય. ભરતી માટે આવેલા ઉમેદવારોની પહેલાંતો લેખિત પરીક્ષા લેવાય. આ પરીક્ષા પાસ કરવા માટેના કલાસ પણ ચાલતા હોય. બજારોમાં “બ્લોગલેખનની પરીક્ષા પ્રથમ પ્રયાસે પાસ કરો” એવાં પુસ્તકો પણ વેચાતાં હોય. કોઈક વખત પેપર ફૂટી પણ જાય. લેખિત પરીક્ષામાં મૌલિક ફકરા લેખન, પ્રતિભાવ પ્રદાન, વાચકો ખેંચવાની રીત, પોસ્ટ મરામતની રીતો વગેરે વિષયો પર સવાલો પૂછાય.
લેખિત પરીક્ષા પાસ કરનારાઓની પ્રાયોગિક પરીક્ષા લેવાય. જેમાં પોસ્ટ વાંચીને ત્વરિત પ્રતિભાવ આપવાની ક્ષમતા તપાસાય. યોગ્ય શીર્ષક આપવાનું કહેવામાં આવે. ગઝલ અને ગીત વચ્ચેનો તફાવત પૂછાય.
બ્લોગલેખક તરીકે પસંદગી પામનારાઓ વળી પેંડા પણ વહેંચે. કોઈ દેવ દર્શન કરીને તો કોઈ બ્લોગનારાયણનું પૂજન કરીને બ્લોગલેખક તરીકેની કારકિર્દી શરૂ કરે.
ને પછી જોવા મળે સરકારી બ્લોગખાતાની ઑફિસનું ખરું વાતાવરણ.
બ્લોગલેખકે રોજ સમયસર પોતાનાં મૌલિક લખાણો મૂકવાનું ફરજિયાત હોય. એ ન મૂકી શકાય તેમ હોય તો તેપોતાના બ્લોગ સુપરવાઈઝરને અરજી કરીને બ્લોગલેખનમાંથી વધુમાં વધું ત્રણ દિવસો માટે મુક્તિ મેળવી શકે. ત્રણથી વધારે દિવસો માટે મુક્તિ જોઈતી હોય તો અગાઉથી એ માટેનું જરૂરી ફોર્મ ભરીને તેમ જ ખાસ કારાણ દર્શાવીને અરજી કરી શકે. જે બ્લોગ સુપ્રવાઈઝર મંજૂર કરે તો જ મુક્તિ મળે. બીમારીના કારણસર પણ બ્લોગલેખક બ્લોગલેખનમાંથી મુક્તિ મેળવી શકે. પણ તે માટે દાક્તર કે વૈદનું પ્રમાણપત્ર જરૂરી ગણાય.
વળી કોઈ કારણસર બ્લોગલેખક મૌલિક લખાણ ન મૂકી શકે તેમ હોય તો તે બ્લોગસુપરવાઈઝરને કારણ જણાવીને મહિનામાં નકી કરેલી સંખ્યામાં જ બીજા બ્લોગલેખકોનાં લખાણો મૂકી શકે. તે માટે બ્લોગલેખકે જરૂરી ધારાધોરણોનું પાલન કરવું પડે. જેમ કે: મૂળ બ્લોગલેખકની પ્રશંસા કરવી પડે. તેમ જ તેની સંમતિ મેળવવી પડે. લિન્ક આપવી પડે. વગેરે વગેરે…
બ્લોગસુપરવાઈઝર પાસે લોગબૂક હોય. જેમાં તે પોતાના હાથ નીચેના બ્લોગલેખકોના કામ બાબતની એન્ટ્રી પાડે. કોઈ બ્લોગલેખક સીધો ન ચાલતો હોય તો મેમો આપે.ત્રણ મેમા થાય એટલે નાયબ બ્લોગાધિકારીને જાણ કરે. નાયબ બ્લોગાધિકારી બ્લોગલેખક પાસે ખુલાસો માંગે. જે ખુલાસો યોગ્ય ન લાગે તો મુખ્ય બ્લોગાધિકારીને જાણ કરવામાં આવે. મુખ્ય બ્લોગાધિકારી જે તે બ્લોગલેખકને ચાર્જશીટ આપે.
પછી યુનિયનવાળા વચ્ચે પડે. બ્લોગજગતમાં હડતાલ પડે. કોંગેસ કે ભાજપ પણ વચ્ચે પડે. સમાધાન થાય. ન થઈ શકે તો બ્લોગલેખક પર કાયદેસરનાં પગલાં લઈને તેને તેના બ્લોગલેખક તરીકેના પદ પરથી દૂર પણ કરવામાં આવે.
અમુક વર્ષોની નોકરી પછી બ્લોગલેખકને બ્લોગ સુપરવાઈઝર તરીકેનું પ્રમોશન મળે. જેમાં ક્યારેક લાગવગ થઈ હોવાના આક્ષેપો પણ થાય.
વળી બ્લોગવાચકો તરફથી અવારનવાર બ્લોગલેખકો માટે ફરિયાદો પણ થાય. જેની ફાઈલો બને. બ્લોગલેખકો પાસે ખુલાસા મંગાય.
બ્લોગલેખકો અને વાચકો વચ્ચેની તકરારોના નિવારણ માટેને બ્લોગ-અદાલતો ભરાય.
મિત્રો, જો બ્લોગલેખનની પ્રવૃત્તિ સરકારી ઘારાઘોરણે ચાલતી હોય તો શું શું થાય એનું સંપૂર્ણ વર્ણન તો દેવી શારદા પણ ન કરી શકે તો અમારું તો શું ગજુ?
છતાંય થોડા નમૂના રજૂ કરીશું.
રાહ જોવા વિનંતિ.
Like this:
15 bloggers like this post.