સન ૧૯૬૭ની આસપાસનો જમાનો હતો. હું આઠમાં ધોરણમાં ભણતો હતો. નિશાળની પાછળનું મેદાન હતું. રીસેસનો સમય હતો. ખુશનુમા મોસમ હતી. કુમળી ઉમર જેવો જ કુમળો તડકો હતો.
નજર સામે કમળધારી તળાવની જાહોજલાલીનું અમૂલ્ય પ્રદર્શન હતું. એ પ્રદર્શનના કાર્યક્રમની પ્રકાશ વ્યવસ્થા સૂરજ એકલપંડે સંભાળી રહ્યો હતો. નગરની કપડાં ધોઈ રહેલી મહિલાઓએ સંગીત પ્રસારણની વ્યવસ્થા સંભાળી હતી. ધબાક!ધબાક!ના સૂર વાતાવરણમાં ભળી રહ્યા હતા. તળાવને સામેના કિનારેથી તે છેક ક્ષિતિજ સુધી સમગ્ર સૃષ્ટિ શુદ્ધ પ્રસન્નતા વહેંચી રહી હતી.
પ્રસન્નતાના આ રંગમાં કોઈ નબળી વાતને જરા પણ સ્થાન નહતું.
.. ને મારા એક વર્ગમિત્રે મારી પાસે આવીને કહ્યું: યાર ઠક્કર, તારી પાસેથી ઉછીના લીધેલા પૈસા લાવવાના રહી ગયાં. કાલે લાવું તો ચાલશેને?
જવાબમાં મે કહ્યું: “ચાલશે યાર. ક્યારેય ન લાવે તો પણ ચાલશે.”
“એવું ચાલે ખરું યાર? વહેવારે તો આપવા પડેને?”
“બધું ચાલે” મે કહ્યું. ત્યારબાદ મારા હોઠ પર એક વાક્ય આવી ગયું: “દિલ છે તો દૂધપાક છે.”
એ મિત્રને તો વાક્ય સાંભળીને મજા પડી ગઈ પરંતુ હાજર હતા તે બધાને મજા પડી ગઈ!
પછી તો મારા મિત્રવર્તુળમાં વાતવાતમાં “ દિલ છે તો દૂધપાક છે” એ વાક્ય વપરાવા લાગ્યું.
જોતજોતામાં તો એ વાક્ય આખી નિશાળમાં વપરાવા લાગ્યું. પછી તો આખા નગરમાં વપરાવા લાગ્યું! જાણે કે એક કહેવત બની ગઈ કે: “ દિલ છે તો દૂધપાક છે”
.. સમય પસાર થઈ ગયો. એ નિશાળ છૂટી ગઈ. એ નગર છૂટી ગયું. એ મિત્રો છૂટી ગયા. એ વાક્ય છૂટી ગયું. એનો વપરાશ છૂટી ગયો.
.. ને લગભગ ત્રીસેક વર્ષો પછી એક દિવસ વાતવાતમાં આ જ વાક્ય મે બીજાનાં મોઢેથી સાંભળ્યું:
“ દિલ છે તો દૂધપાક છે”
મારી નવાઈનો પાર નહોતો! મારાથી સામી વ્યક્તિને પૂછાઈ ગયું કે: આ વાક્ય તમે ક્યાંથી સાંભળ્યું?
“લે, આ તો જાણીતી કહેવત છે.” એ વ્યક્તિએ જવાબ આપ્યો.
*********
મિત્રો, મારો એવો દાવો નથી કે આ કહેવતની રચના મે જ કરી છે. વર્ષો પહેલાં મારાથી અનાયાસે બોલાયેલું વાક્ય જ ફરતું ફરતું મારા સુધી આવ્યું હોય તો પણ એની સાબિતી આપવી અસંભવ છે.
પણ એક વાત નક્કી છે કે કહેવતો અનાયાસે જ સર્જાઈ જતી હશે. એકાદ નાનકડું વાક્ય, પેઢીઓ સુધી આપણી વાતચીતનો હિસ્સો બની જાય છે! કેટકેટલી કહેવતોનો આપણે સહજ રીતે વપરાશ કરીએ છીએ પરંતુ એનાં મૂળ સર્જકનો કોઈને ખ્યાલ હોતો નથી!
કેટલી કહેવતો કાળની ગર્તામાં ધકેલાઈ જાય છે તો કેટલીક નવી કહેવતો આપણને ખબર ન પડે તેમ વપરાશમાં દાખલ થતી જાય છે.
“મજબૂરી કા નામ મહાત્મા ગાંધી.” આ કહેવત જાણીતી થઈ ગઈ છે. વળી એ વાત પણ ચોક્કસ છે કે એ કહેવત ચલણમાં આવ્યાને બહુ સમય નહિ થયો હોય. એ કહેવત બહુ બહુ તો ગાંધીજીના જીવનકાળમાં શરૂ થઈ હશે. કદાચ એમના અવસાન પછી જ વપરાશમાં આવી હોવાની શક્યતા વધારે છે. કોઈ મજાકમાં આ વાક્ય બોલ્યું હશે અને જોત જોતામાં એક કહેવત બની ગઈ હશે! આજે ભલે ભલે આ કહેવત મજાક માં બોલાતી હોય પણ કેવી અસર છોડી જાય છે! ને કેવી ચલણમાં કેવી છૂટથી વપરાય છે!
કહેવત એક વખત ચલણમાં આવી કે પછી એને જાણે કે કોઈ પ્રકારનાં બંધનો નડતાં નથી! વળી એને વિદ્વાનોના પ્રમાણપત્રની જરૂર પડતી નથી!
“મોટી નોટ હોવા”નો મુહાવરો યુવાનોમાં વધારે વપરાય છે. “ફલાણો તો મોટી નોટ છે.” એવાં વાક્યો આપણે ઘણી વખત સાંભળીએ છીએ. આ મુહાવરો પણ તાજેતરના વર્ષોમાં જ અમલમાં આવ્યો હોવાનું લાગે છે.
ખેર! હવે પછી તમે પણ અવસર આવ્યે, “ દિલ છે તો દૂધપાક છે” .એ કહેવતનો વપરાશ કરજો.
અને…. બીજું તો શું કહું?
પ્રતિભાવ આપવા હોય તો આપજો નહિ તો અમે પણ માનશું કે: તમારું દિલ છે તો દૂધપાક છે!
જલસા કરજો.
