Archive

Posts Tagged ‘વાતચીત’

કસાબના વકીલ કાઝમીની હકાલપટ્ટી

દેશના મોટાભાગનાં લોકો એ બાબતથી નિરાશ છે કે, ન્યાયના દરબારમાં થતો વિલંબ દેશના દુશ્મન એવા કસાબ જેવા માટે આશીર્વાદરૂપ છે. સામાન્ય લોકોની એ ચિંતા કેટલી વાજબી છે એનો પૂરાવો આપતા સમાચાર છે કે:

અસહકાર બદલ કસાબના વકીલ કાઝમીની હકાલપટ્ટી.

અબ્બાસ કાઝમી પર કેસ લંબાવવાનો  આક્ષેપ.

સહાયક  કે.પી. પવારે કેસ સંભાળી લીધો.

જજ તાહિલિયાનીએ કાઝમી કોર્ટને સહકાર આપતા ન હોવાની તથા સુનાવણી લંબાય તેવા પ્રયાસ કરે છે એવી નોંધ કરી હતી.  તેમણે નોંધમાં જણાવ્યું છે કે :

“કોઈએ એવા ભયમાં ન રહેવું જોઈએ કે ન્યાયનું હિત જાળવવું એટલે આરોપીનું હિત જાળવવું. કોર્ટમાં કાઝમી પોતાની હાજરી અનિવાર્ય બની ગઈ હોવાનું માનતા હોય તો તે ખોટું છે. પોતાના સહકાર વગર કાર્યવાહી પૂરી નહીં  થાય તેમ માનવું પણ ખોટું છે. … કદાચ કાઝમી એવું માનતા હશે કે કસાબના વકીલ તરીકે તેમની નિમણૂક થઈ હોવાથી કોર્ટને તેમના વગર ચાલશે નહીં. જો આ સ્થિતિમાં કાઝમીને કસાબના વકીલ તરીકે ચાલુ રાખવામાં આવે તો કોર્ટની અંદર અને બહાર ખોટો સંદેશ જશે . “

આ નોંધ ન્યાયની ઝડપથી  આશા રાખનારાં માટે રાહત આપનારા છે. ખાસ કરીને જજની એ નોંધ કે :

કોઈએ એવા ભયમાં ન રહેવું જોઈએ કે ન્યાયનું હિત જાળવવું એટલે આરોપીનું હિત જાળવવું.

આ નોંધ લાગતાવળગતા અનેક લોકોને સમજ આપનારી છે.

[સૌજન્ય : ગુજરાત સમાચાર. તા. 1-12-09 ]

કસાબ, ખુશ તો બહુત હોગા તૂ!

મુંબઈની ત્રાસવાદી  ઘટનાને એક વર્ષ થઈ ગયું. ઘણા મિત્રોને દુ:ખ પણ થતું હશે કે; દેશનો સામાન્ય માનવી મોંઘવારીના કારણે પોતાનો ખોરાકની ટેવોમાં ફેરફાર કરી રહ્યો છે ત્યારે, કસાબ જેલમાં ખાઈપીને વજન વધારી રહ્યો છે. શું થાય? આપણે સવાઈ લોકશાહીવાળા દેશના નાગરિકો છીએ. એ વાત આપણે ધ્યાનમાં રાખવી જ રહી! જલ્દી ન્યાયની આશા રાખવી શકાય એમ નથી. ઘણાં પરિબળો ભાગ ભજવતાં હોય છે. થોડા દિવસો પહેલાં સમાચાર હતા કે કસાબ જેલમાં હસ્યો! આજે પણ હસતો હશે, આપણી લાચારી પર.

આમને આમ પાંચેક  વર્ષો જતાં રહેશે તો કદાચ એ હસવાને બદલે જેલમાં ડાન્સ પણ કરશે. રાજકારણની રમતમાં  કસાબ ચૂંટણીનો મુદ્દો પણ બનશે.  ને જો દસેક વર્ષો નીકળી ગયાં તો  કદાચ આપણા જ દેશના કેટલાક માનવતાવાદી  મિત્રો કસાબને ફાંસી ન થાય તે માટે ઉપવાસ પર ઉતરે તો પણ નવાઈ પામવા જેવું નથી!.આપણાં દેશનું રાજકારણ કોણ જાણે કેવા કેવા ખેલ દેખાડશે.

‘ધ વેન્સ્ડે ‘ ફિલ્મ જોઈને આપણે ખુશ થઈ ગયા હતા કે; આમ આદમીની લાગણીને વાચા મળી છે.  જો કે આપણા દેશનો આમ આદમી ત્રાસવાદીઓને એ રીતે  ઠેકાણે પાડે એ વાત જ અવાસ્તવિક હતી. છતાંય આપણને એ ફિલ્મ ગમી હતી કારણ કે એમાં આપણાં મનની વાત હતી. કેટલાક મિત્રોને એ ગમી નહોતી કારણ કે એમાં આમ આદમીને હિંસક  થતો બતાવ્યો હતો!. એ લોકોને લાગ્યું હતું કે કલ્પનામાં પણ આપણો આમ આદમી હિંસક બને એ ઠીક નથી.

પણ  એ ફિલ્મની પૂરી મજા માણીએ એ પહેલાં જ  કલ્પનાથી પણ ખતરનાક હકીકતનો ત્રણ ત્રણ દિવસો સુધી આપણને પરિચય કરાવ્યો કસાબ અને તેની મંડળીએ!

વધારે લખવાની જરૂર નથી.  આજે ફરીથી એ બાબત ઘણું લખાશે.  શહીદોને સલામી સાથે અમે ગઈ સાલની એક રચના ફરીથી અહીં મૂકીએ છીએ.

શાંત જળમાં પથ્થર પડ્યો ને વમળ થયાં અનેક

કોઈએ લખી વારતા ને કોઈએ લખ્યા લેખ.

વાળ વગરની મૂછો પર કોઈએ દીધા તાવ

હવાની કીધી લાકડી ને હવામાં કીધા ઘાવ

ચોક વચાળે વર્તુળ દોર્યું ને લીંબુ મૂક્યું એક

કોઈએ લખી વારતા ને કોઈએ લખ્યા લેખ.

લઈને વેશ રાજાનો કોઈએ દીધા સંદેશ

લડી નાંખવું છે હવે ડરવું નથી લવલેશ

રાત પડીને ઊંઘ ચડીને પોઢી ગયા દરેક

કોઈએ લખી વારતા ને કોઈએ લખ્યા લેખ.

.

બ્લોગજગતનાં રાહતકામો

બ્લોગજગતનાં રાહતકામો.

પ્રકાર [1]

વર્ષો પહેલાંની વાત છે. સૌરાષ્ટ્ર પંથકમાં દુકાળ પડ્યો  હતો. લોકોને રોજીરોટી મળી રહે તે માટે સરકારી રાહતકાર્યો શરૂ થઈ ગયાં. નવા  રસ્તાઓ બનવા લાગ્યા. કેટલાક હકીકતમાં અને કેટલાક કાગળ  પર. કેટલાક કામોનો કશો અર્થ હતો અને કેટલાકનો ન હતો.

અમારા નાનીધારી ગામથી  ઈંગોરાળા ગામનો રસ્તો કાચોપાકો અને ખાડાટેકરાવાળો હતો. એ રસ્તો સુધારવાનું કામ થવા લાગ્યું. કામ એટલે કેવું? આજુબાજુમાંથી માટી ખોદી ખોદીને  નાખવાની રસ્તા પર. તગારાં મોઢે માટી રસ્તા પર ઠલવાવા લાગી ભાઈ! ખાડા તો પૂરાવા લાગ્યા. રસ્તો ઊંચો પણ થવા લાગ્યો. ગામલોકોની સાથે અમે પણ રસ્તો જોવા ગયેલા. બધાંની માફક અમને પણ થયું હતું કે: વાહ રસ્તો વાહ!   કહેવું પડે હો! હવે રસ્તા પર ચાલવાની ખરી મજા આવશે.

… પરંતુ ગામના બેચાર અનુભવી માણસોથી ચૂપ ન રહેવાયું. એ લોકોએ પોતાના મનની વાત કહી નાખી કે : આ અક્કલનું પ્રદર્શન છે. ઠીક છે કે લોકોની પાસે કામ કરાવ્યું છે. પણ આવાં કામો કરાવવાનો કોઈ અર્થ નથી. અત્યારે ભલે આ રસ્તો મજાનો લાગતો હોય પણ ચોમાસુ આવાવા દ્યો. પછી કેવી મજા આવે છે તે કહેજો.

..અને પછીના વરસે રિમજિમકે તરાને લે કે આઈ બરસાત! … એવો તો કાદવ થયો કે લોકો રાડ્ય નાખી ગયાં. કહેવા લાગ્યા કે આના કરતા તો જૂનો રસ્તો નક્કર અને સારો હતો.

અત્યારે બ્લોગજગતના અમુક પંથકમાં આવાં રાહતકામો ધમધોકાર ચાલી રહ્યાં છે. એ પણ માતૃભાષાને  બચાવવાને બહાને! અન્ય બ્લોગર્સનો વગર પૈસે  અને વગર કહ્યે પ્રચાર કરવાને બહાને! કેટલાય શ્રમિકો આગળ પાછળ જોયા વગર તગારાં પવડા લઈને આ સામુહિક રાહતકામમાં જોડાઈ ગયા છે.  એમનું એકજ કામ છે કે જ્યાંથી મળે ત્યાંથી વગર પૂછ્યે ઉઠાવો માલ અને નાખો આપણા બ્લોગ પર. પછી ભલે ખાડાની જગ્યાએ  ટેકરા થવા લાગે. આવા શ્રમિકોના મંડળો છે અને એમના મુકાદમો પણ છે.

વાંક શ્રમિકોનો નથી. એમના હાથોમાં COPY  નામે પાવડા અને  PASTE નામે તગારાં પકડાવી દેવામાં આવ્યાં છે.  એમને કહી દેવામાં આવ્યું છે કે: તમારે કશું જ વિચારવાનું નથી. અક્કલ દોડાવવાની નથી. એ કામ અમે કરીશું. તમે તમને કહેવામાં આવ્યું છે તે કામ કર્યે જાવ. તમે કેટલા તગારાં માલ ઉપાડ્યો એનો હિસાબ અમે રાખીશું.

માર્ગોનાં નામ પણ અપાઈ ગયાં છે:  માતૃભાષા વિકાસ માર્ગ. …ગુજરાતી બચાવ પંથ… .ગુજરાતી સંસ્કાર માર્ગ….

પછી ભલે માર્ગ જેવું કશું જ હોય નહીં. હોય તો જ્યાંત્યાંથી ઉઠાવેલા માલના ઢગલા….  ધૂળની ડમરીઓ…. અને ભવિષ્યનો કાદવ!

************************************

બ્લોગજગતનાં રાહતકામો.

પ્રકાર[2]

બ્લોગજગતમાં મનને  ખરેખર રાહત પહોંચાડે એવાં કામો પણ થાય છે. એકલા હાથે પણ  થાય છે.

કેટલાય  બ્લોગર્સ એવા છે કે જેઓ સખત મહેનત કરવામાં મને છે. એમણે પોતાના બ્લોગ પોતાની મહેનતથી શણગારેલા છે. તેઓ અન્યની રચના લાવે છે તો જે તે બ્લોગરને પૂછીને લાવે છે. વળી,એ રચનાને વધારે ઓળખ મળે તે માટે એ બ્લોગર્સ  પોતાની સૂઝનો  ઉપયોગ કરીને એ રચનાને વધારે સુંદર ઓપ આપતા હોય છે.

કાચાપાકા લાગતા હોય પણ પોતાની ઓળખ જાળવી રાખવા માંગતા હોય એવા કેટલાય બ્લોગ્સ છે. જેમની નોંધ આજે નહીં તો કાલે લેવાશે જ. એવા કેટલાય બ્લોગર્સ છે જેમની ભાષા કાલીઘેલી લાગતી  હોય પણ એમની પોતાની છે. એ લોકોને ઉઠાંતરી મંજૂર નથી. એ લોકોને જ્યાંત્યાંથી તગારાં ભરીને માલ લાવીને પોતાના બ્લોગમાં ઠાલવવો મંજૂર નથી.

એમણે પહેલેથી જ નક્કી કરેલું છે કે: પારકી સામગ્રી વડે બ્લોગ બનાવવો નથી. બ્લોગ એવો બનાવવો છે જેમાં અમારી પોતાની ઓળખ હોય. એક વખત અમારા બ્લોગ તરફ ભૂલો પડ્યો હોય તે બીજી વખતે હોંશેહોંશે મારા બ્લોગની મુલાકાત લેવા આવવો જોઈએ.

કેટલાય બ્લોગર્સ છે જે ધીરજ અને ખંતથી કામ લઈ રહ્યા છે. એમને ઉતાવળ નથી કે મુલાકાતીઓનો આંકડો મોટો થતો જાય. એમને વગર મહેનતના પ્રતિભાવોની ખપતા નથી. એમને પોતાની પોસ્ટ જલ્દી જલ્દી મૂકી દેવાની ઉતાવળ નથી. પણ જ્યારે મૂકાય છે ત્યારે ભયો ભયો થઈ જાય છે. એ લોકો પોતાનો તો વિકાસ કરે છે પણ બીજાને વિકાસ પામતા જોઈને પણ આનંદ પામે છે.

બ્લોગના હેતુને સમજવા માટે અભ્યાસથી વિશેષ કોઠાસૂઝની જરૂર છે. જે લોકો એ સમજી ચૂક્યા છે તેમને ક્યારેય બીજાના બ્લોગમાંથી ગુલાલનું પડીકું લાવીને પોતાના બ્લોગમાં મૂકવાની જરૂર લાગી નથી. એમની પાસે પોતાના જ મનનો ગુલાલ છે જ. પોતાના મલકની વાતો છે. પોતાના શહેરની વાતો છે. પોતાના કામધંધાને લાગતા અનુભવો છે. પોતાના વડીલોના મોઢેથી સાંભળેલી વાતો છે. પોતાના મિત્રવર્તુળમાં થતી ગમ્મતો છે. પળેપળ બદલાતી દુનિયા પડી છે, પછી સામુહિક ચોરીયજ્ઞમાં જોડાઈને સ્વાહા…  સ્વાહા … કરવાની જરૂર એમને લાગતી નથી.

ભવિષ્યના સારા સારા લેખકો,કવિઓ,વાર્તાકારો, નિબંધકારો,કલાકારો એ તમામ બ્લોગર્સરૂપે બ્લોગજગતમાંથી બહાર પડશે ત્યારે બ્લોગજગતના આ પ્રકારના  રાહતકામની કદર થશે.

તો  અમે અટકીએ? છટકીએ? ભટકીએ? અને ફરી મળીએ?

જલસા કરો.

બ્લોગજગત પર કોનો ઇજારો છે?

બ્લોગ જગત પર કોનો ઇજારો છે?
ખરેખર બ્લોગ જગત પર કોઈનો ઇજારો છે? એ એટલું મર્યાદિત છે કે એના પર કોઈનો ઇજારો  ચાલી શકે!  આવા સવાલોનો જવાબ “ના” જ હોઈ શકે. તો પછી આ અવાજ શાંને કે  “કેટલાક લેખકો કે કવિઓ બ્લોગ જગત પર પોતાનો ઇજારો સમજી બેઠા છે.”  અમને કહેવા દો કે આવી વાત કરનારાઓએ પોતે પોતાની જાતને પૂછવું જોઈએ કે : “શું આપણે પોતે બ્લોગ જગત બાબત ઝાઝો વિચાર કર્યો છે ખરો? શું આપણે કવિઓ કે લેખકોને આગળ કરીને; આપણે પોતે જ માની લીધેલી, આપણી ઉણપોને છુપાવવાની કસરત  તો નથી કરી રહ્યાને?”

અમને બ્લોગની કોઈ એક ચોક્કસ વ્યાખ્યા બાબત જાણ નથી. એ ન પણ આપી શકાય. પરંતુ બ્લોગ માટેની આ માન્યતાઓ સાથે સહુ કોઈ સહમત થઈ શકે કે:  બ્લોગ કોઈપણ વ્યક્તિ લખી શકે. એ માટે સાહિત્યકાર હોવું જરૂરી નથી. બ્લોગ એ પોતાના વિચારો વ્યક્ત કરવાનું એક ઝડપી માધ્યમ છે. એ શ્રેષ્ઠ માધ્યમ બની શકે છે. એ આમ એક પ્રકારે પોતાની રોજનીશી જ છે. જેમાં બ્લોગર પોતાના મનની વાત બેધડક મૂકી શકે. એ બહાને અન્યએ જણાવેલી સારી કે નરસી વાતો પણ જણાવી શકે. બ્લોગમાં શું લખવું એ બ્લોગરની પોતાની મરજીની વાત છે. એમાં કોઈની જોહૂકમી ચાલે નહીં. બ્લોગમાં રજૂ થતી વાતો લખાણ રૂપે હોય, ચિત્ર રૂપે હોય કે અન્ય કોઈ રૂપે હોય. એ વ્યક્ત કરવામાં જોઈ શકાય કે સાંભળી શકાય એવાં બીજાં અનેક માધ્યમો પણ મદદરૂપ થતા હોય.
બ્લોગનું આ સિવાયનું પણ કાર્યક્ષેત્ર કે રૂપરંગ હશે જ. કારણ કે એ ખૂબ જ વિશાળ છે. એ અનેક શક્યતાઓથી ભરેલું છે.

તો પછી આ લેખકો કે કવિઓ કેમ ઝંડે ચડે છે? સીધી વાત છે કે આપણાંમાંથી મોટાભાગનાં લોકોનું માનવું છે કે: લખવા, વાંચવા કે વિચારોની રજૂઆત સાથે સાહિત્યકારોને જ વધારે નિસ્બત છે. આપણું એ કામ નહીં. આપણ ને એ ફાવે નહીં. એ જવાબદારી એમની. આપણું તો કામ ચાલવું જોઈએ.

વિચારો,  કે એમને માર્ગદર્શક બનાવ્યા કોણે? આપણે જ.   પ્રેમપત્ર લખવો હોય, લગ્નની કંકોત્રી લખવી હોય, છોકરાંનાં નામ પાડવાં હોય કે એવાં બીજાં સાહસિક કાર્યો કરવાં હોય ત્યારે સાહિત્યકારોને યાદ કરવા પડે એટલી પરાધીન આપણી જાતને બનાવી દીધાં પછી હવે જ્યારે બ્લોગનાં રૂપરંગ બાબત એ લોકો પોતાની અપેક્ષા રજૂ કરે ત્યારે;  “ કેટલાક લેખકો કે કવિઓ બ્લોગ જગત પર પોતાનો ઇજારો સમજી બેઠા છે.” એવી ફરિયાદ કરવાનો મતલબ ખરો?

અરે! સાહિત્યકારોએ પોતે પણ સતત જાગૃત રહેવું પડે છે, નહીં તો એમને પણ “ સુધરો, હવે સુધરો. નવું લાવો.” એવું કહેનારા બીજા સાહિત્યકારો પણ હોય છે. એ રીતે જ ગાડી આગળ ચાલતી હોય છે. એક જ જ્ગ્યાએ ઊભા રહીને છૂક છૂક કરવાનો વ્યાયામ કરવાથી  ગાડી આગળ ચાલે ખરી?

ગુજરાતી બ્લોગજગત અસ્તિત્વમાં આવ્યું કે તરત જ એમાં જૂનું અને નવું સાહિત્ય ઠલવાવા લાગ્યું. જેણે જેણે એ શ્રમયજ્ઞમાં યોગદાન આપ્યું એ સહુ ધન્યવાદને પાત્ર છે. પણ સાહિત્યકારોને પહેલેથી જ મહત્વ આપવું જરૂરી લાગ્યું કે નહીં? એ લોકો ખોટી દાદાગીરી કરતા હોય તો બેધડક કહી શકાય કે : “ એ ભાઈ. યે બ્લોગજગત છે. તુમ્હારે સામયિક કા પ્રિન્ટિન્ગ-પ્રેસ્સ નહીં હૈ.”

પરંતુ,  એ લોકો પોતાને ઠીક લાગે એવી વાતો એમના બ્લોગ પર મૂકે તો એમાં ખોટું શું છે? એમને એમના બ્લોગમાં શું લખવું એ એમનો હક છે. એ વાત માનવી કે ન માનવી એ આપણી મરજીની વાત થઈ. એમની વાત સાથે સહમત ન થવું હોય તો પ્રતિભાવ દ્વારા કહી શકાય. એ પ્રતિભાવ પ્રગટ કરવો કે ન કરવો એ એમની મરજીની વાત. તો આપણી પાસે આપણો બ્લોગ તો છે જ. એમાં આપણે આપણાં વિચારો રજૂ કરી શકીએ. એમાં એમનું ડહાપણ નહીં ચાલે. પણ હા, આપણા બ્લોગમાં કોઈના બ્લોગના લખાણની સીધી ઉઠાંતરી હોય તો એ વિરોધ કરી શકે છે.ત્યાં પછી આપણા હકની વાત કરવી યોગ્ય નથી. સાહિત્યકાર મિત્રોને વિચારોની રજૂઆત સાથે વધારે પનારો પડેલો છે તો એ લોકો કદાચ વધારે પડતો આગ્રહ રાખતા હોય તો આગ્રહ પાછળનાં કારણો સમજવા પણ જરૂરી છે.

એક જ દાખલો આપું. જમણવાર હોય ત્યારે ત્યાં રાખેલા ખોરાક તરફની આપણી નજર અને એક ડોક્ટરની નજરમાં ફેર પડે કે નહીં? આપણને ન દેખાતા હોય એવા જીવાણુ એને દેખાતા હોય એવું બને કે નહીં? બની શકે કે બ્લોગજગતના જમણવારમાં કવિ કે લેખકોને કશું અજુગતું લાગતું હોય તો એ એની રીતે કહી શકે. એ વાતમાં દમ લાગતો હોય તો આપણે એ વાત માનવાની. ન લાગતો હોય તો નહીં માનવાની. હવે જ્યારે એક વાત નક્કી જ છે કે   “બ્લોગજગત પર કોઈનો ઇજારો નથી” ત્યારે, “ કેટલાક લેખકો કે કવિઓ બ્લોગ જગત પર પોતાનો ઇજારો સમજી બેઠા છે.”   એવી ફરિયાદ કરવાની જરૂર જ નથી.  આતો એના જેવી વાત થઈ કે ,શહેરના ભરચક ચોક વચ્ચે ઊભા રહીને આપણે હાકોટા પાડીએ કે : “હે.. આ ચોકને પેલા જંગલના વાઘ-દીપડા પોતાનો ઇજારો સમજી બેઠા છે.”

ખરેખર તો કોઈપણ સાહિત્યકાર જ્યારે બ્લોગજગતમાં પધારે છે ત્યારે તેની પહેલી ઓળખ એક બ્લોગર તરીકેની જ છે. એ વાત જે તે સાહિત્યકારે સમજવી જ રહી. એવી જ રીતે બ્લોગ લખનાર કોઈપણ બ્લોગર છેવટે તો લેખક જ છે અથવા તો લેખક બનવા તરફ ગતિ કરી રહ્યો છે એ વાત જે તે બ્લોગરે પણ સમજવી જ રહી. આમાં છાશ લેવા જવું અને દોણી સંતાડવાની વાત બંને પક્ષે નહીં ચાલે. ખરેખર તો બે પક્ષ છે જ નહીં એ વાત જ સમજવી જરૂરી છે.સહુથી મોટી વાત કે હકની સાથે સાથે ફરજ પણ હોય છે. જે બજાવવી આપણને આકરી લાગે છે.

મિત્રો, આવી બધી વાતો અમે તમને એટલા માટે કરીએ છીએ કે, અમે પણ તમારી માફક એક બ્લોગર છીએ. શીખીએ છીએ કે સારા બ્લોગર કેમ થવાય. તમે જે વર્ગમાં બેઠા છો એ જ વર્ગમાં અમે બેઠા છીએ. એમ માનો કે અમે છેલ્લે બેઠા છીએ આપણે સહુએ શીખવાનું છે તે સાથે મળીને શીખવાનું છે.

અમે તમારી સામે ઊભા રહેલા માસ્તર નથી. એક મિત્ર તરીકેની આ વાતો છે. હજુ ઘણી વાતો કરવી છે. સાંભળવી પણ છે. સવાલ જ નથી, એકલા બકબક કરવાનો! પણ…  બાકી રાખીએ…

ચુરા લી હૈ તુમને જો પોસ્ટ તો… બ્લોગ નહીં ચુરાના સનમ

બ્લોગજગતની  ”મનોરંજન”  રંગભૂમીમાં આપનું હાર્દિક સ્વાગત છે.

અમારા બ્લોગવિસ્તારના  કદરદાતાઓ,

પ્રતિભાવદાતાઓ,

તમારાં થકીજ અમને અવારનવાર સુવિચારો આવે છે.

આજનો અમારો  સુવિચાર એવો છે કે બ્લોગજગતની ફિલ્મ્સ બની હોત તો? અહાહા! કેવાં કેવાં દ્શ્યો આપણને જોવા મળ્યા હોત!

નાયિકા બ્લોગ લખતી હોય… ખલનાયક એનું COPY PASTE  કરતો હોય! નાયકનાં ધ્યાનમાં આવે… એ ખલનાયકને પકડી પાડે. ખલનાયકને  COPY PASTE કરેલું લખાણ હટાવવું પડે.. નાયિકા નાયકનો આભાર માને… “ આપકા બહોત બહોત શુક્રિયા”

તો જવાબમાં  નાયક કહેતો હોય કે: “ઈસમેં શુક્રિયાકી ક્યા બાત હૈ? યે તો મેરા ફર્જ થા.”

… ને પછી  શરુ થાય પ્રણયગીત…

આજકાલ તેરેમેરે બ્લોગકે ચર્ચે હર જબાન પર

સબકો માલૂમ  હૈ ઔર સબકો ખબર હો ગઈ…

[ તો ક્યા?]

[મ્યુઝિક: ટૂં.... ટૂટૂટૂ..  ટૂં.... ટૂટૂટૂ  ટૂં.... ટૂટૂટૂ...]

મિત્રો, જૂની ફિલ્મ્સનાં પ્રણયગીતો ની બોલબાલા હતી. આજે પણ  છે. પણ એ વખતે બ્લોગજગત નહોતું! જો હોત જરૂર એને ફિલ્મ્સમાં સ્થાન મળ્યું હોત! તો ફિલ્મનાં  નાયક નાયિકા કેવા કેવા ગીતો ગાતાં હોત! અમે  એ બાબતની કલ્પનાઓ કરી છે અને અત્રે ગીતોની યાદી મૂકી છે. દ્શ્યોની  કલ્પનાઓ તમારા પર છોડીએ છીએ. તો માણો, બ્લોગજગતનાં પ્રણયગીતો….

[1]મેરે બ્લોગપે કૉમેન્ટ રાની, તું ને દિયા  શુક્રિયા …  શુક્રિયા

મેરે પ્યાસે બ્લોગકો પાની, તું ને દિયા શુક્રિયાં … શુક્રિયા.

[2] મૈ તેરે બ્લોગપે ઠહર ના જાઉં કહીં, મુજસે કૉમેન્ટ ચુરાનેકી કોશિશ ના કર

મૈ તેરે બ્લોગકી ગઝલ ગાઉં ન કહીં, મુજસે મોમેન્ટ ચુરાનેકી કોશિશ ના કર.

[3] યે રેશમી ગઝલે .. યે સરબતી બાતેં

ઇન્હે પઢકર કૉપી કર રહે હૈ સભી…

ઇન્હે પઢકર કૉપી કર રહે હૈ સભી..

[4]  કોરા કાગજ થા બ્લોગ મેરા..

બસ ગયા ઇસમેં  ગીત  તેરા…

બ્લોગપે પોસ્ટ રખનેસે પહલે…. મુજે તેરી  કૉમેન્ટ્સ  મિલનેસે પહલે..

કહાં થી યે બાતેં.. ઐસી રાતેં .. યે મુલાકાતેં…

સૂના  આંગન થા બ્લોગ મેરા… બસ ગયા ઇસમેં  થીમ તેરા…

[5]  અઈં અઈં યા કરું મૈ ક્યા સૂકૂ સૂકૂ

ખો ગયા બ્લોગ મેરા સૂકૂ સૂકૂ…

[6] સદા ઠુશ રહે  તુ  કૉપી કરનેવાલે..

દુઆ  કર રહેં હૈં બ્લોગ લિખનેવાલે..

[7] સેવખમની સેવખમની ખાના નહીં…મુજે છોડકે મુજે છોડકે

ઓ બ્લોગર મેરે યારા… યે વાદા નિભાના

ભૂખે મર જાના, મગર ખાના નહીં…

સેવખમની સેવખમની ખાના નહીં…મુજે છોડકે.. મુજે છોડકે.

[8]  હો… ગતકડા જાનકર તુમતો મેરા બ્લોગ છોડ જાતે હો.

મુજે ઈસ હાલમેં કિસકે સહારે છોડ જાતે હો.

[9] હમારે બ્લોગ કોઈ આયેગા

કૉમેન્ટકી દોરસે બંધ જાયેગા..

હો.. આયેગા આયેગા આયેગા….

[10] કહાં ચલ દિયે.. ઈધર તો આઓ

મેરે બ્લોગકો, ના  ઠુકરાઓ..

ભોલે બ્લોગર, માન ભી જાઓ … મન ભી જાઓ.

[11] જાનેવાલે કભી નહીં આતે… જાનેવાલોકી યાદ આતી હૈ

બ્લોગ એક મંદિર હૈ… બ્લોગ એક મંદિર હૈ,,,,

[12] મેરે બ્લોગકી ગંગા ઔર તેરે બ્લોગકી જમુના

કા  બોલ રાધા બોલ બ્લોગિન્ગ હોગા કિ  નહીં?

કા બોલ રાધા બોલ બ્લોગિન્ગ હોગા કિ નહીં.

[13] મૈ કા કરું રામ મુજે બ્લોગર મિલ ગયા

હાય હાય બ્લોગર મિલ  ગયા …

કવિઓકે દેશ મુજે બ્લોગર લેકે આ ગયા

સબ જો લાયે ગઝલ.. બ્લોગર હઝલ  લેકે આ ગયા

મૈ હો ગઈ બદનામ, મુજે બ્લોગર મિલ ગયા

મૈ કા કરું રામ મુજે બ્લોગર મિલ ગયા

હાય હાય બ્લોગર મિલ  ગયા ..  હાય હાય બ્લોગર મિલ  ગયા

[14] બદલ ગયા થી…મ,  હો ગયા કામ

જાને દો જાના હૈ

અભી અભી તો આઈ હો, અભી અભી તો  જાના હૈ…

[15] યે મેરે દિલ કહીં ઓર ચલ

ઇસ બ્લોગસે દિલ ભર ગયા

ઢૂંઢ લે બ્લોગ કોઈ ઔર નયા

યે તો  પૂરા  કૉપી-પેસ્ટ હો ગયા ..

[16] કૉમેન્ટ જા જા જા …  કૉમેન્ટ જા જા જા .

પહલે બ્લોગકી પહલી કૉમેન્ટ  સાજનકો  દે આ

કૉમેન્ટ જા જા જા …  કૉમેન્ટ જા જા જા .

[17] હમ દોનો દો પ્રેમી  બ્લોગિન્ગ છોડ ચલે

બ્લોગિન્ગ કી હર સારી રસમેં તોડ ચલે.

[એ બાબુ,,, કહાં ચલે? ‘દિવ્ય ભાસ્કર’ ચલે યા ‘સંદેશ’ ચલે?]

[18] આજ કી રાત મેરે બ્લોગસે કૉપી કર લે

કલ તેરી મેહફિલસે બ્લોગર ચલા જાયેગા..

જોક  રહ જાયેગી

જોકર ચલા જાયેગા.

[19] ચુરા લી હૈ તુમને જો પોસ્ટ તો …  બ્લોગ નહીં ચુરાના સનમ

બદલકે થીમ અપને  બ્લોગકા.. બદલ નહીં જાના સનમ

[20] ઓ  હસીના ગઝલોવાલી જાને જહાં .. ઢૂંઢતી હૈ બ્લોગ આગે કિસકા નિશાન

બ્લોગ બ્લોગ એ શમા ફિરતી હો કહાં?

બ્લોગ અન્જાના  ઢૂંઢતી હું… ગીત મસ્તાના ઢૂંઢતી હું…

મેરે બ્લોગમેં જો બસે વો ખજાના ઢૂંઢતી હું.

[મ્યુઝિક: ઠેન્ટેન  ઠેન્ટેન  ઠેન્ટેન...]

[21]  બ્લોગર હૈ હમ બ્લોગરકો ન ઘર ચાહિયે .. ન ઘર ચાહિયે

ગઝલોસે ભરા એક બ્લોગ ચાહિયે… એક બ્લોગ ચાહિયે.

[23] એક થા બ્લોગર ઔર એક થી બ્લોગર

દોનો કમ્પ્યુટરમેં  રહતે થે

યે કહાની બિલકુલ સચ્ચી હૈ

મેરે ટીચર  મુજકો કહતે થે.

[24] બદનપે લેપટોપ લપેટે હુએ

ઓ જાને તમન્ના કિધર જા રહી હો

જરા પાસ આઓ તો

બ્લોગ ખિલ જાયે…

[25] મૈ તેરી પોસ્ટ હું તુ મેરા બ્લોગર હૈ

બ્લોગગ્રંથ કે પન્નો પર અપના નામ તો જોકર હૈ…

[26] ક્યા ગીત લિખતી હો અચ્છી ગઝલ લિખતી હો

કુછ ભી કહો કહતે રહો ..

મુજે  અચ્છા લગતા હૈ

બ્લોગિન્ગકા હર સપના અબ સચ્ચા લગતા હૈ.

[27] પોસ્ટ પોસ્ટ ના રહી બ્લોગ બ્લોગ ના રહા

એ બ્લોગિન્ગ હમે તેરા એતબાર ના રહા ..એતબાર ના રહા.

[28]  લિખે જો ગીત તુને વો તેરે બ્લોગ મેં

હજારો રંગકે મસાલે બન ગયે

સવેરા જબ હુઆ તો  હલ્દી   બન ગયે

જો રાત આઈ તો મિર્ચી બન ગયે.

[28] દિલરુબા મૈને ..તેરે બ્લોગપે ક્યા ક્યા ન કિયા..

પ્રતિભાવ દિયા… પ્રતિઘાત લિયા

પ્રતિભાવ દિયા…પ્રતિઘાત લિયા

[29] દર્દે બ્લોગ બઢતા જાયે… સારી સારી રાત નીંદ ન આયે

દે કૉમેન્ટ કોઈ ઐસી કિ ચેન આ જાયે.

[30] લિખે જો બ્લોગ તો પોસ્ટ ચુરાયે

ના લિખે તો મર જાયે

હમેં  ક્યા હો ગયા હૈ … હમેં ક્યા હો ગયા હૈ?

[31] શબ્દો મેં ઘોલા જાયે થોડાસા કબાબ

ઉસમેં ફિર મિલાઈ જાયે થોડીસી શરાબ

હોગા જો  લોચા યું  તૈયાર

વો બ્લોગ હૈ….

[32] હો તુમ મુજે યું ભૂલા ન  પાઓગે .. હો તુમ મુજે યું ભૂલા ન પાઓગે.

જબ કભી ભી પઢોગે બ્લોગ મેરે

સર પકડકે તુમ ભી બૈઠ જાઓગે… હો તુમ મુજે યું ભૂલા ન પાઓગે.

[33] ચલતે ચલતે મેરા યે બ્લોગ યાદ રખના

કભી અલવિદા ના કહના … કભી અલવિદા ના કહના .

રા’નથી ફરતો,પણ રા’નો દી ફરે છે

આજના મુખ્ય સમાચાર છે: ટેલિકોમ પ્રધાન રાજા પર 60 હજાર કરોડના કૌભાંડનો આક્ષેપ.

કોઈને વળી એમ થાય Read more…

COPY PASTE કી પાઠશાલા

હે બ્લોગજનો. આજે લાભ પાંચમના શુભ દિને આ ‘અસર’ ઓટલાધારીના સ્નેહવંદન સ્વીકારશો. આપ સૌ જાણો છે કે દિવાળીના તહેવાર નિમિત્તેના વિરામનો આજથી અંત આવે છે. આજથી સહુ ફરીથી પોતપોતાનો કારોબાર શરૂ કરે છે. અમે પણ આજથી અમારો કારોબાર શરૂ કરીએ છીએ. અમે આજે બોણીમાં જે વિષય હાથમાં લીધો છે એ વિષય COPY PASTE નો છે. અમારા વહાલા વાચકોને કદાચ એમ થશે કે આ ઓટલાધારીને બીજું કશું સૂજતું નથી?  હરીફરીને લે મારા દેવનું નામ! આપની વાત સાચી છે કે બીજું પણ દુનિયામાં ઘણું ઘણું થાય છે…

सिर्फ कॉपी पेस्ट ही नहीं है … और भी गम है दुनियामें.

હવે આપ સૌ મારી વાત સાંભળશો? આ  COPY PASTE ના વિષય સાથે અમારે ઘર જેવો સંબધ થઈ ગયો છે.  ‘મારો પ્રિય વિષય’  એ બાબત નિબંધ લખવાનો આવે તો અમે આંખો મીંચીને COPY PASTE નો વિષય પસંદ કરીએ. તમને થશે કે એવું કેમ?… તો એના જવાબમાં વાત થોડી લાંબી થશે તો વાંધો નથીને?

સાંભળો. અમે અમારો આ અસર ઓટલો શરૂ કર્યા પછી એક વખત બ્લોગજગતમાં ચક્કર મારવા નીકળ્યા ત્યારે અમારાં ધ્યાનમાં આવ્યું કે કેટલાક બ્લોગ્સ પર અમારી જ રચનાઓ ગોઠવીને મૂકવામાં આવી  હતી!!.

અમને થયું કે”આવું કેમ?” અમને પૂછ્યા-કારવ્યા વગર જ અમારી રચનાઓ લઈને હેંડતા થનારને જરાય શરમ ન આવી? પ્રશંસાના બે શબ્દો પણ  બોલવાના નહીં?  “આ ગમે છે માટે લઉં  છું”  એટલું પણ  કહેવાનું નહીં?

અમે એમને કહ્યુઅં કે “ભાઈઓ  આતો અમારી રચનાઓ છે. અમને પૂછ્યા વગર તમે લઈ લીધી છે એ બરાબર નથી. માટે એ રચનાઓ હટાવી લો અથવા તો અમારી  link  આપો.”

તો એ બધા અમારી મજાક ઉડાડવા લાગ્યા અને ઉપરથી અમારો વાંક કાઢવા લાગ્યા કે “તમે તમારા બ્લોગ પર જમાદારને કેમ નથી બેસાડ્યો? નવા નવા લાગો છો?”

આટલું ઓછું હોય એમ એમના ટેકેદારો પણ દોડીને આવ્યા અને બધાય પોતાની કમર લચકાવી લચકાવીને  પોતાના બ્લોગ્સ  હલાવી હલાવીને “રંગ દે નકલચી” ફિલ્મનું ગીત ગાવા લાગ્યા: ગીત તો તમે લોકોએ સાંભળ્યું જ હશે? પેલું જાણીતું ગીત:

ना कोइ लिखनेवाला

ना कोइ सीखनेवाला

हर कोइ है यहां…

COPY PASTE करनेवाला

अपनी तो पाठशाला

अपनी तो पाठशाला

अपनी तो पाठशाला…

અમને થયું કે “અરેરે! આ બ્લોગજગતમાં કોઈ જમાદાર નથી કે જે આ છાકટા થયેલાઓના બ્લોગ પર  બે ચાર દંડા ફટકારે!”

હતાશ  થઈને અમે ત્યાંથી ચાલી નીકળ્યા.અમને થયું કે:

“ये लूंटफाट ये लडाइ मेरे काम की नहीं मेरे काम की नहीं… “

મિત્રો, પારકા પરદેશમાં  લૂંટાઈ ગયેલો માણસ નિરાશ થઈને એકાદ  જગ્યાએ બેસી જાય એમ અમે બ્લોગજગતના એક બાંકડે બેસી ગયા. અમને નવલકથાકાર  શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠીની નવલકથાનો નાયક સરસ્વતીચંદ્ર  સાંભર્યો! અમને એનું રુદન પણ સાંભર્યું:  “સુખી હું તેથી કોને શું? દુ:ખી હું તેથી કોને શું?”

… અને ભગવાનને કરવું છે ને ત્યાંથી એ જ વખતે રંગલો અને રંગલી નીકળ્યા! અમારા પર એમની નજર પડી. અમને ઓળખી ગયાં કારણ કે અમે એ લોકોને એક વખત ખેલ કરવા માટે અસરના ઓટલે બોલાવ્યાં હતાં.

“અરે! ઓટલાધારી તમે? કેમ આમ નિમાણા થઈને બેઠા છો?” એ લોકોએ અમને પૂછ્યું.

અમે અમારી આપવીતી કહી. રંગલાએ ગુસ્સે થઈને બાંયો ચડાવી. પણ રંગલીએ વાર્યો. એણે કહ્યું “કળા એ આપણું હથિયાર છે. શબ્દો એ આપણાં શસ્ત્રો છે. આપણે એ રીતે કહીશું કે સમજનારા સમજી જશે ને બાકીનાને મજા પડશે. લડવું ઝગડવું એ આપણું કામ નહીં. આપણે કાલથી જ અસરના ઓટલે ખેલ નાંખીએ”

મિત્રો, આ રીતે જે ખેલ નખાયો તે ખેલ હતો :

COPY PASTEની ભવાઈ—યશવંત ઠક્કર

May 6, 2009

પછી તો ખેલ પર ખેલ. .. અને અમારે ઓટલે ભીડ વધવા માંડી. આપ સહુએ અમને પ્રોત્સાહન આપ્યું. પણ સાચુ કહો કે COPY PASTE નો વિષય અમને ફળ્યો કે નહીં? જે વિષય અમને ફળ્યો હોય એ વિષય સાથે અમારાથી ગદ્દારી કરાય? ના.ના. તમે એમ “જવાદો… જવા દો” ન કરો. ન્યાયની વાત કરો. અમારાથી આ વિષયને પડતો મૂકાય?

અમે આ વિષયને પડતો મૂકી પણ દેત. જો અમારી રચનાઓ અમારી રજા વગર પોતાના બ્લોગમાં મૂકનારાઓએ એ પ્રવૃત્તિ બંધ કરી હોત. પણ એ લોકોય શું કરે? કોઈ પોતાનો ધંધો તો બંધ ન  કરેને?  गंदा है फिर भी धंधा है.

અમે ક્યારેય COPY PASTE બાબત લખવાનું બંધ ન કરીએ એ માટેની સતત પ્રેરણા આપતા એ પ્રેરણામૂર્તિઓનો વિશેષ પરિચય આપવાનું અમે બાકી રાખીએ છીએ.

આ લેખ તમને લોકોને લાંબો લાગ્યો? અરેરે!

ये तो सिर्फ प्रोमो है .. पिक्चर अभी बाकी है, मेरे दोस्त!

ને હવે શું બાકી રહ્યું? સૂચના આપવી પડશે? આપી દઈએ ત્યારે.

એ આ ગમ્મતલેખ છે. સહુએ પોતપોતાની જ પાઘડી પહેરવી. રેઢી પડી હોય તોય કોઈએ  બંધબેસતી પાઘડી પહેરવી નહીં. કારણ કે…

કારણ કે …

કારણ કે …

કારણ કે …

કારણ કે …

પાઘડીમાં કીડીઓ છે!!!!!

આખું વર્ષ કરો જલસા

બ્લોગજનો. સહુને નૂતન વર્ષાભિનંદન.

હા. નૂતન વર્ષ આવી ચૂક્યું છે. આજની વહેલી સવારથીજ  અથવા તો ગઈ કાલની મોડી રાતથીજ  નવા વર્ષને વધાવનારા ધડાકા જાણે કહી રહ્યા હતા કે: “જાગો અને નવા વર્ષને વધાવો.”  વહેલી સવારે પ્રગટેલા દીવડાઓ જાણે કહેતા હતા કે:  ”જૂઓ , અમને ધ્યાનથી જૂઓ અને ટકી રહેવાનું બળ મેળવો.”  સઘળી ચિંતાઓને  આજના દિવસ માટે હૈયાના  ખૂણામાં સંતાડીને શ્રધ્ધા અને ઉમંગથી મંદિરે દોટ મૂકનારા સામાન્યમાં સામાન્ય માણસોને જોઈને જ એમ થાય કે  સમાજને જોડનારી સાંકળ હજુ અકબંધ છે. એ વાત સાચી છે કે હળવામળવાનું ઓછું થઈ ગયું છે. એના અનેક કારણો છે. આપણે અત્યારે એની વાત નથી કરવી. પરંતુ  જે કાંઈ સચવાયું છે એની કિમત પણ ઓછી  આંકવા જેવી નથી.

આજના શુભ પર્વે અમારી પાસે મોટા મોટા સંકલ્પોની યાદી નથી. હા.અમારી  ભાવના એવી  ખરી કે  કે : નવા વર્ષ દરમ્યાન સહુ બ્લોગમિત્રોના બ્લોગ્સ વધુંને વધું ઝગમગે. સહુનાં દીવા સમાન લખાણોમાં સતત પ્રેરણા રેડાતી રહે અને એ લખાણોની વાટ ક્યારેય ટૂંકી ન પડે. સહુના બ્લોગ્સ પર મુલાકાતીઓ સતત ઘંટારવ કરતા રહે અને પ્રતિભાવોના શ્રીફળ વધેરતા રહે. એકે એક બ્લોગ મંદિરનું રૂપ ધારણ કરે અને એ મંદિરોમાં મા શારદાની પૂજા કરવા માટે ક્યારેય કોઈને સામગ્રીની ચોરીચપાટી કરવી ન પડે.
મિત્રો. અસરના ઓટલે શ્રી ચિત્તભ્રમજી મહારાજ પધારી ગયા. આપ સહુને દિઅવાળી અને નૂતન વર્ષ માટે શુભેચ્છાઓ પાઠવી ગયા. રંગલો અને રંગલી પણ સમય કાઢીને ઝલક બતાવી ગયાં અને હરખની વહેંચણી કરી ગયાં.
આજે  દૂર દૂર ગિરના ગામડેથી બાપુ અને ભગાએ પત્ર દ્વારા આપ સહુને નવા વરસના રામરામ કહ્યા છે. તેઓએ જે સંદેશા મોકલ્યા છે તે આ પ્રમાણે છે:
બાપુનો સંદેશો:
બલોગના સહુ માયાળુ માનવીઓને આઘે આઘેના મલકથી બાપુના ઝાઝેરા રામરામ, અમે ગામડાના માણહ. તમારા જેવું લખતા નો આવડે .એટલે ઝાઝું તો નથી લખવું. પણ એટલું તો કહેવું જ સે કે જિંદગીમાં ગમે તેવા કપરા દિ આવે પણ હિમત નો હારતા. મારી વાત કરું તો એક જમાનામાં મારી ડેલીનું ખાનું બારે મહિના મહેમાનુંથી હર્યુંભર્યું રહેતું. ને આજે બેહતા વરસ જેવો તહેવાર છે તોય કોઈ ડોકાવાનું નામ નથી લેતું. સમય સમયની વાત સે બાપલા. પણ તોય ટકી રહ્યો સું. ભગો નો હોત તો તો હું કેદુનો મસાણ ભેગો થઈ ગ્યો હોત. તમારો સહુનો પ્રેમ સે એટલે મને અને ભગાને બઉ હૂંફ રહે સે, બસ.વધારે લખતો નથી. પ્રેમભાવ જાળવી રાખજો.
લિખિતન બાપુના રામરામ.

ભગાનો સંદેશો:
ગામડે ગામથી ભગાના રામરામ. આંયા હું અને બાપુ મજામાં સીએ. બાપુને બહુ ઠીક નથી રહેતું. ઉમર થઈ ગઈ સે. વળી એકલા પણ થઈ ગ્યા સે. બાપુનો જ્યારે જમાનો હતો ત્યારે એમણે મારું ખૂબ ધ્યાન રાખ્યું સે. આજે બાપુ તકલીફમાં સે તો મારી ફરજ સે કે મારે બાપુનો ખ્યાલ રાખવો. એટલે કોઈ ગમેતેમ કહે પણ હું બાપુને રેઢા મૂકવાનો નથી. તમે બધાએ દિવાળી ધામધૂમથી ઉજવી હશે. આંયા તો ન્યાંના જેવી રોનક નો હોય. તોય જેટલો થાય એટલો હરખ કરી લઈએ. બસ.વધારે લખતો નથી.કોક દિ આણીકોર ભૂલા પડશો તો અમને  ખૂબ ગમશે.
લખિતન ભગો.

તો ફરીથી  અમે પણ કહીએ  છીએ કે :  આજે જ  હૈયામાં ઉમંગનું બેલેંસ કરી લો અને પછી આખું વર્ષ કરો જલસા.

અરે વાહ! જીતુ,જશુભાઈ અને નયનાબેન પણ આવી ગયા. એમને પણ મળી લો.

નયનાબેન— સહુને નવા વરસના  જય શ્રીકૃષ્ણ. કામકાજના લીધે થોડું મોડું થયું છે તો માફ કરશો.  હજી ઘણું કામ બાકી છે. એટલે અમે રજા લઈએ.નિરાંતે મળીશું.

જશુભાઈ— સહુને સાલમુબારક.

જીતુ— મારાતરફથી પણ સહુને સાલમુબારક . આજે અમે ઉતાવળમાં છીએ એટલે જઈએ. પછી નિરાંતે મળીશું. ત્યાં સુધી કરો જલસા.

અનોખા મહારાજશ્રીની પધરામણી

દિવાળીના શુભ પર્વ નિમિત્તે અસરના ઓટલીથી આપ સૌ બ્લોગજનોને અમારા તરફથી હાર્દિક શુભકામના. અમારા આ ઓટલેથી આપ સૌને શુભકામના પાઠવવા માટે બીજાં કેટલાંક ઓટલાવાસીઓ પણ અમારી સાથે જોડાયાં છે. આવો અને સાંભળો કે એ લોકો શું કહે છે….

પ્રથમ આપની સમક્ષ ઉપસ્થિત થઈ રહ્યા છે શ્રી ચિત્તભ્રમજી મહરાજ! ચિત્તભ્રમજી મહારાજ અને એમણે સ્થાપેલા સૂરસૂરિયાવાદનો પરિચય અમે ગઈ દિવાળીએ આપ સૌને કરાવી ચૂક્યા છીએ…

તમે સ્વામીશ્રી ચિત્તભ્રમજી વિષે ન જાણતાં હો તો વાંચો આ અહેવાલ.

જોરદાર તાળીઓથી આપણે એમનું  સ્વાગત કરીશું. પણ હા! કોઈએ પણ મહારાજ શ્રીને પગે લાગવાનું નથી. કારણ કે કોઈ પગમાં પડે એ આ મહારાજશ્રીને જરાય  પસંદ નથી. પૈસા તો કોઈ ધરતાં જ નહીં!!!!!! તો પધારી રહ્યા છે વર્તમાન સમયમાં તદ્દન નવી વિચારસરણીના પ્રણેતા એવા અનોખા  શ્રી ચિત્તભ્રમજી મહારાજ.

જય હો… જય હો… જય હો… ચિત્તભ્રમજી મહારાજનો જય હો!!!

[ શ્રી ચિત્તભ્રમજી મહારાજનું પ્રવચન:]

વિવિધરંગી મિજાજ ધરાવતા બ્લોગજનો. આપ સૌને દિવાળીની નાની નાની અનેક ખુશાલીઓ મુબારક હો. આપમાંથી ઘણાંને પ્રશ્ન થયો હશે કે આ સૂરસૂરિયાવાદ ક્યાંથી ટપકી પડ્યો ? તો સૂરસૂરિયાવાદના પ્રાગટ્યની કથા કાંઈક આવી છે…

એક સમયે હું એક ગલીમાંથી પસાર થઈ રહ્યો હતો. દિવાળી જેવા તહેવારના દિવસો હતા. એક બાળક  ફટાકડાના ટોટા ફોડી રહ્યો હતો. જેમાંથી કેટલાક ટોટા બિલકુલ ફૂટતાં જ નહોતા. તો  કેટલાક ફૂટવાને બદલે માત્ર સૂરસૂરિયાં થઈ જતા હતા. આ કારણેથી બાળકના પિતા ફટાકડાના પૈસા વ્યર્થ ગયાની ભાવનાથી અત્યંત દુ:ખી થઈ રહ્યા હતા. પરંતુ પેલો બાળક તો સૂરસૂરિયાંનો પણ આનંદ માણી રહ્યો હતો. અરે એતો મોટે મોટેથી બોલતો હતો કે ટોટા ફૂટવાને બદલે સૂરસૂરિયું થાય તો વધારે સારું! બાળકના માટે જાણે કે સફળતા અને નિષ્ફળતા વચ્ચેનો  ભેદ ઓગળી ગયો હતો. બસ.બ્લોગજનો.. આ ક્ષણે જ મને જે જ્ઞાન પ્રાપ્ત થયું એ જ સૂરસૂરિયાવાદ!

હે બ્લોગજનો. હું એમ કહેવા માંગું છું કે ફટાકડા ન ફૂટવા છતાં જેમ બાળક દુ:ખી થવાના બદલે સૂરસૂરિયાનો આનંદ માણી શકે છે  તેમ આપ સૌએ પણ  નિષ્ફળતામાંથી  આનંદ માણતાં શીખવું જોઈએ.  જે  ધાર્યું હોય તે ન બને ત્યારે જે બને એનાથી પણ કશા પણ પ્રયત્ન વગર સ્વાભાવિક રીતે જ  ખુશ થવું જોઈએ.

આપ સૌ પણ સૂરસૂરિયાવાદને સમજવાનો અને અપનાવવાની ભવાના રાખશો એવી આશા સાથે મારું વક્તવ્ય પૂર્ણ કરું છું. ખુશ રહેજો અને જીવનના ધમપછાડામાંથી આનંદ મેળવજો.

આવો આપણે હવે એ  મેદાન તરફ ગતિ કરીએ જ્યાં કેટલાક બાળકો સૂરસૂરિયાંનો આનંદ માણી રહ્યાં છે. આપણે પણ એવો જ આનંદ માણીશું. ગઈ દિવાળીએ મારી લૂંગીમાં સૂરસૂરિયું પેસી ગયું હતું એટલે આ વખતે હું પેન્ટ  પહેરીને આવ્યો છું.

[મિત્રો... શ્રી ચિત્તભ્રમજી મહારજનાં સાનિધ્યમાં સૂરસૂરિયાંનો આનંદ માણ્યા બાદ આપણે ફરી મળીશું. અસરના ઓટલે  અન્ય પાત્રો આપને મળવા આતુર છે.]

શબ્દો ચડ્યા તોફાને

મિત્રો. રવિવાર મુબારક. હા.રવિવાર પણ મુબારક. કાલે કદાચ સોમવાર પણ મુબારક કરી દઈએ. જૂઓને  બબ્બે તોતિંગ તહેવારો સાથે આવી ગયા. પરિણામે મુબારક શબ્દ અમારા હોઠવગો થઈ ગયો છે. અમે ખૂબ ખુશ છીએ. ગોવિંદાનાં અને દેશભક્તિનાં ગીતો  હજુ પણ અમારાં હૈયામાં ગુંજે છે. મંદિરમાં તો  કાન-રાધાની એક જ જોડીનાં નાં દર્શન  થયાં પણ ટીવીના પરદે જેટલી સિરિઅલ એટલાં કાન-રાધા. કોઈને પૂછીએ કે આ કોણ? તો ફટ દઈને સિરિઅલના કલાકારનાં નામ દઈને કહે કે -આ તો ફલાણો અને આતો ફલાણી. અમને સવાલ થયો કે-કોણ કોને રજૂ કરે છે? કલાકારો કાન-રાધાને કે પછી કાન-રાધા કલાકારોને? અમે મન મનાવ્યું. આ બહાને પણ કાન-રાધાને નવાં નવાં  રૂપ તો મળે છે. આઝાદદિનની ઉજવણીમાં  ઘણાંને નવું કશું નહીં લાગ્યું હોય.  આસપાસના વાતાવરણની વાસ્તવિકતા પણ પીછો નહીં છોડતી હોય. પણ અમર આશાનો કોઈ વિકલ્પ નથી. ટીવીના પરદે નાનાં ભૂલકાંનો ઉત્સાહ, ઉમંગ, મહેનત અને લગન જોઈને રાજી થઈ જવાય છે.  રમેશભાઈ અને એમની  આ પંક્તિઓ  યાદ આવી જાય છે:

આજ વરસાદ નથી એમ ના કહેવાય ,રમેશ,
એમ કહીએ કે હશે,આપણે ભીના ન  થયા.

આજે  અમે જે લખી રહ્યા છીએ  તે માટેની પ્રેરણા અમને વિનયભાઈના આ લેખમાંથી  મળી છે. પ્રસ્તુત લેખ વાંચીને અમે મફતમાં થતી હતી એટલે બે કૉમેન્ટસ કરી દીધી. બસ વાત પૂરી થઈ જવી જોઈતી હતી. પણ ન થઈ.  ભૂતની માફક અમને આખેઆખો શબ્દકોષ વળગ્યો. શબ્દકોષના શબ્દો અમને પજવવા લાગ્યા.  અમારી સામે લટકા મટકા કરીને નાચવા લાગ્યા. જાણે મટકી ફોડવા માટે નાચી રહેલા ગોવિંદાઓ.  અમારી પાસે મટકી તો હતી નહીં. અમારું માથું હતું. અમે  શબ્દોને કહ્યું: “ભાઈઓ તમે હવે જાઓ. અમને આરામ કરવા દ્યો.” પણ એમણે  તો જવાનું નામ ન લીધું. કહેવા લાગ્યા કે: “તમે વિનયભાઈને કૉમેન્ટસમાં  બેત્રણ  જ ઉદાહરણ કેમ આપ્યાં? અમારું શું? અમને ન્યાય જોઈએ. અને સાંભળો. ઉદાહરણ આપીને અટકી નથી જવાનું. ઉદાહરણ પ્રમાણે ખરેખર બધું બને તો શું થાય એ પણ લખો.”

બસ. એમના આદેશ પ્રમાણે અમે વિચારવાનું શરૂ કર્યું.

આમ તો દૂધમાંથી દહીં બને. પણ  શબ્દકોષ મુજબ દહીં પહેલાં આવે અને દૂધ પછી. જો ખરેખર દહીં પહેલાં અને દૂધ પછી બનતું હોય તો?  દુકાને દૂધ  લેવા જઈએ તો દુકાનવાળો કદાચ એમ પણ કહે કે: “દૂધ ખલાસ થઈ ગયું છે.દહીં લઈ જાવ. એમાંથી દૂધ બનાવી લેજો.”

હવે એ રીતે જ વિચારી તો શબ્દકોષમાં છાશ એ બંનેની પહેલાં આવે. તો કદાચ દુકાનદાર  એમ પણ કહે:” છાશ લઈ જાઓ.એમાંથી દહીં અને દહીંમાંથી દૂધ બનાવી લેજો.”

હવે એ જ રીતે વિશેષ વિચારીએ તો  ઘી  તો આ બધાંથી પહેલાં આવે.

તો શું ઘીમાંથી છાશ>દહીં> દૂધ >માખણ બનાવવાં? પછી આ બધાંના ભાવ કેવા હોય? મોંઘા ભાવનાં  ઘીમાંથી સસ્તી છાશ બનાવવી ? કે પછી ઘી આ બધાં કરતાં સસ્તું હોય? તો પછી કઢી બનાવવામાં છાશના બદલે ઘી વાપરવાનું? તો કઢી કેવી થાય? ચામાં શું નાખવું ફાયદાકારક થાય?

આ બાબત અમે વધારે વિચારતા ગયા તો અમને લાગ્યું કે અમે પાગલ થઈ જશું. અમે અમારું માથું બે હાથ વચ્ચે દબાવીને શબ્દોને વિનંતી કરી: “બસ. બહુ થઈ ગયું. હવે તમે જાવ. મને ચક્કર આવે છે.”

પણ શબ્દો માન્યા નહીં.કહેવા લાગ્યા: “ આવું ન ચાલે. તમે વધારે વિચારો. પક્ષીજગત અને પ્રાણી જગત બાબત પણ વિચારો.”

અમે વિનયભાઈને  કૉમેન્ટમાં લખ્યું હતું કે: “શબ્દકોષમાં કાગડો મોરની પહેલાં આવે.”   હવે  આમ જોઈએ તો કુદરતે તો બધા પક્ષીઓ ને સમાન માન્યાં હશે. પણ આપણે  તો મોરને રાષ્ટ્રીય પક્ષીનો દરજ્જો આપ્યો છે. પણ શબ્દકોષ પ્રમાણે કાગડો  પહેલાં આવે છે તો  એ વાત  મુજબ કાગડાને મોર કરતાં વધારે માન મળવું જોઈએ ને?

પણ  આ બાબતમાં તો ખાસ તકલીફ પડે એવું લાગતું નથી.કારણ કે આપણે જોઈએ જ છીએ કે સમાજમાં કાગડા જેવા માણસોને વિશેષ માન મળેજ છે.

પ્રાણીજગત બાબત એ રીતે વિચારતાં જ અમને તો ગમ્મત પડી ગઈ.  વાઘ પહેલાં અને એની  પાછળ એનો શિકાર કરવા દોડતું હોય એમ શિયાળ અને એની પાછળ સસલું અને એની પાછળ હરણ. એ બધાંની પાછળ હાથી. ઘોડાગાડીમાં ગાડી  આગળ અને ઘોડો પાછળ. બળદગાડામાં પણ ગાડું આગળ અને બળદ પાછળ!!

અમે શબ્દોને કહ્યું: “દોસ્તો મજા પડી ગઈ. પછી મળીશું.”

તો એ લોકો કહ્યું કે : “બોલો, લગ્ન પહેલાં અને સગાઈ પછી થાય  તો? ચાલશે? લગ્ન પ્રેમ પછી જ થાય.લગ્ન પછી  પ્રેમ થવાનો સવાલ જ ન રહે તો ચાલશે?  દરિયો પહેલાં અને એમાંથી નદી વહે તો મજા પડશે? અને નદીમાંથી પહાડ ફૂટે તો ? પહાડ  ખળખળ  વહે?”

અમે શબ્દોને બે હાથ જોડીને પૂછ્યું કે: “શા માટે હેરાન કરો છો? અમારો કાંઈ વાંકગુનો?”

એ  શબ્દો  બોલ્યા: “તમે રોજ અમને રમાડો છો તો  એક દિવસ અમે તમને ન રમાડીએ?”

“તો હવે રમત પૂરીને? ” અમે અધીરા થઈને પૂછ્યું.

“ના ના. હજી અમારો દાવ પૂરો નથી થયો.”  શબ્દોએ બૂમાબૂમ કરી મૂકી.

એક કામ કરો. વાચકમિત્રો. તમે પહેલાં પ્રતિભાવ લખો અને પછી લેખ વાંચો. કારણ કે શબ્દકોષ  મુજબ…