Tag Archive | રાજકારણ

ખમણ બફાયાં અને વરાળ નીકળી…

મિત્રો,

આજે એક ચિત્રકથા રજૂ કરવામાં આવે છે.  ચિત્ર જુઓ અને કથા સમજો.

ચતુર વાચકોને સમજાવવાની જરૂર ખરી?

મોદી-નીતીશ મિલન લાલૂ યાદવને ન ગમ્યુ

http://www.globalgujaratnews.com/news/india/laludid-not-like-nitish-and-modi-frendship

ખમણ બફાયાં..

અને 

વરાળ નીકળી……

http://www.divyabhaskar.co.in/article/NAT-lalu-attacks-nitish-over-handshake-with-modi-3224464.html

રાષ્ટ્રીય બાબો બોર્ડની પરીક્ષામા નાપાસ થયો!

મિત્રો, 

આવો, હોળી-ધૂળેટીની તૈયારી કરીએ.  

આજનાં તાજાં ખબર મુજબ બોર્ડની પરીક્ષાનુ  પરિણામ આવવા લાગ્યું છે. જેમાં રાષ્ટ્રીય બાબો નાપાસ  થયો છે. 

બાબલાની નિષ્ફળતાનું કારણ કયું હોઈ શકે? 

[૧] વધું પડતો આત્મવિશ્વાસ?

[૨] ખોટા શિક્ષકોનુ ટ્યુશન?

[૩] અનિયમિત હાજરી?  

[૪] કોર્સ બહારના પ્રશ્નો? 

[૫] IMP કામ ન લાગ્યું? 

[૬] પેપર ફૂટ્યાં નહિ? 

[૭] ખરાબ  અક્ષરો?

[૭] પાયો કાચો? 

[૮] પૂરું ભણ્યા વગર સીધી જ બોર્ડની પરીક્ષા? 

[૯] પરિવારના વધું પડતા લાડકોડ? 

[૧૦] આડેધડ તૈયારી?

[૧૧] કડક ચેકિંગ? 

[૧૨] પરીક્ષા દરમ્યાન વાયડો ખોરાક? 

[૧૩] અન્ના બેન્ડનો અવાજ?

[૧૪]  નાપાસ થવાય તો દોષનો ટોપલો બીજાં પર જવાનો હતો એટલે?  

અન્ય કારણો સ્વીકાર્ય છે. 

ગુજરાતનો વાઈબ્રાન્ટ ફટાકડો

મિત્રો, 

દેવદિવાળી પણ ગઈ. પરંતુ આપણી પાસે રાજકીય ફટાકડાઓની વાતો ખૂટે તેમાં નથી. કારણ કે રાજકીય ફટાકડાઓ બારેમાસ ફૂટતા હોય છે. આ પહેલાં આપણે આવાં  ત્રણ ફટાકડાની  વાતો કરી. જેમ કે:

 (૧) અપણા નેતાઓમાં ફટાકડાનાં દર્શન કરો.  જેમાં મનમોહન સિંહ નામે લવિંગિયાની વાત કરી. 

(૨) શ્રી લાલકૃષ્ણ અડવાણી-ભાજપની ભો ચકરડી 

(૩) રાહુલ ગાંધી- વગર ફૂટ્યે વખણાતો કોંગી ટોટો 

આજે આપણે ગુજરાતના વાઈબ્રાન્ટ ફટાકડાની  વાત કરવાની છે.  ચતુર નરનારીઓ સમજી જ ગયાં હશે કે: આ ફટાકડો બીજો કોઈ નહિ પણ પાંચ પાંચ કરોડ ગુજરાતીઓના નામે પોરસાતા શ્રી નરેન્દ્ર મોદી.

આ  ફટાકડો લગભગ છેલ્લા દસ વર્ષોથી સતત પોતાની ફરજો બજાવી રહ્યો છે. વિવિધ  ફટાકડાની મુખ્ય ફરજો તો આપ સહુ જાણતાં જ હશો. જેવી કે:

*ફૂટવું- સીધું કે આડું.

*રંગ બેરંગી તણખા વેરવા.- એવાં વેરવા કે જેને અડે તેણે બરાબર ચચળે.

*ધડાકા  કરવા- એવા  ધડાકા કે જે ધડાકા બાબત  અમુક સંસ્થાઓ સતત ચિંતા કરતી રહે.

*ઊડવું- એવી રીતે ઊંચે જવું  કે જોનારાં જોતાં જ રહી જાય.

*ફરવું- અમુક ફટાકડાની ફરજ માત્ર ફરવાની જ હોય!જેમ કે: ભો ચકરડી

*ઘૂસવું- કેટલાક ફટાકડા ફૂટવાની સાથે સાથે ગમે ત્યાં ઘૂસી પણ જાય. કેટલાક તો ફૂટે ઓછા ને ઘૂસે વધારે!

*રોશની વેરવી- એવી રોશની કે જેનાથી જોનારાંની આંખો અંજાઈ જાય.

*લાંબા થઈને અવનવા વળાંકો લેવા- સાપ!

ફટાકડાઓ આ સિવાયની પણ નાનીમોટી અનેક ફરજો બજાવતા હોય છે. સંજોવાશાત આમાંની એકપણ ફરજ ન બજાવી શકે તો છેવટે સૂ……… રસૂરિયું થવાની ફરજ તો બજાવતા જ હોય છે. 

આપણે  ગુજરાતના જે વાઈબ્રાન્ટ ફટાકડાની ફટાકડાની વાત કરી છીએ એ ફટાકડાની વિશેષતા એ છે કે: આ ફટાકડો ઉપર બતાવેલી ફરજોમાંથી સૂરસૂરિયું થવા સિવાયની તમામ ફરજો એકલો  બજાવી શકે છે! હા, ફૂટેય ખરો અને ઊડેય ખરો. આપણને એમ થાય કે:બસ, હવે પતી ગયું.  ત્યાં તો પાછો જમીન પર આવીને ગોળ ગોળ ફરવા લાગે. આપણને એમ થાય કે ફરતો ફરતો થાકશે! પણ ત્યાં તો દાડમની જેમ માંડે રોશની અને તણખા વેરવા! આ ફટાકડો ક્યારે કઈ ફરજ બજાવશે એનું કાઈ નક્કી નહિ! તમે જ કહો. આને શું કહેવાય? માત્ર ટોટો કહેવાય? માત્ર રોકેટ કહેવાય? માત્ર ચકરડી કહેવાય? માત્ર બોમ્બ કહેવાય? ના જ કહેવાય. એટલે જ એનું નામ પડ્યું છે: ગુજરાતનો વાઈબ્રાન્ટ ફટાકડો !

મિત્રો, ભલભલા વિદ્વાન અભ્યાસીઓનાં માથાં ફરી ગયાં છે પણ તેઓ નક્કી નથી કરી શકતાં કે:આવું કઈ રીતે બની શકે? કેટલાક  કહે છે કે: આ ફટાકડામાં તોફાનો કે રમખાણોમાં પેદા થતો હોય તેવો રોષ ભર્યો છે. આ ફટાકડો નકારાત્મક તત્વોથી ભર્યો છે. જો એને વહેલાસર કાબુમાં લેવામાં નહિ આવે તો અનર્થ થશે.

 તો કેટલાક કહે છે કે: આમાં જનતાનો વિશ્વાસ ભર્યો છે. પ્રેમ ભર્યો છે. આ ફટાકડામાં ભરપૂર સકારાત્મક ઉર્જા ભરી છે. માટે આટલું જોર કરી શકે છે. આ ફટાકડો વહેલી તકે રાષ્ટ્રીય ફટાકડા તરીકે જાહેર થવો જોઈએ.

વિરોધીઓ માટે તો આ ફટાકડો ઉકેલી ન શકાય તેવો કોયડો બની ચૂક્યો છે. કહેવાય છે કે આ ફટાકડાને હોલાવાવાના છૂપા તાલીમ કેન્દ્રો ચાલે છે! પરંતુ આજસુધી તો આ ફટાકડાને હોલવવાનો એકેય ઉપાય કારગત નીવડ્યો નથી. હા, એ હોલવાઈ જાય કે એનું સૂરસૂરિયું થઈ જાય એવાં સંજોગો ઘણી વખત ઊભા થાય છે. પણ ત્યાં તો આ ફટાકડો ઉલટાનો વધારે જોરથી ધડાકા કરવા લાગે છે.

એક વખત કેટલાક વિરોધીઓએ પોકાર કર્યો કે: સોનિયા માવડી તમે કઈક કરો. તો સોનિયાજીએ કાદવમાંથી મોતકા સોદાગર નામે એક જોરદાર ફટાકડો તૈયાર કર્યો અને ફેક્યો આ  વાઈબ્રાન્ટ ફટાકડા પર! બધાંને એમ હતું કે:ખલાસ! હવે વાઈબ્રાન્ટ ફટાકડો ગયો કામથી!

પણ બન્યું કઈક જુદું જ! વાઈબ્રાન્ટ ફટાકડો એવો તો બમણા જોરથી ફૂટ્યો કે સોનીયાજીના ફટાકડો ઊડીને પાછો આવ્યો સોનિયાજીની જ પાસે!  ને પછી ફૂટ્યો ! જેના પરિણામે તેમની સાડી કાદવ કાદવ થઈ ગઈ! ત્યારથી તેઓ આ ફટાકડાથી બને ત્યાં સુધી દૂર રહેવાનું પસંદ કરે છે. કહેવાય છે કે એમણે રાહુલને પણ ચેતવ્યો છે કે: દિકરા, દુનિયાભરના ફટાકડાને ચાળો કરજે પણ આ વાઈબ્રાન્ટ ફટાકડાથી સાચવજે!

માધ્યમો પણ મક્કી નથી કરી શકતાં કે આ ફટાકડાને વાગોવવો કે વાખાણવો?  તેથી તેઓ બંને કામો કરે છે! આ ફટાકડાની વાતો દૂર દૂર ફેલાતી ગઈ છે. મોટા મોટા માંધાતાઓ  આ ફટાકડાની લીલા જોવાં ગુજરાતમાં પધારે છે. છાશવારે સમાચાર આવે કે: ફલાણા મોટા માણસે આ ફટાકડાથી પ્રભાવિત થઈને એની પ્રશંસા કરી!

આ ફટાકડાની ચર્ચા દેશભરમાં થતાં થતાં વિદેશોમાં પણ થવા લાગી છે. અમેરિકા જેવાં અમેરિકાને ડર લાગ્યો હતો કે: જો આ ફટાકડાનો પ્રભાવ  અમેરિકા પર પડશે તો  અમેરિકાપણું ઝાંખું થઈ જશે. પણ  ત્યાંની ફટાકડાપ્રેમી જનતા આ ફટાકડાને ટીવી તેમ જ વિડીયો જેવાં માધ્યમો દ્વારા જોઈને આનંદ પામે છે.  જ્યારે ફટાકડા બનાવાવામાં અગ્રેસર એવાં ચીનને પણ આ ફટાકડામાં રસ પડ્યો છે. આ ફટાકડામાં હવે ચાઈનીઝ રંગો તો નહિ ઉમેરાયને? એવી ચર્ચા પણ આજકાલ ચાલી રહી છે.

મિત્રો, આ ફટાકડાની જેટલી વાતો કરીએ તેટલી ઓછી છે! ઘણાનું કહેવું એમ છે કે: આ બધી વાતો ભ્રામક છે.જ્યારે આ ભ્રમ તૂટશે ત્યારે આ ફટાકડાનું તો  સૂરસૂરિયું થઈ જશે.

બાકી અત્યારે તો  ગુજરાતનું નામ આ ફટાકડા સાથે જોડાઈ ચૂક્યું છે. જે ગુજરાત, ખમણઢોકળાં, રાસગરબા કે પતંગ માટે વખણાતું હતું તે હવે આ વાઈબ્રાન્ટ ફટાકડા માટે વખણાવા લાગ્યું છે.

ભો…………………………………………………………………………………પૂપ !!!!!!!!!!

ઓહો! ભોપુપ વાગી ગયું! સમય સમાપ્તિની ઘોષણા થઈ ગઈ છે! તો આજે અમે વિદાય લઈએ. ફરી મળીશું કોઈ નવા ફટાકડાની વાતો સાથે ત્યાં સુધી જલસા કરો અને કરાવો.

Narendra Modi[આ ફટાકડો મેળવ્યો અહીંથી: http://www.topnews.in/law/people/narendra-modi?page=11&destination=taxonomy%2Fterm%2F699%3Fpage%3D7]

રાહુલ ગાંધી- વગર ફૂટ્યે વખણાતો કોંગી ટોટો

[તસવીર: http://rahulgandhikabharat.in/organizer.php]

ગમે તેવો રૂડોરૂપાળો ટોટો  હોય, એ ફૂટે ત્યારે જ ફોડનાર કે જોનારને ખરો આનંદ થાય. ફૂટ્યા પછી એની વાહ વાહ થાય એ વાત બરાબર છે. પરંતું એ ફૂટ્યા પહેલાં જ કોઈ  જો એના અવિરત વખાણ કરે તો આપણને જરૂર કહેવાનું મન થાય કે:ભાઈ, ફૂટવા તો દે! પછી જેટલાં વખાણ કરવા હોય તેટલાં કરજે. વગર ફૂટ્યે વખાણ શાં કામનાં?

રાહુલ ગાંધી એ કોંગીનો રંગે રૂડો અને રૂપે પૂરો એવો ટોટો છે. જે હજી ફૂટવાનો બાકી છે. પરંતું એમના કેટલાક પક્ષવાળા આ ટોટાનું માર્કેટિંગ કરતાં થાકતા નથી. મોકો મળ્યો નથી કે:”વાહ રાહુલજી!વાહ રાહુલજી!”  રાહુલજીને જેવાં વિચારો આવે એવાં એમના પક્ષમાં જાણે કોઈને ન આવે! દેશના સામાન્ય યુવાનને આવે એવો વિચાર પણ જો રાહુલજી રજૂ કરે તો જાણે કે રાહુલજીએ કોઈ ગજબનો આઈડિયા બતાવ્યો હોય એમ કેટલાક સિનિયર નેતાઓ રાહુલજીના રાસડા લેવા લાગે. આપણને મીડિયા મારફતે એ રાસલીલા જોવાં મળે છે.

અન્ના હજારેએ જન લોકાપાલ બિલની વાત કરીને આખા દેશનું ધ્યાન ખેંચ્યું તોય એ લોકોને મન જાણે કે કશું નહિ! એ તો ફલાણા કે ઢીકણાનું કાવત્રુ! પરંતું રાહલ ગાંધીએ એ બિલની હવા કાઢી નાખવાના ઈરાદે જન લોકાપાલ બિલના બદલે સ્વતંત્ર એજન્સી બનાવવાની વાત કરી તો તો જાણે કે રાહુલજીએ કોઈ મહાન પરાક્રમ કર્યું હોય તેમ રાહુલઘેલાઓએ  એમની વાહ વાહ શરૂ કરી દીધી. આ જ વાત જો રાહુલ ગાંધીએ પહેલાં કરી હોત તો એમની વિચાર શક્તિ માટે જેટલાં ગુણગાન ગવાયાં હોત એ બધાં લેખે લાગત! મુશાયરામાં કેટલાક લોકો શાયરના મોઢેથી શેર પૂરો સાંભળે ન સાંભળે ને વાહ વાહ શરૂ કરી દે તેમ આ લોકો રાહુલ ગાંધી કોઈ વિધાન કરે કે તરત કામે લાગી જાય! આવાં તો અનેક ઉદાહરણ આપી શકાય તેમ છે. અન્ના હજારે જેવી તોપની સામે આ લોકો વારેવારે ફૂટ્યા વગરનો ટોટો ધરીને ઊભા રહી જાય છે!

રાહુલ ગાંધી યુવાન છે. મોટા પરિવારના છે. પણ એમને પોતાની લાયકાત પૂરી કરી બતાવવાનું કામ બાકી છે.  કોઈ લારી પરની લારી પરની ચાં પીવાથી પણ મોટાં કામ કરવાનાં બાકી છે. કોઈ ઝૂપડામાં જઈને રોટલાનું બટકું ભાંગવું એ સારી વાત છે. પરંતું એટલું પૂરતું નથી. એમની પાસેથી મોટી અપેક્ષાઓ હોવી જઈએ.

રાહુલ ગાંધી દેખાવ ખાતર , રસ્તા પરની દુકાનેથી કે લારી પરથી સમોસાં લઈને ખાય તો એ એમના પક્ષાના લોકો માટે બહુ મોટી ઘટના ગણાય!  અરે નેતાલોગ! આ દેશના ભૂખ્યાં જન માટે તો હવે એક સમોસું પણ સપનું બનવા લાગ્યું છે! રાહુલ ગાંધી બીજું કશું ભલે ન કરે. ભલે પેટ્રોલના ભાવ ઓછા ન કરાવી શકે , ભલે અનાજના ભાવ ઓછા ન કરાવી શકે. ભલે શાક સસ્તું ન કરાવી શકે. પરંતું એમ સમોસું પણ જો સસ્તુ કરાવી શકશે તો એના જેવો  ભડવીર આ દેશમાં કોઈ નહિ હોય!!! સરકાર એમની છે. સત્તા એમની પાસે છે. સવાલ છે માત્ર કશું કરી બતાવવાનો! જેને તમે લોકો વડાપ્રધાન બનાવવા માંગો છો તેની પાસે આજે કશું કરી બતાવવાની એક તક છે. એ એક સમોસું સસ્તું કરી બતાવશે તો પણ ઘણું છે.

દેશની જનતા રાહત માંગે છે. આ ટોટાનો પોતીકો અવાજ સાંભળવા માંગે છે. એ અવાજ થાય પછી ટોટાના  વખાણ થાય તો વાત બરાબર  કહેવાય. ત્યાં સુધી એને તડકે મૂકવાની અને  તપાવવાની જરૂર છે.

[તસવીર: http://www.ifood.tv/network/samosa]

આ પણ વાંચો: રાહુલ ગાંધી ઊંઝા આવશે ત્યારે

શ્રી લાલકૃષ્ણ અડવાણી-ભાજપની ભો ચકરડી

[તસવીર http://bengalnewzarchivejanuary2011.blogspot.com/]

મિત્રો,

આજે લાભ પાંચમ છે. નવા વર્ષમાં વેપારીઓ  મુરતના સોદા કરે છે. આ રચના દ્વારા અમે પણ  આજે આપની સાથે ખુશીની આપ લે માટેનો સોદો કરીએ છીએ.

આ અગાઉ અમે એક રચના રજૂ કરી હતી.

અપણા નેતાઓમાં ફટાકડાનાં દર્શન કરો.

આ લેખમાં આપે જાણ્યું હશે કે શ્રી મનમોહન સિંહ એ કોંગ્રેસી સરકારનું લવિંગિયું છે. 

મિત્રો, શ્રી મનમોહન સિંહ કોંગ્રેસ સરકારનું લવિંગિયું  છે તો શ્રી લાલકૃષ્ણ અડવાણી ભાજપની ભો ચકરડી છે. ભો ચકરડીની માફક શ્રી લાલકૃષ્ણ અડવાણીને પણ ચક્કર મારવાં ગમે છે. તેઓ  અવારનવાર દેશમાં ચક્કર મારવા નીકળી પડે છે. જેને સારી ભાષામાં રથયાત્રા એવું નામ અપાય છે. આજકાલ  આ ચકરડી ચક્કર મારતી મારતી  દક્ષિણ ભારતમાં પહોંચી છે. આ ચકરડી સારી રીતે ચક્કર મારી શકે તે માટે જમીન સાફસુથરી રહે તે માટે વહીવટી તંત્ર તરફથી ખાસ બંદોબસ્ત રાખવામાં આવે છે.  

ભાજપની આ ભોચકરડીએ આ પહેલાં પણ દેશમાં ચક્કર માર્યા છે. આ ભો ચકરડી એક વખત ફરતી ફરતી બિહારમાં પહોંચી હતી ત્યારે લાલુજીએ તેના પર પગ મૂકી દીધો હતો. ચકરડી તો ફરતી બંધ થઈ ગઈ હતી પણ આખો દેશ ચકરાવે ચડ્યો હતો!

આ ભો ચકરડી ફરતી ફરતી એક વખત પાકિસ્તાન પહોંચી હતી. ત્યાં તેણે ઝીણાની મજારની આસપાસ જરા વધારે પડતાં ચક્કર માર્યાં હતાં જે ઘણાંને ગમ્યું ન હતું. પરિણામે ભાજપ પક્ષ પોતે ચકરાવે ચડ્યો હતો.

આમ પોતે ચકરાવે ચડે અને બીજાને ચકરાવે ચડાવે  કે કૂદકા મરાવે એ આ ફટાકડાનું આગવું લક્ષણ છે. કોંગ્રેસી નેતાઓ આ ભોચકરડીથી ખૂબ જ સાવચેત રહે છે. આ  ચકરડીને લાત મારવા તેઓ સતત પોતાના પગ સાવધાન મુદ્રામાં રાખે છે. જ્યારે જયારે આ ચકરડી શ્રીમતી સોનિયા તરફ ગતિ કરે છે ત્યારે ત્યારે આ નેતાઓ  ચકરડીને લાતો મારી મારીને દૂર ભગાડે છે. 

કોંગ્રેસી નેતાઓ  માને છે કે: આ ચકરડીનું લક્ષ વડા પ્રધાનની ખુરશી છે જે ક્યારેય સિદ્ધ થવાનું નથી.

હાલમાં આ ચકરડી અટકતી અટકતી પણ દેશમાં ચકરાવા લઈ રહી છે. જેનો આનંદ દેશની જનતા ઉઠાવી રહી છે. 

તો મિત્રો ફરી એક વાર નવા વર્ષ માટે શુભેચ્છાઓ. ફરી મળીશું એક નવા ફટાકડા સાથે.

જલસા કરો.  

શું પહેલાં હટાવી શકાય? ભ્રષ્ટાચાર કે સરકાર?

મિત્રો,

 કોઈ માને કે ન માને! વાત લપાતી છુપાતી … હરતી ફરતી.. એક મુકામે આવીને ઊભી રહેશે કે-  પહેલાં સરકાર  હટાવો.  એ વગર ભ્રષ્ટાચાર નહીં હટે!

આ પરંપરા છે આપણા દેશના રાજકારણની!

ગાંધીજીનો ધ્યેય માત્ર શાસનપલટો નહોતો.  તેઓ પણ ભ્રષ્ટાચાર હટાવવા માંગતા હતા. પણ પ્રાથમિકતા આપવી પડી વિદેશી શાસન હટાવવાના મુદ્દાને.

શાસન પલટો થયો.  ભ્રષ્ટાચાર રહ્યો! ગાંધી ટોપી પહેરીને જાડિયો પાડિયો થયો.  ને અફવાની જેમ ફેલાયો.

એક સમય એવો આવ્યો કે ગાંધી ટોપી ને ગાંધીનું નામ મજાકને પાત્ર બની ગયા.

ગુજરાતમાં નવનિર્માણનું આંદોલન થયું ત્યારે ઠેર ઠેર સરકારના મૃત્યુઘંટ  વાગતા હતા  કોંગ્રેસી નેતાઓના નામની ઠેર ઠેર  હાય હાય બોલાતી હતી.  કોંગ્રેસી નેતાઓની નનામીઓ નીકળતી હતી. ગધેડાઓના શરીર પર નેતાઓનાં નામ લખાતાં હતાં. પોલીસો પકડી પકડીને કેટલાને પકડે?

144 ની કલમની નવાઈ ન રહી.   કેટલાક લોકોએ તો એમની જિંદગીમાં પહેલી વખત કર્ફ્યુ જોયો અને માણ્યો!

 યુવાન છોકરા છોકરીઓએ લડત લડી રહ્યાં હતાં. એમને ત્યારના વિરોધ પક્ષોની દોરવણી અને ટેકો  હતા.

પાછળથી એવી પણ ખબર આવી કે  - આખી લડત કોઈ કોંગ્રેસના જ  નેતાના મગજની પેદાશ હતી!

બોલો! અશક્ય શું છે?

યુવાનોઅને યુવતીઓની  આંખોમાં સપનાં હતાં.. બેકારી હટવાના મોંઘવારી હટવાના.. ભ્રષ્ટાચારીઓને ખદેડવાના…

એમનું મુખ્ય સૂત્ર હતું અંધકાર મેં એક પ્રકાશ .. જયપ્રકાશ જયપ્રકાશ.

નવનિર્માણ આ6દોલનની ત્રણ મુખ્ય માંગણીઓ હતી..

*મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલ રાજીનામું આપે.

** ગુજરાત વિધાનસભાનું વિસર્જન થાય.

***ભ્રષ્ટાચાર નાબુદ થાય.

લગભગ સો જેટલા  લોકો ગોળીએ વીંધાયા પછી પહેલી બે માંગણીઓ પૂરી થઈ.

ચૂંટણી  આવી. કોંગ્રેસનો પરાજય થયો.  જનતાપક્ષની  સરકાર આવી.   મુખ્યમંત્રી તરીકે બાબુભાઈ જશભાઈ પટેલ આવ્યા.

 જો કે  સરકાર બનાવવા માટે  એમણે કિમલોપ ના સભ્યોનો ટેકો લેવો પડ્યો.  ને  કિમલોપના વડા હતા  શ્રી ચીમનભાઈ પટેલ. એ જ ચીમનભાઈ કે જેને હટાવ્યા  હતા.

સમાચાર તો એવા હતા કે-  ચીમનભાઈ પટેલના ઘરની  પાછલી  દિવાલ કૂદીને બાબુભાઈ ટેકો મેળવવા ગયા હતા.

વખત આવ્યે કૂદકા ય મારવા પડે!

પછી તો ધારાસભ્યોની આવન જાવનની રમત શરૂ થઈ.  સરકાર બને ને ગબડે.

આમાં ભ્રષ્ટાચારને   હટાવવાનો વખત કોની પાસે? ને હટાવવા જાય તો એની સાથે સાથે પોતાને હટી જાવું પડે!

દિલ્હીની  વાત કરીએ તો કટોકટી પછી આવેલી ચૂંટણીમાં ઇંદિરાજી  અને એમનો પક્ષ હાર્યાં.

જાણે કે ન બનવાનું બની ગયું. રામલીલા મેદાનમાં વિજયી સભા ભરાણી.  વિવેક ભુલાયો. છાકટાં ભાષણો થયાં.  ઇંદિરાજીને હરાવનાર રાજનારાયણ  બોલ્યા કે- ભૂલ જાઓ ઇંદિરા કો! ઉસમે કુછ દમ નહીં! ઉસ મેં કુછ કસ નહીં!

ને મોરારજી દેસાઈની નવી સરકારે  અંદરોઅંદરની ખટપટને કારણે  દોઢેક વરસમાં દમ તોડી દીધો!  સરકાર સારી ચાલતી હતી અને ચાલી શકે તેમ હતી. પણ આપણા નેતાઓની સત્તાભૂખ!

છેલ્લે છેલ્લે જે સરકારો બદલાઈ તે તો લોહી રેડ્યા વગર બદલાઈ.

પરંતુ  એમની ય મજબુરી! એમની પાસે જાદુઈ છડી નથી.

[લખ્યા તા. ૦૭-૦૬-૨૦૧૧]

************************************************************************************************

ઉપરનું લખાણ નહોતું મુકાયું. મનમાં હતું કે : આ લખાણ મૂકવાની  નોબત કદાચ નહિ આવે.

પરંતું આવી ગઈ!

આજે  મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ છે.  ચેનલ્સ  અને છાપાઓ ભરીને ગાંધીને યાદ કરાશે. આ વખતે સાથે સાથે અન્નાજીને રજૂ કરાશે. કારણ કે અન્નાજીનો પરચો તાજો જ છે.

વળી અન્નાજીએ પોતે આડકતરી રીતે પણ ચૂંટણીઓ પર પ્રભાવ પાડશે તેનો સંકેત આપી દીધો છે.

વળી એ પણ સ્વાભાવિક જ ગણાશે કે: ભ્રષ્ટાચાર હટાવવા માટે સરકાર હટાવવી જરૂરી છે. વહેલી નહિ તો એની મુદ્દત પૂરી થાય ત્યારે. કારણ કે , પ્રજાને વર્તમાન પરિસ્થિતિ અગર ઠીક ન લાગતી હોય તો તે માટે સહુથી પ્રથમ જવાબદારી સરકારની જ ગણાશે.

.. ને જ્યારે સરકાર હટાવવાની વાત આવશે ત્યારે અન્ય વાતો ગૌણ ગણાશે. પછી તો એક જ વાત કે: જો સરકાર નિકમ્મી હૈ વો સરકાર બદલની હૈ!

આપણે  ઈચ્છીએ કે:જે બદલાવું જરૂરી હોય તે ભલે બદલાય. છેવટે તો આ પરીસ્થિતી બદલાવી જોઈએ.

આ એટલે કઈ પરિસ્થિતિ?

એ જ કે જેની સામે મને,તમને અને મોટાભાગની પ્રજાને ફરિયાદ છે.

ડગલે ને પગલે અન્યાય, શોષણ અને આરાજકતા.

આશા રાખીએ. આશા અમર છે. બાપુ હાજરાહજૂર છે!

Gandhiji

Poster by Pietyz DSILVA

Famous Annaji.http://www.allvoices.com/contributed-news/10098788/image/86206990-famous-annaji

સો સરકાર કી … એક અન્ના કી…

મિત્રો, થોડા દિવસોથી આરામ પર હતો. બ્લોગ-લેખન પણ બંધ રાખ્યું હતું.વિચાર તો હતો કે, રક્ષાબંધનના  શુભ પર્વ પર એક નટખટ ભાઈ અને તેની મોટી બહેનના વહાલની વાર્તા મૂકીને ફરીથી બ્લોગ સફર શરૂ કરું. પણ વાર્તા પૂરી ટાઈપ થઈ શકી નહી. આમ તો ટાઈપ મારો વિષય નથી.  આ તો બ્લોગલેખન કરવું હોય તો  ટાઈપથી વેર રાખવું કેમનું  પોસાય? બાવા બને હૈ તો હિન્દી બોલના પડેગા.. જેવી વાત છે.

એ દરમ્યાન .. જુસ્સો, આક્રોશ, ફરિયાદો , આશા, વિશ્વાસ… ઉથલપાથલ… વગેરેથી છલકાતાં દૃશ્યો જોઈને એમ થાય છે કે: ખરેખર વાસ્તવિકતા કલ્પનાથી પણ ચઢિયાતી હોય છે.

માત્ર  એક જ દિવસમાં સમગ્ર સરકાર બાઘી પૂરવાર થઈ ગઈ!  અન્નાજીની મક્કમતાની ઓળખાણ જેટલી જનતાને હતી એટલી સરકારને નહોતી? સોનિયાજી જેમ ગુજરાતની પ્રજાની નાડ પારખવામાં ભૂલ ખાઈ ગયાં હતાં તેમ આ વખતે  દેશની પ્રજાની નાડ પારખવામાં ભૂલ ખાઈ ગયાં? રાહુલ ગાંધીએ તો ઘણું ભ્રમણ કર્યું હતું!એ કામ ન લાગ્યું? મનમોહનજીએ તો પહેલેથી  પરિક્ષામાં ડ્રોપ લેતા હોય તેમ કહી દીધું છે કે: અમારી પાસે જાદુઈ છડી નથી.

બેફામ વિધાનો કરનારા પ્રધાનો પર રસોઈ બગાડવાનો દોષ ન આવે તો જ નવાઈ!

સહુથી મહત્વની છે  અન્નાજીની એ સલાહ: હિંસા નહી કરની હૈ… રાષ્ટ્રીય સંપત્તિ કો હાનિ નહીં પહુંચાના… કિસી વ્યક્તિ કો હાનિ નહીં પહુંચાના… ચારથી પાંચ  મિનિટનું વક્તવ્ય કેટલી ઉર્જા પ્રગટાવી શકે છે એ જોઈને ભલભલા દંગ થઈ ગયાં હશે!

બાકી… જન સમર્થન.. લોકપ્રિયતા .. એ સિંહની સવારી બરાબર છે. સંયમ ન જળવાય તો આડું વેતારાતાં વાર ન લાગે! ઘણાં લોકો માટે આ ઘટનાઓ પોતપોતાની રોટી શેકવા માટે તૈયાર ચૂલા જેવી હોઈ શકે.

અત્યાર સુધીના બનાવો તો અન્નાજીની નિષ્ઠા અને મક્કમતાનો પરિચય આપે છે.

જેલમાં જતી વખતે એમના ચહેરા પરની આત્મવિશ્વાસથી  છલકાતું  સ્મિત ઘણું ઘણું કહેતું હતું.

બીમારીને સ્વીકારી લેનાર વ્યક્તિ જો એમ વિચારે કે: હવે આનો કોઈ ઈલાજ નથી. કોઈ આશા રાખ્યા વગર .. કોઈ સપનાં જોયા  વગર આમ જ પથારીમાં પડી રહેવાનું છે ને મરવાનું  છે. તો કોઈ ઈલાજ કામ ન પણ લાગે!

ભ્રષ્ટાચારને આપણે કેવી બીમારી ગણી શકીએ?

આજે નાનાંમોટાં સહુ એકાએક રસ્તા પર આવી ગયાં હોય એમ ભલે લાગે પણ એ માટેની એમની તૈયારી તો હતી જ! જરૂર હતી કે , કોઈ ભરોસાપાત્રનું  આહવાન  થાય.

જે યુવાની મોબાઈલ, બાઈક કે ફેશનના વળગણથી સાચાખોટા ઠપકાઓ સાંભળતી હતી એ જ યુવાનીને આજે ઠપકો આપવા જેવું કેમ નથી લાગતું?કારણ કે, એ જ યુવાની આજે પોતાનો આગવો રંગ બતાવી રહી છે.

એમના હાથમાં રહેલાં બેનર્સ પરનાં લખાણોને ક્યાં સુધી અવગણી શકાશે?

ને એમની અંદરની આગને ઉછીની લીધેલી આગ માનનારાઓ હજી પણ પોતાની ભૂલ સુધારી શકે છે.

એ માટે ચોઘડિયું જોવાની જરૂર નથી.

એક હોટલ, એક લેખક ને એક યુવાન!

[મિત્રો, આજે એક વાર્તા રજૂ કરું છું.  આ વાર્તા ગુજરાતી ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં ૩૧ માર્ચ ૧૯૯૧ ,રવિવારના રોજ પ્રગટ થઇ હતી. વીસ વર્ષો પહેલાની  આ વાર્તા કોઇપણ પ્રકારના ફેરફાર વગર રજૂ કરું છું. ]

                                                                                          અપેક્ષા    - યશવંત ઠક્કર 

જે હોટેલમાં તેઓ બધા લેખકો અને કવિઓ એકઠા થતા હતા તે હોટેલની બહાર સનતકુમારઊભા ઊભા બીજા મિત્રોની રાહ જોઈ રહ્યા હતા. તેમનો એકપણ મિત્ર આજે હોટેલ તરફ ફરક્યો નહોતો. આવું થાય ત્યારે સનતકુમાર અકળાઈ જતા. અકળાયેલા અને ધૂંધવાયેલા સનતકુમારે ત્યાંથી જવા માટે થોડાંક કદમ ભર્યાં  હશે ત્યાં તો એક અજાણ્યા યુવાને તેમની પાસે આવીને સીધો જ સવાલ કર્યો કે: “તમે જ લેખક સનતકુમાર છો કે?”

સનતકુમારને ઘણાં લોકોએ અહોભાવથી આવો સવાલ કર્યો હતો. પરંતુ આ યુવાને જે રીતે સવાલ કર્યો હતો એ રીતે આ પહેલાં કદી કોઈએ કર્યો નહોતો. આ યુવાન જાણે કે સનતકુમારની ઝડતી લઈ રહ્યો હતો.

“જી થોડુંઘણું લખું છું.” સનતકુમારે નમ્રતાથી કહ્યું.

“મેં સાંભળ્યું છે કે આ હોટેલમાં ઘણાબધા સાહિત્યકારો ભેગા થાય છે.”

“સાચી વાત છે. પણ આજે મારા સિવાય બીજું કોઈ આવ્યું નથી. હું એ લોકોની રાહ જોઈને જ જઈ રહ્યો છું.”

“મારે તમારી સાથે થોડીક વાત કરવી છે. હું માનું છું કે તમારી પાસે તમારા વાચક માટે એટલો સમય તો હશે જ.”

“હા હા ચોક્કસ.” સનતકુમારે જવાબ તો આપ્યો. પણ તેઓ સમજી ચૂક્યા હતા કે આજે રોજ કરતાં જુદું જ બની રહ્યું હતું.

તેઓ હોટેલમાં જઈને એ ખૂણામાં બેઠા જે ખૂણામાં મોટા ભાગે સનતકુમાર અને તેમના મિત્રો બેસતા હતા. હોટેલ એટલી મોટી અને સામાન્ય હતી કે નવરા લોકો ચા-કોફી પીધાં પછી પણ લાંબો સમય સુધી બેસી શકતા. સનતકુમાર અને તેમના મિત્રોએ વાતોવાતોમાં ઘણી કવિતાઓનું સર્જન આ હોટેલમાં જ કર્યું હતું.

હોટેલનો છોકરો ટેબલ પર પાણીના ગ્લાસ મૂકીને તેમ જ બે ચાનો ઓર્ડર લઈને ગયો કે તુરત જ યુવાને વાતની શરૂઆત કરી: “થોડા દિવસો પહેલાં આપણા આ શહેરમાં ફિલ્મોત્સવ ઉજવાઈ ગયો. તેના એક કાર્યક્રમમાં એક ફિલ્મી હીરો કે જે આડુંઅવળું બોલ્યો તે વિષે ઘંણા બુદ્ધિજીવીઓએ ઉહાપોહ કર્યો છે. લેખકો અને વાચકોએ પણ એ વિષે છાપાઓમાં લખ્યું છે. તમારું પોતાનું એ બનાવ વિષે તેમ જ એ બનાવના પ્રત્યાઘાતો વિષે શું માનવું છે?

“એ માણસે મોટી  ભૂલ કરી છે. ” સનતકુમારે કહ્યું. “એ માણસ  તમામ ગુજરાતીઓને ગાળ દઈ ગયો  છે.  મેં મારી કોલમમાં તેની સખત શબ્દોમાં ઝાટકણી કાઢી છે. ને ભવિષ્યમાં તે  ગુજરાતમાં ક્યાંય બોલવા ઊભો થાય તો તેને તુરત બેસાડી દેવાની હાકલ કરી છે. એવું થશે ત્યારે જ આવા લોકો સીધા થશે. ..”

યુવાન ચૂપચાપ સનતકુમારની સામે જોઈ રહ્યો. સનતકુમાર તેની નજર જીરવી ન શકતા અટકી ગયા. પહેલાં  તો તેમને લાગ્યું હતું કે યુવાને સાવ સાદી વાત પૂછી નાખી છે તેથી આવેગમાં બોલવા લાગ્યા હતા. તેઓ પોતાના લેખનો ઘણોખરો ભાગ બોલી જાત! પણ યુવાનની નજર … સનતકુમારને લાગ્યું કે યુવાન તેમના ચહેરાની અંદર ઊંડે ઊંડે જોઈ રહ્યો છે.

“એ હીરો જે કાર્યક્રમમાં બોલ્યો તેમાં તમે હાજર હતાકે? ” યુવાને પૂછ્યું.

“નાં. હું નહોતો. ” સનતકુમારે કહ્યું.

“તમે ત્યાં એ વખતે હાજર હોત તો શું કરત?”

“હું. ”  કહીને સનતકુમાર અટક્યા. અચકાયા અને થોથવાયા.  છેવટે તેમણે વાક્ય પૂરું કર્યું. “પણ હું ત્યાં હતો જ નહિ ને.”

“મારું કહેવું એમ છે કે તમે ત્યાં હાજર હોત તો શું કરત?”

છોકરાએ આવીને ટેબલ પર ચાના કપ મુક્યા. સનતકુમારે યુવાનના સવાલનો શું જવાબ આપવો એ વિષે વિચાર કરતા કરતા ચા પીવા લાગ્યા. યુવાન પણ ચૂપચાપચા પીવા લાગ્યો. સનતકુમાને થયું કે આ વાતનો ગમે તે રીતે અંત લાવીને પોતે ઉભા થઈને જતા રહે તો જ યુવાનથી છૂટી શકાશે.

ચા પીવાઈ ગઈ કે તુરત યુવાને કહ્યું, “તમે મારા સવાલનો જવાબ નથી આપ્યો સાહેબ.”

“હું શું કરી શકું? જ્યાં આટલા બધા માણસોની હાજરી હોય ત્યાં શું થઇ શકે? ” સનતકુમારે કહ્યું.

“કેમ? તમે જો માનતા હો કે એ માણસ ખરાબ બોલી રહ્યો છે તો બધાંની વચ્ચે ઊભા થઈને તેને અટકાવી ન શકો? એક બુદ્ધિજીવી તરીકે તેને વિનંતી ન કરી શકો કે તે બરાબર બોલે?  છતાં પણ તે ન માને તો ઊંચાઅવાજે તેને બકવાસ બંધ કરવાનું ન કહી શકો? અરે.. તમારી કોલમમાં હાકલ કરો છો તેવી હાકલ સાંભળનારાઓને ન કરી શકો કે- આ માણસને બોલતો અટકાવો. તે આપણા ગૌરવ ઉપર ઘા કરી રહ્યો છે. આમાંથી કશું ન કરી શકો? ” યુવાને એકધારા પ્રશ્નોનો મારો ચલાવ્યો.

“હું શું કહી શકું? હું ત્યાં  હતો જ નહિ ને? હું હોત તો શું કરત એ વિષે હું કહી ન શકું. માફ કરજો. ડંફાસો મારવાની મને આદત નથી.”

“અચ્છા.” યુવાને કહ્યું. “તમે તમારી કોલમમાં હાકલ કરી છે કે એ માણસ ફરી ગુજરાતમાં ક્યારેય આવે ને બોલવા ઊભો  થાય તો તેને બેસાડી દેવો જોઈએ. ધારો કે તે ફરીથી ગુજરાતમાં આવે તો તેને બોલતો અટકાવવા માટે તમે પહોચી જશો? જો તમે પ્રમાણિકતાથી માનતા હો કે એવું થવું જ જોઈએ તો સહુ પ્રથમ  શરૂઆત તમારે ન કરવી જોઈએ?”

સનતકુમારે થોડી વાર પછી જવાબ આપ્યો. “જુઓ મિત્ર, મારી ફરજ લખવાની છે. જે અજુગતું લાગે તે લોકોની નજરમાં લાવવાનો મારો ધર્મ છે. તમે કહો છો તેવા જોખમો ખેડવાનું કાર્ય  મારું નથી. “

“કેમ નહિ?” યુંવાને ટેબલ  પર હાથ પછાડ્યો.  ”આ વાત જવા દો. બીજી કેટલીય એવી બાબતો છે જેના વિષે તમે ખૂબ ખૂબ લખો છો. લોકોને દોરવણી આપો છો. ચેતવણી આપો છો. સૂચનો આપો છો. અમુક બાબતોનો વિરોધ કરવાનું કહો છો પણ તમે પોતે સદેહે તેનો વિરોધ કરવાનું જોખમ ખેડતા નથી? લોકો પાસે જ જોખમ ખેડાવાની આશા શા માટે રાખો છો? “

“લખવું એ પણ ઓછું જોખમ નથી.”

“હું સહમત થાઉં છું.  પરંતુ તમને નથી લાગતું કે એનાથી વધારે જોખમ ખેડ્યા વગર ચાલે તેમ નથી.  સમાજમાં બનતો બનાવ એ લેખકો માટે માત્ર મસાલો જ બની રહે? કોઈ લેખક કોલમમાં તેનો ઉલ્લેખ કરે. કોઈ લેખક હાસ્યકથા લખીને છૂટી જાય. કોઈ લેખક નવલકથા લખવાની મથામણમાં પડે.  પછી બધું ભૂલાઈ જાય. ફરીથી નવો બનાવ બને . ફરીથી બધાં એના પર તૂટી પડે. ને છતાય એવા બનાવો બનતા જ રહે.”

“એ તો બનવાના જ..”

“જો તમે માનો છો કે એવા બનાવો  બનવાના જ તો પછી શા માટે એના વિષે લખ લખ  કરો છો? તમારા પેટ માટે?”

“મિત્ર, તમે વધારે પડતું બોલી રહ્યા છો. અમને લખવાના કેટલા પૈસા મળે છે તે જાણશો તો તમને અમારી દયા આવશે. “

“દયા તો આવે છે. લેખક મહાશય. એક ઘટનાને તમે કાગડા કૂતરાંની માફક ચૂંથો છો પરંતુ એ અશુભ ઘટના બનતી અટકે તે માટે તમે કોઈ જોખમ ઉઠાવવા તૈયાર નથી. તમારી નજરમાં જે જે અયોગ્ય બનાવો બને છે તેની મેં યાદી બનાવી છે. ચાલો મારી સાથે. આપણે એવા બનાવો બનતા અટકાવીએ. “

“કેવા બનાવોની વાત કરો છો?”

“ગણપતિ ઉત્સવ માટે દાદાગીરીથી પૈસા ઉઘરાવાતા હોય તો તેને આપણે અટકાવવા છે. કોઈએ માઈકનો અવાજ  વધારે રાખ્યો હોય તો તેને અવાજ ધીમો રાખવા માટે સમજાવવો છે.  કોઈ પ્રધાન જાહેરમાં ખોટા વચનો આપતો હોય તો તેને ખૂલ્લો પાડવો છે. આત્મવિલોપનના માર્ગે  જતા કિશોરને  અટકાવવો  છે. મોતની પોટલીઓ પીનારાઓને રોકવા છે. જાહેર કે  ખાનગી  મિલકતોની તોડફોડ થતી હોય ત્યાં જઈને તમારા પોતાના જ લેખોનું મોટેથી વાંચન કરવું છે. તમે પોતે જ તમારા વિચારો ભૂલ્યા નહી હો.”

સનતકુમાર ખોખલું હસ્યા ને બોલ્યા, “દોસ્ત,તમે મારી પાસેથી બહુ મોટી અપેક્ષા રાખો છો.”

“તમે પણ લોકો પાસેથી ઓછી અપેક્ષા નથી રાખતા. તમારી માન્યતા પ્રમાણે ન ચાલનારા લોકોને તમે કાયર, મૂર્ખા, લુચ્ચા કે અપ્રમાણિક ગણો છો. તમારી કલમ મારફતે ચાબખા વિંઝો છો. પણ ઘરમાં બેસીને લખવાથી વધારે જોખમ ઉઠાવવાની તમારી તૈયારી નથી. “

“તમે કહો છો તેવા કામ તો કોઈ રાજકીય વ્યક્તિ કરી શકે. અમારાથી ન થઇ શકે.”

“બધાં આવું જ કહે છે. ઓળઘોળ જાય બધું રાજકારણ પર. પછી તગડા રાજકારણ વિષે પણ તમે પાનાં ભરી ભરીને લખી શકો. એવા રાજકારણને દૂર કરવા માટે સુચનો, માર્ગદર્શન કે હાકલા-પડકારા કરી શકો… ખરેખર તમે સમાજની રાતદિવસ સેવા કરો છો….”

સનતકુમાર ચૂપ થઇ ગયા. તેઓ વિચારોમાં ડૂબી ગયા.

યુવાન ઊભો થયો. “માફ કરજો. મેં તમારો ઘણો સમય બગાડ્યો. આજની આ સાંજનો કોઈ વાર્તામાં ઉપયોગ કરવાથી વિશેષ કામ તમે નહિ કરી શકો. એવી મને ખાતરી છે. “

એટલું બોલી તે ત્યાંથી ચાલ્યો ગયો. જતા જતા કાઉન્ટર પર પૈસા ચૂકવતો ગયો.

સનતકુમાર જવા માટે ઊભાથયા ને ફરીથી બેસી ગયા. તેમણે એક ચાનો ફરીથી ઓર્ડર આપ્યો અને યુવાન સાથેની મુલાકાતનો ઉપયોગ વાર્તા બનાવવામાં કરવો કે નહિ તેની ગડમથલમાં ડૂબી ગયા.

[લગભગ વીસ વર્ષો પહેલાની આ વાર્તા છે. આપ સહુને ખ્યાલ આવશે જ કે - ઘણું ઘણું બદલાયું છે છતાંઘણું ઘણું એમનું એમ જ રહ્યું છે.]

શહેનશાહ અકબર: મોટું પૅકિજ! નાનું પૅકિજ!

મિત્રો, જૂની ફિલ્મ મોગલે આઝમ તો જોઈ  જ હશે. તેમાં અકબરનું પાત્ર પૃથ્વીરાજ કપૂરે ભજવ્યું હતું. આ ફિલ્મનો અકબર લોકોના દિલોદિમાગમાં એવો તો ઘૂસી ગયો કે બસ! અકબર હોય તો  ખરેખર આવો જ હોય!  આનાથી જુદો અકબર હોઈ જ ન શકે. 

અર્ધો સૈકો જતો રહ્યો! પણ આપણી નજર સામે અકબર તો એવોને એવો જ રહ્યો.  આપણે  નિશાળમાં યથાશક્તિ ઇતિહાસ પણ ભણ્યા હતા. એમાં પણ અકબરનું ચિત્ર આવતું હતું. પણ આ મોગલેઆઝમના અકબરે તો એ ઇતિહાસના અકબરને ભુલાવી દીધો. 

અકબર જે જાડિયો હોય.  જેનો અવાજ પહાડિયો હોય. જે રાડિયો હોય અને વાતવાતમાં  સલીમ .. સલીમની રાડો પાડતો હોય. જે હંમેશા તનાવમાં હોય કે  ત્રણ પેઢીની કમાણી આ ઇશ્કના રવાડે ચડેલો સલીમિયો ઉડાવી તો નહીં નાખેને? એ વખતે સલીમની મમ્મી એટલે કે જોધાબાઈ અકબરને ટાઢો પાડે એ દૃશ્ય આપણી નજર સામે એવું ને એવું જ તાજું છેને?  જાણે ફ્રીજમાં મૂકેલું હોય તેવું! અને હા આજે પણ મોટાભાગની મમ્મીઓને દીકરાના પપ્પાને  ટાઢો  પાડવાની  ફરજ બજાવવી જ પડે છે.  કેટલીક પરંપરાઓ  બદલાતી નથી! 

તો મિત્રો મોગલે આઝમમાં  શહેનશાહ અકબર મોટા પૅકિજમાં હતો. 

ને હમણાં ત્રેણક વર્ષો પહેલાં એ જ શહેનશાહ અકબરનું નાનું પૅકિજ આવ્યું.  

આજના જાણીતા ફિલ્મ સર્જક આસુતોષ ગોવારીકરે  એમની ફિલ્મ જોધાઅકબરમાં એ જ શહેનશાહ અકબરને  ફરીથી રજૂ કર્યો.  આ ફિલ્મમાં અકબરનું પાત્ર હૃતિક રોશને ભજવ્યું હતું. જેમાં યુવાન અકબરને રજૂ કરવામાં આવ્યો હતો. મતલબ કે આ  ફિલ્મમાં અકબર પ્રમાણમાં દુબળો હતો. લબર મૂછિયો હતો.  શોખીન પણ હતો. એને એકલી મારામારીમાં જ રસ નહોતો. ઉમરની માંગ પ્રમાણે એને સોદર્ય, સાહિત્ય, કવિતા વગેરેમાં રસ પડતો હતો. એ વાતવાતમાં બૂમાબૂમ નહોતો કરતો. કારણ કે હજુ  છોકરા નહોતા થયા. એટલે બૂમો કોણ પડાવે? મતલબ કે ટેન્શન નહોતુ.  મોગલે આઝમની જોધાબાઈ કરતાં આ ફિલ્મની જોધાબાઈ પણ સ્વાભાવિક રીતે દુબળીપાતળી અને નાજુક હતી! ખૂબ રૂપાળી હતી. એટલે અકબરને રીઝવવા માટે એણે કાલાવાલા નહોતા કરવા પડતા. અકબર જ ડાહ્યોડમરો થઈને એની ત માની લેતો હતો. 

મિત્રો , ઘણાં દર્શકોને  માનવામાં જ ન આવ્યું કે અકબર જેવો અકબર સાવ આવો હોય! બેંકના એજંટ જેવો! જે રાડારાડ ન કરે! પોતાની વાત શાંતિથી સમજાવે! વળી વહુઘેલો! જે અવાજ ન કરી શકે! જે ત્રાડ ન પાડી શકે.  

ક્યાં મોગલે આઝમનો એ લડવૈયો અને  ક્યાં જોધાઅકબરનો આ લવરિયો!ના ચાલે… ના ચાલે… 

આસુતોષભાઈએ સમજાવ્યું કે- ભાઈ… આ જુવાન અકબરની વાત છે.  એને એ રીતે જુઓ.  જોધાબાઈને પણ એ રીતે જુઓ.  એ બંને જુવાનીમાં પણ જાડિયાપાડિયાં હશે એમ માની ન લો. 

લોકોને વાત ગળે ઉતરી હશે એટલે ફિલ્મ ચાલી! 

આસુતોષભાઈની વાત  સમજવી અઘરી નથી.  

ઉદાહરણ નંબર એક:સંજયદત્ત એની પ્રથમ ફિલ્મ રોકીમાં કેવો બબલો લાગતો હતો ? ભલે એને મારામારી કરતો બતાવ્યો પણ આપણને માનવામાં નહોતું આવતું કે આ ઊગીને ઊભું થયેલું બચ્ચું આવા સટ્ટાકા બોલાવી શકે! … ને પછી જેમ જેમ એ મોટો થતો ગયો  તેમ તેમ કેવો જામતો ગયો?  જામ્યો તો એવો જામ્યો કે – હવે એના હાથમાં સાંઠિકડું હોય તોય આપણને એમ લાગે  કે એના હાથમાં  પિસ્તોલ  છે!

ઉદાહરણ નંબર બે: મૈને પ્યાર કિયામાં સલમાનખાન. એ નાનો હતો ત્યારે કેવો બધી બાબતોમાં શીખાઉ લાગતો હતો?  અને હવેનો દબંગી સલમાન? 

જેવી રીતે સાધનાબાઈ, જયાબાઈ, ફરિદાબાઈ, રેણુકાબાઈ, પૂનમબાઈ, રતિબાઈ વગેરે વગેરેનાં દીદાર તેમની ઉમર અને અનુભવ વધવાની સાથે સાથે ફરી ગયાં તેવી રીતે જોધાબાઈનાં દીદાર પણ સમયની સાથે બદલાયાં હોયને? જોધાબાઈ પણ ક્યારેક ખળખળતું ઝરણું હતાં એમ માનવું જ રહ્યું. દરિયો તો પછી થયાં.

ગરબડ એના લીધે થઈ કે પહેલાં  ફિલ્મ મુગલે આઝમ આવી ને વર્ષો પછી જોધા અકબર આવી.   

સો વાતની એક વાત! સમય અને ચરબી પોતપોતાનું કામ કરે છે. 

ઇતિહાસના  પાત્રો ખરેખર કેવાં હતાં તેના નક્કર પુરાવા આપણી પાસે ન હોઈ શકે. કારણ કે -એમના ડ્રાઈવિંગ લાયસન્સ, પાનકાર્ડ , ઇલેકશન કાર્ડ, પાસપોર્ટ  વગેરે આપણને ઉપલબ્ધ નથી.

કોઈ ચિત્રકારે જે દોર્યું તે વધાવવું રહ્યું. અકબર, રાણા પ્રતાપ,  શિવાજી, ટીપુ સુલતાન, નરસિંહ મહેતા વગેરે તસવીરોમાં દેખાય છે તેવા ખરેખર ન પણ હોય.

એમના સ્વભાવ કે કાર્યો બાબત  પણ મતભેદ હોઈ શકે!  

આપણે  ગમતું  માની લેવું ને માણી લેવું!

જેમ કે – બ્લોગમિત્ર ભૂપેન્દ્રસિંહનું   કહેવું એમ છે કે – નરસિંહ મહેતા કમાતા નહોતા. 

અમારું કહેવું એમ છે કે- આપણે ક્યાં એના ઘરમાં દાણા નાખવાં જાવું પડ્યુંતું! 

આપણે તો… જાગને જાદવાથી કામ છેને! 

આવડે એવું ગાવ અને જલસા કરો.  

હજી તો ગાયને ઘાસ નાંખ્યું ત્યા તો દહીં ખાવાનો હરખ

ફિલ્મ “હેરાફેરી”માં આ મતલબનો સંવાદ છે કે : અભી તો ગાય કો ચારા ડાલા ઔર દહીં  ખાનેકી સોચ રહે હો?

ભ્રષ્ટાચાર નાબૂદીની લડતમાં આવું જ કશું થઈ ગયું છે.  અણ્ણાજીએ હજી તો લોકપાલ બિલ લાવવા માટે સરકાર  પાસેથી વચન લીધું ત્યાં તો આપણે વિજયની ઉજવણી માટે ફટાકડા ફોડી નાંખ્યા.  બરાબર છે કે જે સફળતા મળી તે મહત્વની  છે.  ઉજવણી પણ થાય એની ના નહીં પરંતુ ફટાકડા ફોડ્યા પછી આપણે કશું કરવાનું છે કે પછી બધું જ અણ્ણાજીએ કરવાનું છે?

વાત નિરાશાની નથી કરવી પણ ભ્રષ્ટાચાર સામેની લડત સહેલી નથી એ વાત જરૂર કરવી છે.  કારણ કે ભ્રષ્ટાચાર  નામનો શત્રુ એ શેરીનું કૂતરું નથી કે એને  હડ્ય  હડ્ય કરીને હાંકી કાઢીએ!. આ શત્રુને હાંકી કાઢવો એ કામ , અણ્ણાજીની સફળતા માટે યજ્ઞ કરવા કરતાં અઘરું  છે.  ભ્રષ્ટાચાર નાબૂદીનાં સૂત્રો પોકારવા કરતાં અઘરું છે.  વિજયની ઉજવણી કરવા કરતાં અઘરું   છે.

કારણ કે આ શત્રુ હંમેશા સામે નથી હોતો. ક્યારેક આપણી વચ્ચે જ હોય છે તો ક્યારેક આપણી અંદર જ હોય છે!

આકરી વાત લાગે તોય આ હકીકત  છે.  નેતાઓને સુધારવાની સાથે સાથે આપણે પણ સુધરવાનું છે. ને એજ સાલું અઘરું કામ  છે.

અને  હવે જોજો વાત વાતમાં અણ્ણાજીને વચ્ચે લાવવામાં  આવશે.  રાજકારણીઓ પણ લાવશે અને પ્રજા પણ લાવશે.

પચાસ પચાસ વર્ષો સુધી ગાંધી નામે હુકમનું પાનું હતું. હવે  અણ્ણાજી નામે આ નવું પાનું! વાત વાતમાં ઉતરી નાખવાનું. એટલે એની કિમત ન રહે!