Tag Archive | નેતા

રાષ્ટ્રીય બાબો બોર્ડની પરીક્ષામા નાપાસ થયો!

મિત્રો, 

આવો, હોળી-ધૂળેટીની તૈયારી કરીએ.  

આજનાં તાજાં ખબર મુજબ બોર્ડની પરીક્ષાનુ  પરિણામ આવવા લાગ્યું છે. જેમાં રાષ્ટ્રીય બાબો નાપાસ  થયો છે. 

બાબલાની નિષ્ફળતાનું કારણ કયું હોઈ શકે? 

[૧] વધું પડતો આત્મવિશ્વાસ?

[૨] ખોટા શિક્ષકોનુ ટ્યુશન?

[૩] અનિયમિત હાજરી?  

[૪] કોર્સ બહારના પ્રશ્નો? 

[૫] IMP કામ ન લાગ્યું? 

[૬] પેપર ફૂટ્યાં નહિ? 

[૭] ખરાબ  અક્ષરો?

[૭] પાયો કાચો? 

[૮] પૂરું ભણ્યા વગર સીધી જ બોર્ડની પરીક્ષા? 

[૯] પરિવારના વધું પડતા લાડકોડ? 

[૧૦] આડેધડ તૈયારી?

[૧૧] કડક ચેકિંગ? 

[૧૨] પરીક્ષા દરમ્યાન વાયડો ખોરાક? 

[૧૩] અન્ના બેન્ડનો અવાજ?

[૧૪]  નાપાસ થવાય તો દોષનો ટોપલો બીજાં પર જવાનો હતો એટલે?  

અન્ય કારણો સ્વીકાર્ય છે. 

વારા પછી વારો અને મે પછી ગારો!

[તસવીર: http://www.allinfodir.com/articles/the-future-of-the-internet-and-its-impact-over-society-and-human-beings.html ]

મિત્રો,

ઈન્ટરનેટના માધ્યમથી અનેક ફાયદાઓ થયા. તેમાનો એક ફાયદો એ પણ થયો કે લોકોના મગજમાં ઉમરકેદની સજા ભોગવતા કેદીઓ જેવાં મંતવ્યોને ઘડીના છઠ્ઠા ભાગમાં મગજની બહાર નીકળવાની આઝાદી મળી. આજે વિવિધ વેબસાઈટ પર વિવિધ પ્રકારનાં મંતવ્યો મુક્તપણે વિહારી શકે છે. કોઈ મર્યાદાથી ઢંકાયેલાં તો કોઈ ઉઘાડાં કે અર્ધ ઉઘાડાં.

આ મંતવ્યોને ખૂબ ખૂબ આઝાદી છે. એમને ભાષાની શાલ ઓઢવી ફરજિયાત નથી. એમની જોડણીની ટોપી ધારણ કરવી ફરજિયાત નથી. એ મંતવ્યો જે લોકોના મગજમાંથી પ્રગટ થાય છે તે લોકો લેખક કે વિદ્વાન હોય તે જરૂરી નથી. માણસમાત્ર મંતવ્યો આપવાને પાત્ર! આ વાત ઈન્ટરનેટનાં માધ્યમ થકી શક્ય બની છે. આ માધ્યમ થકી જ એક સામાન્ય આદમી મોટા મોટા રાજકીય નેતાઓના દિમાગને વાટ લગાડી શકે છે. પોતાની જાત, જાડી ચામડીની હોવા બદલ  ગર્વથી ફાટફાટ થતાં હોય એવા નેતાઓ પણ આમાંથી બાકાત રહેતા નથી.

હજી હમણાંની જ વાત છે કે ,સરકારના એક ધુરંધર નેતા દિગ્વિજયસિંહ Twitter દ્વારા અન્ના હજારે અને તેમની મંડળી  પર  ઘા મારીને આનંદ પામતા હતાં. પોતે વિરોધીઓની દુખતી નસ દબાવી શકે છે એ વાતનો, લુચ્ચું લુચ્ચું હસીને આનંદ પણ વ્યકત કરી શકતાં હતા. પોતે જાડી ચામડીના છે એ વાત પણ ગર્વથી કહેતા હતા. તેઓશ્રી  જે પરાક્રમો કરી શકે છે તેમાં તેમને મદદરૂપ કોણ થયું? ઈન્ટરનેટ.

હવે એ જ ઈન્ટરનેટ થકી એમની તેમ જ અન્ય નેતાઓની દુખતી નસો દબાઈ ગઈ છે ત્યારે મર્યાદાની ડાહી ડાહી વાતો કરે છે.  પોતે પ્રજાને મર્યાદાના ઉત્તમ ઉદાહરણો પૂરાં પાડ્યાં હોય અને એવી વાત કરે તો લોકોને એમની વાત માનવા યોગ્ય લાગે પણ ખરી. વાતાવરણ એવું છે કે, કપિલ સિબ્બલ જેવાં નેતાઓ સો ટકા સાચી વાત કરે તો પણ એમની વાત પર ઘણાને ભરોસો પડે તેમ નથી. લોકોને એવું લાગે છે કે: એમના પગ નીચે રેલો આવ્યો છે એટલે એ નેતાઓએ આ સામુહિક  નૃત્યો શરૂ કર્યાં છે.

નેતાઓ જ નહિ ઈન્ટરનેટના માધ્યમ દ્વારા પોતાનાં મંતવ્યો વ્યકત કરનાર સહુએ, “વારા પછી વારો અને મે પછી ગારો”  એ કાઠીયાવાડી કહેવત યાદ રાખવાં જેવી છે. નેતાઓ ભલે ગમે તે કરે પરંતુ આપણે જરૂર વિવેક રાખી શકીએ છીએ. ઈન્ટરનેટ પર ભલે કોઈ માપદંડ ન હોય પણ આપણે આપણો માપદંડ નક્કી કરી શકીએ છીએ. 

ગુજરાતનો વાઈબ્રાન્ટ ફટાકડો

મિત્રો, 

દેવદિવાળી પણ ગઈ. પરંતુ આપણી પાસે રાજકીય ફટાકડાઓની વાતો ખૂટે તેમાં નથી. કારણ કે રાજકીય ફટાકડાઓ બારેમાસ ફૂટતા હોય છે. આ પહેલાં આપણે આવાં  ત્રણ ફટાકડાની  વાતો કરી. જેમ કે:

 (૧) અપણા નેતાઓમાં ફટાકડાનાં દર્શન કરો.  જેમાં મનમોહન સિંહ નામે લવિંગિયાની વાત કરી. 

(૨) શ્રી લાલકૃષ્ણ અડવાણી-ભાજપની ભો ચકરડી 

(૩) રાહુલ ગાંધી- વગર ફૂટ્યે વખણાતો કોંગી ટોટો 

આજે આપણે ગુજરાતના વાઈબ્રાન્ટ ફટાકડાની  વાત કરવાની છે.  ચતુર નરનારીઓ સમજી જ ગયાં હશે કે: આ ફટાકડો બીજો કોઈ નહિ પણ પાંચ પાંચ કરોડ ગુજરાતીઓના નામે પોરસાતા શ્રી નરેન્દ્ર મોદી.

આ  ફટાકડો લગભગ છેલ્લા દસ વર્ષોથી સતત પોતાની ફરજો બજાવી રહ્યો છે. વિવિધ  ફટાકડાની મુખ્ય ફરજો તો આપ સહુ જાણતાં જ હશો. જેવી કે:

*ફૂટવું- સીધું કે આડું.

*રંગ બેરંગી તણખા વેરવા.- એવાં વેરવા કે જેને અડે તેણે બરાબર ચચળે.

*ધડાકા  કરવા- એવા  ધડાકા કે જે ધડાકા બાબત  અમુક સંસ્થાઓ સતત ચિંતા કરતી રહે.

*ઊડવું- એવી રીતે ઊંચે જવું  કે જોનારાં જોતાં જ રહી જાય.

*ફરવું- અમુક ફટાકડાની ફરજ માત્ર ફરવાની જ હોય!જેમ કે: ભો ચકરડી

*ઘૂસવું- કેટલાક ફટાકડા ફૂટવાની સાથે સાથે ગમે ત્યાં ઘૂસી પણ જાય. કેટલાક તો ફૂટે ઓછા ને ઘૂસે વધારે!

*રોશની વેરવી- એવી રોશની કે જેનાથી જોનારાંની આંખો અંજાઈ જાય.

*લાંબા થઈને અવનવા વળાંકો લેવા- સાપ!

ફટાકડાઓ આ સિવાયની પણ નાનીમોટી અનેક ફરજો બજાવતા હોય છે. સંજોવાશાત આમાંની એકપણ ફરજ ન બજાવી શકે તો છેવટે સૂ……… રસૂરિયું થવાની ફરજ તો બજાવતા જ હોય છે. 

આપણે  ગુજરાતના જે વાઈબ્રાન્ટ ફટાકડાની ફટાકડાની વાત કરી છીએ એ ફટાકડાની વિશેષતા એ છે કે: આ ફટાકડો ઉપર બતાવેલી ફરજોમાંથી સૂરસૂરિયું થવા સિવાયની તમામ ફરજો એકલો  બજાવી શકે છે! હા, ફૂટેય ખરો અને ઊડેય ખરો. આપણને એમ થાય કે:બસ, હવે પતી ગયું.  ત્યાં તો પાછો જમીન પર આવીને ગોળ ગોળ ફરવા લાગે. આપણને એમ થાય કે ફરતો ફરતો થાકશે! પણ ત્યાં તો દાડમની જેમ માંડે રોશની અને તણખા વેરવા! આ ફટાકડો ક્યારે કઈ ફરજ બજાવશે એનું કાઈ નક્કી નહિ! તમે જ કહો. આને શું કહેવાય? માત્ર ટોટો કહેવાય? માત્ર રોકેટ કહેવાય? માત્ર ચકરડી કહેવાય? માત્ર બોમ્બ કહેવાય? ના જ કહેવાય. એટલે જ એનું નામ પડ્યું છે: ગુજરાતનો વાઈબ્રાન્ટ ફટાકડો !

મિત્રો, ભલભલા વિદ્વાન અભ્યાસીઓનાં માથાં ફરી ગયાં છે પણ તેઓ નક્કી નથી કરી શકતાં કે:આવું કઈ રીતે બની શકે? કેટલાક  કહે છે કે: આ ફટાકડામાં તોફાનો કે રમખાણોમાં પેદા થતો હોય તેવો રોષ ભર્યો છે. આ ફટાકડો નકારાત્મક તત્વોથી ભર્યો છે. જો એને વહેલાસર કાબુમાં લેવામાં નહિ આવે તો અનર્થ થશે.

 તો કેટલાક કહે છે કે: આમાં જનતાનો વિશ્વાસ ભર્યો છે. પ્રેમ ભર્યો છે. આ ફટાકડામાં ભરપૂર સકારાત્મક ઉર્જા ભરી છે. માટે આટલું જોર કરી શકે છે. આ ફટાકડો વહેલી તકે રાષ્ટ્રીય ફટાકડા તરીકે જાહેર થવો જોઈએ.

વિરોધીઓ માટે તો આ ફટાકડો ઉકેલી ન શકાય તેવો કોયડો બની ચૂક્યો છે. કહેવાય છે કે આ ફટાકડાને હોલાવાવાના છૂપા તાલીમ કેન્દ્રો ચાલે છે! પરંતુ આજસુધી તો આ ફટાકડાને હોલવવાનો એકેય ઉપાય કારગત નીવડ્યો નથી. હા, એ હોલવાઈ જાય કે એનું સૂરસૂરિયું થઈ જાય એવાં સંજોગો ઘણી વખત ઊભા થાય છે. પણ ત્યાં તો આ ફટાકડો ઉલટાનો વધારે જોરથી ધડાકા કરવા લાગે છે.

એક વખત કેટલાક વિરોધીઓએ પોકાર કર્યો કે: સોનિયા માવડી તમે કઈક કરો. તો સોનિયાજીએ કાદવમાંથી મોતકા સોદાગર નામે એક જોરદાર ફટાકડો તૈયાર કર્યો અને ફેક્યો આ  વાઈબ્રાન્ટ ફટાકડા પર! બધાંને એમ હતું કે:ખલાસ! હવે વાઈબ્રાન્ટ ફટાકડો ગયો કામથી!

પણ બન્યું કઈક જુદું જ! વાઈબ્રાન્ટ ફટાકડો એવો તો બમણા જોરથી ફૂટ્યો કે સોનીયાજીના ફટાકડો ઊડીને પાછો આવ્યો સોનિયાજીની જ પાસે!  ને પછી ફૂટ્યો ! જેના પરિણામે તેમની સાડી કાદવ કાદવ થઈ ગઈ! ત્યારથી તેઓ આ ફટાકડાથી બને ત્યાં સુધી દૂર રહેવાનું પસંદ કરે છે. કહેવાય છે કે એમણે રાહુલને પણ ચેતવ્યો છે કે: દિકરા, દુનિયાભરના ફટાકડાને ચાળો કરજે પણ આ વાઈબ્રાન્ટ ફટાકડાથી સાચવજે!

માધ્યમો પણ મક્કી નથી કરી શકતાં કે આ ફટાકડાને વાગોવવો કે વાખાણવો?  તેથી તેઓ બંને કામો કરે છે! આ ફટાકડાની વાતો દૂર દૂર ફેલાતી ગઈ છે. મોટા મોટા માંધાતાઓ  આ ફટાકડાની લીલા જોવાં ગુજરાતમાં પધારે છે. છાશવારે સમાચાર આવે કે: ફલાણા મોટા માણસે આ ફટાકડાથી પ્રભાવિત થઈને એની પ્રશંસા કરી!

આ ફટાકડાની ચર્ચા દેશભરમાં થતાં થતાં વિદેશોમાં પણ થવા લાગી છે. અમેરિકા જેવાં અમેરિકાને ડર લાગ્યો હતો કે: જો આ ફટાકડાનો પ્રભાવ  અમેરિકા પર પડશે તો  અમેરિકાપણું ઝાંખું થઈ જશે. પણ  ત્યાંની ફટાકડાપ્રેમી જનતા આ ફટાકડાને ટીવી તેમ જ વિડીયો જેવાં માધ્યમો દ્વારા જોઈને આનંદ પામે છે.  જ્યારે ફટાકડા બનાવાવામાં અગ્રેસર એવાં ચીનને પણ આ ફટાકડામાં રસ પડ્યો છે. આ ફટાકડામાં હવે ચાઈનીઝ રંગો તો નહિ ઉમેરાયને? એવી ચર્ચા પણ આજકાલ ચાલી રહી છે.

મિત્રો, આ ફટાકડાની જેટલી વાતો કરીએ તેટલી ઓછી છે! ઘણાનું કહેવું એમ છે કે: આ બધી વાતો ભ્રામક છે.જ્યારે આ ભ્રમ તૂટશે ત્યારે આ ફટાકડાનું તો  સૂરસૂરિયું થઈ જશે.

બાકી અત્યારે તો  ગુજરાતનું નામ આ ફટાકડા સાથે જોડાઈ ચૂક્યું છે. જે ગુજરાત, ખમણઢોકળાં, રાસગરબા કે પતંગ માટે વખણાતું હતું તે હવે આ વાઈબ્રાન્ટ ફટાકડા માટે વખણાવા લાગ્યું છે.

ભો…………………………………………………………………………………પૂપ !!!!!!!!!!

ઓહો! ભોપુપ વાગી ગયું! સમય સમાપ્તિની ઘોષણા થઈ ગઈ છે! તો આજે અમે વિદાય લઈએ. ફરી મળીશું કોઈ નવા ફટાકડાની વાતો સાથે ત્યાં સુધી જલસા કરો અને કરાવો.

Narendra Modi[આ ફટાકડો મેળવ્યો અહીંથી: http://www.topnews.in/law/people/narendra-modi?page=11&destination=taxonomy%2Fterm%2F699%3Fpage%3D7]

રાહુલ ગાંધી- વગર ફૂટ્યે વખણાતો કોંગી ટોટો

[તસવીર: http://rahulgandhikabharat.in/organizer.php]

ગમે તેવો રૂડોરૂપાળો ટોટો  હોય, એ ફૂટે ત્યારે જ ફોડનાર કે જોનારને ખરો આનંદ થાય. ફૂટ્યા પછી એની વાહ વાહ થાય એ વાત બરાબર છે. પરંતું એ ફૂટ્યા પહેલાં જ કોઈ  જો એના અવિરત વખાણ કરે તો આપણને જરૂર કહેવાનું મન થાય કે:ભાઈ, ફૂટવા તો દે! પછી જેટલાં વખાણ કરવા હોય તેટલાં કરજે. વગર ફૂટ્યે વખાણ શાં કામનાં?

રાહુલ ગાંધી એ કોંગીનો રંગે રૂડો અને રૂપે પૂરો એવો ટોટો છે. જે હજી ફૂટવાનો બાકી છે. પરંતું એમના કેટલાક પક્ષવાળા આ ટોટાનું માર્કેટિંગ કરતાં થાકતા નથી. મોકો મળ્યો નથી કે:”વાહ રાહુલજી!વાહ રાહુલજી!”  રાહુલજીને જેવાં વિચારો આવે એવાં એમના પક્ષમાં જાણે કોઈને ન આવે! દેશના સામાન્ય યુવાનને આવે એવો વિચાર પણ જો રાહુલજી રજૂ કરે તો જાણે કે રાહુલજીએ કોઈ ગજબનો આઈડિયા બતાવ્યો હોય એમ કેટલાક સિનિયર નેતાઓ રાહુલજીના રાસડા લેવા લાગે. આપણને મીડિયા મારફતે એ રાસલીલા જોવાં મળે છે.

અન્ના હજારેએ જન લોકાપાલ બિલની વાત કરીને આખા દેશનું ધ્યાન ખેંચ્યું તોય એ લોકોને મન જાણે કે કશું નહિ! એ તો ફલાણા કે ઢીકણાનું કાવત્રુ! પરંતું રાહલ ગાંધીએ એ બિલની હવા કાઢી નાખવાના ઈરાદે જન લોકાપાલ બિલના બદલે સ્વતંત્ર એજન્સી બનાવવાની વાત કરી તો તો જાણે કે રાહુલજીએ કોઈ મહાન પરાક્રમ કર્યું હોય તેમ રાહુલઘેલાઓએ  એમની વાહ વાહ શરૂ કરી દીધી. આ જ વાત જો રાહુલ ગાંધીએ પહેલાં કરી હોત તો એમની વિચાર શક્તિ માટે જેટલાં ગુણગાન ગવાયાં હોત એ બધાં લેખે લાગત! મુશાયરામાં કેટલાક લોકો શાયરના મોઢેથી શેર પૂરો સાંભળે ન સાંભળે ને વાહ વાહ શરૂ કરી દે તેમ આ લોકો રાહુલ ગાંધી કોઈ વિધાન કરે કે તરત કામે લાગી જાય! આવાં તો અનેક ઉદાહરણ આપી શકાય તેમ છે. અન્ના હજારે જેવી તોપની સામે આ લોકો વારેવારે ફૂટ્યા વગરનો ટોટો ધરીને ઊભા રહી જાય છે!

રાહુલ ગાંધી યુવાન છે. મોટા પરિવારના છે. પણ એમને પોતાની લાયકાત પૂરી કરી બતાવવાનું કામ બાકી છે.  કોઈ લારી પરની લારી પરની ચાં પીવાથી પણ મોટાં કામ કરવાનાં બાકી છે. કોઈ ઝૂપડામાં જઈને રોટલાનું બટકું ભાંગવું એ સારી વાત છે. પરંતું એટલું પૂરતું નથી. એમની પાસેથી મોટી અપેક્ષાઓ હોવી જઈએ.

રાહુલ ગાંધી દેખાવ ખાતર , રસ્તા પરની દુકાનેથી કે લારી પરથી સમોસાં લઈને ખાય તો એ એમના પક્ષાના લોકો માટે બહુ મોટી ઘટના ગણાય!  અરે નેતાલોગ! આ દેશના ભૂખ્યાં જન માટે તો હવે એક સમોસું પણ સપનું બનવા લાગ્યું છે! રાહુલ ગાંધી બીજું કશું ભલે ન કરે. ભલે પેટ્રોલના ભાવ ઓછા ન કરાવી શકે , ભલે અનાજના ભાવ ઓછા ન કરાવી શકે. ભલે શાક સસ્તું ન કરાવી શકે. પરંતું એમ સમોસું પણ જો સસ્તુ કરાવી શકશે તો એના જેવો  ભડવીર આ દેશમાં કોઈ નહિ હોય!!! સરકાર એમની છે. સત્તા એમની પાસે છે. સવાલ છે માત્ર કશું કરી બતાવવાનો! જેને તમે લોકો વડાપ્રધાન બનાવવા માંગો છો તેની પાસે આજે કશું કરી બતાવવાની એક તક છે. એ એક સમોસું સસ્તું કરી બતાવશે તો પણ ઘણું છે.

દેશની જનતા રાહત માંગે છે. આ ટોટાનો પોતીકો અવાજ સાંભળવા માંગે છે. એ અવાજ થાય પછી ટોટાના  વખાણ થાય તો વાત બરાબર  કહેવાય. ત્યાં સુધી એને તડકે મૂકવાની અને  તપાવવાની જરૂર છે.

[તસવીર: http://www.ifood.tv/network/samosa]

આ પણ વાંચો: રાહુલ ગાંધી ઊંઝા આવશે ત્યારે

શ્રી લાલકૃષ્ણ અડવાણી-ભાજપની ભો ચકરડી

[તસવીર http://bengalnewzarchivejanuary2011.blogspot.com/]

મિત્રો,

આજે લાભ પાંચમ છે. નવા વર્ષમાં વેપારીઓ  મુરતના સોદા કરે છે. આ રચના દ્વારા અમે પણ  આજે આપની સાથે ખુશીની આપ લે માટેનો સોદો કરીએ છીએ.

આ અગાઉ અમે એક રચના રજૂ કરી હતી.

અપણા નેતાઓમાં ફટાકડાનાં દર્શન કરો.

આ લેખમાં આપે જાણ્યું હશે કે શ્રી મનમોહન સિંહ એ કોંગ્રેસી સરકારનું લવિંગિયું છે. 

મિત્રો, શ્રી મનમોહન સિંહ કોંગ્રેસ સરકારનું લવિંગિયું  છે તો શ્રી લાલકૃષ્ણ અડવાણી ભાજપની ભો ચકરડી છે. ભો ચકરડીની માફક શ્રી લાલકૃષ્ણ અડવાણીને પણ ચક્કર મારવાં ગમે છે. તેઓ  અવારનવાર દેશમાં ચક્કર મારવા નીકળી પડે છે. જેને સારી ભાષામાં રથયાત્રા એવું નામ અપાય છે. આજકાલ  આ ચકરડી ચક્કર મારતી મારતી  દક્ષિણ ભારતમાં પહોંચી છે. આ ચકરડી સારી રીતે ચક્કર મારી શકે તે માટે જમીન સાફસુથરી રહે તે માટે વહીવટી તંત્ર તરફથી ખાસ બંદોબસ્ત રાખવામાં આવે છે.  

ભાજપની આ ભોચકરડીએ આ પહેલાં પણ દેશમાં ચક્કર માર્યા છે. આ ભો ચકરડી એક વખત ફરતી ફરતી બિહારમાં પહોંચી હતી ત્યારે લાલુજીએ તેના પર પગ મૂકી દીધો હતો. ચકરડી તો ફરતી બંધ થઈ ગઈ હતી પણ આખો દેશ ચકરાવે ચડ્યો હતો!

આ ભો ચકરડી ફરતી ફરતી એક વખત પાકિસ્તાન પહોંચી હતી. ત્યાં તેણે ઝીણાની મજારની આસપાસ જરા વધારે પડતાં ચક્કર માર્યાં હતાં જે ઘણાંને ગમ્યું ન હતું. પરિણામે ભાજપ પક્ષ પોતે ચકરાવે ચડ્યો હતો.

આમ પોતે ચકરાવે ચડે અને બીજાને ચકરાવે ચડાવે  કે કૂદકા મરાવે એ આ ફટાકડાનું આગવું લક્ષણ છે. કોંગ્રેસી નેતાઓ આ ભોચકરડીથી ખૂબ જ સાવચેત રહે છે. આ  ચકરડીને લાત મારવા તેઓ સતત પોતાના પગ સાવધાન મુદ્રામાં રાખે છે. જ્યારે જયારે આ ચકરડી શ્રીમતી સોનિયા તરફ ગતિ કરે છે ત્યારે ત્યારે આ નેતાઓ  ચકરડીને લાતો મારી મારીને દૂર ભગાડે છે. 

કોંગ્રેસી નેતાઓ  માને છે કે: આ ચકરડીનું લક્ષ વડા પ્રધાનની ખુરશી છે જે ક્યારેય સિદ્ધ થવાનું નથી.

હાલમાં આ ચકરડી અટકતી અટકતી પણ દેશમાં ચકરાવા લઈ રહી છે. જેનો આનંદ દેશની જનતા ઉઠાવી રહી છે. 

તો મિત્રો ફરી એક વાર નવા વર્ષ માટે શુભેચ્છાઓ. ફરી મળીશું એક નવા ફટાકડા સાથે.

જલસા કરો.  

શું પહેલાં હટાવી શકાય? ભ્રષ્ટાચાર કે સરકાર?

મિત્રો,

 કોઈ માને કે ન માને! વાત લપાતી છુપાતી … હરતી ફરતી.. એક મુકામે આવીને ઊભી રહેશે કે-  પહેલાં સરકાર  હટાવો.  એ વગર ભ્રષ્ટાચાર નહીં હટે!

આ પરંપરા છે આપણા દેશના રાજકારણની!

ગાંધીજીનો ધ્યેય માત્ર શાસનપલટો નહોતો.  તેઓ પણ ભ્રષ્ટાચાર હટાવવા માંગતા હતા. પણ પ્રાથમિકતા આપવી પડી વિદેશી શાસન હટાવવાના મુદ્દાને.

શાસન પલટો થયો.  ભ્રષ્ટાચાર રહ્યો! ગાંધી ટોપી પહેરીને જાડિયો પાડિયો થયો.  ને અફવાની જેમ ફેલાયો.

એક સમય એવો આવ્યો કે ગાંધી ટોપી ને ગાંધીનું નામ મજાકને પાત્ર બની ગયા.

ગુજરાતમાં નવનિર્માણનું આંદોલન થયું ત્યારે ઠેર ઠેર સરકારના મૃત્યુઘંટ  વાગતા હતા  કોંગ્રેસી નેતાઓના નામની ઠેર ઠેર  હાય હાય બોલાતી હતી.  કોંગ્રેસી નેતાઓની નનામીઓ નીકળતી હતી. ગધેડાઓના શરીર પર નેતાઓનાં નામ લખાતાં હતાં. પોલીસો પકડી પકડીને કેટલાને પકડે?

144 ની કલમની નવાઈ ન રહી.   કેટલાક લોકોએ તો એમની જિંદગીમાં પહેલી વખત કર્ફ્યુ જોયો અને માણ્યો!

 યુવાન છોકરા છોકરીઓએ લડત લડી રહ્યાં હતાં. એમને ત્યારના વિરોધ પક્ષોની દોરવણી અને ટેકો  હતા.

પાછળથી એવી પણ ખબર આવી કે  - આખી લડત કોઈ કોંગ્રેસના જ  નેતાના મગજની પેદાશ હતી!

બોલો! અશક્ય શું છે?

યુવાનોઅને યુવતીઓની  આંખોમાં સપનાં હતાં.. બેકારી હટવાના મોંઘવારી હટવાના.. ભ્રષ્ટાચારીઓને ખદેડવાના…

એમનું મુખ્ય સૂત્ર હતું અંધકાર મેં એક પ્રકાશ .. જયપ્રકાશ જયપ્રકાશ.

નવનિર્માણ આ6દોલનની ત્રણ મુખ્ય માંગણીઓ હતી..

*મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલ રાજીનામું આપે.

** ગુજરાત વિધાનસભાનું વિસર્જન થાય.

***ભ્રષ્ટાચાર નાબુદ થાય.

લગભગ સો જેટલા  લોકો ગોળીએ વીંધાયા પછી પહેલી બે માંગણીઓ પૂરી થઈ.

ચૂંટણી  આવી. કોંગ્રેસનો પરાજય થયો.  જનતાપક્ષની  સરકાર આવી.   મુખ્યમંત્રી તરીકે બાબુભાઈ જશભાઈ પટેલ આવ્યા.

 જો કે  સરકાર બનાવવા માટે  એમણે કિમલોપ ના સભ્યોનો ટેકો લેવો પડ્યો.  ને  કિમલોપના વડા હતા  શ્રી ચીમનભાઈ પટેલ. એ જ ચીમનભાઈ કે જેને હટાવ્યા  હતા.

સમાચાર તો એવા હતા કે-  ચીમનભાઈ પટેલના ઘરની  પાછલી  દિવાલ કૂદીને બાબુભાઈ ટેકો મેળવવા ગયા હતા.

વખત આવ્યે કૂદકા ય મારવા પડે!

પછી તો ધારાસભ્યોની આવન જાવનની રમત શરૂ થઈ.  સરકાર બને ને ગબડે.

આમાં ભ્રષ્ટાચારને   હટાવવાનો વખત કોની પાસે? ને હટાવવા જાય તો એની સાથે સાથે પોતાને હટી જાવું પડે!

દિલ્હીની  વાત કરીએ તો કટોકટી પછી આવેલી ચૂંટણીમાં ઇંદિરાજી  અને એમનો પક્ષ હાર્યાં.

જાણે કે ન બનવાનું બની ગયું. રામલીલા મેદાનમાં વિજયી સભા ભરાણી.  વિવેક ભુલાયો. છાકટાં ભાષણો થયાં.  ઇંદિરાજીને હરાવનાર રાજનારાયણ  બોલ્યા કે- ભૂલ જાઓ ઇંદિરા કો! ઉસમે કુછ દમ નહીં! ઉસ મેં કુછ કસ નહીં!

ને મોરારજી દેસાઈની નવી સરકારે  અંદરોઅંદરની ખટપટને કારણે  દોઢેક વરસમાં દમ તોડી દીધો!  સરકાર સારી ચાલતી હતી અને ચાલી શકે તેમ હતી. પણ આપણા નેતાઓની સત્તાભૂખ!

છેલ્લે છેલ્લે જે સરકારો બદલાઈ તે તો લોહી રેડ્યા વગર બદલાઈ.

પરંતુ  એમની ય મજબુરી! એમની પાસે જાદુઈ છડી નથી.

[લખ્યા તા. ૦૭-૦૬-૨૦૧૧]

************************************************************************************************

ઉપરનું લખાણ નહોતું મુકાયું. મનમાં હતું કે : આ લખાણ મૂકવાની  નોબત કદાચ નહિ આવે.

પરંતું આવી ગઈ!

આજે  મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ છે.  ચેનલ્સ  અને છાપાઓ ભરીને ગાંધીને યાદ કરાશે. આ વખતે સાથે સાથે અન્નાજીને રજૂ કરાશે. કારણ કે અન્નાજીનો પરચો તાજો જ છે.

વળી અન્નાજીએ પોતે આડકતરી રીતે પણ ચૂંટણીઓ પર પ્રભાવ પાડશે તેનો સંકેત આપી દીધો છે.

વળી એ પણ સ્વાભાવિક જ ગણાશે કે: ભ્રષ્ટાચાર હટાવવા માટે સરકાર હટાવવી જરૂરી છે. વહેલી નહિ તો એની મુદ્દત પૂરી થાય ત્યારે. કારણ કે , પ્રજાને વર્તમાન પરિસ્થિતિ અગર ઠીક ન લાગતી હોય તો તે માટે સહુથી પ્રથમ જવાબદારી સરકારની જ ગણાશે.

.. ને જ્યારે સરકાર હટાવવાની વાત આવશે ત્યારે અન્ય વાતો ગૌણ ગણાશે. પછી તો એક જ વાત કે: જો સરકાર નિકમ્મી હૈ વો સરકાર બદલની હૈ!

આપણે  ઈચ્છીએ કે:જે બદલાવું જરૂરી હોય તે ભલે બદલાય. છેવટે તો આ પરીસ્થિતી બદલાવી જોઈએ.

આ એટલે કઈ પરિસ્થિતિ?

એ જ કે જેની સામે મને,તમને અને મોટાભાગની પ્રજાને ફરિયાદ છે.

ડગલે ને પગલે અન્યાય, શોષણ અને આરાજકતા.

આશા રાખીએ. આશા અમર છે. બાપુ હાજરાહજૂર છે!

Gandhiji

Poster by Pietyz DSILVA

Famous Annaji.http://www.allvoices.com/contributed-news/10098788/image/86206990-famous-annaji

હજી તો ગાયને ઘાસ નાંખ્યું ત્યા તો દહીં ખાવાનો હરખ

ફિલ્મ “હેરાફેરી”માં આ મતલબનો સંવાદ છે કે : અભી તો ગાય કો ચારા ડાલા ઔર દહીં  ખાનેકી સોચ રહે હો?

ભ્રષ્ટાચાર નાબૂદીની લડતમાં આવું જ કશું થઈ ગયું છે.  અણ્ણાજીએ હજી તો લોકપાલ બિલ લાવવા માટે સરકાર  પાસેથી વચન લીધું ત્યાં તો આપણે વિજયની ઉજવણી માટે ફટાકડા ફોડી નાંખ્યા.  બરાબર છે કે જે સફળતા મળી તે મહત્વની  છે.  ઉજવણી પણ થાય એની ના નહીં પરંતુ ફટાકડા ફોડ્યા પછી આપણે કશું કરવાનું છે કે પછી બધું જ અણ્ણાજીએ કરવાનું છે?

વાત નિરાશાની નથી કરવી પણ ભ્રષ્ટાચાર સામેની લડત સહેલી નથી એ વાત જરૂર કરવી છે.  કારણ કે ભ્રષ્ટાચાર  નામનો શત્રુ એ શેરીનું કૂતરું નથી કે એને  હડ્ય  હડ્ય કરીને હાંકી કાઢીએ!. આ શત્રુને હાંકી કાઢવો એ કામ , અણ્ણાજીની સફળતા માટે યજ્ઞ કરવા કરતાં અઘરું  છે.  ભ્રષ્ટાચાર નાબૂદીનાં સૂત્રો પોકારવા કરતાં અઘરું છે.  વિજયની ઉજવણી કરવા કરતાં અઘરું   છે.

કારણ કે આ શત્રુ હંમેશા સામે નથી હોતો. ક્યારેક આપણી વચ્ચે જ હોય છે તો ક્યારેક આપણી અંદર જ હોય છે!

આકરી વાત લાગે તોય આ હકીકત  છે.  નેતાઓને સુધારવાની સાથે સાથે આપણે પણ સુધરવાનું છે. ને એજ સાલું અઘરું કામ  છે.

અને  હવે જોજો વાત વાતમાં અણ્ણાજીને વચ્ચે લાવવામાં  આવશે.  રાજકારણીઓ પણ લાવશે અને પ્રજા પણ લાવશે.

પચાસ પચાસ વર્ષો સુધી ગાંધી નામે હુકમનું પાનું હતું. હવે  અણ્ણાજી નામે આ નવું પાનું! વાત વાતમાં ઉતરી નાખવાનું. એટલે એની કિમત ન રહે!

સ્વાદિષ્ટ સેવખમણી

[બ્લોગજનો, આજે અમે આપની સમક્ષ લાવ્યા છીએ સ્વાદિષ્ટ સેવખમણી. સેવ સમાન વિવિધ તસવીરોની  સાથે  ખમણી જેવી કાવ્યપંક્તિઓનું મિશ્રણ કરીને આ સેવખમણી તૈયાર કરી છે. કાવ્યપંક્તિઓ   શ્રી રમેશ પારેખના  કાવ્યસંગ્રહ "છ અક્ષરનું નામ"માંથી લીધેલી છે. ]

ઊભો છું સ્થિર તોય હું લાગું છું પ્રવાસમાં

મારાથી ગુપ્ત થાય કશું આસપાસમાં .

*******************************

આ ધોતી ઝભ્ભા જાકિટમાં શકમંદ શખ્શ છે

હલંચલન છે ભેદી , એનાં ભેદી નાક નક્શ છે.

**************************************

ચીતરી બેઠા છીએ જેના વડે

એ જ આંગળીઓથી પહાડો ભૂંસીએ

પણ પડી હો કાચના ચહેરા ઉપર

કઈ રીતે તેવી તિરાડો ભૂંસીએ.

*********************************

હા, ફલક કોરું ભરી શકતો નથી

એકાંતને હું ચીતરી શકતો નથી

પાંપણો મીંચી દીધાથી શું વળે

એમ કૈં સૂરજ ખરી શકતો નથી.

******************************

બધાને આવતો સરખો વિચાર હોઈ શકું

અગર વિચારના વર્તુળની બહાર હોઈ શકું

હું કોઈ નક્કી નથી કે મને વિચારી શકો

જીવું અને જિંદગીમાંથી ફરાર હોઈ શકું

************************************

કદી આવે ઠોકર મદદગાર થઈને

નડે તો ચરણ પણ નડે એ ય સાચું

હું પથ્થર વિષે કોતરાયેલું પંખી ને

પાંખો સતત ફડફડે એ ય સાચું

*****************************

હું જ્યાં વસું છું એ એવી સૂની હવેલી છે ,

ભીંતોની જેમ હવા સ્તબ્ધ થઈ ઊભેલી છે.

મને ખબર નથી શું લખાશે બચેલા હિસ્સામાં ,

મેં કોરા કાગળે મારી સહી કરેલી છે.

***************************************

મોદી તો એક જ હોયને?

બેફામ ઊડાઊડી કરતા શ્રી નરેન્દ્ર મોદીને કાબુમાં રાખવાના હેતુથી અતિ જાગૃત લોકોએ મોદી પોલખોલ મંડળની રચના કરી નાખી. ગામડે ગામડે કાર્યક્રમો ગોઠવ્યા. દરેક ગામમાં સૌથી વધારે ડાહ્યો માણસ હોય તે મોદીની પોલ ખોલે એવું નક્કી થયું.

.. ને શરૂઆત થઈ ટપુભાના ગામથી.  એ બોલવા ઊભા થયા. એમના હાથમાં તાજું જ છાપું  હતું.  એમણે શરૂ કર્યું……

ભાઈઓ અને બેનો… આ મોદી  લાગે છે એટલો સીધો માણસ નથી. એનો ભૂતકાળ સારો નથી. એનો વર્તમાનકાળ સારો નથી.   છાપામાં રોજ ઊઠીને એના પરાક્રોમો આવે છે જે આપ સહુ વાંચતા જ હશો. એણે કરોડો રૂપિયાના ગોટાળા કર્યા છે.  એણે ક્રિકેટની રમતને અભડાવી છે. એના લીધે શરાબને રેલમછેલ થઈ છે. એના લીધે આખી રાત નાચગાન ચાલે છે. એણે આપણા ફિલ્મી કલાકારોને એમની કલા છોડાવીને ક્રિકેટના ધંધે ચડાવી દીધા છે.  એના લીધે લોકો કામધંધો છોડીને ફટકા જોવા બેસી જાય છે. વળી એ ફટકા અગાઉથી નક્કી થયેલા હોય છે. આવા માણસને લીધે આપણો દેશ ખાડે જાય એમ છે. દેશ ખાડે જાય તો આપણું રાજ્ય પણ કેમ બાકી રહે? માટે આપણે આપણા ગુજરાતને બચાવવવું હોય તો મોદીને હટાવ્યા સિવાય છૂટકો નથી.

… ને સભામાં બૂમાબૂમ થઈ ગઈ. અવાજો આવ્યા: “ટપુભા તમે ક્યા મોદીની  પોલ ખોલો છો?”

“મોદી તો એક જ હોયને? નરેન્દ્ર મોદી”

“આ તમે લલિત મોદીનું મહાભારત ખોલ્યું છે.”

“એ વળી ક્યો મોદી?”  ટપુભાએ નવાઈ વ્યક્ત કરી.

“આ બીજો મોદી જાગ્યો છે ને તમને ખબર નથી. છાપાં નથી વાંચતા?”

“ઉપરછલ્લું વાંચું છું.  આ રહ્યું આજનું છાપું.  એમાં  મોટા અક્ષરે લખ્યું છે કે.. મોદી પર મોટા નાણાકીય ગોટાળાના આરોપો”  ટપુભાએ હાથમાં રહેલું છાપું જનતાને બતાવ્યું અને બોલ્યા: “વાંક મારો નથી છાપાનો છે.”

“પણ ટપુભા. આગળ નાના અક્ષરો વાંચો તો ખબર પડેને કે.. આ લલિત મોદીની વાત છે. નરેન્દ્ર મોદીની વાત નથી.”

“નાના અક્ષરો નથી અમારાથી નથી વંચાતા બાપલા. અમને મોદીની પોલ ખોલવા માટે ઊભા કર્યા હતા . અમે ખોલી નાખી. તમારે રોટલાથી કામ છે કે ટપટપથી? અમારું કામ પૂરું થયું. અમે બેસી જઈએ છીએ.”

સભામાં  હો હા થઈ ગઈ.  આયોજકોએ વક્તાશ્રીની સમજફેર થવા બદલ માફી માંગી. માંડમાંડ  મામલો થાળે પડ્યો.

… ખાનગીમાં “મોદી પોલખોલ મંડળની” મીટિંગ થઈ. તમામ વક્તાઓને પણ  હાજર રખાયા.  મોટા પાયે ચર્ચા થઈ તો માલુમ પડ્યું કે , મોટાભગના વક્તાઓએ ટપુભાની જેમ જ તૈયારી કરી છે.

હવે શું કરવું?  .. આવા લોચા ચાલવા ન દેવાય. છેવટે નક્કી થયું કે: તમામ વક્તાઓએ પોલ જરૂર ખોલવાની છે પણ   નરેન્દ્ર મોદીની  પોલ ખોલવાની છે . લલિત મોદીની નહીં.

“એ તો બહુ અઘરું પડે”  અઘરું પેપર નીકળેને વિદ્યાર્થીઓમાં ગણગણાટ  થઈ જાય એવો ગણગાણાટ શરૂ થઈ ગયો.

બધાં મૂંઝાયા. કોઈ રસ્તો નહોતો નીકળતો.

… ને ટપુભાએ જ રસ્તો બતાવ્યો:  એક કામ કરીએ.  આપણા મંડળનું નામ જ ફેરવી નાખીએ. મોદી પોલખોલ મંડળના બદલે લલિત મોદીપોલખોલ મંડળ કરી નાખીએ. એમાં ખાસ તકલીફ પડે એવું નથી. મોદીની આગળ લલિત લખાવી દઈએ.

“બરાબર  છે.  ટપુભાની વાત બરાબર છે. એ જ સીધો રસ્તો છે. આનાથી સારો કોઈ રસ્તો હોઈ જ ન શકે.” મંડળના સભ્યોએ ટપુભાની વાતને એકી અવાજે વધાવી લીધી.

સંપૂર્ણ બહુમતીએ મંડળનું નામ બદલવાનો ઠરાવ પસાર થઈ ગયો. મંડળના હોદ્દેદારોએ  એ જ ઘડીએ મોદીની આગળ લલિત લખાવી દીધું.

.. ને  મંડળના સભ્યો   “વાહ વાહ ” કહીને ટપુભાના બરડે ધબ્બા મારવા લાગ્યા.

પરિણામે ટપુભાને ઝોળીમાં નાખીને એમની ઘેર પહોંચાડવા પડ્યા.

 

રાહુલ ગાંધી ઊંઝા આવશે ત્યારે

[તસવીર: http://www.tarladalal.com/Tasty-Punjabi-Samosa-12348r]

રવિવારના છાપામાં  પ્રથમ પાને મુખ્ય સમાચાર તો “સીટ સમક્ષ મોદીનું મેરેથોન સીટીંગ ” એવા છે. પરંતુ એક નાનકડા સમાચારે અમારા રીપોર્ટર મિત્ર શ્રી કરસનદાસ કચોરીવાલાને દોડતા કરી દીધા.  તે સમાચાર  આ મુજબના છે:

__________________________________________________________________________________

રાહુલે   ‘રામ ભરોસે’ સમોસાની લહેજત માણી

[પી.ટી.આઈ.] અમેઠી  તા.27

અમેઠીના જૈસ બજારના રામ ભરોસે સમોસાની દુકાન પર આજે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ઓચિંતા મહેમાન બન્યાં હતાં.

નજીકથી પસાર થતાં રાહુલ ગાંધી ગરમાગરમ  સમોસાનો સ્વાદ ચાખ્યા વિના રહી શક્યા  નહોતા. અમેઠીના ગૌરીગંજ ખાતે કાર્યકરોની બેઠક પૂર્ણ થયા બાદ બપોરે તિલોઈ જતી વેળાએ રાહુલનો કાફલો જૈસ બજારમાંથી પસાર થયો હતો. આ સમયે રસ્તાની બાજુમાં ‘રામ ભરોસે’ માં તળાતા સમોસા રાહુલની નજરે પડ્યા હતાં. રાહુલ ગાંધીએ તરત જ કાર રોકાવી દીધી અને અર્ધો ડઝન સમોસા અને બ્રેડ પકોડા મંગાવ્યા હતાં અને તેના નાણાં પણ ચૂકવી આપ્યા હતાં.

——————————————————————————————————————————–

શ્રી કચોરીવાલાએ આ સમાચાર બાબતે સમાજના વિવિધ અગ્રગણીઓની મુલાકાત લીધી. વિવિધ લોકોના પ્રતિભાવ અત્રે રજૂ કરીએ છીએ.

[1] કોંગ્રેસી કાર્યકર શ્રી કનક કાપડિયા:

કરસનદાસ: કનક ભાઈ, રાહુલભાઈએ  રામ ભરોસે સમોસાં ખાધાં એ બાબતે આપનું મંતવ્ય જણાવશો.

કનક કાપડિયા: દેશના વડાપ્રધાન સમોસા ખાય એનાથી મોટી  આનંદની વાત કઈ હોઈ શકે? આ વાત દેશના યુવાનોને એક જોરદાર  સંદેશો મળશે.

કરસનદાસ : આપની ભૂલ થાય છે. રાહુલભાઈ દેશના વડાપ્રધાન નથી.

કનક કાપડિયા: [અકળાઈને} નથી તો થશે.  ભાવિ વડાપ્રધાન ખરા કે નહીં? એમને કોઈ રોકી નહીં શકે. નરેન્દ્ર મોદી પણ નહીં.

ત્યારબાદ કનક કાપડિયા  મોદીના કારનામાં ગણાવવા લાગ્યા. આથી કરસનદાસ ત્યાંથી સરક સરક સરકી ગયા.

[2] શ્રી ભગુભાઈ ભાજપવાલા:

ભગુભાઈએ છાપાનો ઘા કરતાં જણાવ્યું હતું કે: આ બધી સ્ટંટબાજી છે. દેશના લોકો મોંઘવારીથી ત્રાહિમામ પોકારી ગયાં છે ત્યારે એમના રાહુલભઈને સમોસાં ખાવાનું મન થાય છે. સામાન્ય માણસ આજે એક સમોસું ખાતાં સો વખત વિચાર કરે છે ત્યારે રાહુલભાઈ  અર્ધો ડઝન સમોસા ખાય છે! એ પણ  રામ ભરોસે! આ દેશ રામ ભરોસે ચાલી રહ્યો છે  એનાથી મોટું  પ્રમાણપત્ર બીજું કયું હોઈ શકે? વળી પાછા છાપાવાળા લખે છે કે રાહુલે પૈસા ચૂક્વ્યા. કેમ? નવાઈ કરી? આ દેશના લાખો લોકો વસ્તુ ખરીદીને પૈસા ચૂકવે છેને?  છાપોને એ બધા સમાચાર!

ત્યારબાદ ભગુભાઈ “કોંગી ઇઝ ઢોંગી’ ના વિષય પર ચડી જવાથી કરસનદાસ ત્યાંથી પણ સરક સરક સરકી ગયા.

[3] વજુભાઈ વકીલ :

વજુભાઈ વકીલે બળાપો કાઢ્યો કે: છાપામાં આવેલી તમામ વાતો આ દેશની પ્રજા  સાચી માની લે છે. શંકા થાય તો કેસ કરતા નથી.  અમે વકીલો શા કામના છીએ? કરોને કેસ! અમે સાબિત કરી દઈએ કે: રાહુલે સમોસાં નથી ખાધા કે ખાધાં છે. અમે તો બંને બાબતો માટે તૈયાર છીએ!  અમને કેસ આપો. બાકી બધી વાતો જવા દો! કાયદાની વાત કરો. પુરાવા લાવો! અરે! લોકોને માહિતી માંગવાનો અધિકાર છે! પણ કોણ માહિતી માંગે  છે કે: રાહુલે ખરેખર સમોસાં ખાધાં કે નહીં? ખાધાં તો કેટલાં ખાધાં? કઈ સાઈજનાં ખાધાં? સમોસાં તેલમાં તળેલાં હતાં કે ઘીમાં? સમોસાંના કેટલા પૈસા આપ્યા?  આ આકસ્મિક ઘટના હતી કે પૂર્વયોજિત?

ત્યારબાદ વજુભાઈ કાયદાની  વિવિધ કલમોનો પાઠ કરવા લાગ્યા એટલે કરસનદાસ ત્યાંથી સરક સરક સરકી ગયા.

[4] મનુભાઈ મૅનેજમેન્ટવાળા :

વિદ્યાર્થીઓને મૅનેજમેન્ટના ફંડા ભણાવતા મનુભાઈનું કહેવું છે કે: આ  બનાવ એક કેસસ્ટડી તરીકે સ્થાન પામે એમ છે. રાહુલ ગાંધી મત-બજારમાં પોતાની  નેતા તરીકેની બ્રાન્ડને મજબૂત બનાવવાની કોશિશ કરી રહ્યા છે. તેઓ ઘણા વખતથી તનતોડ મહેનત કરી રહ્યા છે. તેઓ કોઈ વખત લારી પરની ચા પીવે છે તો કોઈ વખત ઝૂંપડીમાં પ્રવેશ કરી જાય છે.   મોટાના પગમાં પડે છે તો નાનાંને રમાડે છે!   કોઈપણ નેતાએ આવા  ફંડા ધ્યાનમાં રાખવા  જરૂરી છે.

વળી  રામ ભરોસે સમોસાવાળાને પણ પોતાના સમોસાંની એક બ્રાન્ડ બનાવીને માર્કેટમાં પોઝિશન ઊભી કરવાની તક મળી છે. આ તકનો તેણે બને તેટલો લાભ ઉઠાવવો જોઈએ.  રાહુલજીની પસંદને  દેશની પસંદ  બનાવી દેવી જોઈએ.

ત્યારબાદ મનુભાઈ    મનેજમેન્ટના   અવનવા ફંડાની ફેકમફેંકી કરવા લાગ્યા એટલે કરસનદાસ ત્યાંથી સરક સરક સરકી ગયા.

[5] વૈદ શ્રી કડવાણીશંકર:

લોકોએ એ વાત ખાસ સમજવાની છે કે: સમોસામાં બટકાનો વપરાશ થાય છે જે  વાયુવર્ધક છે.  આવા પદાર્થોના અતિસેવનના કારણે માણસ શારિરિક અને માનસિક  વિકૃતિનો  ભોગ થઈ શકે છે. રાહુલભાઈએ જો ખરેખર અર્ધો  ડઝન સમોસાં ખાધાં હશે તો  અવશ્ય તેમના શરીરે પ્રતિક્રિયા આપી જ હશે.  એ બાબતના સમાચાર જો  બહાર આવે તો જરૂર દેશની પ્રજાને આરોગ્ય બાબત અગત્યની માહિતી મળે.  જો દેશના લોકો  રાહુલભાઈની માફક સમોસાનું અતિસેવન કરવા લાગે તો લાંબેગાળે  દેશના  પર્યાવરણ પર પણ મોટું  જોખમ ઊભું થઈ  શકે છે!

ત્યારબાદ કડવાણી શંકર  વાયુપ્રકૃતિ બાબત વિશેષ  ઉદાહરણો આપવા લાગ્યા એટલે કરસનદાસ ત્યાંથી સરક સરક સરકી ગયા.

[6]  શર્માજી સમોસાવાળા:

શર્માજી એ જણાવ્યું કે રાહુલજીના આ પગલાથી દેશભરના સમોસાવાળાઓ ખૂબ જ ઉત્સાહમાં આવી ગયા છે.  આ ઘટના જેવી તેવી નથી. તમે નહીં માનો.  અમે સમોસા પ્રચારક મંડળની સ્થાપના પણ કરી દીધી છે.  મને એ મંડળનો પ્રમુખ બનાવવામાં આવ્યો છે. અમારું સૂત્ર છે કે: “જુવાન હોય કે ડોસા … સહુ ખાય સમોસા”

અમે આવતી ચૂંટણીમાં જરૂર રાહુલજીને મદદ કરીશું. દેશનો  સમોસા ઉદ્યોગ ઝડપથી આગળ વધે તે માટે અમે સરકાર પાસે મોટા પેકેજની માંગણી પણ  કરીશું.

ત્યારબાદ શર્માજી સમોસાચાળીસાનું પઠન કરવા લાગ્યા એટલે કરસનદાસ ત્યાંથી સરક સરક સરકી ગયા.

[7] ઉમંગી ઊંઝાવાળા :

ઉમંગી ઊંઝાવાલાએ કરસનદાસને જણાવ્યું હતું કે: રાહુલ વિવિધ પ્રદેશમાં જાય છે ત્યારે ત્યાંની વાનગીને  ન્યાય આપે છે એ સારી વાત છે. તેઓ જ્યારે ઊંઝા આવશે  ત્યારે અમે પણ  એમને અમારી વાનગી ચખાડીશું.

કરસનદાસે જ્યારે પૂછ્યું કે : શું તમે તેઅમને ઊંઝા જોડણી ચખાડશો?

ત્યારે ઉમંગભાઈએ  અકળાઈને કહ્યું હતું કે: તમને લોકોને ઊંઝા જોડણી સિવાય કશું જ દેખાતું નથી?

કરસનદાસે કહ્યું કે : મારો ઇરાદો એવો નથી.પણ તમે રાહુલજીનું સ્વાગત શાનાથી કરશો?

ઉમંગભાઈએ ઉમંગથી કહ્યું હતું કે: કેમ ? મારી પાસે ઇસબગુલ નથી? મોટો કારોબાર કરીએ છીએ તે કેમ ભૂલી જાઓ છો?  અલકમલકનો આચોકૂચો ખાધાપછી રાહુલજીને પણ ઇસબગુલના સેવનથી કેટલી રાહત થશે એનો વિચાર કેમ નથી કરતા?

ત્યારબાદ ઉમંગભાઈએ  ઇસબગુલના  કારોબારની કથા શરૂ કરી એટલે કરસનદાસ ત્યાંથી સરક સરક સરકી ગયા.

કરસનદાસ થાક્યાપાક્યા “અસર”ના ઓટલે આવ્યા અને અમને કહેવા લાગ્યા કે: આ દુનિયામાં બધા પોતપોતાની પપૂડી વગાડે છે! કાશ ! અમારી કચોરીની  કદર કોઈ નેતા કરે  અને કચોરીનો  ધંધો ઊંચકાઈ જાય તો આ રીપોર્ટિંગની માથાકૂટ મટી  જાય !!!