Archive

Posts Tagged ‘નેતા’

કટોકટીના ચમકારા

જે લોકો 1975માં સમજણની ઉંમરે પહોંચી ચૂક્યાં હતાં હતાં એમના માટે ‘કટોકટી’ એટલે તે સમયના ભારતના વડાપ્રધાન શ્રીમતી ઈંદિરા ગાંધીએ નાખેલી ‘કટોકટી’.  આજે 26મી જુને ઘણા વિદ્વાનો એના પર ફરીથી પ્રકાશ પાડશે. મારા જેવા અવિદ્વાનનું એ કામ નથી. છતાંય થોડાઘણા ચમકારા રજૂ કરવાની તક ઝડપી લઉં  છું. ‘કટોકટી’ નથીને એટલે!

‘કટોકટી’ના સમયે હું અમરેલીમાં હતો. અમરેલી ગુજરાતમાં છે. અને ગુજરાત એ વખતે પણ અનોખું જ હતું! દેશભરમાં  મોટાભાગે કોંગ્રેસ અને એથીય વિશેષ  શ્રીમતી ઈંદિરા ગાંધીની બોલબાલા જ્યારે ગુજરાતમાં જનતા મોરચાની સરકાર! શ્રી બાબુભાઈ જશભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી હતા. એથી કરીને ‘કટોકટી’નો તાપ અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં ઓછો લાગતો હતો. પણ લાગતો હતો ખરો! આ રહ્યા અમે અનુભવેલા ‘ કટોકટીના ચમકારા’.

* જે લારી પર અમે મિત્રો રોજ ગોલ્ડન ચા પીતા હતા એ લારીવાળાએ આપેલી ચામાં અમને મજા ન આવી. અમે કહ્યું :’યાર, આ કેવી ચા બનાવી છે?’

‘પચીસ પૈસામાં તો એવીજ આવેને?’ ચા વાળાએ કહ્યું.

‘અરે પચાસ પૈસા લેજે.પણ  ચા સારી બનાવ.’ એક મિત્રે કહ્યું.

‘ધીરે બોલો. અને ચા તો આવી જ મળશે ને પચીસ પૈસામાં જ મળશે.  સરકારે જનતા ચાના ભાવ બાંધેલા છે. વધારે ભાવ લઈને મારે મિસામાં નથી જવું.’ ચા વાળાએ પોતાની મજબૂરી બતાવી.

* એ બખતે અમરેલીમાં D.S.P. તરીકે કુમારસાહેબની બોલબાલા! ધારે તે કરી શકે. રોજ રોજ એમના પરાક્રમોની સાચીખોટી વાતો સાંભળવા મળે.

-  એ વખતે યુવાનોમાં બચ્ચનિયા   લાંબા વાળની ફેશન. પણ  કુમારસાહેબને એ પસંદ નહીં. કહેવાતું હતું કે તેઓ પોતાની જીપમાં એક “કેશ કલાકાર”ને  સાથે જ રાખતા! જે કોઈ લાંબાવાળ વાળો નજરે ચડ્યો નથી કે એને મૂંડ્યો નથી! ઘણા યુવાનોએ કકળતી આંતરડીએ પોતાના વાળ સ્વેચ્છાએ કપાવી નાખ્યા હતા. તો કેટલાક પોતાના લાંબાવાળ  સાથે બહાર નીકળતા તો  લપાતા છુપાતા અને કુમારસાહેબની નજરે ન ચડી જવાય એવી તકેદારી સાથે નીકળતા હતા.

- કુમાર સાહેબની નજરે રાત્રે બાર પછી કોઈ નજરે ચડ્યો કે આવી બને! ખુલાસા કરવા પડે! ફિલ્મ જોવા ગયા હોય એણે ટિકિટનું અડધિયું બતાવવું પડે!! ફેંકી દીધું હોય તો ફિલ્મની વાર્તા કહેવી પડે!!!

-  ચાર  જણા  ઊભા હોય ને પાંચમો આવે તો  તરત 144ની કલમનો ભંગ થયાની બીક લાગે.  ઘરાકી ન હોય ત્યારે પણ  દુકાનદારોને  દુકાનની બહાર   ભેગા થઈને ગપ્પા  મારવાની મનાઈ!

- કોઈપણ ચીજના ભાવ કરતાં એક પૈસો  પણ વધારે લેનાર  દુકાનદારને એક જ વાક્ય કહેવાનું  કે ‘કુમાર સાહેબ આટલાંમાં જ છે.’

- સરઘસ કાઢવાનો તો કોઈને  વિચાર સરખો ન આવે. પણ  હા, કુમાર સાહેબ   અવરનવાર  એકાદ ‘દાદા’ને  પકડીને એનાં ગળામાં ‘હું ગામનો દાદો છું’ એવું લખાણ લખેલું પાટિયું લટકાવતા અને ગામમાં ફેરવતા.

-જન્માષ્ટમીનો તહેવાર તો  તીનપત્તીનો તહેવાર! પણ કુમારસાહેબની ધાકે જુગાર પર મનેકમને કાપ મુકાયેલો! રાત્રે બાર વાગે  ભાવિક ભક્તોએ જેટલા ભાવથી કાનુડાનાં દર્શન કર્યાં એથી પણ વિશેષ ભાવથી કુમારસાહેબના દર્શન કર્યાં. કાનુડો મંદિરમાં હતો.અને કુમારસાહેબ મંદિરની બહાર વ્યવ્સ્થા જાળવવા માટે  હતા.

-એક દિવસ કુમારસાહેબ સૌની દેખતા અમરેલીથી બહાર જવા નીકળ્યા. જુગારપ્રેમીઓને ફાવતું  મળી ગયું. બેઠક જમાવી.પણ કુમારસાહેબ રાત્રે બે વાગ્યે ત્રાટક્યા!  બીજે દિવસે પોલિસસ્ટેશને વીસબાવીસ જુગારપ્રેમીઓને જોવા માટે દસ હજાર જેટલાં લોકોનું ટોળું હતું! અને  ટોળાનો એક નારો હતો કે “કુમારસાહેબ ઝીંદાબાદ!”

* હવે ચા કરતાં કીટલી કેટલી ગરમ રહેતી એ બાબતનો  એક ચમકારો! રાતના  બાર પછીનો સમય હતો. બે પોલિસવાળાએ એક ગરીબ માણસને રોક્યો અને પૂછપરસ કરી.

પેલા માણસે જવાબ આપ્યો કે: ‘કામ પરથી આવું છું. ‘

‘અત્યારે શાનું કામ? દારૂ પીધો  છે? લથડિયાં કેમ ખાય છે?’

‘થાકેલો છું એટલે. દારૂ નથી પીધો. ‘

‘ચાલ સો રૂપિયા આપી દે.નહીં તો કેસ કરવો પડશે.’

પેલા માણસે હાથ જોડ્યા. કાલવાલા કર્યાં કે :’એટલા બધા પૈસા નથી. ગરીબ માણસ છું.’

પોલિસે એનાં ગજવાં તપાસ્યાં. વીસ રૂપિયા નીકળ્યા. જે લઈ લીધા અને જવા દીધો.

* કટોકટીનો વિરોધ કરવા માટે   ધારાસભ્ય શ્રી નરસિંહદાસ ગોંધીયાની આગેવાની હેઠળ રેલી નીકળેલી જેમાં  ફક્ત પાંચસાત યુવાનો જોડાયા હતા. નારો હતો: ‘કટોકટી દૂર કરો… દૂર કરો.’ કરો.. જોનારાને લાગતું  હતું  કે  હવે આ લોકોનો વારો પડી જશે!

*કોલેજમાં અર્થશાસ્ત્ર વિષયમાં ઈંદિરા ગાંધીએ જાહેર કરેલો વીસ મુદ્દાનો કાર્યક્રમ તાત્કાલિક  ઘુસ મારી ગયો હતો અને સાથે સાથે સંજય ગાંધીના બીજા બેચાર મુદ્દાનો કાર્યક્રમ  પણ . પણ અમરેલીની કોમર્સ કોલેજના પ્રાધ્યાપક શ્રી પુરોહિત સાહેબ બેધડક થઈને તમામે તમામ મુદ્દાઓના છોતરાં કાઢતાં હતા. સાહસ કરનારા પણ હતા.

* ગુંડાગીરી, ભ્રષ્ટાચાર, મોંઘવારી ,લાગવગશાહી, અવ્યવ્સ્થા  દૂર થાય તો કોને ન ગમે?  પણ એની જ સામે  આવાં જ દુષણો ધરાવતો બીજો વર્ગ  ઊભો થાય એ કોને ગમે?  સુક્કાં પાછળ ઢગલેઢગલું  લીલું બળવાની વાત કોને ગમે? છાપાં પણ કશું સાચું ન કહી શકે એ કોને ગમે? અને  પોતાની જીભને  સતત કાબુમાં રાખવાનું કોને ગમે?

એટલે જ છેવટે  કટોકટીને જાકારો મળ્યો.  જો કે  કટોકટીમાં જેલમાં ગયેલા કેટલાક  નાનામોટા  નેતાઓને પછીથી મહેલમાં રહેવાનાં નસીબ પણ પ્રાપ્ત થયાં. સમય સમયની વાત છે!!!

હિંદુસ્તાન બોલ રહા હૈ….યશવંત ઠક્કર

[તસવીરો : ગૂગલના પટારામાંથી]                   ——- યશવંત ઠક્કર

કોઈ બોલ્યું આમ ને કોઈ બોલ્યું તેમ.

કોઈના બોલવાનો વિરોધ  કોઈએ કર્યો આમ ને કોઈએ કર્યો તેમ.

કોઈના વિરોધનો વિરોધ કોઈએ કર્યો આમ ને કોઈએ કર્યો તેમ.

કોઈના વિરોધના વિરોધનો બચાવ કોઈએ કર્યો આમ ને કોઈએ કર્યો તેમ.

કોઈના બચાવનો ખુલાસો  કોઈએ કર્યો આમ ને કોઈએ કર્યો તેમ.

કોઈના ખુલાસાનો  વિશેષ ખુલાસો કોઈએ કર્યો આમ ને કોઈએ કર્યો તેમ.

કોઈના વિશેષ ખુલાસાનો પ્રતિભાવ કોઈએ આપ્યો આમ ને કોઈએ આપ્યો તેમ.

કોઈના પ્રતિભાવને ટેકો  કોઈએ આપ્યો  આમ ને  કોઈએ આપ્યો તેમ.

કોઈના ટેકાનો આભાર કોઈએ માન્યો આમ ને કોઈએ માન્યો તેમ.

કોઈએ માનેલા આભાર બાબત આક્રોશ કોઈએ ઠાલવ્યો આમ ને કોઈએ ઠાલવ્યો  તેમ.

કોઈના આક્રોશને  દંભ કોઈએ કહ્યો આમ ને કોઈએ કહ્યો તેમ.

કોઈના દંભના પરદા  કોઈએ ફાડ્યા  આમ ને કોઈએ ફાડ્યા  તેમ.

કોઈના પરદા ફાટવાના બનાવને કોઈએ ચગાવ્યો આમ ને કોઈએ ચગાવ્યો ઓ તેમ.

કોઈએ ચગાવેલા બનાવને નીચે ઉતારવા માટેનો ઉકેલ કોઈએ દર્શાવ્યો આમ ને કોઈએ દર્શાવ્યો તેમ.

કોઈએ દર્શાવેલા ઉકેલને ગતકડું કોઈએ કહ્યું આમ ને કોઈએ કહ્યું તેમ.

કોઈએ કહેલાં  ગતકડાંનો વરઘોડો કોઈએ કાઢ્યો આમ ને કોઈએ કાઢ્યો તેમ.

કોઈએ કાઢેલા વરઘોડામાં ગીત કોઈએ  ગાયાં આમ ને કોઈએ ગાયાં તેમ.

કોઈએ ગાયેલાં ગીતોની સાથે કોઈ નાચ્યું આમ ને કોઈ નાચ્યું તેમ.

કોઈના નાચને આચારસંહિતાનો ભંગ કોઈએ ગણાવ્યો આમ ને કોઈએ ગણાવ્યો તેમ.

આચારસંહિતાના ભંગની ફરિયાદ કોઈએ કરી આમ ને કોઈએ કરી તેમ.

ફરિયાદનો ચુકાદો તો આવતા આવશે પણ એ પહેલાં ….

ત્રાસેલા આમઆદમીએ બૂમ પાડી કે ………..

એ………..બકવાસ બંધ કર……….!!!!!!!!!!!!

હેં બાપુ… ઓલ્યો અમિતાભ બસ્સન સે ઈ પાસો ભેખડે ભરાવાનો થ્યો સે?

[તસવીર :Google Immage પરથી]

ગામ છે. ડેલી છે. બાપુ છે. ભગો છે ને ડાયરો છે.બે જણનો જ ડાયરો. બાપુ બોલે તો ભગો હોકારો ભણે ને ભગો બોલે તો બાપુ હોકારો ભણે. તગતગતી બીડીઓના સહારે ડાયરો જામ્યો છે.

ભગો: હેં બાપુ… ઓલ્યો અમિતાભ બસ્સન સે ઈ પાસો ભેખડે ભરાવાનો થ્યો સે?

બાપુ: કેમ એવું પુસવું પડે સે?

ભગો: આજે સે ને એનું નામ સાપામાં આવ્યુ સે.

બાપુ: એનું નામ સાપામાં નો આવ્યું હોય એવો એકેય દી ગ્યો સે ખરો?

ભગો: પણ બાપુ .. સમાચાર એવા સે કે ઈ ઊભો રેવાનો સે.

બાપુ: ઊભો રેહે તો થાકી જાહે. આમેય હાજોમાંદો તો રે સે.

ભગો: એમ વાત નથી બાપુ.

ભગો: તો કેમ સે ? મોઢામાંથી ફાટ્યની.

ભગો: ઈ કદાસને સૂંટણીમાં ઊભો રે એવા ખબર સે.

બાપુ: તો તો પાકે પાયે ભેખડે ભરાહે.

ભગો: મને એમજ લાગે સે. હાર્યા વગર નો રે. એક વખત સૂંટાણોતો પણ રાજીનામું દેવું પડ્યુંતુ કે નઈ?

બાપુ: હાસી વાત સે. એણે બઉગુણા જેવા મોટા નેતાને હરાવ્યોતો. પણ પસી રાજકારણમાં એને ફાવ્યું નઈ.

ભગો: એટલેજ કઉ સું કે હવે ફરીથી નો સૂંટાય. હારી જ જાય.

બાપુ: હારે તો નઈ. ફિલમની લાઈનનું ગલુડિયું ઊભું રે ને તો એય સૂંટાય જાય.

ભગો: તો પસી બાપુ ભેખડે ભરાવાની વાત ક્યાંથી આવી?

બાપુ: તુ હમજ્યો નઈ. રાજકારણના ખેલ ખેલવાનું એનું ગજુ નથી. એટલે ઈ ઊભો જ નો રે.

ભગો: પણ ઓલ્યો જાદુગર ઊભો કરી દે તો?

બાપુ: ક્યો જાદુગર?

ભગો: અમરસિંહ .બીજો કોણ?

બાપુ: તો કેવાય નઈ. ઈ ભલભલા ખેલ પાડી દે એવો સે. એ આજકાલ્ય માથા ગોતતો ફરે સે.

ભગો: અમરસિંહ વળી એને મોટોભાઈ ગણે સે. મોટાભાઈ મોટાભાઈ કરીને શરમમાં નાખી દેહે.

બાપુ: બસ્સને શરમ રાખ્યા વગર ના પાડી દેવી જોઈએ. અરે ભાઈ એને આખી દુનિયા એક કલાકાર તરીકે પૂજા કરે સે. એણે વળી કોઈ પક્ષમાં ભળવું જ સું કામ જોઈ?

ભગો: એના ઘરવાળા ઓલ્યા જયાબેન કેવા વાતવાતમાં ભેખડે ભરાય જાય સે.

બાપુ: એણે ય રાજકારણથી સેટા રેવું જોઈ. પણ નથી રઈ હક્તા. રાજકારણના રંગ જ એવા સે.

ભગો: તો અમિતાભ બસ્સનન હવે જાતી જિંદગીએ ઈ રંગે રંગાહે?

બાપુ: મારું માનવું સે કે નઈ રંગાય. પણ જો ભૂલેસૂકેય રંગાહે તો…

ભગો: તો?

બાપુ: તો ભેખડે ભરાહે.

પછી તો બાપુએ હાથ ધર્યો ને ભગાએ તાળી દીધી.આમ બાપુ ને ભગો બેઉ રાજી થાય છે એક્બીજાને તાળીઓ દે છે ને ડાયરો જામે છે.

અમરસિંહ મોટો જાદુગર છે.

[તસવીર :Google Immage પરથી]

ગામ છે. ડેલી છે. બાપુ છે. ભગો છે ને ડાયરો છે.બે જણનો જ ડાયરો. બાપુ બોલે તો ભગો હોકારો ભણે ને ભગો બોલે તો બાપુ હોકારો ભણે. તગતગતી બીડીઓના સહારે ડાયરો જામ્યો છે.


ભગો: બાપુ આ અમરસિંહ કોણ સે? રાજા સે?

બાપુ: ગાંડા હવે રાજા કેવા ને વાત કેવી? હા, હવે તો નેતા એ જ રાજા.

અમરસિંહ મોટો નેતા સે. કેમ પૂસવું પડ્યું?


ભગો: ઈ તો જરાક ડાગલા જેવો લાગેસ એટલે.


બાપુ: ઈ ડાગલા જેવો ભલે દેખાય પણ સે ખેપાન માણહ હો. જાદુગર સે જાદુગર!


ભગો: એમ?


બાપુ: હા. તને ખબર સે ને કે વચ્યમાં દિલ્લીની સરકાર જાવા બેઠીતી. તઈં આ અમરસિંહે જ બસાવી લીધી. એણે જઈને સોનિયાબાઈને જઈને કઈ દીધું કે બેન ગભરાતાં નહીં. હું સરકારની પડખે સું.


ભગો: પણ જઈં હોય તઈં દાંત જ કાઢતો હોય એટલે મને એમ કે ડાગલો સે.


બાપુ: ઈ દાંત કાઢે ને કઢાવે પણ વખત આવ્યે એવો ખેલ કરે ને કે તમને એમ લાગે કે આતો જાદુગર જ કહેવાય!


ભગો: જબરો કેવાય!


બાપુ: જબરો તે કેવો! ઓલ્યા બસ્સનને ઓળખ્ય કે નઈં?


ભગો: અમિતાભ બસ્સનને? એને તો ગામનું ગલુડિયુંય ઓળખે.


બાપુ: ઈ બસ્સન કોઈને ગાંઠે એવો નથી.પણ આ જાદુગરને પૂસીને પાણી પીવે.


ભગો: હા ઈ હાસુ. એની જોડ્ય ખરી. આપણને એમ થાય કે આ મેળ કેમનો જામે?


બાપુ: પણ ઈ આ જાદુગરનું કામ.


ભગો: હમણા તો ઓલ્યો ખલનાયક પણ એનામાં ભળ્યો સે?


બાપુ: તુ કોની વાત કરેસ?


ભગો: ઓલ્યો.. વચ્યમાં જેલમાં હતોને એની. ઈયે ફિલમમાં કામ કરેસ.


બાપુ: સંજયદત્ત. એલા ઈયે મોટો કલાકાર સે. ખલનાયક તો ઈની ફિલમ હતી. હા.જરા સંગતફેર થ્યોતો એટલે વગોવાય ગ્યોતો. બાકી સે મોટો કલાકાર. એલા ઓલ્યા સુનિલદત્તનો દીકરો. બાપેય કલાકાર ને દીકરોય કલાકાર!


ભગો: તે કલાકારીગરી સોડીને રાજકારણના રવાડે?


બાપુ: જો ભગા. આમાં એવી વાત સે ને કે કલાકારને રાજકારણનો ઓથ મળે ને રાજકારણવાળાને એક માથુ મળે સૂંટણીમાં સૂંટાય એવું. બાકી કેટલાય ફિલમવાળા નેતા બનવા નીકળે સે ને ઈ બધાં સું ઉકાળે સે ઈ આપણે ક્યાં નથી જાણતા?


ભગો: સો વાતની એક વાત. આ ખેલ બધો જાદુગર અમરસિંહનો.


બાપુ: હવે તુ હમજ્યો કે અમરસિંહ એટલે….

. ભગો: અમરસિંહ એટલે મોટો જાદુગર.


પછી તો બાપુએ હાથ ધર્યો ને ભગાએ તાળી દીધી.આમ બાપુ ને ભગો બેઉ રાજી થાય છે એક્બીજાને તાળીઓ દે છે ને ડાયરો જામે છે.


મોદીને પાડે ઈ ઘોડા ને નો પાડે ઈ ગધેડા!

[તસવીર :Google Immage પરથી]

ગામ છે. ડેલી છે.બાપુ છે. ભગો છે. ને ડાયરો છે. બે જણનો જ ડાયરો. બાપુ બોલે તો ભગો હોકારો ભણે ને ભગો બોલે તો બાપુ હોકારો ભણે. તગતગતી બીડીઓના સહારે ડાયરો જામ્યો છે.

બોલ્ય ભગા. નવાજૂની સું સે?

નવાજૂની તો થાતાં થાતાં રઈ ગઈ બાપુ.

એવું વળી સું થ્યું?

કેમ! તમે ટીવીમાં નો જોયું? નરેન્દ્ર મોદી ઘોડે ચડ્યાતા ઈ.

જોયુંને. ઘોડે કૂદ્યો ઈયે જોયું. ઘોડાની વાત નીકળતા બાપુ રંગમાં આવી ગયા.

કૂદ્યો પણ પાસલા પગે કૂદ્યો. મોદી પડ્યા નઈં. પડ્યા હોત તો નવાજૂની થઈ જાત!

કેમ? તારે મોદીને પસાડવાતા?

એને પસાડવા તો ભલભલાએ ખેલ ખેલી જોયા. પણ કોઈનો ગજ વાગ્યો નઈં. એમાં આપડી તો વાત જ ક્યાં રઈ?

એલા. સૂંટણી વખતે તો એવું લાગતુંતું કે આ વખતે આ માણહ ગ્યો ગોથાં ખાતો. પણ થ્યું ઊંધું.

આ વખતે પણ એવું જ થ્યું ને બાપુ. ઘોડો કૂદ્યો તઈં તો ઘણાને તો એમ જ થ્યું કે મોદીસાબ્ય આઘડી આળગોટિયું ખાઈ જાહે પણ એવું કાંઈં થ્યું નઈં એટલે ઘણાંની તો મનની મનમાં રઈ ગઈ હશે હોં

અને પાસા કેવાવાળા તો એવું કે સે કે ઈ ઘોડો નોતો પણ ગધેડો હતો નકર પાસલા પગે નો કૂદે.

ઈ તો એવું જ કે ને. મોદી પડ્યા નહીં એટલે કાઈંક તો તારણ કાઢવું પડેને?

અને જો મોદી પડ્યા હોત તો?

તો ઘોડો હાસો. ભગાએ હાથ ધર્યો ને બાપુએ તાળી દીધી.

મોદીને પાડ્યા નહીં એટલે ઈ ઘોડો મટી ગ્યો ?બાપુ બોલ્યા.

હા.તો ઈ ગધેડો. મોદીને પાડે ઈ ઘોડા નો પાડે ઈ ગધેડા

એલા ભગા આ તો કહેવત જેવું થઈ ગ્યું. ફરીથી બોલ્ય તો.

મોદીને પાડે ઈ ઘોડા ને નો પાડે ઈ ગધેડા.”!

વાહ ભગા વાહ. મોદીને પાડે ઈ ઘોડા ને નો પાડે ઈ ગધેડા. એલા આ તો કહેવત જ થઈ ગઈ.બાપુએ હાથ ધર્યો ને ભગાએ તાળી દીધી.

આમ બાપુ ને ભગો બેઉ રાજી થાય છે એક્બીજાને તાળીઓ દે છે ને ડાયરો જામે છે.

શું શ્રી નરેન્દ્ર મોદીએ ‘સમય’ની ચાલ બદલી નાંખી છે?

[તસવીર :Google Immage પરથી]

હા શ્રી નરેન્દ્ર મોદીએ ‘સમય’ની ચાલ બદલી નાંખી છે.

હું ‘સમય’ ચેનલની વાત કરી રહ્યો છું. ગઈકાલે મેં ‘સમય’ ચેનલ પર ‘મોદીની માયા’ નામના સમાચારના કાર્યક્રમમાં શ્રી નરેન્દ્ર મોદીની પ્રશંશા સાંભળી. મને ગુજરાતની છેલ્લી વિધાનસભાની ચૂંટણી યાદ આવી ગઈ. આ ચૂંટણી પહેલાં કેટલીક ચેનલની જેમ ‘સમય’ચેનલે પણ મોદી વિરુદ્ધ જાણે કે ઝુંબેશ આદરી હતી. લોકશાહીમાં દરેકને પોતાનો મત વ્યક્ત કરવાનો અધિકાર છે. સમાચાર માધ્યમો સાચા સમાચાર આપવાની જવાબદારી નિભાવવા માટે કોઈપણ નેતાની કે સરકારની ટીકા કરી શકે છે. પણ એમાં ઈમાનદારી અને તટસ્થતા હોવી જોઈએ. જે આ ચેનલમાં તે વખતે પ્રચારિત થતા સમાચારોમાં જણાતી નહોતી. કોઈ સામાન્ય માણસ મોદી વિરુદ્ધ બોલે તો એ બાબતને જોરશોરથી રજૂ કરવાનાં અને કોઈ જો તરફેણમાં બોલવા માંગતો હોય તો એની વાત કાપી નાંખવાનાં અવનવાં ગતકડાં ચોખ્ખાં જણાઈ આવતાં હતાં. આવી ચેનલ પરથી ઘણાંખરાં લોકોનો વિશ્વાસ ઊઠી ગયો હતો. આનાં પરિણામે ક્યારેક ચેનલ મોદીની વાજબી ટીકા કરે તો પણ એની અસર થતી નહોતી. હદ તો શપથવિધિ વખતે થઈ. એક કલાકાર લોકગીત ગાતો હતો પણ આ ચેનલના બિનગુજરાતી રીપોર્ટરને લાગ્યું કે આ તો મોદીસાહેબના ગુણગાનનું ગીત છે. એણે કહી દીધું કે “યહાં મોદી કે કસીદે પઢે જા રહે હૈં.”

આ જ ચેનલને હવે મોદીના કસીદા પઢવાનો વારો આવ્યો. ખરેખર તો આજે પણ એણે મોદી કે સરકારની વાજબી પ્રશંસા કે ટીકા કરવાની જવાબદારી નિભાવવી જોઈએ. એક તરફ પ્રશંશા કરવી અને બીજી તરફ ‘મોદી કી માયા’ જેવું મથાળુ રાખવું. એનો અર્થ એ થયો કે હજી પણ પોતાની  તંગડી ઊંચી રાખવી છે.

તો એમની ભાષામાં એવું કહી શકાય કે મોદીની માયાના કારણે ‘સમય’ની ચાલ બદલાઈ ગઈ.

એક એમ.પી. ભગારામ કશું કહેતા નથી




એક એમ.પી. ભગારામ..

એક એમ.પી. ભગારામ ..

એક એમ.પી. ભગારામ હજુ પણ કશું કહેતા નથી.

એ સરકારની તરફેણમાં છે કે વિરુદ્ધમાં?

એ સવાલના જવાબમાં…

એ મગનું નામ મરી લેતા નથી.

એક એમ.પી. ભગારામ હજુ પણ કશું કહેતા નથી.

ચૂંટાયા પછી મતવિસ્તારમાં એમની હાજરી?

હાજરી કેવી ને વાત કેવી?

ખેલ પૂરો થયા પછી

ડુગડુગી વગાડવાની વાત કેવી?

ચૂંટાયા પછી સંસદમાં એમની હાજરી?

ખરી..ખરી. થોડીઘણી પણ ખરી.

પણ એમના થકી પ્રશ્નોની રજૂઆત ?

ખાસ નહીં.

એમના થકી પ્રધાનશ્રીને કશી તકલીફ?

ખાસ નહીં.

એમના થકી અધ્યક્ષશ્રીને કશી તકલીફ?

ખાસ નહીં.

સંસદમાં એમની આંખો બંધ.

એમના કાન બંધ.

એમના હોઠ બંધ.

જેમ કોઈ તલવાર હોય મ્યાનમાં

એમ તેઓશ્રી બેસી રહે ધ્યાનમાં.

જેમ કમળનાં પાનને જળ સ્પર્શ કરતું નથી

એમ એમને સંસદની ચર્ચા સ્પર્શ કરતી નથી.

પણ હવે?

હવે એ વાતનું શું છે?

હવે તો ફેંસલાની ઘડી છે.

નથી ખબર શી આફત પડી છે!

ખબર છે માત્ર એટલી કે

સંસદમાં હાજર રહેવાની હાકલ પડી છે!

પણ તોય..

એક એમ.પી. ભગારામ હજુ પણ કશું કહેતા નથી.

એ જમણવારમાંય હાજર રહેતા નથી.

એક એમ.પી. ભગારામ હજુ પણ કશું કહેતા નથી.

કરદાતાઓ …મતદાતાઓ ..

ચૂંટણી વખતે તમોને કહેવામાં આવ્યું હતું કે-

મતદાન કરો ..નવ ઢીલ કરો..

મતદાન કરી નયને નીંદ ધરો.

તમે એ વાતને ઘણી કાને ધરી

તમે નયને અતિશય નીંદ ધરી.

પણ હવે..

તમારા નયનોથી નીંદને દૂર કરો.

ને જુઓ.ધ્યાનથી જુઓ.

જોવાના પૈસા નથી.

જુઓ કે -

તમારા એક એમ.પી. ભગારામના

એક મતની કીંમત કેટલી છે!

પણ જોજો હો

મીંડાં ગણવામાં ભૂલ ન કરતાં

કિસ્મત કરાવે એ ભૂલો બધી થઈ ગઈ.

હવે શું?

હવે તો ફેંસલાની ઘડી છે.

નથી ખબર કે શી આફત પડી છે!

ખબર છે માત્ર એટલી કે -

સરકાર તો

શોલેની ટાંકી પર ચડી છે.

પણ તોય…

એક એમ.પી. ભગારામ હજુ પણ કશું કહેતા નથી.

કોઈ પણ સવાલનો જવાબ

એ સીધો ને સરળ દેતા નથી.

ખળ ખળ

ખળ ખળ…

વહેતા નથી.

એક એમ.પી. ભગારામ હજુ પણ કશું કહેતા નથી.

એક એમ.પી. ભગારામ હજુ પણ કશું કહેતા નથી.