
નગર તસવીર: ધવલ ઠક્કર લેખ:યશવંત ઠક્કર
આપણું નગરજીવન સાચી ને ખોટી રીતે ઘણું જ વગોવાયું છે. નગરજીવન બાબત કેટલીક મુખ્ય ફરિયાદો આવી હોય છે.
[1] નગર કે શહેરમાં કોઈ કોઈનું નથી. સાચો માણસ મળવો મુશ્કેલ છે.
[2] નગરમાં ઘાસ અને વૃક્ષોનો સફાયો થઈ જતો હોય છે . ગાયમાતાઓ ઘાસના અભાવે પ્લાસ્ટિકની થેલીઓ ખાતી હોય એ જાણે કે સ્વાભાવિક ગણાવા માંડ્યું છે.
[3] નગરમાં પક્ષીઓ માટે કોઈ જગ્યા નથી. પક્ષીઓના ટહુકા ડોરબેલ કે ટીવી મારફતે સાંભળીને સંતોષ માનવો પડે છે.
[4] શહેરમાં ચોખ્ખી હવા માટે ફાંફા મારવા પડે છે.
[5] શહેરમાં લાજ શરમ નેવે મુકાઈ ગયા છે. ખાસ કરીને કન્યાઓ અને મહિલાઓની બાબતમાં.
… ઉપર જણાવેલી બાબતો રજૂ કરતી હોય એવી અનેક કવિતાઓ ,વાર્તાઓ કે અન્ય પ્રકારની રચનાઓ આપણે માણી ચૂક્યા છીએ. પરંતુ આજની તારીખે આ તમામ મુદ્દાઓ સાથે મને સો ટકા સહમત થવા જેવું લાગતું નથી.
કારણ કે મને લાગે છે કે…
- હજી શહેરમાંથી માણસાઈએ સંપૂર્ણ વિદાય લીધી નથી.
-શહેરમાં હજી પણ ગાયમાતાને ખાવા માટે ક્યાંક ક્યાંક ઘાસનાં તરણાં નસીબમાં છે.
- શહેરના બહારના વિસ્તારમાં રહેતા લોકોને કોકિલનો કલશોર કે મોરલાનો કેકારવ કે કબૂતરનું ઘૂ ઘૂ ઘૂ સાંભળવા મળી શકે છે. જો સાંભળવાનો ઈરાદો હોય તો!
- જો શહેરમાં હજી પણ કેટલીક જગ્યાએ ચોખ્ખી હવા મળી શકે છે. અલબત્ત એ માટે આઘાંપાછાં થવું પડે.
- છેલ્લો મુદ્દો નાજુક છે. ગેરસમજ કરે એવો છે. પણ આજની નારી જ્યારે તમામ ક્ષેત્રમાં પોતાની શક્તિ પૂરવાર કરે રહી છે ત્યારે કઈ કન્યા ખરેખર આવું કહેશે કે :
ત્રાજવે ત્રફેંલા મોરની ભેળી હું છાનકી વાતું કરું રે લોલ
લોલ, મારે મોભારે કાગડો બોલે ને અમથી લાજી મરું રે લોલ [રમેશ પારેખ નાં ગીતમાંથી]
એટલે બિન જરૂરી લાજ શરમ નેવે મુકાઈ ગયા હોય તો સમયનો તકાજો છે. બાકી .. શરમાતી કન્યાઓ હજી પણ જોવા મળી શકે છે.
… પણ ધારો કે ભવિષ્યમાં ખરેખર શહેરનું જીવન ઉપર જણાવેલી તકલીફો ના પ્રભાવ હેઠળ સો એ સો ટકા આવી જાય તો .. તો … તો … મારા જેવો અ- કવી કેવી રચના કરે.
એક કલ્પના રજૂ કરવાનું મન થાય છે.
ટોળે વળો
આ નવું શું થાય છે ટોળે વળો.
એક માણસ જાય છે ટોળે વળો.
ઘાસ ઊગ્યું આ નગરની મધ્યમાં
ગાય તરણાં ખાય છે ટોળે વળો.
સાવ અસલી એક પક્ષી જોઈ લો
ગીત મીઠાં ગાય છે ટોળે વળો.
ના ધુમાડાનું નથી નામો નિશાન
વાયુ ચોખ્ખો વાય છે ટોળે વળો.
માનવામાં આવશે એ વાત કે
છોકરી શરમાય છે ટોળે વળો.
Like this:
2 bloggers like this post.