Archive

Posts Tagged ‘ચિંતન’

બાપા આવે છે

જય જલારામ.
આજે જલારામ જયંતી છે.
સંત જલારામ. ભગત જલારામ. બાપા જલારામ. વીરપુરના વાસી જલારામ.
એ જલારામ કે જેણે તરસ્યાને પાણી પાયા. ભૂખ્યાને ભોજન દીધા. થાકેલાને આશરો દીધો.
એ જમાનામા.. કે જમાનામાં આટલી બધી સગવડતાઓ નહોતી. આટલા બધાં સાધનો નહોતાં. આવા રસ્તા નહોતા. આવાં વાહનો નહોતાં. તોય વીરપુર જેવાં નાનકડાં ગામમાં એક સામાન્ય વેપારીના દીકરાએ ભક્તિ,ભજન,સત્સંગ અને સેવાનો કારોબાર શરૂ કર્યો. આજે ભલે છપ્પનભોગ,ભંડારો કે મહાપ્રસાદનાં આયોજન છાશવારે થતાં હોય પણ ત્યારે જલારામે કેટલી કેટલી મુસીબતો વેઠીને અતિથીઓનાં ભાણાંમાં શાક,રોટલો કે ખીચડી મૂક્યાં હશે? ને આટલું ઓછું હોય એમ પાછા સત્સંગ માટે વીરપુરથી ઠેઠ ફત્તેપુર[અમરેલી] ગુરુ ભોજા ભગત પાસે પહોંચતા. વાત વાતમાં હાંસીને પાત્ર ઠરતો હતો એ જલો પછીથી જલારામબાપા કહેવાયો. કોઈ જાતના પ્રચાર વગર. માત્ર ને માત્ર પોતાનાં કાર્યોથી.
જલારામ જેવા કોઈ પણ સંતોએ ભલે કોઈપણ જ્ઞાતીમાં જન્મ લીધો હોય પણ તેઓનું જીવન સમગ્ર સમાજ માટે સમર્પિત હોય છે. જલારામ લોહાણા કે ઠક્કર જેવી વેપારી જ્ઞાતિમાં જન્મ્યા હતા. સ્વાભાવિક રીતે જ આ જ્ઞાતીને આ બાબતનો ગર્વ હોય. અમારા મનમાં પણ એવો ભાવ રમતો હોય છે. પણ અમે જાણીએ છીએ કે એ માત્ર અમારા બાપા નથી. આપણા સહુના બાપા છે. જલારામને મન કોઈ ભેદ નહોતા. નાત,જાત કે ધર્મના ભેદ નહોતા. અમીર-ગરીબના ભેદ નહોતા. સમાજના તમામે તમામ વર્ગના લોકો જેને ચાહતી હોય એવી વિભૂતિ કોઈ ચોક્ઠામાં પૂરાઈને રહેતી નથી.
બીજી વાત. આવા ભક્તો કે સંતોના જીવન સાથે અનેક ચમત્કારોની વાતો જોડાયેલી હોય છે. આજે પણ બાપાના જીવન સાથે નાના મોટા પરચા કે ચમત્કારોની વાતો જોડાતી હોય છે. સહુની શ્રધ્ધાને અમે નમસ્કાર કરીએ છીએ. પણ અમને વાત વાતમાં માનતા માનવાની આદત નથી. અમે બાપા પાસે આશીર્વાદ માંગીએ છીએ પણ અમારા સંઘર્ષ વગર ચમત્કારની આશા રાખતા નથી. સંતાનો પરિક્ષામાં પાસ થઈ જાય, કોઈને નોકરી મળી જાય કે કોઈની નાનીમોટી બીમારી મટી જાય એ બધી વાતો આનંદ આપનારી છે.પણ એથી કરીને મહેનત કે સંઘર્ષનો મહિમા ઘટવો ન જોઈએ એવું અમે નમ્રપણે માનીએ છીએ. એવી જ રીતે ચમત્કારોની છાયામાં જલારામબાપાનો પોતાનો સંઘર્ષ પણ અમે ભૂલવા માંગતા નથી..
અમે જ્યારે જ્યારે વીરપુર જઈએ છીએ ત્યારે ત્યારે અમને એવી ક્લ્પના કરવવી ગમે છે કે જાણે આ દેખાય છે એ કશું જ નથી. ન બજાર.ન દુકાનો. ન વાહનો. ન પાકા રસ્તાઓ. નાનકડું ખોબા સમાન ગામ છે. ગામની બહાર ખેતરોની વચ્ચે વાંકોચૂકો કેડો છે. કેડા પર કોઈ કહેતા કોઈ નથી. અને પછી લાગે છે કે કોઈ આવી રહ્યું છે. .. પછી ઓળખાણ પડે છે કે: અરે! આ તો બાપા આવે છે. જલાબાપા. હાથમાં લાકડી.ખભે જોળી. માથે પાઘડી.અને અંતરમાં રામ.
ઘણું કરીને અમે ધર્મ,ભક્તિ કે સત્સંગની વાતોની રજૂઆત કરતા નથી. અમે એમાં ઊંડા ઉતર્યા નથી. વધારે જાણતા નથી. એટલે ડહાપણ કરવામાં માનતા નથી. જલારામબાપા જીવન વિષે પણ સહુને જાણ છે. અમારે વિશેષ કશું કહેવું નથી. પણ અમારા મનમાં રમતી બેચાર વાતો આ બહાને રજૂ કરવાની તમન્ના અમે રોકી શક્યા નથી.
જય જલારામ બાપા.

ખાડાદર્શન

છેલ્લાં ત્રણેક વર્ષોથી વડોદરા નગરીમાં ખોદકામ અને તોડફોડ પ્રવૃત્તિ ચાલી રહી છે. ઘણી જગ્યાએ ખાડા ખોદવામાં આવ્યા છે અને માટીના ઢગલા કરવામાં આવ્યા છે. અને પછીએ જાણે એ અખંડ રહેવાના હોય એમ વહીવટી તંત્ર એને વતાવતું નથી. વહીવટી તંત્ર આ પ્રવ્રુત્તિને નવસર્જનનું રૂપાળું નામ આપે છે. પણ કેટલાક નગરજનોને  તો આ પ્રવ્રુત્તિ વિસર્જનની પ્રવૃત્તિ લાગી રહી છે અને તેથી તેઓ  અજ્ઞાત ભયથી પીડાય રહ્યાં છે. હતાશા,ઉશ્કેરાટ ,તણાવ જેવી માનસિક બીમારીનો શિકાર થઈ પડ્યાં છે. પ્રસ્તુત લેખથી એ લોકોને થોડીઘણી રાહત પહોંચશે એવા શુભ આશયથી આ લેખ રજૂ કરવામાં આવ્યો છે.

આમ તો અન્યને કોઈપણ પ્રકારનો ઉપદેશ આપવો એ અમારી હેસિયત બહારની વાત છે. પણ  ખબર નહીં, ઉમરનો પ્રતાપ હોય કે પછી વાતાવરણની અસર હોય! આજકાલ અમને બધી બબતોમાં  શાંત ચિત્તે અને હકારત્મક રીતે વિચારવાની આદત પડતી જાય છે. આ  ખાડાઓ અને માટીના ઢગલાઓ નો અમે પૂરતો અનુભવ લીધો છે અને એ બાબત બાબત અમે ઘણું ચિંતન કર્યું  છે. એથી કરીને અમને  દિવ્ય કહી શકાય એવાં જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે. જ્ઞાન જેટલું વહેંચાય એટલું સારું એવી અમારી  માન્યતા છે. એ માન્યતાને આધીન અમારું  જ્ઞાન વહેંચવાનો  અમારો આ પ્રયાસ છે. અમને વિશ્વાસ છે કે  સુજ્ઞ વાચકોને અમારો આ પ્રયાસ  જરૂર ગમશે.

એક દિવસ અમે  અમારાં દ્વિચક્ર વાહન પર સવાર થઈને શહેરમાં નીકળ્યા હતા.  અચાનક જ  અમે  એવી જગ્યાએ પહોંચી ગયા કે  જે અમને સાવ અજાણી લાગી. એકદમ ઉજ્જડ જગ્યા. માટીના ઢગલા. ઊંડા ઊંડા  ખાડા.  એકાદ જ ખૂલ્લી દુકાન.  આરામ ફરમાવતા કૂતરાઓ.  ઝાડ નીચે વગડાને માણતી હોય એવા ભાવ સાથે ઊભેલી ગાયો. કોઈ પ્રકારનો  અવાજ નહીં. અમને નવાઈ લાગી. અમે  એકદમ જ  આ ક્યાં ગામડે આવી પહોંચ્યા? અમને  મતિભ્રમ જેવું થઈ ગયું.  પણ  ત્યાં તો અમારું ધ્યાન  એક મોટા  અને જાણીતા કોમ્પલેક્સ તરફ  ગયું.  ત્યારે અમને  ભાન થયું કે :અરે, અમે  તો વડોદરાના એ  રાજમાર્ગ પર ઊભા છીએ કે  જે માર્ગ ઘણા વખતથી બંધ રાખવામાં આવ્યો  છે.

અમને તો સમગ્ર વાતાવરણ ખૂબ જ ગમ્યું એટલે  મનભરીને ગ્રામ્યદર્શનનો લાભ લીધો.  શહેરની માયાજાળમાં અટવાયેલા એવા અમે વર્ષોથી ગામડે જઈ શક્યા નહોતા. આ તો ઘેર બેઠાં ગંગા! શહેરીજનોએ તો આવી અમૂલ્ય તકનો લાભ લઈને અમારી જેમ ગ્રામ્યદર્શનનો લાભ લેવો જોઈએ. પોતાના બાળકોને હોંશે હોંશે ખાડાના દર્શન કરાવવા જોઈએ.  ગામડે જવું હોય  તો મફતમાં જવાય છે? કેટલું કષ્ટ પડે? પણ અરેરે! મૂઢ આત્માઓ શહેરના વહીવટી તંત્રના શુભ આશયને સમજી શકતા નથી. મજાનો   લહાવો લેતા નથી અને છાપાં ની વાદેવાદે વ્યર્થ  ઉહાપોહ કરે છે.

… અને આ માટીના ઢગલા! અહાહા! માટીમાં રમતું આ નગર ફરી મળે ના મળે! આટલી માટી સાથે અને આટલો વખત આ શહેર કદી રમ્યું નથી!! અરેરે! શહેરમાં ક્યારેક તો  શોધી માટી પણ નથી મળતી! અને જ્યારે માટીના એકાગ્ર ચિત્તે દર્શન કરવાનો મોકો મળ્યો છે ત્યારે વાતવાતમાં ‘ આ બધું ક્યારે સરખું થશે?’ એવા અર્થહીન પ્રશ્નો કરનારાંને શું કહેવું? અરેરે! આડે દિવસે વતનની ધૂળને માથે ચડાવવાનાં ગીતો લલકાવનારા , તમને  જ્યારે ખરેખર એ ધૂળમાં નહાવાનો મોકો મળ્યો છે ત્યારે ઊભી પૂછડી ભગો છો? આ તમારો દંભ નથી તો બીજું શું છે?  કથાકારો ગળું ફાડી ફાડીને કહે છે કે ‘એક દિવસે તો આપણે માટીમાં જ મળી  જવાનું છે.’ તો  પછી આપણાં ભવિષ્યનાં રહેઠાણને મનભરીને નીરખવાના બદલે દુ;ખી થવાનો અર્થ ખરો? અમે તો કહીએ છીએ કે  કે કશો જ અર્થ નથી!વાતવાતમાં માતાપિતાને  AC મુકાવી દેવાની સલાહ આપનારા સંતાનોને એ માબાપ કહી શકે કે : ‘દીકરાઓ, AC  મુકાવવું જ હોય તો આ ખાડામાં મુકાવીએ કારણ કે એ જ આપણું કાયમી રહેઠાણ  છે. ‘

એ તો સાવ સાદી ને સીધી વાત છે કે  ખાડો  હોય તો દી ક્યારેક પડી  પણ જવાય. TV ના પરદે વિદેશીઓની  જીવના જોખમે રમાતી રમતો જોઈને ‘ આપણે ત્યાં આવું બધું  ક્યારે આવશે?’ એવા સવાલો કરીને જીવ બાળનારાં  સાહસપ્રિય લોકોને તો  આ ખાડાઓ તો મફતમાં મળેલી ભેટ જેવા લાગવા જોઈએ. જોખમ વગરનું જીવન શાં કામનું? નગરના કવિઓએ તો  ખાડાકાવ્યો રચવા જોઈએ જેવાં કે : ખાડાની  ધારે ધારે તું  ચાલ્યો જા… ચાલ્યો જા…

પણ આવું ક્યાં કોઈને સૂઝે  છે? ખાડામાં પડવાના એકાદ બે બનાવ બને છે કે છાપાંમાં સવાલો પૂછાય છે કે : ‘વહીવટી તંત્ર હજી કેટલાંના ભોગ લેશે?’   પણ  અમારો સવાલ છે કે ખાડાઓ પુરાશે પછી  વધારે ભોગ નહીં લેવાય? લેવાવાના જ છે. કારણ કે ખાડા પુરાશે તો રસ્તા સારા થશે અને મોટા થશે. પરિણામે વાહનોની અવર જવર વધશે અને એમની ઝડપ પણ વધશે જેનાં પરિણામે અકસ્માતો વધશે ને ભોગ લેવાનો આંકડો વધશે.એથી કરીને અમારું માનવું છે કે વહીવટી તંત્ર જે વિલંબ દાખવી રહ્યું છે તે જાહેર જનતાના લાભાર્થે જ છે. ખરેખર તો આ    વિલંબ  લાગતાવળગતાઓને   ખાડાની ધારે કે માટીના ઢગલા પર ઊભા રાખીને  જાહેરમાં  સન્માન કરવું જોઈએ.

ખાડા ખોદાય ત્યારે ટેલિફોનખાતામાં  ફલાણી જગ્યાએ કેબલ કપાયો… કેબલ કપાયો… એવા ખબર ફરી વળે છે. જાણે કે કોઈ વીર યોધ્ધો રણ મેદાનમાં વીરગતિ પામ્યો હોય!  એ કેબલ સંધાય ત્યાં સુધી સૌ ટેલિફોન ધારકોને ટેલિફોનથી મુક્તિ મળે છે . વ્યર્થ વાણીવિલાસ અટકે છે. સમયની ઘણી જ બચત થાય છે. જે સમયનો ઉપયોગ પ્રભુ સ્મરણ માટે કરી શકાય. મૌન ધારણ કરીને બેઠેલા ટેલિફોનમાં સૌએ  તપ કરવા બેઠેલા મુનીનાં  દર્શન કરવા. ધંધામાં નુકસાન જવાની વાતો કરીને સરકારી ખાતાઓને દોષ દેનારા કમાણી કરતી વખતે એ જ ખાતાઓને કેમ યાદ નથી કરતા?  જે કાંઈ તકલીફો પડે છે તે તમને  આવી વાતોનું ભાન કરાવવા માટે માટે પડે  છે એમ માનવું.

ખાડાની કામગીરીના કારણે જેમની દુકાને ઘરાકો ન આવી શકતા હોય એમણે આવી નવરાશ  મળવા  બદલ રાજી થવું જોઈએ.  દુકાનો બંધ કરીને આરામ કરવો જોઈએ. ફરવા જવું જોઈએ. સગાવ્હાલાંને ત્યાં મહેમાન તરીકે ધામા નાખવા જોઈએ. કારણ કે અમસ્તા દુકાન બંધ કરવાનો  જીવ ચાલતો નથી. બીજો દુકાનદાર વધું કમાઈ લેશે એવો ડર લાગે છે!! જ્યારે સૌના ધંધા બંધ હોય ત્યારે એવો ડર રહેતો નથી.

આમ  ખાડાઓના કારણે  કેટલાય  વળગણોથી થોડીઘણી પણ   મુક્તિ મળે છે. જેથી કરીને સરવાળે આપણાં જીવને નિરાંત મળે છે. બીજું આપણને જોઈએ શું?

અને છેલ્લી વાત. કેટલાક લોકો કહે છે કે આવા ખાડા ખોદીને જે તે  ખાતાંવાળાં પૈસા  ખાય છે! લો કરો વાત! ખાતાંવાળા મફતમાં તો પૈસા ખાતા નથી! આપણને માટી ખવડાવીને પૈસા ખાય છે. પછી કકળાટ શાનો?

અમે માનીએ છીએ કે જે કોઈ  પૂરા ભાવથી ખાડાદર્શન કરશે એમને  અમને  થયું એવું જ દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થશે. ખાડા જેવા અમને ફળ્યા એવા સૌને ફળજો! અસ્તુ!  જય ખાડેશ્વર.

આ નવું શું થાય છે ટોળે વળો

નગર તસવીર:ધવલ ઠક્કર

નગર તસવીર: ધવલ ઠક્કર લેખ:યશવંત ઠક્કર

આપણું નગરજીવન સાચી ને ખોટી રીતે ઘણું જ વગોવાયું છે. નગરજીવન બાબત કેટલીક મુખ્ય ફરિયાદો  આવી હોય છે.

[1] નગર કે શહેરમાં કોઈ કોઈનું નથી.  સાચો માણસ મળવો મુશ્કેલ છે.

[2] નગરમાં ઘાસ અને વૃક્ષોનો સફાયો થઈ જતો હોય છે . ગાયમાતાઓ ઘાસના અભાવે પ્લાસ્ટિકની થેલીઓ ખાતી હોય એ જાણે કે સ્વાભાવિક ગણાવા માંડ્યું છે.

[3] નગરમાં પક્ષીઓ માટે કોઈ જગ્યા નથી.  પક્ષીઓના ટહુકા ડોરબેલ કે ટીવી મારફતે સાંભળીને સંતોષ માનવો પડે છે.

[4] શહેરમાં ચોખ્ખી હવા માટે ફાંફા મારવા પડે છે.

[5] શહેરમાં લાજ શરમ નેવે મુકાઈ ગયા છે. ખાસ કરીને કન્યાઓ અને મહિલાઓની બાબતમાં.

… ઉપર જણાવેલી બાબતો રજૂ કરતી હોય એવી અનેક કવિતાઓ ,વાર્તાઓ કે અન્ય પ્રકારની રચનાઓ  આપણે માણી ચૂક્યા છીએ. પરંતુ આજની તારીખે આ તમામ મુદ્દાઓ સાથે મને સો ટકા સહમત થવા જેવું લાગતું નથી.

કારણ કે મને લાગે છે કે…

- હજી શહેરમાંથી માણસાઈએ સંપૂર્ણ વિદાય લીધી નથી.

-શહેરમાં  હજી પણ ગાયમાતાને ખાવા માટે ક્યાંક ક્યાંક  ઘાસનાં તરણાં નસીબમાં છે.

- શહેરના બહારના વિસ્તારમાં રહેતા લોકોને કોકિલનો કલશોર કે મોરલાનો કેકારવ કે કબૂતરનું ઘૂ ઘૂ ઘૂ સાંભળવા મળી શકે છે. જો સાંભળવાનો ઈરાદો હોય તો!

- જો શહેરમાં ગજી પણ  કેટલીક જગ્યાએ  ચોખ્ખી હવા મળી શકે છે. અલબત્ત એ માટે આઘાંપાછાં  થવું પડે.

- છેલ્લો મુદ્દો નાજુક છે. ગેરસમજ કરે એવો છે.  પણ આજની નારી જ્યારે તમામ  ક્ષેત્રમાં પોતાની શક્તિ પૂરવાર કરે રહી છે ત્યારે કઈ કન્યા ખરેખર આવું કહેશે કે :

ત્રાજવે ત્રફેંલા મોરની ભેળી હું છાનકી વાતું કરું રે લોલ

લોલ, મારે મોભારે કાગડો બોલે ને અમથી લાજી મરું રે લોલ    [રમેશ પારેખ નાં ગીતમાંથી]

એટલે બિન જરૂરી લાજ શરમ નેવે મુકાઈ ગયા હોય તો સમયનો તકાજો છે.  બાકી .. શરમાતી કન્યાઓ હજી પણ  જોવા મળી શકે છે.

… પણ ધારો કે ભવિષ્યમાં ખરેખર શહેરનું જીવન  ઉપર જણાવેલી તકલીફો ના  પ્રભાવ  હેઠળ સો  એ સો ટકા આવી જાય તો .. તો … તો … મારા જેવો  અ- કવી કેવી રચના કરે.

એક કલ્પના રજૂ કરવાનું મન થાય છે.

ટોળે વળો

આ નવું શું થાય છે  ટોળે વળો.

એક માણસ જાય છે  ટોળે વળો.

ઘાસ ઊગ્યું આ નગરની મધ્યમાં

ગાય તરણાં ખાય છે ટોળે વળો.

સાવ અસલી એક પક્ષી જોઈ લો

ગીત મીઠાં ગાય છે ટોળે વળો.

ના ધુમાડાનું  નથી નામો નિશાન

વાયુ ચોખ્ખો  વાય છે ટોળે વળો.

માનવામાં આવશે એ  વાત  કે

છોકરી શરમાય છે ટોળે વળો.

સડકની વચ્ચોવચ્ચ સાવ તેં મને કાકો કહ્યો! ખૂલેખૂલો બન્યો બનાવ તેં મને કાકો કહ્યો!

‘પોલિસે એક યુવાનને લાફા  માર્યા.’ આ વિધાન સમાચાર બનતું નથી. કારણ કે પોલીસની મુખ્ય  ફરજ જ   જે ઝપાટે ચડે એને  મારવાની!  એણે એની ફરજ બજાવી. પરંતુ સમાચાર ત્યારે બન્યા કે જ્યારે એ વિધાન કારણ સહિત લખાયું કે ‘ એક  પોલીસે  એક યુવાનને લાફા માર્યા કારણ કે એ યુવાને  પોલીસને કાકા કહ્યું.’

આ બનાવે તો મને સમાજ બાબતે વિચારતો  કરી મૂક્યો છે.  કારણ કે આપણા સમાજમાં તો કાકા સંબોધન પાણીના પાઉચની માફક વપરાય છે.  અને આમ જો કાકા સંબોધન માત્રથી જો બધા લાફાવાળી કરવા માંડે તો તો એક નવી સામાજિક સમસ્યા  ઊભી થઈ જાય!  ડોસી મરે એનો વાંધો નથી. વાંધો જમ ઘર ભાળી જાય એનો છે.

સૌરાષ્ટ્રનાં ગામડાંમાં પોતાના પિતાથી નાની ઉંમરના લોકોને માનપૂર્વક  કાકા કહેવાનો રિવાજ છે.  ત્યાં કાકા સંબોધનમાં મીઠાશ હોય છે. ગુજરાતમાં કાકા સંબોધન મોટેભાગે તોછડાઈથી કરવામાં આવે છે.  આથી સરસ મજાનો શબ્દ વગર વાંકે વગોવાઈ ગયો છે. એને વગોવવામાં મિમિક્રી,જોક્સ,હાસ્યલેખ દ્વારા પણ  બળતામાં ઘી હોમવાનું કામ થાય છે.   [ જે અત્યારે જાણ્યે અજાણ્યે હું કરી રહ્યો છું.]

આ  લાફાવાળી ઘટના  કેમ બની ગઈ? મારી સમજ પ્રમાણે બેમાંથી એક શક્યતા હોવી જોઈએ.

શક્યતા નંબર [1]: એ યુવાનને એ પોલીસમાં ખરેખર કાકાપણું દેખાયું હોય! વળી  એ યુવાનની ખરેખર સમજ જ એવી હોય કે કાકા શબ્દ  પ્રેમથી  છલોછલ ભરેલો છે.  એવી સમજ પ્રમાણે એ યુવાને  પોલીસ  પ્રત્યે ખરેખર પ્રેમ વ્યક્ત કર્યો હોય! પણ દરેક ઘટનાને શંકાથી જોવા ટેવાયેલા પોલીસ મહાશય એ યુવાનની ભાવના સમજવામાં નિષ્ફળ ગયા હોય અને યુવાને પોતાનું અપમાન કર્યું હોવાની ગેરસમજ  કરી બેઠા  હોય.

શક્યતા નંબર [2] એ યુવાને યુવાનીના જોશમાં જ પોલીસને ચીડવવા કાજે કાકા કહી દીધું હોય   અને પોલીસજીની ખરેખર સમજ જ એવી હોય કે કાકા શબ્દ ઝેરથી છલોછલ ભરેલો છે!  જે સંબોધન  પોલીસજીથી જીરવાયું ન હોય! અત્રે અમને એક કાઠિયાવાડી  કહેવત યાદ આવે છે કે    “ માર ખાધો પણ  ફોજદાર તો જોયો!”  આ બનાવ માટે એવું કહી શકાય કે   “ માર ખાધો પણ પોલીસને કાકો તો કહ્યો! ”

ઘણાં લોકોને એવો વિચાર પણ આવે કે  “ કાકા કહ્યું એમાં શું થઈ ગયું?  ”  સાચી વાત છે કારણ કે  કોઈને કાકા કહેવું એ કાનૂની અપરાધ ગણાતો નથી. એ કદાચ નૈતિક અપરાધ બનતો હશે! પણ નૈતિકતાને  વળી ક્યો કાકો પૂછે છે!    [ જોયુંને? કાકો શબ્દ કેવો સ્વભાવિકતાથી વપરાઈ ગયો?]   મારી જ વાત કરું તો ખાનગી કે જાહેરમાં  મને કોઈ કાકા કહે તો મને  આભ  તૂટી  પડ્યા જેવું લાગતું નથી.  ક્યાંથી લાગે?  જીવનની સત્તાવન દિવાળીઓ  [અને હોળીઓ પણ]  જોઈ લીધાં પછી!!!!!!!   આટલું જીવનવન વટાવ્યાં પછી તો મારા જેવા  કેટલાય લોકો ગીતા પર હાથ મૂકીને સોગંદપૂર્વક એવું કહેવા તૈયાર હશે  કે  ” હા,અમે કાકા છીએ એ વાત અમને સ્વીકાર્ય છે. કોઈ અમને કાકા તો શું પણ દાદા કહે તો પણ રતીભર પણ  દુ:ખ લાગતું નથી.”

પણ… પણ… પણ  એ તો હવેને? ત્યારની વાત  તો જૂદી હતી કે  જ્યારે કોઈ કાકા કહેતું હતું ને એને ઢાળી દેવાનું મન થતું હતું! હા , દરેકના જીવનમાં એક સમય એવો આવે છે  કે સાવ અચાનક એના કાને કાકા શબ્દ અથડાય છે અને એનું હૃદય વીંધાય જાય  છે.  એ ઘેર આવીને રાજા દશરથની માફક દર્પણમાં જૂએ છે.  એને કાકાપણું નજરે ચડતું નથી!  એ મન મનાવે છે  કે ‘ હશે! કાકા કહેનારની નજર નબળી હશે.’  પરંતુ એ ઘા ભુલાય ન ભુલાય ત્યાંતો  ફરીથી કાકા શબ્દ કાને અથડાય છે!  … પછી  તો “કાકાની જ પરંપરા જગત એવું દીસે છે પિતા!”

તમને કાકા સંબોધન શબ્દ અળખામણું લાગતું હોય  ને  કોઈ તમને કાકા કહે તો તમે કરી કરી ને શું કરી શકો?  ગમે તેટલા ધમપછાડા કરો છેવટે તો તમારે હાથ હેઠા કરવા જ પડે.  ચાલો એ વાત પર રમેશ પારેખની એક રચના પર નજર કરીએ…

*****

નથી

તમે હાથ હેઠા કરી દ્યો હવે

કે સંબંધ તોડી શકાતા નથી.

ઘણા પાળિયાઓ નજરમાં તરે

અને ક્યાંય ખોડી  શકાતા નથી.

તમે ફોડી શકો અરીસા કદી

ચહેરાઓ ફોડી શકાતા નથી.

નથી સાથે ચાલી શકાતું હવે

કે દિવસોને છોડી શકાતા નથી.

તમે હાથ હેઠા કરી દ્યો હવે

કે સંબંધ તોડી શકાતા નથી.

******

પેલા પોલિસભાઈ આજે નહીં તો કાલે હાથ હેઠા કરી દેશે.  આજે કાકા કાકા કરતા જેની જીભ નથી સુકાતી એ તમામ યુવાનો ભવિષ્યમાં કાકા થઈ જશે. સવાલ સમજણ નો છે. કોઈને વહેલી સમજણ  પડે છે તો કોઈને મોડી. સમાજમાં આવી સમજણ નો ફેલાવો થાય એ માટે  ઠેરઠેર  સૂત્રો મૂકાવા જોઈએ કે-

” આજનો યુવાન આવતીકાલનો કાકો છે.”

“ગર્વથી  કહો કે અમે કાકા છીએ.”

કાકા વિન્યા બાંકડા સુના ..સુનો આ સંસાર”

ભગાએ આ સમાચાર જ્યારે બાપુને સંભળાવ્યા ત્યારે બાપુએ આભિપ્રાય આપ્યો કે : “પોલિસે લાફાવાળી કરવાને બદલે આ દુહો લલકારવો જોતોતો” ….

પીપળ પાન ખરંતી ને હસતી કૂંપળિયાં

અમ વીતી તમ વીતશે ધીરી બાપુડિયાં .

ફાગણની ઝાળઝાળ બળતી વેળામાં… ગરમીમાં ઠંડીનો એહસાસ! — યશવંત ઠક્કર

શિયાળો ઓણસાલ ઓછો રોકાયો હોય એવું લાગે છે. આજકાલ વધતું જતું તાપમાન સમાચાર અંને ચર્ચાનો વિષય બન્યું છે ત્યારે શહેરના રાજમાર્ગ પર ભાગતા માણસને રોકીને પૂછ્યું હોય કે ભલા માણસ તને ફાગણ ફોરમતો આયોની ખબર પડી? તો કશો જવાબ આપ્યા વગર ચહેરા પર 42 ડીગ્રી તાપમાનનો આંક બતાબતો ભાગી જાય એવી શક્યતા વધારે છે. પણ આજ માણસ આપણને નવરાત્રિના તહેવાર વખતે ‘ફાગણ ફોરમતો આયો’ ગીત પર ઝૂમતો દેખાય તો આંચકો ન ખાવો. આતો Airconditioned Hotel માં બેસીને રોટલો અને અડદની દાળ ખાવાની મજા માણવાની વાત છે!!

પરંતુ એક કવિને આવા જ દિવસોમાં અમરેલીમાં જિંદગીની દોડધામ વચ્ચે પણ એક મજાનું ગીત સૂજ્યું. કવિ નામે રમેશ પારેખ અને ગીત આ રહ્યું……..

તારું પહેલા વરસાદ સમું આવવું

ફાગણની ઝાળઝાળ સુક્કી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું

હવે આંખોને કેમરે ભુલાવવું

બળતે બપોરે ભીનો પગરવ સુણીને

કાંઈ વાસ્યાં કમાડ અમે ખોલ્યાં

ચારે આંખોનાં એવાં અંધાર્યાં વાદળાં

કે શમણે આવેલ મોર બોલ્યા

ઓચિતા ધોધમાર સામસામે આપણે ઊભા રહ્યાં-નું પૂર આવવું

ફળિયે પલાશફૂલ નીતરતું ઝાડ

અને હું રે વેરાઈ જઉં રાનમાં

મારી હથેળીમાં ય એવી રેખાઓ

જેવી રેખા છે ખાખરાનાં પાનમાં

લીંબોળી વાવીને છાંયડા ઊછેરું પણ ચોમાસું કેમ કરી વાવવું ?

ફાગણની ઝાળઝાળ બળતી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું

હવે આંખોને કેમરે ભુલાવવું

********

*માત્ર ને માત્ર એક પ્રશંશક તરીકે કેટલાક ચમકારા રજૂ કરવાનું મન થાય છે

*આંખોને શું નથી ભુલાતું?: કોઈનું આગમન.

*કોઈનાં આગમનનો સમય : ફાગણની ઝાળઝાળ સુક્કી વેળામાં.

*આગમન કેવુ? : પહેલા વરસાદ સમું.

*પગરવ કેવો?: ભીનો ને વળી એવો કે જેને સાંભળીને કળી શકાયો.

*આવનારને શાની તકલીફ લેવી ન પડી?: બારણું ખખડાવવાની કે ‘ ડોર-બેલ’ વગાડવાની.

*વાદળાં શેનાં અંધાર્યાં? : ચારે આંખોનાં.

*ક્યા મોર બોલ્યા?: શમણે આવેલ.

*શેનું પૂર આવ્યું?: ઓચિતા ધોધમાર સામસામે બેઉનું ઊભા રહ્યાંનું.

*ફળિયે ઝાડ કેવું?: પલાશફૂલ નીતરતું.

*ક્યાં વેરાઈ જવાની વાત ?: રાનમાં.

*હથેળીમાં રેખઓ કેવી?: જેવી રેખા છે ખાખરાનાં પાનમાં.

*છાંયડાં કેવી રીતે ઊછેરી શકાય?: લીંબોળી વાવીને.

*મૂંઝવણ શાની થાય છે?: ચોમાસું વાવવાની.

*અરે યાર … આવું તો બધા બહુંને થયું હશે પણ આવું ગીત લખ્યું કેટલાયે?: માત્ર રમેશભાઈએ.

*આ ગીત કેવું લાગે છે?: ગરમીમાં ઠંડીનો એહસાસ કરાવે એવું!

શું શ્રી નરેન્દ્ર મોદીએ ‘સમય’ની ચાલ બદલી નાંખી છે?

[તસવીર :Google Immage પરથી]

હા શ્રી નરેન્દ્ર મોદીએ ‘સમય’ની ચાલ બદલી નાંખી છે.

હું ‘સમય’ ચેનલની વાત કરી રહ્યો છું. ગઈકાલે મેં ‘સમય’ ચેનલ પર ‘મોદીની માયા’ નામના સમાચારના કાર્યક્રમમાં શ્રી નરેન્દ્ર મોદીની પ્રશંશા સાંભળી. મને ગુજરાતની છેલ્લી વિધાનસભાની ચૂંટણી યાદ આવી ગઈ. આ ચૂંટણી પહેલાં કેટલીક ચેનલની જેમ ‘સમય’ચેનલે પણ મોદી વિરુદ્ધ જાણે કે ઝુંબેશ આદરી હતી. લોકશાહીમાં દરેકને પોતાનો મત વ્યક્ત કરવાનો અધિકાર છે. સમાચાર માધ્યમો સાચા સમાચાર આપવાની જવાબદારી નિભાવવા માટે કોઈપણ નેતાની કે સરકારની ટીકા કરી શકે છે. પણ એમાં ઈમાનદારી અને તટસ્થતા હોવી જોઈએ. જે આ ચેનલમાં તે વખતે પ્રચારિત થતા સમાચારોમાં જણાતી નહોતી. કોઈ સામાન્ય માણસ મોદી વિરુદ્ધ બોલે તો એ બાબતને જોરશોરથી રજૂ કરવાનાં અને કોઈ જો તરફેણમાં બોલવા માંગતો હોય તો એની વાત કાપી નાંખવાનાં અવનવાં ગતકડાં ચોખ્ખાં જણાઈ આવતાં હતાં. આવી ચેનલ પરથી ઘણાંખરાં લોકોનો વિશ્વાસ ઊઠી ગયો હતો. આનાં પરિણામે ક્યારેક ચેનલ મોદીની વાજબી ટીકા કરે તો પણ એની અસર થતી નહોતી. હદ તો શપથવિધિ વખતે થઈ. એક કલાકાર લોકગીત ગાતો હતો પણ આ ચેનલના બિનગુજરાતી રીપોર્ટરને લાગ્યું કે આ તો મોદીસાહેબના ગુણગાનનું ગીત છે. એણે કહી દીધું કે “યહાં મોદી કે કસીદે પઢે જા રહે હૈં.”

આ જ ચેનલને હવે મોદીના કસીદા પઢવાનો વારો આવ્યો. ખરેખર તો આજે પણ એણે મોદી કે સરકારની વાજબી પ્રશંસા કે ટીકા કરવાની જવાબદારી નિભાવવી જોઈએ. એક તરફ પ્રશંશા કરવી અને બીજી તરફ ‘મોદી કી માયા’ જેવું મથાળુ રાખવું. એનો અર્થ એ થયો કે હજી પણ પોતાની  તંગડી ઊંચી રાખવી છે.

તો એમની ભાષામાં એવું કહી શકાય કે મોદીની માયાના કારણે ‘સમય’ની ચાલ બદલાઈ ગઈ.

અમુભાઈ ટપાલી



મુકામ –નાનીધારી

ઠક્કર છગંનલાલ નાનજીભાઈ

પોસ્ટ- ભાડ ઈંગોરાળા  વાયા- ચલાળા

તાલુકો- ખાંભા   જિલ્લો- અમરેલી  

 કાઠિયાવાડ  

{ પિનકોડ આવ્યા નહોતા }

 

આટલું પાકું સરનામું લખ્યા પછી પણ લખનારને શંકા તો રહેતી જ કે આ ટપાલ પહોંચશે કે નહીં. એ સ્વાભાવિક  પણ હતું કારણ  કે ગિરના પ્રદેશમાં વેરાયેલાં બોર જેવાં કેટલાંય  ગામ…. ગામનાં પાછાં એકસરખાં નામ!  ટપાલપેટીમાં નાખેલી ટપાલ ટ્રેન અને બસ મારફતે ફરતી ફરતી મુકામે જલ્દી પહોંચે એ માટે પણ માનતા મનાતી!  ક્યારેક ક્યારેક તો ત્રણ  માઈલ દૂર  ઈંગોરાળા સુધી પહોંચીને અટકી જતી. ત્રણ ગામ વચ્ચે એક ટપાલી ને ટપાલીને પોતાની પણ મુશ્કેલી હોયને? ધૂળીયા રસ્તા પર સાયકલ ચલાવીને કે ક્યારેક પગપાળા પહોંચીને પણ ટપાલ પહોંચાડવી એ કામ સહેલું નહોતું. એ કડકડતી ટાઢય ..એ ધગધગતો તાપ …એ ધોધમાર વરસાદ!

પણ ધન્ય છે એ અમુભાઈ ટપાલીને કે જેણે પૂરી નિષ્ઠાથી પોતાની ફરજ બજાવી. હું નથી માનતો કે એ નોકરી કરતા હતા. હું માનું છું કે એ સેવા કરતા હતા.માથે સફેદ અણીદાર ટોપી, સફેદ ખમીસ,સફેદ લેંઘો, લેંઘો સાયકલની ચેનમાં ન ભરાય એ માટે લેંઘાના પાયસામાં ભરાવેલી ક્લિપ્સ ,ખંભે લટકતો ખાખી થેલો અને સાચુકલા ગાંધીવાદી જેવી સાવ સાદી સાયકલ અને એ સાયકલ વાંકીચૂકી કેડી પર ટીન ટીન ટોકરી વગાડતી જાય.

અમુભાઈ દૂરથી આવતા દેખાય ને વાયુવેગે વાત ફેલાય કે ટપાલી આવે છે. ને વાતાવરણ જીવંત થઈ જાય.ને પછી  કોઈની આતુરતાનો અંત તો કોઈ થાય નિરાશ. કોઈ થઈ જાય ખુશ ને કોઈ ઢીલાઢફ. અમુભાઈ ટપાલ વાંચી પણ આપે ને વળતી ટપાલ લઈ પણ જાય. વળતી ટપાલ લખવાનું કામ ગામના વેપારી કરી આપે. આ ઉપરાંત અમુભાઈ કોઈ બીમાર હોય તો એની ખબર પણ કાઢે. કોઈને ત્યાં શુભ પ્રસંગ હોય તો હરખ વ્યક્ત કરે ને કોઈને ત્યાં અશુભ બન્યું હોય તો  શોક પણ  વ્યક્ત કરે.

આ બધું જ બને તેટલી ઝડપથી  પતાવી ને અમુભાઈ રવાના થઈ ગયા પછી કોઈ માઈ નો લાલ ઘરની બહાર આવી ને એમ પણ પૂછે  કે -હજી  ટપાલી કેમ નહીં આવ્યો હોય?  ત્યારે કોઈ જુવાનિયો ખડખડાટ હસીને કહે કે – લ્યો, કરો વાત. ટપાલી  તો  ઈંગોરાળા પોગવા આવ્યો!  

ને ધન્યવાદ ટપાલખાતાંને. જેના થકી આવાં  નાનકડાં ગામો સુધી એ જમાનામાં   આફ્રિકા, યુરોપ અને અમેરિકાથી પણ ટપાલો પહોંચતી હતી. ધન્યવાદ એ હજારો કર્મચારીઓને જે લોકોના સુખદુ:ખમાં સહભાગી બન્યા.

ને ફરીથી ધન્યવાદ અમુભાઈને કે જેમણે મને એક એવી ટપાલ પહોંચાડી કે જેના લીધે મારી  માતાની આંખોમાં હર્ષનાં આંસુ આવી ગયાં હતાં. [ આગળ ફરી ક્યારેક ]

બલિહારી બ્લોગની —- યશવંત ઠક્કર

મેં થોડુઘણું લખ્યું છે. એમાંથી થોડું છપાયું છે. ઝાઝું ફાડ્યું છે. પણ એક વાત નક્કી છે કે મજા પડે છે એટલે લખ લખ અને હવે ટક ટક કરવાનું મન થયા કરે છે.

એ કેવા દિવસો હતા! ફુલસ્કેપ કાગળોમાં મરોડદાર અક્ષરોમાં વાર્તાઓ લખાતી હતી,મઠારાતી હતી અને મૅગઝિનમાં છપાવવા કાજે હોંશે હોંશે ટપાલપેટીમાં નખાતી હતી.અને પછી સંપાદકશ્રી કે તંત્રીશ્રીના જવાબની ઇંતેજારી! સ્વીકૃત કે સાભાર-પરત! બધું જ જાણે નસીબને આધીન હતું. વાર્તા પસંદ થવી, પસંદ થઈ હોય તો છપાઈ જવી,છપાયા પછી મૅગઝિન સહિત વાર્તાનું પધારવું! બહુ જ સારાં નસીબ હોય તો પુરસ્કાર પ્રાપ્ત થવો!!! વાર્તા ના પસંદ થઈ હોય તો વાર્તાનું હેમખેમ પાછા ફરવું એ પણ નસીબને આધીન! નહીં તો કાળજા કેરો કટકો મારો ગાંઠથી છુટી ગ્યો…

અહાહા! કેવા મીઠી મીઠી પીડા દેનારા એ દિવસો હતા!!

ક્યાં ગયા એ દિવસો! ક્યાં ગઈ એ શાહી દુજતી કલમો!

ક્યાં ગયા એ સામયિકો! [એ વળી કઈ બલા!]

ક્યાં ગયા એ સંપાદકશ્રીઓ..તંત્રીશ્રીઓ..

વાર્તા લઈ જનારા ને લાવનારા એ ટપાલીઓ ક્યાં ગયા?

ક્યાં ગઈ લીલાછમ વૃક્ષની ડાળીએ લટકતી લાલરંગી ટપાલપેટીઓ?

બધું જ જાણે Delete થઈ ગયું!

સર્વસ્વ જાણે કે લુંટાઈ ગયું હતું ! શબ્દો જાણે કે પાંજરામાં પુરાઈ ગયા હતા!

ને જાણે કે ચમત્કાર થયો! અશાનું એક કિરણ જ નહીં ,આખેઆખો સૂરજ ઊગ્યો!!!

Internet નો સૂરજ! ને એ સૂરજના અનેક કિરણો જેવા આ Blogs!

ને મારી આ વાત તમારા સુધી પહોંચી એ બ્લોગની જ બલિહારી નહીં તો બીજું શું?

પણ વિચાર કરો કે ધનાધન પ્રગટ થતા આ બ્લોગ્સને જોઈને પેલા વિદ્વાન સંપાદકશ્રીઓ અને તંત્રીશ્રીઓના આત્મા કેવા કકળતા હશે?