હે ભારત દેશના નવરંગી નેતાઓ ,
દેશના એક સામાન્ય નાગરિક તરીકે શું કહું તમને? નમસ્કાર? દેશનો સામાન્ય માણસ તમને દિલથી નમસ્કાર કરે એ વાત તો તમને પણ માનવામાં નહિ જ આવતી હોય. આપણે એમાં નથી પડવું. વખત આવ્યે સહુ એકબીજાને નમસ્કાર કરતા જ હોય છે. જેમ કે, ચૂંટણી વખતે તમે લોકો પ્રજાને નમસ્કાર કરો છો અને ચૂંટણી પછી પ્રજા તમને અને તમારા લાગતાવળગતાને.
આજે તમને લોકોને આ દેશની પ્રજા વતી મારો એક પ્રશ્ન છે કે, શું તમે લોકો નિવેદન કર્યા વગર ન જીવી શકો? શું હવા, પાણી અને ખોરાક પછી નિવેદન એ તમારી ચોથી મૂળભૂત જરૂરિયાત છે? શું એ કુદરતી હાજત છે કે જેને રોકી ન શકાય? અને, એવાં તે કેવાં નિવેદનો કે જેના પર વિવાદ જ થાય?
એક સામાન્ય પ્રક્રિયા થઇ ગઈ છે કે, કોઈ નેતા પહેલાં એવું નિવેદન કરે કે જે બળતા પદાર્થ જેવું હોય. પછી મીડિયા એ બળતાં પદાર્થમાં ઘી રેડવાની પોતાની ફરજ બજાવે. પછી તમારા જ વર્ગના તમારા વિરોધીઓ એનો વિરોધ કરે. એ વિરોધમાં જાહેર જગ્યાઓ પર પૂતળાં બળે અને આગ લગાડાય. એ આગ પર તમે લોકો તમારાં રાજકીય પરોઠાં શેકો . અને, પ્રજાજનો કે જેના ચૂલાઓને તમે આગથી વંચિત કરી દીધા છે એ તમારા આ રસોઈ શો જોઈને જીવ બાળે!
પછી, તમારાં નિવેદનો બદલ તમારા વિરોધીઓ દ્વારા તમારા પર આક્રમણ થાય, તમારાં રાજીનામાં મંગાય, તમારી બચાવફોજ દ્વારા તમારો બચાવ થાય, આગળપાછળના હિસાબો ચૂકતે થાય, મીડિયામાં એની ચર્ચાઓ થાય, ચર્ચાઓમાં બીજા અનેક વિવાદાસ્પદ નિવેદનો થાય અને છેવટે બાર વરસે મનમોહન બોલતા હોય એવું એક નિવેદન થાય કે, ”મારા નિવેદનનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે. એને તોડીમરોડીને રજૂ કરવામાં આવ્યું છે.” એ તો હોના હી થા!
એકાદ વખત આવું થાય એ માની શકાય. પરંતુ, વારંવાર અને લગાતાર? તમારાં નિવેદનો એવાં કેવાં કે જેનાં અર્થઘટન કરવા પડે! એનો કોઈ સારી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવોને. અરે, હવે તો લેખકો અને કથાકારો પણ સુધારી ગયા છે. એ લોકો પણ અર્થઘટન કરવી પડે એવી ભાષા વાપરતા નથી. સામાન્ય માણસને સમજમાં આવે એવી ભાષા વાપરે છે. એ લોકોને પણ સમજાયું છે કે. આજના માણસ પાસે શબ્દકોશમાં જોવાનો પણ સમય નથી. અને તમારાં નિવેદનોનું અર્થઘટન કરવું પડે? એવાં નિવેદનો કરોને કે સામાન્ય માણસ તો શું પણ તમારા વિરોધીઓ પણ અવળું અર્થઘટન ન કરી શકે. પરંતુ, તમારે એવું કરવું નથી.
તમે નેતા છો તો નેતા તરીકે ન રહી શકો? તમે પ્રજાનાં કામ કરો એટલે તમારી ફરજ પૂરી. કોણ તમને પૂછે છે કે, ઝીણા માણસ તરીકે કેવા હતા? છોડોને એ વાત. પાકિસ્તાનના અત્યારના નેતાઓ કેવા છે એ ખોંખારો ખાઈને કહોને. વિવેકાનંદજી વિષે જાણકારી આપનારા આ દેશમાં અનેક યોગ્ય વક્તાઓ છે. એમના પર વિશ્વાસ રાખોને. દાઉદનો પૂરેપૂરો પરિચય આપનારી ફિલ્મો પણ બની ગઈ છે! તમારે એ બાબતમાં કષ્ટ ઉઠાવવાની જરૂર જ નથી. કોઈ તમને એ લોકોની બુદ્ધિમત્તા વિષે પૂછવાનું નથી. હા, તમારી માલમત્તા વિષે સવાલો થશે. એ સવાલોના સાચા જવાબો તૈયાર રાખો. પરંતુ, એ ક્યા સહેલું છે!
ધાર્મિક અને ઐતિહાસિક પાત્રોનો ઉલ્લેખ કર્યા વગર તમારાથી રહેવાતું નથી. રામ, સીતા, રાવણ, કુંભકર્ણ, અર્જુન, દુર્યોધન, દ્રૌપદી, શિખંડી, બાબર, શિવાજી, ચંગીઝખાન … તમે ક્યારે કોને તમારી જબાન પર લાવી દો એ નક્કી નહિ. તમે તો નિર્દોષ પશુપંખીઓને પણ નથી છોડતા. તમારા વિરોધીઓની સરખામણી વાંદરા, કૂતરા, ગધેડા, કાગડા, ઘૂવડ વગેરે સાથે કરવાની તમારી આદત હવે પ્રજાથી છાની નથી રહી. પ્રજા, તમે કહો એને વાનર અને તમે કહો એને સિંહ માની લેશે? પ્રજાને ખબર નથી કે સિંહ કેવો હોય? સપનાંમાંય ગર્જના ન કરી શકતો હોય એને પ્રજાએ સિંહ માની લેવાનો? ઉપમા આપો તો વાજબી આપો. ટાઢા પહોરની ઉપમા નહિ આપો. ઉપમા અલંકારો વાપરવાના આટલા બધા કોડ હોય તો તમારે કવિ કે લેખક જ બનવું’તુને. નેતા શા માટે બન્યા? નેતા બન્યા છો તો નેતાની રીતે રહોને. કેટલાક નેતાઓ ટીવીના પરદે ચર્ચા કરતા હોય છે એ દૃશ્ય જો શેરીના કૂતરાઓ જુએને તો એ લોકો પણ ભસવાની બાબતમાં તમારી સમક્ષ હાર માની લે! મદારી જેમ બાળકોને, સાપ અને નોળિયાની લડાઈ બતાવતો હોય એમ ટીવી એન્કર દર્શકોને તમારી લડાઈ બતાવે છે. તમારા કર્કશ અવાજમાંથતી ચર્ચા એ શેરીમાં થતા ઝઘડા જેવી હોય છે. જેનું સમાપન ટીવી એન્કર, સમયનો હવાલો આપીને કરીને કરે છે. સાર એવો નીકળે છે કે, આ દેશના નેતાઓને તંદુરસ્ત ચર્ચા કરતા આવડતી નથી.
ચર્ચાઓ કેવી હોય એનું ઉદાહરણ અમેરિકાના નેતાઓએ હાલમાં જ પૂરું પાડ્યું છે. એકબીજા તરફ માનભર્યું વર્તન,મુદ્દાસર વાત, સમસ્યાઓ વિષે વાત કરતી વખતે ધાર્મિક કે ઐતિહાસિક પાત્રોને વચ્ચે લાવવાના નહિ, નિર્દોષ પશુપંખીઓને ઝપાટામાં લેવાના નહિ, હારજીત થયા પછી પણ અરસપરસ વચ્ચે સૌમ્ય વ્યવહાર, દેશના હિત માટે સહકાર આપવાનું વચન … આ બધું તમને કશી અસર નથી કરતું?
દેશહિતના કર્યો કરવામાં ભાગ લઈ રહ્યા છો. તમે કોઈ વકતૃત્વસ્પર્ધામાં ભાગ નથી લઈ રહ્યા. રામે સીતાને અન્યાય કર્યો હતો કે નહિ, એવા મુદ્દાઓ પર ઘણી ચર્ચાઓ થઈ ચૂકી છે અને થતી રહેશે. સામાન્ય માણસ પણ યોગ્ય મંચ પર આવા મુદ્દાઓ માટે પોતાનો અભિપ્રાય ખૂલ્લા મનથી આપી શકે છે. તમે જે મંચ પર બિરાજમાન છો એ મંચ દેશની વર્તમાન પ્રજાની ચિંતા કરવા માટેનો મંચ છે. ભૂતપૂર્વ પ્રજાની ચિંતા કરવા માટે નહિ. એ ચિંતા કરવાવાળા બીજાં ઘણાં છે. દેશની પ્રજાને અત્યારે જે અન્યાય થતો હોય એ માટે તમે ગુસ્સો કરો તો પ્રજા પણ તમારાં ગુસ્સાને દાદ આપવા તૈયાર છે. પરંતુ, તમારી દલીલશક્તિ ખોટા માર્ગે વેડફાય છે ત્યારે એમ થાય છે કે, સાવન જો અગન લગાયે ઉસે કૌન બુઝાયે? ..’
તમારી ફરજ એ છે કે, પ્રજાને જીવન જરૂરી પદાર્થો જેવા કે, શાકભાજી, અનાજ, દૂધ, ગેસ, પેટ્રોલ વગેરે સહેલાઈથી અને વાજબી ભાવે પ્રાપ્ત થાય. પરંતુ, એ બધા પદાર્થોને નજરઅંદાઝ કરીને તમે ક્યારેક ક્યારેક પ્રેમ-પદાર્થ વિષે નિવેદનો કરવા લાગો છો ત્યારે પ્રજાને લાગે છે કે, આ તે નેતાઓ છે કે વરણાગી વાલમાઓ છે! બરાબર છે કે: પ્રેમ, પ્રિયતમા, પત્ની વગેરે દરેકના જીવનના યથાશક્તિ ભાગ ભજવતાં જ હોય છે. પરંતુ, ક્યા નેતાની પ્રિયતમા કે પત્ની કેવી છે એની સાથે પ્રજાને શું મતલબ? અને, કોઈ નેતાને એની પ્રિયતમા કે પત્ની સાથેનો સંબંધ કેવો રંગીન છે એનાથી શું લાગેવળગે? તમે તો રંગીન તબિયતના હો એનાથી પ્રજાનો શો દહાડો વળે? પ્રજાનાં જીવનમાં રંગીનતા જળવાઈ રહે એવાં કામ કરી બતાવો તો પ્રજા પણ રાધાકૃષ્ણના ગીતોની જેમ તમારાં સ્નેહગીતો ગાશે! નવી-જૂની પ્રિયતમા કે નવી-જુની પત્ની, આ બધું શું છે? તમે દેશ ચલાવી રહ્યા છો કે હિન્દી ટીવી-સિરિઅલ ચલાવી રહ્યા છો? પરંતુ, પ્રેમ પ્રકરણોની બાબતમાં તો કેટલાક નેતાઓએ તો અભિનેતાઓને પણ પાછળ રાખી દીધા છે. નેતાઓની લવસ્ટોરીના અનેક એપિસોડ થાય એટલો મસાલો કેટલાક નેતાઓએ પૂરો પાડ્યો છે.
તમારા કોઈ નેતાને જમવા માટેનું ૮૦૦૦ રૂપિયાનું ભાણું મોંઘુ નથી લાગતું! કોઈ રીપોર્ટર એને મોંઘુ કહે તો નેતા ગુસ્સામાં પોતાની છાતી કૂટે અને એ મતલબનો બળાપો કાઢે કે, ’મોંઘવારી છે તો અમારે મોજમજા નહિ કરવાની?’ કરો. મોજમજા કરો. તમારા દિવસો છે. પણ, વાજબી મોજમજા કરો. પ્રજાને પણ મોજમજા કરવા જેવું રહેવા દ્યો. વીસ રૂપિયાની પાણીની બોટલ પીનારને ૯૦૦ રૂપિયાનો ગેસ સિલિન્ડર મોંઘો ન લાગવો જોઈએ, એ વાત માની લઈએ. પણ બાપલા, વાત માત્ર પાણીની બોટલ કે ગેસ સિલિન્ડર પૂરતી નથી. જીવન જરૂરિયાતની તમામ ચીજો માટેની પણ છે. તર્કનાં તીર વિરોધીઓ કે મીડિયાના કાળજે વાગે કે ન વાગે પણ, પ્રજાને કાળજે વાગે છે. ચલાવો ના નિવેદનો સે બાણ રે…
મંદિર અને મસ્જિદનું રાજકારણ ખૂબ ખેલાયું. હવે તમે લોકો મંદિર અને મૂતરડીના પ્રાસ બેસાડવાના ચાળે ચડ્યા છો. મૂતરડીની ગંદકી તમારા નાક સુધી પહોંચી ખરી! એક ઉપાય છે. તમારાથી મોંઘવારી દૂર નથી થતી તો તમને લોકોએ FDIનો સહારો લેવાનું ઠીક લાગ્યું છે. હવે તમને FDIમાં જાદુની છડીનાં દર્શન થવા લાગ્યાં છે. તો એ જાદુઈ છડીનો ઉપયોગ મૂતરડી ક્ષેત્રે ન કરી શકાય? આ ક્ષેત્ર માટે વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે તમારા નિવેદનોનો ઉપયોગ થઈ શકે એમ છે. વિચાર કરો. એ કેવું મજાનું દૃશ્ય હોય કે, હાલની ગંધાતી મૂતરડીઓની જગ્યાએ દસ દસ માળની વોલમાર્ટની અદ્યતન મૂતરડીઓ હોય! અને, આ દેશના નાગરિકો સરકતી સીડી પર એક તરફથી સવાર થઈને મૂત્ર વિસર્જન કરીને બીજી તરફથી પ્રસન્ન ચહેરે નીચે ઉતારતા હોય! મૂતરડી ક્ષેત્રે FDI આવશે તો એની વિરોધ કરવા કોઈ પરંપરાવાદી નહિ આવે એની ખાતરી રાખજો.
નેતા ક્યારેક ક્યારેક હાસ્યકલાકારનો રોલ ભજવવા લાગે છે. સંસદમાં પણ પોતાના નિવેદન મારફતે હાસ્યનાં મોજા ફેલાવે છે! ચૂંટણીમાં કેટકેટલો ખર્ચ થયા પછી તમે લોકો સંસદમાં પહોંચો છો. તમારે ત્યાં જઈને જો હાસ્યનાં મોજાં જ ફેલાવવા હોય તો આ દેશના હાસ્યકલાકારો શાકામના? તમે લોકો ત્રાસવાદીઓને ફટકારી નથી શકતા અને સંસદમાં શાયરીઓ ફટકારો છો! દેશમાં શાયરો ઓછા છે? બરાબર છે કે, ક્યારેક હસીમજાક થાય. ક્યારેક શેરશાયરી પણ થાય. પરંતુ, એ તમારો મુખ્ય વ્યવસાય નથી.
તમે લોકો જ્યારે મંથન કરવાનો કાર્યક્રમ રાખો ત્યારે નિવેદનો માટેનું મંથન કરજો. આગ લાગે ત્યારે કૂવો ખોદાવો હોય એમ તમે લોકો ચૂંટણી આવે ત્યારે મંથન કરવા માટે ભેગા થાવ છો. સારી વાત છે. બાકી, દેશનો સાંમાન્ય નાગરિક તો બિચારો રોજેરોજ ઘર ચલાવવા માટે કે વ્યવહારો સાચવવા માટે મંથન કરતો જ હોય છે. તમે લોકો પહેલાંવગર મંથને દેશ ચલાવો છો અને પછી મંથન કરવા બેસો છો. ગમે તેટલાં મંથન કરજો. પણ, નિવેદનો માટે ખાસ મંથન કરજો. બને તો એના પર કાપ મૂકજો. વર્ષનાં છ નિવેદનો બહુ થઈ ગયાં. જો તમે માનતા હો કે પ્રજાને રાહત ભાવના માત્ર છ ગેસ- બાટલાથી ચાલશે; તો તમારે એ વાત પણ માનવી જોઈએ કે પ્રજાને તમારા નિવેદનો વગર પણ ચાલશે.
નિવેદનોથી પ્રજાના હૈયામાં આગ લાગે છે. ચૂલામાં નહિ.
કમસેકમ, દિવાળીના આ શુભ તહેવારો દરમ્યાન તમારા તરફથી કોઈ આડાઅવળાં નિવેદનો નહિ થાય એવી અમર આશા સાથે પૂરું કરું છું.
લિ. દેશનો મતદાતા + કરદાતા.
Like this:
Like Loading...