ધાબે ધાબે તડકા તારા ડાયરા

ઉગ્ર પ્રતિભાવ સમો તડકો સામેના ધાબા પર સવારથીથી ધામો નાખીને બેઠો છે. વહેલી સવારે અગાસીની પાળી પર, એક ક્બૂતરીને રીઝવવા માટે જે બે કબૂતરો વ્યાયામ કરતા હતા એ હવે દેખાતા નથી. કદાચ જોબ પર ચાલ્યા ગયા હશે. અવગતે ગયેલા જીવાત્મા જેવી એક  પતંગ ફાટેલી દશામાં વીજળીના થાંભલે હજી લટકી રહી છે.  કેટલાંક ધાબાં પર  મોબાઈલટાવર વૃક્ષોને ચીડવતા હોય એવી વાઈડાઈથી ઊભા છે. ધાબે ધાબે  જડેલાં ડિસ્ક -ઍન્ટેના સુદર્શન ચક્રની યાદ અપાવે છે. કોઈ ધર્મનો પ્રચાર કરવા અનુયાયીઓ નીકળી પડ્યા હોય એ રીતે વાયરના દોરડાઓ ધાબે ધાબે ફેલાઈ ગયા છે. આકરી તપસ્યાનું પ્રણ લઈને બેઠેલા તપસ્વીઓ જેવાં સોલર કૂકર  સૂર્યને  આહવાન આપી રહ્યાં  છે. લોખંડની નિસરણીઓના પડછાયા એ નિસરણીઓની એકલતા દૂર કરવાના પ્રયાસો કરી રહ્યા છે. બારીઓ પરનાં છાપરાં યથાશક્તિ છાંયાની વહેંચણીકરી રહ્યા છે. સૂર્યને શાંતિસંદેશો આપતાં હોય એ રીતે, એક અગાસીમાં ભીનાં કપડાં સુકાઈ રહ્યાં છે. એ જ ધાબા પર એક સ્ત્રી વારેવારે ઊઠબેસ કરી રહીછે. એ જરૂર સૂર્યદેવને ચોખાની પાપડીનો નિવેદ ધરી રહી હશે.  બીજા એક ધાબા પર કેટલાંક બાળકો દેખાયાં ન દેખાયાં ને જતાં રહ્યાં. એ કદાચ ધાબાને વચન આપવા આવ્યાં હશે કે, ‘અમે સાંજે  જરૂર તારી પાસે આવીશું.’ સમગ્ર વાતાવરણ નીરવ છે. 

આ નીરવપણું દૂર થાય એ માટે , ઉમાશંકર જોશીની કવિતામાં ભૂક્યો હતો એવો કોઈ ગધેડો ભૂકે એની રાહ જોવી જરૂરી નથી.  ટીવી હાજરાહજૂર છે! 

કાગળ, પેન અને હું

કમ્પ્યુટર અને કી બોર્ડની લાંબી  સંગત પછી હું જ્યારે કાગળ પર પેનથી લખવાનો પ્રયાસ કરું છું ત્યારે મને લાગે છે કે, જાણે હું વર્ષો પહેલાં મેં છોડેલા મારા નાનીધારી  ગામ તરફ  પાછો જઈ રહ્યો છું.

મારા લખાણની પંક્તિઓમાં મને મારા નાનીધારી ગામ તરફ જતા રસ્તાઓનાં દર્શન થાય છે.

મારા  અક્ષરોના વળાંકોમાં મને મારા ગામની દેદુમલ નદીના વળાંકો નજરે પડે છે.

મારા લખેલા શબ્દોની માત્રાઓ મને મારા ગામના આકાશમાં ઊડતાં કબૂતરો જેવી લાગે છે. અને, હ્રસ્વ ઉ અને દીર્ઘ ઊ જાણે કે, કાંટાળી વાડમાંથી સાવ અચાનક બહાર નીકળીને ફરરર કરતાં ઊડી ગયેલાં તેતરો. 

આ કાનાઓ ક્યારે ખાંભીઓ થઈને ખોડાઈ ગયા એની તો મને ખબર જ ના રહી.  આજે એને જોઉં છું તો મને મારા ગામની ધાર પરની ખાંભીઓ નજરે તરે છે. 

આ હ્રસ્વ ઇ અને દીર્ઘ ઈ જાણે કે મારા ગામના ચોમાસામાં કાગડો થઈને ઊડી ગયેલી છત્રીઓ. 

આથમતા સૂર્ય જેવા આ અનુસ્વરોનો ફરીથી ઉદય થશે ખરો? 

પરંતુ …

મેં સાંભળ્યું છે કે,  મારું નાનીધારી ગામ પણ, કમ્પ્યુટરમાં બદલાયેલા વર્ઝનની જેમ  હવે  બદલાઈ  ગયું  છે. 

મારા ગામના કેડા હવે સડક બની ગયા છે. .

દેદુમલ નદીના વળાંકો હવે પાણી વગર ઉઘાડા થઈ ગયા છે.  

કબૂતરો અને તેતરો હવે મોબાઈલમાં Save  થઈ ગયાં છે. 

ગામની ખાંભીઓ પર કોઈએ અપશબ્દો લખવાની બેવકુફી કરી છે. 

રેનકોટ સામે હારેલી  છત્રીઓ હવે  કાયમી ખૂણો પાળે છે. 

છેલ્લે , મારે એ પણ ન ભૂલવું જોઈએ કે, સૂર્ય ન તો આથમે છે… ન તો ઊગે છે.

મારે જ  સૂર્યની સમક્ષ આવવું રહ્યું!

હું પ્રયાસ કરું છું.  

પતંગ અને પોસ્ટ

મિત્રો,

દરેક પર્વો તો પવિત્ર હોય છે પરંતુ આપણી  ગુજરાતમાં ઉજવાતો ઉતરાણનો તહેવાર માત્ર પવિત્ર જ નહિ પરંતુ ચિત્રવિચિત્ર પણ હોય છે. આવાં આ પર્વ નિમિત્તે સહુને પીલ્લાં ભરીને શુભેચ્છાઓ.

આમ જુઓ તો બ્લોગજગતમાં બારે મહિના ઉતરાણ હોય છે.  પોસ્ટ રૂપી પતંગો બારે મહિના ચગાવવાનો રિવાજ છે.  તો માણો પતંગ અને પોસ્ટની સરખામણી.

*જેમ પતંગો વિવિધ કદ, આકાર કે રંગની હોય છે તેમ બ્લોગજગતની પોસ્ટ્સ પણ વિવિધ કદ,આકર કે રંગની હોય છે. કોઈ પોસ્ટ એકદમ નાની તો કોઈ મોટી હોય છે. કોઈ પોસ્ટ કવિતાના આકારમાં તો કોઈ વાર્તા કે નિબંધના આકરામાં!  કોઈ પોસ્ટ ભક્તિના રંગની હોય છે તો કોઈ સુધારાના રંગની! કોઈ હાસ્યના રંગની તો કોઈ માહિતીના રંગની!

*પતંગો ચગાવવા કાજે મકાનના ધાબાં છે તો  પોસ્ટ ચગાવવા કાજે વર્ડપ્રેસ કે બ્લોગપોસ્ટ જેવાં અનેક ધાબાં છે. જેમને ધાબે મજા નથી આવતી એ લોકો ફેસબૂકની wall પર પોતાની પોસ્ટ સાથે પહોંચી જાય છે! બંને ક્રિયામાં જ્યાં વસ્તી વધારે હોય ત્યાં જ વધારે મજા આવતી હોય છે.

*જેમ કેટલાક લોકોને માત્ર પતંગ ચગાવવામાં જ રસ પડે છે અને કાપાકાપીમાં રસ પડતો નથી તેમ કેટલાક નિજાનંદી  લોકોને  માત્ર પોસ્ટ ચગાવવામાં જ  રસ પડે છે. અર્થાત વાદવિવાદથી તેઓ દૂર રહે છે.

*જેમ ઘણાંને પતંગ ચગાવીને કાપાકાપી માટે પેચ લેવામાં જ રસ હોય છે તેમ ઘણાંને પોસ્ટ મૂકીને મંતવ્યોની કાપાકાપીમાં જ મજા આવે છે. એમની પોસ્ટ મુકાણી નથી કે કાપાકાપી શરૂ થઈ નથી. ક્યારેક ક્યારેક તો પોસ્ટ પોસ્ટ વચ્ચે એવા પેચ જામે કે જોનારાઓને પણ રસ પડે.

*કેટલીક પતંગોની નીચે જેમ પૂંછડી હોય છે તેમ કેટલીક પોસ્ટની નીચે પણ પૂંછડી રૂપે કોઈ વિધાન કે પંક્તિ હોય છે.

*પતંગને ચગવા માટે અનુકૂળ પવન જરૂરી છે તો પોસ્ટને ચગવા માટે અનુકૂળ પ્રોત્સાહન જરૂરી છે.

* જેમ કાબેલ પતંગવીર વિપરીત સંજોગોમાં પણ પતંગ ચગાવી જાણે છે તેમ કાબેલ બ્લોગર વિપરીત સંજોગોમાં પણ પોતાની પોસ્ટ ચગાવી જાણે છે. બંને કામમાં અનુભવ ભાગ ભજવે છે.

*પતંગની જેમ પોસ્ટ પણ ઘણી વખત  ફસકી જતી હોય છે.

*પતંગને છૂટ અપાવનારા હોય છે તેમ બ્લોગજગતમાં પણ પોસ્ટને છૂટ અપાવનારા હોય છે. કોઈ પોસ્ટ મૂકે કે તરત જ પ્રતિભાવ દ્વારા પ્રોત્સાહન આપનારાઓ પોસ્ટને છૂટ આપવાનો ધર્મ બજાવે છે. ઘણાં લોકોને માત્ર છૂટ અપાવવામાં જ મજા આવે છે. તેઓ પોસ્ટ ચગાવતા જ નથી!

*ચાલુ પતંગમાં ઝરડું નાખનારાં હોય છે તેમ કોઈની પોસ્ટને કૉપી-પેસ્ટ વડે ખેંચનારા પણ હોય છે. પતંગ લૂંટાય તેમ પોસ્ટ પણ લૂંટાય છે.

*પતંગના કારણે ઝઘડા થાય તેમ પોસ્ટના કારણે પણ નાનામોટા ઝઘડા થતા હોય છે.

**ધાબાં પર સંગીતની મજા છે તો બ્લોગજગતના ધાબે પણ સંગીત પૂરું પાડનારાં છે.

*પતંગ ચગાવાનારાને કોઈ જાતની આર્થિક કમાણી થતી નથી તો પોસ્ટ ચગાવાનારાને પણ કોઈ જાતની આર્થિક કમાણી થતી નથી. બનેમાં શક્તિ અને સમયનો વ્યય છે. પરંતુ બનેમાં જે આનંદ આવે છે તે જ મોટી કમાણી!

મિત્રો, તમને કોઈ વાત ઉમેરવા જેવી લાગે તો પ્રતિભાવ દ્વારા જરૂર ઉમેરી શકો છો.

.. ફરીથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

એક હોટલ, એક લેખક ને એક યુવાન!

[મિત્રો, આજે એક વાર્તા રજૂ કરું છું.  આ વાર્તા ગુજરાતી ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં ૩૧ માર્ચ ૧૯૯૧ ,રવિવારના રોજ પ્રગટ થઇ હતી. વીસ વર્ષો પહેલાની  આ વાર્તા કોઇપણ પ્રકારના ફેરફાર વગર રજૂ કરું છું. ]

                                                                                          અપેક્ષા    - યશવંત ઠક્કર 

જે હોટેલમાં તેઓ બધા લેખકો અને કવિઓ એકઠા થતા હતા તે હોટેલની બહાર સનતકુમારઊભા ઊભા બીજા મિત્રોની રાહ જોઈ રહ્યા હતા. તેમનો એકપણ મિત્ર આજે હોટેલ તરફ ફરક્યો નહોતો. આવું થાય ત્યારે સનતકુમાર અકળાઈ જતા. અકળાયેલા અને ધૂંધવાયેલા સનતકુમારે ત્યાંથી જવા માટે થોડાંક કદમ ભર્યાં  હશે ત્યાં તો એક અજાણ્યા યુવાને તેમની પાસે આવીને સીધો જ સવાલ કર્યો કે: “તમે જ લેખક સનતકુમાર છો કે?”

સનતકુમારને ઘણાં લોકોએ અહોભાવથી આવો સવાલ કર્યો હતો. પરંતુ આ યુવાને જે રીતે સવાલ કર્યો હતો એ રીતે આ પહેલાં કદી કોઈએ કર્યો નહોતો. આ યુવાન જાણે કે સનતકુમારની ઝડતી લઈ રહ્યો હતો.

“જી થોડુંઘણું લખું છું.” સનતકુમારે નમ્રતાથી કહ્યું.

“મેં સાંભળ્યું છે કે આ હોટેલમાં ઘણાબધા સાહિત્યકારો ભેગા થાય છે.”

“સાચી વાત છે. પણ આજે મારા સિવાય બીજું કોઈ આવ્યું નથી. હું એ લોકોની રાહ જોઈને જ જઈ રહ્યો છું.”

“મારે તમારી સાથે થોડીક વાત કરવી છે. હું માનું છું કે તમારી પાસે તમારા વાચક માટે એટલો સમય તો હશે જ.”

“હા હા ચોક્કસ.” સનતકુમારે જવાબ તો આપ્યો. પણ તેઓ સમજી ચૂક્યા હતા કે આજે રોજ કરતાં જુદું જ બની રહ્યું હતું.

તેઓ હોટેલમાં જઈને એ ખૂણામાં બેઠા જે ખૂણામાં મોટા ભાગે સનતકુમાર અને તેમના મિત્રો બેસતા હતા. હોટેલ એટલી મોટી અને સામાન્ય હતી કે નવરા લોકો ચા-કોફી પીધાં પછી પણ લાંબો સમય સુધી બેસી શકતા. સનતકુમાર અને તેમના મિત્રોએ વાતોવાતોમાં ઘણી કવિતાઓનું સર્જન આ હોટેલમાં જ કર્યું હતું.

હોટેલનો છોકરો ટેબલ પર પાણીના ગ્લાસ મૂકીને તેમ જ બે ચાનો ઓર્ડર લઈને ગયો કે તુરત જ યુવાને વાતની શરૂઆત કરી: “થોડા દિવસો પહેલાં આપણા આ શહેરમાં ફિલ્મોત્સવ ઉજવાઈ ગયો. તેના એક કાર્યક્રમમાં એક ફિલ્મી હીરો કે જે આડુંઅવળું બોલ્યો તે વિષે ઘંણા બુદ્ધિજીવીઓએ ઉહાપોહ કર્યો છે. લેખકો અને વાચકોએ પણ એ વિષે છાપાઓમાં લખ્યું છે. તમારું પોતાનું એ બનાવ વિષે તેમ જ એ બનાવના પ્રત્યાઘાતો વિષે શું માનવું છે?

“એ માણસે મોટી  ભૂલ કરી છે. ” સનતકુમારે કહ્યું. “એ માણસ  તમામ ગુજરાતીઓને ગાળ દઈ ગયો  છે.  મેં મારી કોલમમાં તેની સખત શબ્દોમાં ઝાટકણી કાઢી છે. ને ભવિષ્યમાં તે  ગુજરાતમાં ક્યાંય બોલવા ઊભો થાય તો તેને તુરત બેસાડી દેવાની હાકલ કરી છે. એવું થશે ત્યારે જ આવા લોકો સીધા થશે. ..”

યુવાન ચૂપચાપ સનતકુમારની સામે જોઈ રહ્યો. સનતકુમાર તેની નજર જીરવી ન શકતા અટકી ગયા. પહેલાં  તો તેમને લાગ્યું હતું કે યુવાને સાવ સાદી વાત પૂછી નાખી છે તેથી આવેગમાં બોલવા લાગ્યા હતા. તેઓ પોતાના લેખનો ઘણોખરો ભાગ બોલી જાત! પણ યુવાનની નજર … સનતકુમારને લાગ્યું કે યુવાન તેમના ચહેરાની અંદર ઊંડે ઊંડે જોઈ રહ્યો છે.

“એ હીરો જે કાર્યક્રમમાં બોલ્યો તેમાં તમે હાજર હતાકે? ” યુવાને પૂછ્યું.

“નાં. હું નહોતો. ” સનતકુમારે કહ્યું.

“તમે ત્યાં એ વખતે હાજર હોત તો શું કરત?”

“હું. ”  કહીને સનતકુમાર અટક્યા. અચકાયા અને થોથવાયા.  છેવટે તેમણે વાક્ય પૂરું કર્યું. “પણ હું ત્યાં હતો જ નહિ ને.”

“મારું કહેવું એમ છે કે તમે ત્યાં હાજર હોત તો શું કરત?”

છોકરાએ આવીને ટેબલ પર ચાના કપ મુક્યા. સનતકુમારે યુવાનના સવાલનો શું જવાબ આપવો એ વિષે વિચાર કરતા કરતા ચા પીવા લાગ્યા. યુવાન પણ ચૂપચાપચા પીવા લાગ્યો. સનતકુમાને થયું કે આ વાતનો ગમે તે રીતે અંત લાવીને પોતે ઉભા થઈને જતા રહે તો જ યુવાનથી છૂટી શકાશે.

ચા પીવાઈ ગઈ કે તુરત યુવાને કહ્યું, “તમે મારા સવાલનો જવાબ નથી આપ્યો સાહેબ.”

“હું શું કરી શકું? જ્યાં આટલા બધા માણસોની હાજરી હોય ત્યાં શું થઇ શકે? ” સનતકુમારે કહ્યું.

“કેમ? તમે જો માનતા હો કે એ માણસ ખરાબ બોલી રહ્યો છે તો બધાંની વચ્ચે ઊભા થઈને તેને અટકાવી ન શકો? એક બુદ્ધિજીવી તરીકે તેને વિનંતી ન કરી શકો કે તે બરાબર બોલે?  છતાં પણ તે ન માને તો ઊંચાઅવાજે તેને બકવાસ બંધ કરવાનું ન કહી શકો? અરે.. તમારી કોલમમાં હાકલ કરો છો તેવી હાકલ સાંભળનારાઓને ન કરી શકો કે- આ માણસને બોલતો અટકાવો. તે આપણા ગૌરવ ઉપર ઘા કરી રહ્યો છે. આમાંથી કશું ન કરી શકો? ” યુવાને એકધારા પ્રશ્નોનો મારો ચલાવ્યો.

“હું શું કહી શકું? હું ત્યાં  હતો જ નહિ ને? હું હોત તો શું કરત એ વિષે હું કહી ન શકું. માફ કરજો. ડંફાસો મારવાની મને આદત નથી.”

“અચ્છા.” યુવાને કહ્યું. “તમે તમારી કોલમમાં હાકલ કરી છે કે એ માણસ ફરી ગુજરાતમાં ક્યારેય આવે ને બોલવા ઊભો  થાય તો તેને બેસાડી દેવો જોઈએ. ધારો કે તે ફરીથી ગુજરાતમાં આવે તો તેને બોલતો અટકાવવા માટે તમે પહોચી જશો? જો તમે પ્રમાણિકતાથી માનતા હો કે એવું થવું જ જોઈએ તો સહુ પ્રથમ  શરૂઆત તમારે ન કરવી જોઈએ?”

સનતકુમારે થોડી વાર પછી જવાબ આપ્યો. “જુઓ મિત્ર, મારી ફરજ લખવાની છે. જે અજુગતું લાગે તે લોકોની નજરમાં લાવવાનો મારો ધર્મ છે. તમે કહો છો તેવા જોખમો ખેડવાનું કાર્ય  મારું નથી. “

“કેમ નહિ?” યુંવાને ટેબલ  પર હાથ પછાડ્યો.  ”આ વાત જવા દો. બીજી કેટલીય એવી બાબતો છે જેના વિષે તમે ખૂબ ખૂબ લખો છો. લોકોને દોરવણી આપો છો. ચેતવણી આપો છો. સૂચનો આપો છો. અમુક બાબતોનો વિરોધ કરવાનું કહો છો પણ તમે પોતે સદેહે તેનો વિરોધ કરવાનું જોખમ ખેડતા નથી? લોકો પાસે જ જોખમ ખેડાવાની આશા શા માટે રાખો છો? “

“લખવું એ પણ ઓછું જોખમ નથી.”

“હું સહમત થાઉં છું.  પરંતુ તમને નથી લાગતું કે એનાથી વધારે જોખમ ખેડ્યા વગર ચાલે તેમ નથી.  સમાજમાં બનતો બનાવ એ લેખકો માટે માત્ર મસાલો જ બની રહે? કોઈ લેખક કોલમમાં તેનો ઉલ્લેખ કરે. કોઈ લેખક હાસ્યકથા લખીને છૂટી જાય. કોઈ લેખક નવલકથા લખવાની મથામણમાં પડે.  પછી બધું ભૂલાઈ જાય. ફરીથી નવો બનાવ બને . ફરીથી બધાં એના પર તૂટી પડે. ને છતાય એવા બનાવો બનતા જ રહે.”

“એ તો બનવાના જ..”

“જો તમે માનો છો કે એવા બનાવો  બનવાના જ તો પછી શા માટે એના વિષે લખ લખ  કરો છો? તમારા પેટ માટે?”

“મિત્ર, તમે વધારે પડતું બોલી રહ્યા છો. અમને લખવાના કેટલા પૈસા મળે છે તે જાણશો તો તમને અમારી દયા આવશે. “

“દયા તો આવે છે. લેખક મહાશય. એક ઘટનાને તમે કાગડા કૂતરાંની માફક ચૂંથો છો પરંતુ એ અશુભ ઘટના બનતી અટકે તે માટે તમે કોઈ જોખમ ઉઠાવવા તૈયાર નથી. તમારી નજરમાં જે જે અયોગ્ય બનાવો બને છે તેની મેં યાદી બનાવી છે. ચાલો મારી સાથે. આપણે એવા બનાવો બનતા અટકાવીએ. “

“કેવા બનાવોની વાત કરો છો?”

“ગણપતિ ઉત્સવ માટે દાદાગીરીથી પૈસા ઉઘરાવાતા હોય તો તેને આપણે અટકાવવા છે. કોઈએ માઈકનો અવાજ  વધારે રાખ્યો હોય તો તેને અવાજ ધીમો રાખવા માટે સમજાવવો છે.  કોઈ પ્રધાન જાહેરમાં ખોટા વચનો આપતો હોય તો તેને ખૂલ્લો પાડવો છે. આત્મવિલોપનના માર્ગે  જતા કિશોરને  અટકાવવો  છે. મોતની પોટલીઓ પીનારાઓને રોકવા છે. જાહેર કે  ખાનગી  મિલકતોની તોડફોડ થતી હોય ત્યાં જઈને તમારા પોતાના જ લેખોનું મોટેથી વાંચન કરવું છે. તમે પોતે જ તમારા વિચારો ભૂલ્યા નહી હો.”

સનતકુમાર ખોખલું હસ્યા ને બોલ્યા, “દોસ્ત,તમે મારી પાસેથી બહુ મોટી અપેક્ષા રાખો છો.”

“તમે પણ લોકો પાસેથી ઓછી અપેક્ષા નથી રાખતા. તમારી માન્યતા પ્રમાણે ન ચાલનારા લોકોને તમે કાયર, મૂર્ખા, લુચ્ચા કે અપ્રમાણિક ગણો છો. તમારી કલમ મારફતે ચાબખા વિંઝો છો. પણ ઘરમાં બેસીને લખવાથી વધારે જોખમ ઉઠાવવાની તમારી તૈયારી નથી. “

“તમે કહો છો તેવા કામ તો કોઈ રાજકીય વ્યક્તિ કરી શકે. અમારાથી ન થઇ શકે.”

“બધાં આવું જ કહે છે. ઓળઘોળ જાય બધું રાજકારણ પર. પછી તગડા રાજકારણ વિષે પણ તમે પાનાં ભરી ભરીને લખી શકો. એવા રાજકારણને દૂર કરવા માટે સુચનો, માર્ગદર્શન કે હાકલા-પડકારા કરી શકો… ખરેખર તમે સમાજની રાતદિવસ સેવા કરો છો….”

સનતકુમાર ચૂપ થઇ ગયા. તેઓ વિચારોમાં ડૂબી ગયા.

યુવાન ઊભો થયો. “માફ કરજો. મેં તમારો ઘણો સમય બગાડ્યો. આજની આ સાંજનો કોઈ વાર્તામાં ઉપયોગ કરવાથી વિશેષ કામ તમે નહિ કરી શકો. એવી મને ખાતરી છે. “

એટલું બોલી તે ત્યાંથી ચાલ્યો ગયો. જતા જતા કાઉન્ટર પર પૈસા ચૂકવતો ગયો.

સનતકુમાર જવા માટે ઊભાથયા ને ફરીથી બેસી ગયા. તેમણે એક ચાનો ફરીથી ઓર્ડર આપ્યો અને યુવાન સાથેની મુલાકાતનો ઉપયોગ વાર્તા બનાવવામાં કરવો કે નહિ તેની ગડમથલમાં ડૂબી ગયા.

[લગભગ વીસ વર્ષો પહેલાની આ વાર્તા છે. આપ સહુને ખ્યાલ આવશે જ કે - ઘણું ઘણું બદલાયું છે છતાંઘણું ઘણું એમનું એમ જ રહ્યું છે.]

બાબા ક્યોં ભાગે રે આધી રાત કો…

પુલિસ ક્યોં આઈ રે આઈ આધી રાત કો… 

બાબા ક્યોં ભાગે રે ભાગે આધી રાત કો…. 

કપડેં ક્યોં બદલે રે બદલે આધી રાત કો… 

ચાલ ઐસી ક્યોં ચલે રે ચલે આધી રાત કો…. 

મિત્રો… સમાચારની ચેનલ્સ પર આવા સવાલોનો મારો ચાલી રહ્યો છે. સ્વાભાવિક રીતે આપણને પણ આવા સવાલો થાય.

લોકોનો આટલો આટલો  વિશ્વાસ ને  પ્રેમ મેળવનાર અને  યોગી તરીકે નામના મેળવનાર આવું કેમ કરે?જો તેમણે સામે ચાલીને પોતાની ધરપકડ થવા દીધી હોત તો વાંધો શો હતો? શું ખરેખર મૃત્યુ  તેમની સામે આવીને ઊભું હતું? ને જો ઊભું હતું તો એની બીક લાગી?  બાબાએ કહ્યું કે –  મારે એ રીતે નહોતું મરવું!

બાબા ઘણું જીવે. પરંતુ એક વખત જે મૃત્યુની  પરવા કર્યા વગર નીકળે એની પાસે પછી મૃત્ય પામવાની રીતની પસંદગી હોય છે ખરી?

જો બાબાએ ક્રાંતિ માટેના ગોરીલા  યુદ્ધની રીત અપનાવી હોત તો તો  આ ભાગમભાગી, આ કૂદકા, આ વેષપલટા…  એ બધું જ શંકાના ઘેરાવામાં આવત જ નહીં. એટલું જ નહીં .. આ બધી હરકતો  એ પ્રશંસાને પાત્ર ગણાત.

 પરંતુ એકવખત  ગાંધીવાદ અપનાવનાવ્યાની  જાહેરાત કર્યા પછી આવી  રીતરસમો  બરાબર છે?  આ ભાગમભાગી .. આ કૂદકા… આ વેષપલટા… ને ત્યાર પછીના આ ખુલાસા…

એ વાત પણ બરાબર  છે કે તેમણે  શાસન અને વ્યવસ્થા સામે પડકાર ફેંકવાનું સાહસ તો કર્યું જ છે! બાકી જો તેઓ પોતાના આશ્રમમાં જ બેસી રહ્યા હોત તો કદાચ અત્યારે તેમના પર જે મુસીબતો ત્રાટકી છે તે ન ત્રાટકી હોત! જો એમને પોતાની સલામતીમાં જ અને  કારોબારમાં  રસ હોત તો શાસન સામે બાથ ભીડવાનું સાહસ ન કર્યું હોત! તેઓ જે સ્થાન પર પહોંચ્યા છે તે સ્થાન પર પહોંચ્યા પછી ગણત્રીબાજ માણસ તો આવા જોખમોથી દૂર જ રહે! અરે! ઉલટાનો સરકારને માફક આવે એ રીતે જ પોતાની પ્રવૃત્તિઓ ચાલવા દે! તો તો આજે એમને ઠગ કહેનારા પ્રધાનો જ એમના પગમાં પડતા હોત!

હવે સવાલ એ છે કે-  સાધ્યમાં દમ હોય એટલો જ દમ સાધનમાં હોવો જરૂરી છે કે નહી ?

ભલે આપવા ખાતર જવાબ આપણે  ” હા”  માં આપીએ. પરંતુ ખરેખર આપણે એવું માનતા નથી! આપણે ચલાવી લેવામાં જ માનીએ છીએ.  એટલે જ આવા આઘાતો પચાવવાની તૈયારી રાખીને જ બેઠાં છીએ.

ને જ્યારે નથી પચાવી શકતાં ત્યારે બાબા જેવા લોકો પર ટીકાઓના તીર છોડવા લાગીએ છીએ.

શું કરી શકાય?  આપણે જ્યારે કોઈ સારા હેતુ માટે વાતો કરવા સિવાય બીજું કરી ન શકતા હોઈએ ત્યારે, બાબા રામદેવ જેવા લોકો કે જેઓ એક પ્રકારનું જોખમ ખેડી રહ્યા છે,તેમને કમસે કમ મનથી  સહકાર આપવો જોઈએ કે નહીં?

 કે પછી એમને પણ  કસોટીની એરણે ચડાવવા જોઈએ ?

બાબાની સરખામણીમાં અણ્ણાજી વધારે સ્થિર અને ગંભીર નથી જણાતા ?

અણ્ણાજી તેમ જ તેમના સાથીઓ તરફથી અત્યારે રાજઘાટ પરથી જે વિધાનો થાય છે તે વિધાનો  સરકારને ભારે પડે તેવાં  છે. કારણ કે એ વિધાનો ખૂબ જ જવાબદારી પૂર્વક થઈ રહ્યા છે. એમાં લાંબી લડત આપવાની તાકત છે.

શું રામલીલા મેદાન પર જે નુકસાન થયું તે હવે અણ્ણાજીના આંદોલનથી ભરપાઈ થઈ જશે?

આશા રાખી શકાયને?

છેલ્લા સમાચાર મુજબ  બાબા રામદેવની તબિયત બગડી છે.  આશા રાખીએ કે તેઓ   સાજા રહે.

વાંધો  વ્યક્તિની રીત સામે હોઈ શકે. વ્યક્તિ સામે નહીં.

ચા ઊનો અને સગો જૂનો

અમારા દાદીમા કહેતાં કે: માડી, ચા ઉનો અને સગો જૂનો!

કાઠિયાવાડમાં ચાની ગણના લેડીના બદલે જેન્ટસમાં થતી હતી.  હજી પણ થતી હશે.  જો કે બદલાયેલા જમાનામાં ગરમ ચા અને જૂનું સગપણ સહન કરવાની આપણી  ક્ષમતા ઓછી થઈ ગઈ છે. પરંતુ અમારા વડીલોની સગપણો યાદ રાખવાની ક્ષમતા નવાઈ પમાડે તેવી છે.

અમને ઘણી વખત એવું બધું કહેવામાં આવે કે:  બાના મામાના દીકરાની દીકરી એ આપણા દાદાના ભાઈના  દીકારાની દીકરીની સગી નણંદ થાય ત્યારે એ બધું સાંભળીને અમારું મગજ હવા વગરના ફૂગ્ગા જેવું ઢીલુંઢફ થવા લાગે અને ચા પીધી હોય તોય ફરીથી પીવાની જરૂરિયાત ઊભી થઈ જાય!

આ સગપણ તો માત્ર દાખલા તરીકે આપ્યું છે આના કરતાં પણ વધારે વળાંકોવાળા સગપણો એમને મોંઢે હોય છે. જે  ગમેતેટલી વાર કહેવામાં આવે છતાં અમને યાદ રહેતાં નથી. રસ વગર બધું નકામું.

અમારી આ દશા હોય તો આજની ઉછરતી  પેઢીની તો વાત જ ક્યાં રહી? એ બિચારી પાસે એવો સમય ક્યાં કે આવી વાતોમાં મગજ પરોવે.  ’ફલાણો મારા કાકાનો દીકરો’ કે ‘ફલાણી મારા ફોઈની દીકરી’ એવા સરળ વાક્યો પણ એમને બોલતાં ન આવડે! … ‘એ મારા કઝિન  થાય’ એમાં બધું આવી ગયું. કોણ દૂરનું કે કોણ નજીકનું સગું એવા વિકારમાં આજની પેઢી પડતી નથી.

હા, એમાંથી ઘણાંખરાંને  એ જરૂર ખબર હોય કે:  ટીવીના “ઝલક દિખલા જા” શોમાં આવતો “‘સુશાંત” એ “પવિત્ર રિશ્તા” સિરિઅલમાં આવતો “માનવ”  છે અને એમાં એની સાથે આવતી “અર્ચના” કે જેનું બહારનું નામ “અંકિતા” છે તે બંને ખરેખર મેરેજ કરશે! … અમે આગળ કહ્યું તેમ રસ હોવો જોઈએ! યાદશક્તિને રસ સાથે ખૂબ જ જૂનું સગપણ હશે!

એટલે જ તમે જોજો… દાદા  અને પૌત્ર સાથે બેસીને ટીવી જોતા હશે અને  જો દાદા  રસિક હશે તો  રણવીર  કપૂરને જોઈને બોલી ઊઠશે કે: આ તમારો  હીરો એ અમારા હીરાના દીકરાનો દીકરો થાય!

તો  વળી દાદીમા પણ જો એવાજ રસિક હશે તો યાદ કરાવશે કે : આ હીરોની મમ્મીએ નાનપણમાં જેમાં ડબલ રોલ કરેલા એ ફિલ્મ આપણે કાલાબજારમાં ટિકિટ લઈને જોયેલું!

આ છે સગપણોની માયાજાળ! અને સગપણોમાં ગૂંચ પડે તો એને ઉકેલવાની આદત હવે ભાગ્યેજ કોઈનામાં રહી હશે.

 ઉતરાણના તહેવાર ઉજવતી વખતે દોરો ગૂંચવાય  તો કયો જુવાનિયો એની ગૂંચ કાઢવા બેસે?એ તો ધડ  દઈને દોરો તોડી નાખે અને ગૂંચળાનો ધાબા પરથી કરે ઘા કે જાય ગોથા ખાતું.  હા,એને એ વાતનો ડર લાગે કે આ  ગૂંચળું જોઈને એના મમ્મી-પપ્પા એને ઉકેલવા બેસી જશે!

સગપણોના ગૂંચળા પણ હવે કોઈને ગમતાં નથી.  કામ  પડે  ત્યારે સગપણ જોડી લેવું અને જરૂર ન હોય ત્યારે તોડી દેવું એ નિખાલસતા સહુને માફક આવી ગઈ છે.  

એક તો મદિરા ઓછી અને ગળતું જામ .. જેવો માહોલ હોય ત્યાં કોઈ સગો આડો ચાલવા જાય તો હવે એને મનાવવા જવાની ત્રેવડ કોઈનામાં રહી નથી!  

બદલાતાં ફર્નિચરની જેમ સગપણો બદલાતાં જાય.

- આ પંખો ત્રીસ વરસ જૂનો છે અને હજી ચાલે  છે… બાપાની એવી વાત સાંભળીને દીકરાને નવાઈ લાગે કે: ગમે તેઓ ટકાઉ  હોય તો ય પંખાને ત્રીસ વરસો સુધી શા માટે પાલવવો જોઈએ?  આટલાં વર્ષોમાં  તો કેટકેટલી વેરાઈટી આવી ગઈ હોય! 

પરિસ્થિતિ બદલાતી જાય તેમ તેમ માણસને પણ નવાં નવાં સગપણોની મજા ચાખવી હોય છે. 

એક સમય એવો હોય છે કે -અમુક સગા વગર  પ્રસંગનો પ્ર પણ ન વિચારી શકાય અને એક સમય એવો આવે કે – એ સગાને પ્રસંગમાં આમંત્રણ પણ ન અપાય! 

ભાડાનું સાંકડું ઘર હોય હોય ત્યારના મહેમાનો અને ઘરનું ડુપ્લેક્ષ હોય ત્યારના મહેમાનોમાં  નોંધપાત્ર પરિવર્તન આવી જતું હોય છે.

છતાંય સગપણોની શરમ ભરનારાં પણ હોય છે. ખાસ કરીને બેસણાંના પ્રસંગોમાં. ત્રીજી કે ચોથી પેઢીનાંસગાં મોઢાંબતાવવા આવે છે અને એ જેને મોઢાં બતાવવા આવે છે તે લોકો એમને  ઓળખતાં  નથી હોતા! 

ત્યારે  પાછા ફરતી વખતે સગઓના મોંએ આવી કશી વાત હોય છે કે: બસ! હવે પૂરું થયું! ગયું બધું ઉપર! મરનારની સાથે!! 

જૂની ડાયરી ફાડતાં ફાડતાં ફાડી નાંખ્યાં સગપણ
લખતાં જેને વર્ષો લાગ્યાં ફાડતાં લાગી ક્ષણ

કેવા આજે આવરા જાવરા જાવું કોની ઘેર
સરનામાં તો ધ્રૂજતાં ધ્રૂજતાં જાણે ઊભાં ખંડેર
ક્યાં સુધી આ સાચવી રાખવાં ટૂટ્યાં ફૂટ્યાં દર્પણ
જૂની ડાયરી ફાડતાં ફાડતાં ફાડી નાંખ્યાં સગપણ …

સગાં વહાલાં દૂરનાં દૂરનાં આજે લાગે કેવાં
સહુ સહુની આગવી દુનિયા કોને લેવા દેવા
છોડી નાંખ્યાં ખુદના હાથથી સાચાંખોટાં વળગણ
જૂની ડાયરી ફાડતાં ફાડતાં ફાડી નાંખ્યાં સગપણ

શહેનશાહ અકબર: મોટું પૅકિજ! નાનું પૅકિજ!

મિત્રો, જૂની ફિલ્મ મોગલે આઝમ તો જોઈ  જ હશે. તેમાં અકબરનું પાત્ર પૃથ્વીરાજ કપૂરે ભજવ્યું હતું. આ ફિલ્મનો અકબર લોકોના દિલોદિમાગમાં એવો તો ઘૂસી ગયો કે બસ! અકબર હોય તો  ખરેખર આવો જ હોય!  આનાથી જુદો અકબર હોઈ જ ન શકે. 

અર્ધો સૈકો જતો રહ્યો! પણ આપણી નજર સામે અકબર તો એવોને એવો જ રહ્યો.  આપણે  નિશાળમાં યથાશક્તિ ઇતિહાસ પણ ભણ્યા હતા. એમાં પણ અકબરનું ચિત્ર આવતું હતું. પણ આ મોગલેઆઝમના અકબરે તો એ ઇતિહાસના અકબરને ભુલાવી દીધો. 

અકબર જે જાડિયો હોય.  જેનો અવાજ પહાડિયો હોય. જે રાડિયો હોય અને વાતવાતમાં  સલીમ .. સલીમની રાડો પાડતો હોય. જે હંમેશા તનાવમાં હોય કે  ત્રણ પેઢીની કમાણી આ ઇશ્કના રવાડે ચડેલો સલીમિયો ઉડાવી તો નહીં નાખેને? એ વખતે સલીમની મમ્મી એટલે કે જોધાબાઈ અકબરને ટાઢો પાડે એ દૃશ્ય આપણી નજર સામે એવું ને એવું જ તાજું છેને?  જાણે ફ્રીજમાં મૂકેલું હોય તેવું! અને હા આજે પણ મોટાભાગની મમ્મીઓને દીકરાના પપ્પાને  ટાઢો  પાડવાની  ફરજ બજાવવી જ પડે છે.  કેટલીક પરંપરાઓ  બદલાતી નથી! 

તો મિત્રો મોગલે આઝમમાં  શહેનશાહ અકબર મોટા પૅકિજમાં હતો. 

ને હમણાં ત્રેણક વર્ષો પહેલાં એ જ શહેનશાહ અકબરનું નાનું પૅકિજ આવ્યું.  

આજના જાણીતા ફિલ્મ સર્જક આસુતોષ ગોવારીકરે  એમની ફિલ્મ જોધાઅકબરમાં એ જ શહેનશાહ અકબરને  ફરીથી રજૂ કર્યો.  આ ફિલ્મમાં અકબરનું પાત્ર હૃતિક રોશને ભજવ્યું હતું. જેમાં યુવાન અકબરને રજૂ કરવામાં આવ્યો હતો. મતલબ કે આ  ફિલ્મમાં અકબર પ્રમાણમાં દુબળો હતો. લબર મૂછિયો હતો.  શોખીન પણ હતો. એને એકલી મારામારીમાં જ રસ નહોતો. ઉમરની માંગ પ્રમાણે એને સોદર્ય, સાહિત્ય, કવિતા વગેરેમાં રસ પડતો હતો. એ વાતવાતમાં બૂમાબૂમ નહોતો કરતો. કારણ કે હજુ  છોકરા નહોતા થયા. એટલે બૂમો કોણ પડાવે? મતલબ કે ટેન્શન નહોતુ.  મોગલે આઝમની જોધાબાઈ કરતાં આ ફિલ્મની જોધાબાઈ પણ સ્વાભાવિક રીતે દુબળીપાતળી અને નાજુક હતી! ખૂબ રૂપાળી હતી. એટલે અકબરને રીઝવવા માટે એણે કાલાવાલા નહોતા કરવા પડતા. અકબર જ ડાહ્યોડમરો થઈને એની ત માની લેતો હતો. 

મિત્રો , ઘણાં દર્શકોને  માનવામાં જ ન આવ્યું કે અકબર જેવો અકબર સાવ આવો હોય! બેંકના એજંટ જેવો! જે રાડારાડ ન કરે! પોતાની વાત શાંતિથી સમજાવે! વળી વહુઘેલો! જે અવાજ ન કરી શકે! જે ત્રાડ ન પાડી શકે.  

ક્યાં મોગલે આઝમનો એ લડવૈયો અને  ક્યાં જોધાઅકબરનો આ લવરિયો!ના ચાલે… ના ચાલે… 

આસુતોષભાઈએ સમજાવ્યું કે- ભાઈ… આ જુવાન અકબરની વાત છે.  એને એ રીતે જુઓ.  જોધાબાઈને પણ એ રીતે જુઓ.  એ બંને જુવાનીમાં પણ જાડિયાપાડિયાં હશે એમ માની ન લો. 

લોકોને વાત ગળે ઉતરી હશે એટલે ફિલ્મ ચાલી! 

આસુતોષભાઈની વાત  સમજવી અઘરી નથી.  

ઉદાહરણ નંબર એક:સંજયદત્ત એની પ્રથમ ફિલ્મ રોકીમાં કેવો બબલો લાગતો હતો ? ભલે એને મારામારી કરતો બતાવ્યો પણ આપણને માનવામાં નહોતું આવતું કે આ ઊગીને ઊભું થયેલું બચ્ચું આવા સટ્ટાકા બોલાવી શકે! … ને પછી જેમ જેમ એ મોટો થતો ગયો  તેમ તેમ કેવો જામતો ગયો?  જામ્યો તો એવો જામ્યો કે – હવે એના હાથમાં સાંઠિકડું હોય તોય આપણને એમ લાગે  કે એના હાથમાં  પિસ્તોલ  છે!

ઉદાહરણ નંબર બે: મૈને પ્યાર કિયામાં સલમાનખાન. એ નાનો હતો ત્યારે કેવો બધી બાબતોમાં શીખાઉ લાગતો હતો?  અને હવેનો દબંગી સલમાન? 

જેવી રીતે સાધનાબાઈ, જયાબાઈ, ફરિદાબાઈ, રેણુકાબાઈ, પૂનમબાઈ, રતિબાઈ વગેરે વગેરેનાં દીદાર તેમની ઉમર અને અનુભવ વધવાની સાથે સાથે ફરી ગયાં તેવી રીતે જોધાબાઈનાં દીદાર પણ સમયની સાથે બદલાયાં હોયને? જોધાબાઈ પણ ક્યારેક ખળખળતું ઝરણું હતાં એમ માનવું જ રહ્યું. દરિયો તો પછી થયાં.

ગરબડ એના લીધે થઈ કે પહેલાં  ફિલ્મ મુગલે આઝમ આવી ને વર્ષો પછી જોધા અકબર આવી.   

સો વાતની એક વાત! સમય અને ચરબી પોતપોતાનું કામ કરે છે. 

ઇતિહાસના  પાત્રો ખરેખર કેવાં હતાં તેના નક્કર પુરાવા આપણી પાસે ન હોઈ શકે. કારણ કે -એમના ડ્રાઈવિંગ લાયસન્સ, પાનકાર્ડ , ઇલેકશન કાર્ડ, પાસપોર્ટ  વગેરે આપણને ઉપલબ્ધ નથી.

કોઈ ચિત્રકારે જે દોર્યું તે વધાવવું રહ્યું. અકબર, રાણા પ્રતાપ,  શિવાજી, ટીપુ સુલતાન, નરસિંહ મહેતા વગેરે તસવીરોમાં દેખાય છે તેવા ખરેખર ન પણ હોય.

એમના સ્વભાવ કે કાર્યો બાબત  પણ મતભેદ હોઈ શકે!  

આપણે  ગમતું  માની લેવું ને માણી લેવું!

જેમ કે – બ્લોગમિત્ર ભૂપેન્દ્રસિંહનું   કહેવું એમ છે કે – નરસિંહ મહેતા કમાતા નહોતા. 

અમારું કહેવું એમ છે કે- આપણે ક્યાં એના ઘરમાં દાણા નાખવાં જાવું પડ્યુંતું! 

આપણે તો… જાગને જાદવાથી કામ છેને! 

આવડે એવું ગાવ અને જલસા કરો.  

100 ટકા ચોકસાઈવાળો માણસ હોઈ શકે?

Clock Work Man

Image by smemon87 via Flickr

મિત્રો, શું ખરેખર એ શક્ય છે કે કોઈ માણસ 100 ટકા ચોકસાઈ જાળવનારો હોય! એટલે કે એની તમામ વાત સાચી હોય! વિજ્ઞાનિક પુરાવા સાથેની હોય. એ જે વિજ્ઞાનની વાત કહેતો હોય તે વિજ્ઞાન પણ ધારણા પર આધારિત ન હોય. તે જે ગણિતની  વાત કરતો હોય તેમાં ક્યાંય ધારણા કે માની લેવાની વાત ન હોય!

અમને તો ડગલે ને પગલે કલ્પનાઓ કરવાની અને ધારણાઓ બાંધવાની ટેવ એટલે  અમે ધારણ બાંધી કે  ચાલો  ખરેખર  ચોક્કસલાલ નામની આવી  વ્યક્તિ હોય તો કેવી હોય ?

વિવિધ સવાલોના એ કેવા જવાબો આપે એ બાબતની અમે અમારી ત્રેવડ પ્રમાણે ધારણા કરી છે જે આ મુજબ છે :

એવી વ્યક્તિને કોઈ પૂછે કે ભાઈ તમારું નામ શું?

તો એનો જવાબ આવો  લાંબો  લાંબો હોઈ શકે  હું જન્મ્યો તે ક્ષણેથી  માંડીને મારી છઠ્ઠીનો  પ્રસંગ ઉજવાયો ત્યાં સુધી મારું નામ મુન્નો રહ્યું. ત્યારપછી મારું નામ ચંદુ  રાખવાનું નક્કી થયું. પરંતુ મારી મમ્મીને એ નામ નહોતું ગમતું.  એ મને ચિંટુ કહેતી. મારા પપ્પા મને બકો કહેતા.  છેવટે મારા જન્મના દાખલામાં સાચું નામ લખવવાનો દિવસ આવી પહોંચ્યો ત્યારે મારા પપ્પા આવાં બેત્રણ  નામો સાથે જન્મનોંધણી કાર્યાલયમાં ગયા.  કારકુન જ્યારે અકળાઈને બોલ્યો કે કોઈ એક ચોક્કસ નામ બોલો ત્યારે  મારા પપ્પા બોલ્યા  કે નામ લખો .. ચોક્કસ નામ લખો…. ચોક્કસ લખો.. ને… કારકુને મારું નામ લખી નાંખ્યું ચોકકસલાલ.  તે દિવસથી હું ચોક્કસલાલ તરીકે ઓળખાઉં છું. મારું નામ પડવાની આ જે ઘટના બની તે માટે મારી પાસે કોઈ ચોક્કસ પુરાવા નથી. મારે બીજાએ કહેલી વાતો પર આધાર રાખવો પડ્યો છે.  માટે આઘટનાક્રમને સત્ય માનવો નહીં. ખરેખર શું બન્યું ને ક્યારે બન્યું તે હું ચોક્કસ કહી શકું નહીં. મારા ડ્રાઇવિન્ગ લાયસન્માં મારું નામ ચોક્કસકુમાર લખાયું છે.  મતદાર યાદીમાં મારું નામ ચોક્કસદાસ લખાયું છે. લાઈટબિલમાં મારું નામ ચોકસભાઈ લખાઈને આવે છે. આવું ક્યા કારણે બન્યું તે માટે મારી પાસે કોઈ ચોક્કસ જવાબ નથી પણ એ માટે જે તે કારકુને લોચા માર્યા છે એમ  ધારણા બાંધી શકાય. માટે  ચોક્કસલાલ એ મારું કહેવાતું નામ છે એમ માનવું.   

હવે આ ચોક્કસલાલને બીજો સવાલ કરવામાં આવે કે તમારો જન્મનો ચોક્કસ સમય કયો તો એનો જવાબ આવો હોઈ શકે!

મારા જન્મનો સમય જ્ન્મના પ્રમાણપત્રમાં ભલે ગમે તે જણાવ્યો હોય પરંતુ હું એને માન્ય ગણતો નથી કારણ કે ત્યારે મારી ઉમર ઘણી નાની હતી અને આવી બાબતોમાં ચોક્કસાઈ રાખવાનું મારું ગજું નહોતું કે ત્યારે નહોતી એ માટેની મારી સમજ કેળવાઈ! દવાખાનાની નર્સે જે સમય લખાવ્યો તે સમય ચોક્કસ હોવાના પુરાવા મારી પાસે નથી. નર્સે નોકરી પરથી વહેલાં છૂટવા માટે પોતાની ઘડિયાળ આગળ રાખી હોય તેવું બને. વળી મારા મમ્મી કે પપ્પાએ  તે દિવસે ઘડિયાળ પહેરી નહોતી.  ખરેખર તો દરેક  દવાખાનામાં સમગ્ર વિશ્વનો એકસરખો સમય બતાવતી ઘડિયાળો હોવી જોઈએ અને નર્સોને એ ઘડિયાળ પ્રમાણે જ સમય નાખવાની તાલીમ આપવી જોઈએ. આપણા દેશમાં તો  પા કે અર્ધો કલાકનો હિસાબ હોતો નથી. એ રીતે જોઈએ તો મારો જ્ન્મનો ચોક્કસ સમય હું આપી શકું નહીં. એ ધારણા પર આધારિત છે.  માટે મારા જન્મસમયને કહેવાતો જ્ન્મસમય  માનવો. 

મિત્રો,  આ તો માત્ર નામ અને જન્મ સમયની જ વાત કરી એ સિવાયના સવાલો જેવા કે: તમે બેસતા ક્યારે શીખ્યા? ઊભા થતા ક્યારે શીખ્યા?બોલતા ક્યારે શીખ્યા? નિશાળે જવાની શરૂઆત ક્યારથી કરી? 

આ  અને આવા અનેક સવાલોના જવાબો ચોક્કસલાલ કેવા આપે અને કેવડા આપે એની કલ્પનામાત્રથી અમે ધ્રૂજી ઊઠીએ છીએ! 

વધારે કલ્પના કરવાની અમારી ત્રેવડ નથી. તમારે કરવી હોય તો કરો. અમે તો આ ચાલ્યા ચા પીવા!! 

પણ સાચુ કહેજો આ દુનિયામાં 100 ટકા ચોકસાઈવાળો માણસ હોઈ શકે ? 

નરસિંહ મહેતા ઇડિઅટ હતા!

મિત્રો, આપણઓ સામાન્ય ગુજરાતી જન જેને નરસૈયો તરીકે ઓળખે છે તે નરસિંહ મહેતાની આજે  જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે  ત્યારે … નરસિંહ મહેતા ઇડિઅટ હતા!  એવું શીર્ષક આપ સહુને આંચકો આપનારું લાગશે પરંતુ અમે બહુ જ ભેજામારી કર્યા પછી  આ શીર્ષક પસંદ કર્યું છે.  અને  અમે ખૂબ જ પ્રેમપૂર્વક કહેવા માંગીએ છીએ કે  નરસિંહ મહેતા ખરેખર ઇડિઅટ હતા! લગભગ 600 વર્ષો પહેલાંના ઇડિઅટ! છતાંય આજના થ્રી ઇડિઅટ્સ જેવા!   

અરે! આ આમીરખાને તો  હજી  હમણાં થ્રી ઇડિઅટ્સ  ફિલ્મ દ્વારા આપણને સંદેશો આપ્યો કે જેને જેમાં રસ પડતો હોય એ જ લાઈન લેવાય.  દેખાદેખીમાં કેરિઅર ન બનાવાય!

આપણા આ નરસૈયાએ તો છસો વરસો પહેલાં પોતાને ગમતી હતી એ જ લાઈન લીધી.  ન કુંટુબને ગાંઠ્યા, ન સમાજને ગાંઠ્યા, ન પોલીસોને ગાંઠ્યા, ન રાજાને ગાંઠ્યા!  બસ પોતાને જે ગમતું હતું એ જ કર્યું.

 એ ને ભક્તિ કરવી હતી તો કરી! એને કવિતાઓ  રચવી હતી તો રચી! એને મન મૂકીને નાચવું હતું તો નાચ્યા. દિલથી જે ગાવું હતું તે ગાયું. વળી  એવી જગ્યાએ જઈને ગાયું કે જયાં ગયા પછી પોતાની ઘેર જવું ભારે પડ્યું!  

હા એ જમાનામાં આ મહેતાએ સમાજથી સાવ વિખૂટા પડેલા લોકોમાં ભળવાનું સાહસ કર્યું  જે આજે પણ સહેલું નથી.  બોલો એ રીતે જોઈએ તો પણ  આ મહેતા  ઇડિઅટ ખરા કે નહીં ? 

નરસિંહ મહેતાએ પોતાનું ઘર સાજું ન કર્યું એવું કહેનારાં તો  ત્યારે પણ હતા અને આજે પણ હશે. પરંતુ એમણે  પોતાની ભાષાનું સાહિત્ય સાજું કર્યું એ જેવીતેવી વાત છે ?  

આજે પણ એકલી કાવ્યરચનાની પ્રવૃત્તિ કરીને કયો કવિ ઘર રીપેરિંગ કરાવી શકે છે?  

કોઈ કવિપત્ની અવારનવાર એના પતિને પૂછતી જ હશે કે:કવિતામાં કેટલું કમાણા રે જરા સરવાળો માંડજો… 

નરસિંહ મહેતા જો  આમકવિ થવાના બદલે રાજકવિ થયા હોત તો એમણે પણ બંગલો બનાવ્યો હોત! 

પરંતુ એમણે રાજાને રાજી રાખવાને બદલે ભગવાનને રાજી રાખ્યા. 

એમણે પોતાની કલાને ગીરવે મૂકી પણ રોકડી ન કરી! 

રહી ચમત્કારની વાત! એમણે પોતે ક્યારેય ચમત્કાર કર્યા નહોતા! 

હા છસો  વર્ષો સુધી પણ એમનાં ગીતો તાજાં રહ્યાં  એને ચમત્કાર ગણવો હોય તો ગણાવી શકાય! પુસ્તકો આવ્યાં.. રેડિયો આવ્યો.. ટીવી આવ્યું… ઇન્ટરનેટ આવ્યું… પણ નરસૈયો ટોપ જ રહ્યો!

આજે પણ  કોઈ ખેડૂતને એ જેટલી રાહત આપે છે એટલી જ રાહત એ  કોઈ સાહિત્યરસિકને પણ આપે છે. 

એનું અલગારીપણું એનું પોતાનું હતું. ભીતરનું હતું. એમાં દેખાદેખી નહોતી! એમાં દંભ નહોતો. 

દેખાદેખીમાં ઝભ્ભા પહેરાય… દાઢી વધારાય… નશો કરીને કવિતાઓ લખાય .. પણ એવું  તકલાદી અલગારીપણું માણસને નરસૈયા સમાન   ઇડિયટ બનાવી નથી શકતું. 

એમની કલ્પનાઓ.. એમના છંદ… એમની રચાનાઓ… એમની ભક્તિ … એ બધી બાબતો વિષે વિદ્વાનોએ ઘણું લખ્યું છે…. અને લખતા રહેશે… 

પણ એમના ભજનોના રંગે રંગાયેલો માણસ તો ગાતો જ રહેશે… ગાતો જ રહેશે…. 

અને નરસૈયો એ રીતે જ  બદલાતા જમાનામાં પણ  સચવાતો જ  રહેશે.

ખોટી વાત ?  

ચતુર હોય તે જવાબ આપે

[મંદિરના બાંકડાઓ પર વડીલ પરિવારના સભ્યો  વચ્ચેની વાતચીત  ચલી રહી છે... ] 

ભગુભઈ – ચ્યમ રાવજીભાઈ આજે મોડા પડ્યા?

રાવજીભઈ- ઓ ભઈ! જવાદોને વાત! એક પોસ્ટ લખીને પબ્લિશ કરવા જતોતોને એની માને પૈણે સાલી લાઈટ ગૈ! અર્ધો કલાકે આઈ રઈ! એમાં મોડું થઈ જ્યું. 

ભગુભઈ- પોસ્ટ નહોતી કરવી!

રાવજીભઈ- મારો નિયમ છે  કે એક વખત પોસ્ટ લખાઈ ગૈ એટલે એને રાખી નૈ મૂકવાની. એને  હેડતી કરવાની  એટલે  પ્રતિભાવો  આવતા થાયને?

ભગુભઈ-  કેટલા દસ પંદર આયા હશે?

રાવજીભઈ-ઓ ભઈ! દસપંદરની ક્યાં મેથી મારો છો ? રેઢા પડ્યા છે? બધા આપણી જેમ નવરા નોય! હા બે  પ્રતિભાવ આવી જ્યા!

સોમભઈ – એમાં એક તો પેલા  રાધારમણનો હશે?

રાવજીભઈ- હોવે! તમને ચ્યમ ખબર ?

સોમભઈ- ચ્યમ ના હોય!  મને પણ એ ભઈ પ્રતિભાવ આલે છે હો .

રાવજીભઈ- એ રાધારમણ તો જબરા  છે લ્યા! તમે પોસ્ટ મૂકો ન મૂકો ત્યાં તો એનો પ્રતિભાવ આવીને ઊભો જ હોય!

ભગુભઈ- ઝડપી પ્રતિભાવ સેવા!  

રાવજીભઈ-  વાંચ્યા વગર જ પ્રતિભાવ આલે પછી ઝડપી જ હોયને! તમે લખો  કશું ને એ લખે કશું! સાંધાનોય મેળ નૈ!

સોમભઈ – ઓ ભઈ! એવું બધું નૈ જોવાનું !  પ્રતિભાવ આલે છે એ જ ઘણું!  ધરમની ગાયના દાંત નૈ જોવાના! શું કો  છો ભગુભઈ?

ભગુભઈ- આપણે તો પોસ્ટ મૂકીને  છૂટ્ટા! જેને વાંચવું હોય તે વાંચે ને પ્રતિભાવ આલવો હોય તે આલે! આપણે પાછું વળીને એ પોસ્ટ પર જોવાનું જ નૈ!  રોજ નવી ગીલ્લી ને નવો દાવ! મારા બ્લોગ પર જોજો.. એકદમ શાંતિ! ટાંકણી પડે તોય સંભળાય.

સોમભઈ- સંભળાયજને! તમારા બ્લોગ પર તમારી સિવાય કોઈ હોય જ નૈ તો! આ રાવજીભઈના બ્લોગે તો ભાતભાતની ખોપરીઓ સામસામી ભટકાય!

રાવજીભઈ- હોવે! મને તો ખેંચાખેંચી વગર મજા જ નૈ આવે!

સોમભઈ – હવે એમાં એવું થાય છે કે રાવજીભઈની દાઝ ઘણા મારા બ્લોગ પર કાઢે છે! મારા લખાણ  માટે રાવજીભઈએ પ્રતિભાવ આલ્યો હોય તો એની સામે મોરચો મારા બ્લોગ પર મંડાય!  એમાં મેં શું લખ્યું ને કેવું લખ્યું એની વાત તો બાજુ પર રૈ જાય ને સામસામે પથ્થરમારો થતો હોય એમ પ્રતિભાવો ના ઘા થાય! સાલું આપણે દિમાગનું દઈં કરીને પોસ્ટ  મૂકી હોય પણ પ્રતિભાવોમાં  બીજી જ વાતોની મેથી મરાતી હોય!

ભગુભઈ-  બ્લોગમાં પોસ્ટ  મૂકવા ખાતર  દિમાગનું દઈં કરાય જ નૈ .  

સોમભઈ- તો શું કરાય? 

ભગુભઈ- …… …… 

[હે ચતુર વાચકમિત્રો ભગુભઈએ સોમભઈના સવાલમાં માત્ર બે શબ્દોમાં જવાબ આપ્યો કે બ્લોગમાં પોસ્ટ મૂકવા માટે શું કરાય! એ બે શબ્દો ક્યા હશે તે બાબત આપ સહુ જણાવશો તો અમારા આ લેખની શોભામાં અભિવૃદ્ધિ  થશે. ]