जिंदगी इत्तेफ़ाक हैं!

જિંદગીમાં આયોજન જરૂરી છે.  ધંધા, વ્યવસાય, શિક્ષણ, ઉજવણી, સામાજિક પ્રસંગો વગેરેમાં તો આયોજન ખૂબ જ મહત્વ ધરાવે છે.  એમાં ‘હરિ ઇચ્છા બળવાન’ વાળી વાત ચાલતી નથી. પછી ભલે છેવટે એમ માનવું પડે! પરંતુ શરૂઆતમાં તો આપણે આયોજનને જ મહત્વ આપતા હોઈએ છીએ.

છતાંય એ વાત પણ માનવી જ પડશે કે, જિંદગીમાં કેટલીકક નાનીમોટી ખુશીઓ  આપણને વગર આયોજને પણ મળી જતી હોય છે.  કોઈ પોતાના ઘરના દરવાજે પતંગિયાનું સુંદર ચિત્ર મુકાવીને ખુશ થવાનું આયોજન કરી શકે છે. પરંતુ, ક્યારેક કોઈ જીવતુંજાગતું  સાચુકલું પતંગિયું ઊડતું ઊડતું એના ઘરના દરવાજે આવીને બેસી જાય અને એ જોઈને એને જે ખુશી થાય; એ ખુશી મેળવવા માટે એણે કોઈ જ આયોજન કર્યું હોતું નથી! અરે! એ પતંગિયાને તસવીરમાં કેદ કરવા માટે કેમેરો પણ એણે હાથવગો હોતો નથી! 

કોઈ માણસ  પોતાના આયોજન મુજબ સફરમાં નીકળે છે.  એક બસ ચૂકી જાય છે.  એના અફસોસનો પાર રહેતો નથી.  બીજી બસ પકડે છે.  એમાં બેસવાની જગ્યા પણ મળતી નથી.  વચ્ચે એકાદ સ્ટેશન પર એને જગ્યા મળે છે.  બાજુમાં બેઠેલા માણસ સાથે  વાતચીતની શરૂઆત થાય છે.  બંનેના રસના વિષયો સરખા હોય છે.  છુટા પડતી વખતે નવો પરિચિત માણસ એને પોતાનું ‘વિઝિટિંગ કાર્ડ’ આપે છે.  એ કાર્ડ એની જિંદગી બદલી નાખે છે!  હા, એ કાર્ડનાઆધારે ફરીથી મુલાકાતો થાય છે.  એ મુલાકાતો એને પોતાનો વ્યવસાય જમાવવામાં એવો તો ભાગ ભજવે છે કે, બંને વચ્ચેની પહેલી મુલાકાત એને ચમત્કાર જ લાગે છે! એના વ્યવસાયના વિકાસ માટે મળેલી તકનો લાભ લેવા માટે એણે જરૂર આયોજન કર્યું હોય, પરંતુ એ બંને વચ્ચેની પહેલી મુલાકાત માટેનું  માટેનું આયોજન કોણે કર્યું હશે? 

‘છોટીસી મુલાકત પ્યાર બન ગઈ’ એ  વાત માત્ર ફિલ્મોમાં જ નથી બનતી, હકીકતમાં પણ બનતી હોય છે! એ મુલાકાત મોટાભાગે  આકસ્મિક જ હોય છે! કોઈ યુવાન કે યુવતી પ્રેમમાં પડવાનું આયોજન કરીને કે ચોઘડિયાં જોઈને  ઘેરથી નથી નીકળતાં! પછી એમનાં લગ્ન માટે ચોઘડિયાં જોવાય અને નાનામોટા આયોજનો થાય એ અલગ વાત છે! 

વિજ્ઞાનની કેટલીય  શોધખોળોમાં અકસ્માતે પણ ભાગ ભજવ્યો છે!

સામાન્ય આનંદ મેળવવા માટે પરિવાર ભેગો થયો હોય, એમાં કોઈ એકાદ વાનગી બનાવી હોય અને એ વાનગી સમય જતાં એ પરિવારની ‘પ્રૉડક્ટ ’ તરીકે નામના મેળવે!

પરંતુ, કહેવાનો આશય એ પણ નથી કે, ‘બધું જ અકસ્માતે થાય છે માટે કોઈ પ્રકારનું આયોજન જ ન કરવું.’  વળી, જેમ સુખદ અકસ્માતો થાય છે એમ  દુખદ અકસ્માતો પણ થતા હોય છે.  કેટલાક લોકો જિંદગીમાં સુખદ ઘટનાઓ જ બને અને દુખદ ઘટનાઓ ટળે એ માટે આંધળી વિધિઓમાં જ રચ્યાપચ્યા રહેતા હોય છે.  એ લોકો ભલે ઈશ્વરમાં માનતા હોવાનો ડોળ કરતા હોય, હકીકતમાં ઈશ્વરના નિર્ણયોને ન  સ્વીકારવાનાં એ ધમપછાડા જ હોય છે.  વિજ્ઞાનના કે ટેક્નૉલોજિની મદદથી જીવનને સુવિધાભાર્યું બનાવવું  એ અલગ વાત છે અને વિધિઓ કરાવીને ચમત્કારની આશા રાખવી એ અલગ વાત છે.  

તો ચાલો, તમારા જીવનમાં સુખદ અકસ્માતો થતા રહે એવી શુભ ભાવના સાથે રજા લઉં.  કદાચ કોઈ સુખદ અકસ્માત મારી રાહ જોતો હોય! 

આવજો અને જલસા કરજો. 

બાંધછોડ કર્યા વગર કેમ નથી ચાલતું?

મિત્રો, 

કોઈ વ્યક્તિ ભગવાનમાં ન માનતી હોય, ભગવાનના નામ માત્રથી એને ચીડ ચડતી હોય, ભગવાનનું  નામ લેવાનું એને પસંદ ન હોય અને  બીજાં લોકો ભગવાનનું નામ લે એનાથી પણ એને અકળામણ થતી હોય એવું બનતું હોય છે. એવું બનવા માટે વાજબી કારણો પણ હોય.  જેવા કે અજ્ઞાન, અંધશ્રદ્ધા, દંભ, દેખાદેખી  અને શોષણ તરફ એને સખત નફરત  હોય.   છતાંય આ વ્યક્તિએ પોતાના વિરોધને ક્યાંક ને ક્યાંક કાબૂમાં રાખવો પડે છે.

આવી વ્યક્તિ જો વિદેશમાં રહેતી હોય તો નસીબદાર.  પરંતુ જો આપણા દેશમાં રહેતી હોય અને  ભગવાન કે દેવતાના નામ માત્રથી એ ડગલે ને પગલે પોતાના નાકનું ટેરવું ચડાવવા જાય તો  જતે દહાડે ઘસાઈ ઘસાઈને એના નાકનું અસિત્વ જ ન રહે! આવો, આ પરિસ્થિતિ માટેનાં કારણો તપાસીએ. 

આવી વ્યક્તિ જે વિસ્તાર, સોસાયટી,કૉલનિ, કોમ્પ્લેક્ષ્, એન્કલેવ વગેરેનાં નામ કેવાં હોઈ શકે? આવાં હોઈ શકે…  

*શ્રીકૃષ્ણ વાટિકા. 

*રાધાકૃષ્ણ સોસાઇટી. 

*બાલાજી રેસિડન્સી

*આસુતોષ નગર. 

*લક્ષ્મીકૃપા સોસાઇટી. 

*રામનગર. 

*સીતાબાગ. 

*મારુતીધામ . 

વગેરે.. વગેરે… વગેરે… 

હવે વિચાર કરો કે, એ વ્યક્તિ એવો આગ્રહ રાખે કે : “હું ભગવાનમાં નથી માનતો. વિજ્ઞાનમાંઅને ગણિતમાં માનું છું માટે હું જે વિસ્તારમાં રહું એ વિસ્તારનું નામ કોઈ વિજ્ઞાનિક કે ગણિતજ્ઞનાં નામ પર હોવું જોઈએ. જેમ કે,  રામાનુજન નગર! … ના, ના, ના. આમાંય ભગવાનનું નામ આવે છે! જગદીશચંદ્ર બોઝ કોમ્પ્લેક્ષ હોવું જોઈએ. ના, ના. આમાં પણ લોચો છે!  આલ્બર્ટ આઇન્સ્ટાઇન નગર કે ન્યૂટનધામ હોવું જોઈએ. જેમાં ભગવાનનું  કે દેવતાનું નામ આવતું હશે એ વિસ્તારમાં હું નહિ રહું.” 

તો વિચાર કરો કે એ વ્યક્તિ ક્યા રહેવા જાય? જંગલમાં? જંગલમાં પણ મંગલ હોય છે! ત્યાં તો કેટકેટલા આશ્રમો હોય! મંદિરો હોય! બાપુઓ હોય! 

મિત્રો, આપણે સહુ જાણીએ છીએ કે,  વિજ્ઞાનનો ડગલે ને પગલે ઉપયોગ કરતાં હોવા છતાં સમાજમાં વિજ્ઞાનિકોને વિસ્તારનાં નામ રાખતી વખતે જરૂરી મહત્વ આપતું નથી.  આપણે એ બાબતમાં કશું કરી શકતા નથી. કારણ કે નામકરણ તો મોટાભાગે બિલ્ડરો કરતા હોય છે!એમને મોટાભાગે ભગવાન કે દેવતાઓનાં જ નામ પસંદ હોય છે. વાળી,  તેત્રીસ કરોડ દેવતા હોવા છતાય એ લોકો અમુક જ નામનો ઉપયોગ કરે છે જેના કારણે એક જ વિસ્તારમાં અનેક બાલાજી નગર કે શ્યામધામ સોસાઇટી હોય છે. પરિણામે પોસ્ટમેન, ગેસના બાટલા પહોંચાડનારા તેમ જ મોંઘેરા મહેમાનો  ગોટે ચડે છે. એ પણ એક બીજી મોટી સમસ્યાછે.

મૂળ વાત પર આવીએ તો ભગવાનના નામ માત્રથી ભાગતી વ્યક્તિએ પોતાનું મન મોટું રાખીને પણ  જે તે વિસ્તારમાં રહેવું જ પડે. 

ચાલો, માની લઈએ કે એ વ્યક્તિ જ્યાં રહેતી હોય એ વિસ્તારનું નામ  ભગવાનના નામ  પર ન હોય.  એ વિસ્તારનું નામ ડ્રીમલૅન્ડ કે આનંદનગર જેવું હોય. તો પણ એ વ્યક્તિ બચવાની નથી.  આખું સરનામું આપતી વખતે એણે પોતાનું રહેઠાણ ક્યા આવ્યું એની વિગત તો આપવી જ પડે! પરિણામે એણે ભગવાનનું નામ તો લેવું જ પડે! કારણ કે  એનું રહેઠાણ મોટાભાગે આવી જગ્યાએ આવેલું હોય…

*લંબે હનુમાન રોડ.  

*પંચમુખી મહાદેવના મંદિરની પાછળ. 

* લક્ષ્મીહૉલની બાજુમાં. 

*શ્રીકૃષ્ણ ભોજનાલયની સામે. 

*અંબે વિદ્યાલયવાળી શેરી. 

વગેરે.. વગેરે… વગેરે. 

આવી સમસ્યા એક કે બીજા રૂપે દરેક દેશ કે સમાજમાં હશે જ!  

તો સો વાતની એક વાત!  સમાજમાં રહેનારે ક્યાંક ને ક્યાંક … ક્યારેક ને ક્યારેક,  પોતાના ગમા-અણગમા સાથે બાંધછોડ કરવી જ પડે છે.  આપણામાંથી   ઘણાએ ‘ઓહ માય  ગોડ’  ફિલ્મ જોઈને તાળીઓ પાડી હશે.જેમાંથી  ઘણાખરાએ  બીજે જ દિવસે  કોઈને ત્યાં ‘સત્યનારાયણ’ની કથામાં કે ‘લક્ષ્મી પૂજન’ માં હાજરી આપી હશે.  મને કે કમને પણ હાજરી આપી હશે. આપવી પડી હશે! 

અર્થાત,  ક્રાંતિકારી વિચારો  માટે હાકલા-પડકારા  કરનારાઓ પણ પોતાના પરિવારમાં થતાં પૂજાપાઠથી દૂર રહી શકતા નથી.  કેમ એવું? આપણામાંથી ઘણાંને ક્રાંતિકારી થવું ગમે છે પરંતુ, વખત આવ્યે કેમ પલાંઠી મારીને ડાહ્યાડમરા થઈને બેસી જવું પડે છે? 

આપણને બાંધછોડ કર્યા વગર કેમ નથી ચાલતું?  

કેમ? 

કેમ?

કેમ?  

થોડોઘણો જવાબ આમાં છે… 

વધારે વાત, ફરી  મળીએ ત્યારે. 

આજનું સમોસું: 

ભગાએ બાપુને પૂછ્યું કે, “બાપુ આપણે ‘હાંક્યું હાંક્યું’ તો બહુ સાંભળ્યુંતું પણ આ ‘આઈક્યુ આઈક્યુ’ શું છે?”

બાપુએ જવાબ આપ્યો કે, “એ હાંક્યુંનું અંગ્રેજી છે.”

ભૂતકાળને ભૂલી જવાથી સુખી થઈ જવાય?

આપણે બ્રહ્મવાક્યો જેવાં કેટલાક વિધાનો અવારનવાર સાંભળતા કે સંભળાવતા હોઈએ છીએ. આવું જ એક વાક્ય છે: ‘ભૂતકાળને ભૂલી જાવ.’’

બહુ જ ગમી જાય એવું આ વિધાન છે. એમ લાગે કે, આ વિધાન જીવનમાં ઊતરી જાય તો બેડો પાર થઈ જાય! પરંતુ, શું આ શક્ય છે? ભૂતકાળની યાદ એ કાંઈ વર્તમાનને આંગણે આવેલું શેરીનું કૂતરું છે કે એને ‘હટ હટ’  કરીને તગેડી મૂકીએ અને એ ભાગી જાય! ના બાપલા ના. ભૂતકાળની યાદ તો જીદે ચડેલી માખી જેવી છે જે ભગાડી ભાગતી નથી. માખીને મારવાની દવા હોઈ શકે પણ ભૂતકાળની યાદને મારવાની કોઈ દવા નથી. ઉપદેશો છે, શિખામણો છે, પ્રવચનો છે. પરંતુ તાત્કાલિક અસર બતાવે એવી કોઈ દવા નથી. સિવાય કે એવી કોઈ બીમારી લાગુ પડે કે જેને લીધે કશું જ યાદ ન રહે!

‘વર્તમાનમાં જીવવું’ એ એક આદર્શ સ્થિતિ છે. પરંતુ, ભૂતકાળ યાદ રહેવો એ કોઈ ખરાબ વાત છે? શું ભૂતકાળની વાત કરનાર કશું ખોટું કામ કરી રહ્યો છે? ઘણા ઉત્સાહી લોકો હકારાત્મકતાનો દંડો પછાડવાના બહાને ભૂતકાળની વાતોને જાકારો આપવામાં જોર તો દાખવે છે પરંતુ, પોતાની વાતને અસરકારક રીતે રજૂ કરવા માટે દાખલા તો ભૂતકાળના જ આપે છે! પોતે હંમેશાં વર્તમાનમાં જ જીવે છે એવું દેખાડવાના મોહમાં ભૂતકાળની વાત માત્રથી ભડકનારા લોકોની એ ભડક દેખાવ પૂરતી પણ હોઈ શકે. એવું કરવા માત્રથી એ લોકો ‘હકારાત્મક વલણ’ ધરાવતા હશે એમ માની ન શકાય. 

મને લાગે છે કે, ભૂતકાળની યાદ,સ્મૃતિઓ કે સંભારણાં એ હંમેશાં વખોડવા યોગ્ય નથી. ભૂતકાળની વાતો કરવી એ કાંઈ પાપ કે ગુનો નથી. હા, વારંવાર ભૂતકાળની વાતો કરીને વર્તમાનની વગોવણી કરવી એ ટેવ સારી ન કહી શકાય. ભૂતકાળના દબાણના કારણે વર્તમાન સાથે કદમ ન મેળવી શકાય એ સ્થિતિ સારી નથી. એવી સ્થિતિ ટાળવાની વાત બરાબર છે. પરંતુ, ‘ભૂતકાળને યાદ જ ના કરશો’ એવું કહેવું એ જરા વધારે પડતું છે. એવું કહેનાર પણ ભૂતકાળને યાદ કર્યા વગર રહી નથી શકતો.

વળી, કશું યાદ આવી જવું એ આપણા વશની વાત નથી હોતી. એ વશની વાત હોય તોય એ સામાન્ય માણસ માટે તો વશની વાત ન જ હોય. જેમ કે, કોઈ વ્યક્તિને પોતાના જ ઘરમાં બેઠાં બેઠાં મોંઘી મોંઘી વાનગીઓ આરોગતી વખતે ભૂતકાળમાં પોતાને લૂખો રોટલો ખાવો પડતો હતો એ વાત યાદ આવી જાય તો એનો શો ઉપાય? હવે મજાની વાત એ છે કે- પોતાનો ભૂતકાળ યાદ આવવાથી એ રાજી પણ થઈ શકે અને દુઃખી પણ થઈ શકે! રાજી એ રીતે થાય કે – ભૂતકાળની સરખામણીમાં પોતાનો વર્તમાન સારો છે. અને દુઃખી એ રીતે થાય કે- ‘અરેરે! ભૂતકાળમાં આવી વાનગીઓ ખાવા કેમ ન મળી?’ પણ આ બધું માત્ર આટલું જ અને આવું નથી! જેવું જણાવ્યું એવું સરળ અને સીધું પણ નથી. મોંઘી વાનગીઓ ખાનાર એ વાતે પણ દુઃખી થાય કે – અરેરે! લૂખો રોટલો ખાવામાં જે મજા આવતી હતી એ મજા આજે આ મોંઘી વાનગીઓ ખાવામાં પણ નથી આવતી!

આમ ભૂતકાળની જે યાદથી રાજી થવાય એ યાદથી  દુઃખી પણ થવાય. રાજી થવું એ હકારાત્મક વલણ અને દુઃખી થવું એ નકારાત્મક વલણ એમ કહી શકાય? આમ ભૂતકાળની યાદને કઈ રીતે લેવામાં આવે છે એના પર બધો આધાર હશેને?

શું કોઈ છાતી ઠોકીને એમ કહી શકે કે ‘હું ક્યારેય ભૂતકાળની વાત નહિ કરું.’

ભૂતકાળને ભૂલી જવામાં જોખમ પણ ખરું કે નહિ?

ધારો કે તમારી પાસે એવું કોઈ બટન આવી જાય કે, જે દબાવવાથી તમને તમારો ભૂતકાળ જરાપણ યાદ ન આવે ને તમે સતત વર્તમાનમાં જ જીવી શકો; તો તમે એ બટન દબાવવાનું પસંદ કરો ખરા? શું લાભ થાય અને શું નુકસાન થાય એનો વિચાર કરીને જવાબ આપશો તો મજા પડે એવી વાતો થશે!

**********

આજની કૂપન:   

‘સ્મૃતિ ભયંકર વસ્તુ છે. એ ભૂતકાળ છે. એમાં સુખની પુરાની સુવાસ રહેલી છે અને એમાં જ દુઃખનું જલન પણ ખટકતું હોય છે.’ [ચંદ્રકાંત બક્ષીની નવલકથા ‘રોમા’ના ત્રીજા પ્રકરણની  શરૂઆત.]    

દિલ છે તો દૂધપાક છે

સન ૧૯૬૭ની આસપાસનો જમાનો હતો. હું આઠમાં ધોરણમાં ભણતો હતો. નિશાળની પાછળનું મેદાન હતું. રીસેસનો સમય હતો. ખુશનુમા મોસમ હતી. કુમળી ઉમર જેવો જ કુમળો તડકો હતો.

નજર સામે કમળધારી તળાવની જાહોજલાલીનું અમૂલ્ય પ્રદર્શન હતું. એ પ્રદર્શનના કાર્યક્રમની પ્રકાશ વ્યવસ્થા સૂરજ એકલપંડે સંભાળી રહ્યો હતો. નગરની કપડાં ધોઈ રહેલી મહિલાઓએ  સંગીત પ્રસારણની વ્યવસ્થા સંભાળી હતી. ધબાક!ધબાક!ના સૂર વાતાવરણમાં ભળી રહ્યા હતા. તળાવને સામેના કિનારેથી તે છેક ક્ષિતિજ સુધી સમગ્ર સૃષ્ટિ શુદ્ધ પ્રસન્નતા વહેંચી રહી હતી.

પ્રસન્નતાના આ રંગમાં કોઈ નબળી વાતને જરા પણ સ્થાન નહતું.

 .. ને મારા એક વર્ગમિત્રે મારી પાસે આવીને કહ્યું: યાર ઠક્કર, તારી પાસેથી ઉછીના લીધેલા પૈસા લાવવાના રહી ગયાં. કાલે લાવું તો ચાલશેને?

જવાબમાં મે કહ્યું: “ચાલશે યાર. ક્યારેય ન લાવે તો પણ ચાલશે.”

“એવું ચાલે ખરું યાર? વહેવારે તો આપવા પડેને?”

“બધું ચાલે” મે કહ્યું.  ત્યારબાદ મારા હોઠ પર એક વાક્ય આવી ગયું: “દિલ છે તો દૂધપાક છે.” 

એ મિત્રને તો વાક્ય સાંભળીને મજા પડી ગઈ પરંતુ હાજર હતા તે બધાને મજા પડી ગઈ!

પછી તો મારા મિત્રવર્તુળમાં વાતવાતમાં “ દિલ છે તો દૂધપાક છે”  એ વાક્ય વપરાવા લાગ્યું. 

જોતજોતામાં તો એ વાક્ય આખી નિશાળમાં વપરાવા લાગ્યું. પછી તો આખા નગરમાં  વપરાવા લાગ્યું! જાણે કે એક કહેવત બની ગઈ કે: “ દિલ છે તો દૂધપાક છે”  

.. સમય પસાર થઈ ગયો. એ નિશાળ છૂટી ગઈ. એ નગર છૂટી ગયું. એ મિત્રો છૂટી ગયા. એ વાક્ય છૂટી ગયું. એનો વપરાશ છૂટી ગયો.

.. ને લગભગ ત્રીસેક વર્ષો પછી એક દિવસ વાતવાતમાં આ જ વાક્ય મે બીજાનાં મોઢેથી સાંભળ્યું:

  “ દિલ છે તો દૂધપાક છે” 

મારી નવાઈનો પાર નહોતો! મારાથી સામી વ્યક્તિને પૂછાઈ ગયું કે: આ વાક્ય તમે ક્યાંથી સાંભળ્યું?

“લે, આ તો જાણીતી કહેવત છે.” એ વ્યક્તિએ જવાબ આપ્યો.

*********

મિત્રો, મારો એવો દાવો નથી કે આ કહેવતની રચના મે જ કરી છે. વર્ષો પહેલાં મારાથી અનાયાસે બોલાયેલું વાક્ય જ ફરતું ફરતું મારા સુધી આવ્યું હોય તો પણ એની સાબિતી આપવી અસંભવ છે.

પણ એક વાત નક્કી છે કે કહેવતો અનાયાસે જ સર્જાઈ જતી હશે. એકાદ નાનકડું વાક્ય, પેઢીઓ સુધી  આપણી વાતચીતનો હિસ્સો બની જાય છે! કેટકેટલી કહેવતોનો આપણે સહજ રીતે વપરાશ કરીએ છીએ પરંતુ એનાં મૂળ સર્જકનો કોઈને ખ્યાલ હોતો નથી!

કેટલી કહેવતો કાળની ગર્તામાં ધકેલાઈ જાય છે તો કેટલીક નવી કહેવતો આપણને ખબર ન પડે તેમ વપરાશમાં દાખલ થતી જાય છે.

“મજબૂરી કા નામ મહાત્મા ગાંધી.”  આ કહેવત જાણીતી થઈ ગઈ છે.  વળી એ વાત પણ ચોક્કસ છે કે એ  કહેવત ચલણમાં આવ્યાને બહુ સમય નહિ થયો હોય. એ કહેવત બહુ બહુ તો ગાંધીજીના જીવનકાળમાં શરૂ થઈ હશે. કદાચ એમના અવસાન પછી જ વપરાશમાં આવી હોવાની શક્યતા વધારે છે. કોઈ મજાકમાં આ વાક્ય બોલ્યું હશે અને જોત જોતામાં એક કહેવત બની ગઈ હશે! આજે ભલે  ભલે આ કહેવત મજાક માં બોલાતી હોય પણ કેવી અસર છોડી જાય છે! ને કેવી ચલણમાં કેવી છૂટથી વપરાય છે!

કહેવત એક વખત ચલણમાં આવી કે પછી એને જાણે કે કોઈ પ્રકારનાં બંધનો નડતાં નથી! વળી એને વિદ્વાનોના પ્રમાણપત્રની જરૂર પડતી નથી!

“મોટી નોટ હોવા”નો મુહાવરો યુવાનોમાં વધારે વપરાય છે.  “ફલાણો તો મોટી નોટ છે.” એવાં વાક્યો આપણે ઘણી વખત સાંભળીએ છીએ. આ મુહાવરો પણ તાજેતરના વર્ષોમાં જ અમલમાં આવ્યો હોવાનું લાગે છે.

ખેર! હવે પછી તમે પણ અવસર આવ્યે,  “ દિલ છે તો દૂધપાક છે” .એ કહેવતનો વપરાશ કરજો.

અને…. બીજું તો શું કહું?

પ્રતિભાવ આપવા હોય તો આપજો નહિ તો અમે પણ માનશું કે: તમારું  દિલ છે તો દૂધપાક છે!   

જલસા કરજો.  

કૉમેન્ટ કૉમેન્ટને ખેંચે

બ્લોગમિત્ર દર્શિતે પોતાનાં બ્લોગ મારો બગીચો  પર મજાકમાં   આજે…રજૂ કરેલું  ફેસબુકિયુ જ્ઞાન :

  • મોટી પ્રોફાઇલવાળાને (એટલે કે ૧૦૦૦ થી વધારે ફ્રેન્ડ વાળાને) બર્થ ડે વિશ કરવાનો કોઇ મતલબ નથી… જેને તેની કિંમત હોય તેને શુભેચ્છા આપી જુઓ… તેમને ઘણો આનંદ થશે.

દર્શિતે મજાકમાં પણ ખૂબ જ અગત્યની અને અમલમાં મૂકવા જેવે વાત કહી દીધી છે.  એક જૂની ફિલ્મનો સંવાદ યાદ આવે છે: पानी की जरुरत रेगिस्तान को होती है, समंदर को नहि!
* પરંતુ આપણે સમાજમાં પણ જોઈએ છીએ કે, ધરાયેલાઓ જ વધારે ધરાતાં હોય છે. જેને ભૂખ નથી  એની સામે અઢળક ભોજન છે. જેને ભૂખ છે એને એક ટંકનું પૂરું ખાવા નથી મળતું.
* મોટાભાગણા માણસો  પોતાનાથી જે વધારે સમૃદ્ધ હોય તેના તરફ જ  ધ્યાન રાખતાં હોય છે.  એવી વ્યક્તિની સાથે સંબંધ રાખવાંનો કે વહેવાર જાળવવાનો એક પણ મોકો જવા નથી દેતાં. તો પોતાનાથી ઓછાં સમૃદ્ધ હોય એવાં લોકોની જાણે અજાણે ઉપેક્ષા કરતાં હોય છે.
આ સમાજની વાસ્તવિકતા છે. જે લોકો આ વાસ્તવિકતાને સમજીને સ્વીકારી શકે છે એ લોકો પોતાની ઉપેક્ષાથી દુઃખી થતાં નથી.જ્યારે આળાં હૃદયનાં લોકો આ વાસ્તવિકતાને પચાવી નથી શકતાં જેના કારણે તેઓ સતત દુઃખી થતાં હોય છે અને આ બાબતની ફરિયાદો કરતાં રહે છે.
આપણે એવી અનેક વાર્તાઓ કે વાતો સાંભળીએ છીએ કે :પૈસાદારનું કૂતરું માંદુ પડે તો ખબર કાઢનારાં અનેક હોય છે  પણ  કોઈ ગરીબનું છોકરું માંદુ પડે તો એની ખબર કાઢનારાં ઓછાં હોય છે.
* આપણે પોતે પણ જો કોઈની ઉપેક્ષાથી પરેશાન થતાં હોઈએ તો આપની જાતને જ એ સવાલ કરવો જોઈએ કે :શું આપણે પણ એ લોકની ઉપેક્ષા નથી કરતાં કે જે લોકો આપણાના માટે તરસી રહ્યાં છે! આપણે પણ આપણાથી ઉપર રહેલાં લોકો તરફ જ સતત  નજર રાખી રહ્યાં છીએ અને આપણાથી નીચે રહેલાં લોકો તરફ એક પ્રેમભરી નજર પણ નથી નાખતા.
* બજારનો પણ જાણે કે નિયમ છે કે- પૈસો પૈસાને ખેંચે! જેની દુકાને પાંચ ગ્રાહકો ઊભા હશે તેની દુકાને છઠ્ઠો ગ્રાહક જશે.પણ.. જેની દુકાને એકપણ ગ્રાહક ઊભો નહિ હોય તેની દુકાનમાં પ્રવેશ કરતાં પહેલાં કોઈપણ ગ્રાહક અચકાશે. પછી ભલે એ દુકાને ગમે તેટલી સારી અને સસ્તી ચીજો મળતી હોય! પ્રખ્યાત દુકાને મોંઘા ભાવે મળતી ચીજો ઘણું કરીને સામાન્ય કારીગરોએ જ તૈયાર કરી હોય છે. પરંતુ એ જ ચીજો આપણે એ સામાન્ય કારીગર પાસેથી ઓછી કીમતે પણ લેવાનું પસંદ નથી કરતાં.
*પ્રસિદ્ધ થઈ ચૂકેલા કથાકારની કથામાં તમામ લોકો કથા સાંભળવા નથી જતાં. કેટલાક તો માત્ર હાજરી આપવાનો વહેવાર જાળવવા જ જતાં હોય છે! જ્યારે અજાણ્યાં કથાકારની કથા ગમે તેટલી સારી હશે તો  તેનો ટેસ્ટ કરવા પણ લોકો જતાં નથી.
* ફેસબૂક પર  કે બ્લોગજગતમાં પણ કૉમેન્ટ કૉમેન્ટને ખેંચે એ નિયમ લાગુ પડે એ સ્વાભાવિક છે! સંપત્તિની અસમાન વહેંચણી અહી પણ હોઈ શકે છે. :) કોઈ ખાતાધારક વાંચતાં વાંચતાં થાકી જાય એટલી કૉમેન્ટસ મેળવે તો કોઈના ભાગે સમ ખાવાં પૂરતી પણ ન મળે! આવું જ શુભેચ્છાઓનું છે! ક્યાંક ઢગલો તો ક્યાંક ચપટી! કીડીને કણ અને હાથીને મણ!
તો મિત્રો…આજે ગાંધીજી હોત અને બ્લોગ લખતા હોત તો જરૂર એવું કહેતા હોત કે: પ્યારા બ્લોગજનો; આજથી, તમારા બ્લોગ પર ન આવનારના બ્લોગ પર જજો. તમારું લખાણ ન વાચનારનું પણ લખાણ વાંચજો. તમને પ્રતિભાવ ન આપનારને પણ પ્રતિભાવ આપજો. બ્લોગજગત લેણદાર છે. તમે દેણદાર છો.”
 જ્ઞાન વહેંચવા બદલ મિત્ર દર્શિતનો આભાર માનીને ટળું છું.આવજો અને જલસા કરજો.

મરવા માટે બે ગજ જમીન પણ ન મળે!

મિત્રો, 

આપણે એવાં કેટલાય ભજનો કે ગીતો સાંભળ્યા હશે કે જેમાં ભગવાનને ભીડ ટાળવા માટે આજીજી કરવામાં આવી હોય. અહીં ભીડનો અર્થ થાય છે :અડચણ; મુશ્કેલી; હરકત.આવી ભીડ ટાળવા માટે ભગવાનની મદદ લેવી પડે એ સમજી શકાય તેવી વાત છે. પરંતુ ઘણી વખત આવી ભીડ આવી પડે તે માટે જ જાણે કે માનવ-સર્જિત આયોજનો થતાં હોય છે. એવાં આયોજનો કે જેમાં માનવમહેરામણ ઉમટી પડે. અર્થાત ભીડ થાય. અહીં ભીડનો અર્થ થાય છે:પરસ્પરનો ભીંસો, ગિરદી, ઠઠ, ભરાવો. 

જુઓ. થઈને અજબ ભીડ કી ગજબ કહાની! ભીડ એટલે કે અડચણો કે દુઃખદર્દ વગેરેથી મુક્તિ મેળવવાના બહાને  ભીડ એટલે કે ગિરદીનું  સર્જન કરવામાં આવે. એકલોઅટુલો પડી ગયેલો માણસ ભીડથી મુક્તિ  મેળવવા ભીડ તરફ દોટ મૂકે. પરિણામે ઘણી વખત જે ભીડથી મુક્તિ મેળવવા એ ઘેરથી મોટાં ઉપાડે નીકળ્યો હોય એ ભીડ રહી જાય બાજુ પર અને અણધારી નવી ભીડનો ભોગ થઈ પડે.  

ભગવાન કરે કે ક્યારેય ભીડના કારણે કોઈનો ભોગ ન લેવાય. પરંતું એક નહિ અનેક દાખલાઓ છે કે ભીડના કારણે માણસો ચગદાયા હોય. ખાસ કરીને ધાર્મિક સ્થાનોમાં કે ધાર્મિક કાર્યોક્રમોમાં. આયોજકો લાખો લોકો ભેગાં થાય મોટાં પાયે જાહેરાતો કરે. પરંતું એ વિચાર ન કરે કે આટલાં બધાં લોકો એકઠાં થશે તો જગ્યા કે અન્ય સુવિધાની ભીડ ઊભી થશે.  અહીં ભીડનો અર્થ થાય છે:  ખેંચ, તંગી, અછત, ‘શૉર્ટેઇજ’ .આ ભીડના કારણે ધકામુક્કી થાય અને ન ધારેલી ભીડ ઉભી થાય.   

આપણી શ્રદ્ધાનો ધકામુક્કી સાથે ગાઢ નાતો છે. મંદિરમાં ઘણાંને ધક્કામુક્કી કર્યાં પછી જે પ્રભુદર્શન થાય એમાં જ મજા આવે.કષ્ટ વગરનાં દર્શન આપણને માફક આવતાં નથી. પછી ભલે એવાં દર્શનના કારણે અશક્ત કે ઘરડાં લોકોને ધોળા દિવસે તારાઓનાં દર્શન થઈ જાય. વળી માન્યતાઓ પણ એવી જ સર્જવામાં આવે કે: અમુક સમયે જ  અને અમુક જગ્યાએ જ દર્શન કરવામાં આવે તો અનલિમિટેડ પુણ્ય મળે બસ,આ અનલિમિટેડ પુણ્ય મેળવી લેવાની લ્હાયમાં જ ઘણાં લોકો, અનલિમિટેડ ચરણોની નીચે કચડાવાનું જોખમ પસંદ કરે છે.   ક્યારેક પ્રસાદ માટે ધકામુક્કી થાય તો ક્યારેક ગુરુજી કે સ્વામીજીનાં ચરણસ્પર્શ માટે  થાય. પરિણામે ક્યારેક  ભક્તોને મંદિરેથી સીધાં દવાખા ભેગાં થવું પડે. 

એક માણસ  બીજા માણસને મળવાનું ટાળે છે. લોકો એક જ ફલેટમાં રહેતાં હોય અને રોજ એકબીજાની નજરે ચડતાં હોય તોય વાતચીત કરવાનું ટાળે છે. નવા વર્ષના અભિનંદન આપવા માટે પણ એમના હાથ સળવળતા નથી.  શહેર કે ગામમાં કેટલાય જાણીતાં સનેહી કે મિત્રો હોય તેમનાથી ભાગી છૂટવું હોય તેમ ઘણાં પ્રવાસને  બહાને અજાણ્યાં લોકોની ભીડમાં ભળવા માટે દોટ મૂકે છે. 

ભીડનો ભોગ ન બનવું પડે તેવી ગણત્રીથી અમે વહેલાસર, દિવાળીને પંદરેક દિવસોની વાર હતી ત્યારે સોમનાથ ગયા તો ત્યાં મોટાભાગનાં ગેસ્ટહાઉસ બૂક થઈ ગયા હતાં.જે ખાલી હતાં તેમાં અસુવિધાઓની ખાતરી સાથે ચારગણા ભાવ બોલાતા હતાં. દેશમાં તો મોંઘવારી છે જ. પરંતું સોમનાથમાં એનાથી પણ વધારે મોંઘવારી ખાબકવાનું કારણ એ હતું કે ત્યાં બીજા દિવસથી શ્રી મુરારીબાપુની સપ્તાહ બેસવાની હતી. અમને થયું કે આજે તો સુવાના ભાવ બોલાય છે તો કાલે કદાચ બેસવાના કે ઊભા રહેવાનાય ભાવ બોલાય! સમય વર્તે સાવધાન! અમે ભોળાનાથનાં દર્શન કર્યાં અને ક્ષમા માંગીને એમના ધામમાંથી વહેલાસર વિદાય લઈ લીધી.

અમે એવી પણ વાત સાંભળી કે દિવાળીના તહેવારોમાં અમુક ધાર્મિક સ્થાનોમાં એટલી બધી ભીડ હતી કે ; સુવા માટે ધાબે એક ગાદલુ મેળવવાના ૧૫૦૦ રૂપિયા ભાવ બોલાતો હતો. 

અમને થયું કે: અરેરે!અમારો અસરનો ઓટલો આવી કોઈ જગ્યાએ હોત તો અમે હોંશે હોંશે કહેત કે: આવતાં રહો બાપલા . ઓટલે બેસવા ઊઠવાનો કે સુવાનો કોઈ ચાર્જ નથી. 

પરંતું લાંબુ વિચારતાં અમને ભાન થયું કે:એવું ય બને કે ઓટલે આશરો લેવા બાપલીયાઓની ધકામુક્કી થાય તો નાં થાવાનું પણ થઈ જાય! માટે જે છે તે બરાબર છે. આ આભાસી ઓટલો જ સારો છે કે જ્યાં વટથી આવો બાપલા આવો એવા હાકલા કરી શકાય છે. ઓટલે ભીડ થવાની બીક લાગતી નથી. 

એ મતલબની જાણીતી પંક્તિઓ છે કે: જીવવા કે મરવા માટે બે ગજ જમીન પૂરતી છે. 

પરંતું નસીબમાં લખાયું હોય તો ભીડમાં મરતી વખતે  બે ગજ  જમીન પણ ન મળે!!  

                                                                ****

રાહુલ ગાંધી- વગર ફૂટ્યે વખણાતો કોંગી ટોટો

[તસવીર: http://rahulgandhikabharat.in/organizer.php]

ગમે તેવો રૂડોરૂપાળો ટોટો  હોય, એ ફૂટે ત્યારે જ ફોડનાર કે જોનારને ખરો આનંદ થાય. ફૂટ્યા પછી એની વાહ વાહ થાય એ વાત બરાબર છે. પરંતું એ ફૂટ્યા પહેલાં જ કોઈ  જો એના અવિરત વખાણ કરે તો આપણને જરૂર કહેવાનું મન થાય કે:ભાઈ, ફૂટવા તો દે! પછી જેટલાં વખાણ કરવા હોય તેટલાં કરજે. વગર ફૂટ્યે વખાણ શાં કામનાં?

રાહુલ ગાંધી એ કોંગીનો રંગે રૂડો અને રૂપે પૂરો એવો ટોટો છે. જે હજી ફૂટવાનો બાકી છે. પરંતું એમના કેટલાક પક્ષવાળા આ ટોટાનું માર્કેટિંગ કરતાં થાકતા નથી. મોકો મળ્યો નથી કે:”વાહ રાહુલજી!વાહ રાહુલજી!”  રાહુલજીને જેવાં વિચારો આવે એવાં એમના પક્ષમાં જાણે કોઈને ન આવે! દેશના સામાન્ય યુવાનને આવે એવો વિચાર પણ જો રાહુલજી રજૂ કરે તો જાણે કે રાહુલજીએ કોઈ ગજબનો આઈડિયા બતાવ્યો હોય એમ કેટલાક સિનિયર નેતાઓ રાહુલજીના રાસડા લેવા લાગે. આપણને મીડિયા મારફતે એ રાસલીલા જોવાં મળે છે.

અન્ના હજારેએ જન લોકાપાલ બિલની વાત કરીને આખા દેશનું ધ્યાન ખેંચ્યું તોય એ લોકોને મન જાણે કે કશું નહિ! એ તો ફલાણા કે ઢીકણાનું કાવત્રુ! પરંતું રાહલ ગાંધીએ એ બિલની હવા કાઢી નાખવાના ઈરાદે જન લોકાપાલ બિલના બદલે સ્વતંત્ર એજન્સી બનાવવાની વાત કરી તો તો જાણે કે રાહુલજીએ કોઈ મહાન પરાક્રમ કર્યું હોય તેમ રાહુલઘેલાઓએ  એમની વાહ વાહ શરૂ કરી દીધી. આ જ વાત જો રાહુલ ગાંધીએ પહેલાં કરી હોત તો એમની વિચાર શક્તિ માટે જેટલાં ગુણગાન ગવાયાં હોત એ બધાં લેખે લાગત! મુશાયરામાં કેટલાક લોકો શાયરના મોઢેથી શેર પૂરો સાંભળે ન સાંભળે ને વાહ વાહ શરૂ કરી દે તેમ આ લોકો રાહુલ ગાંધી કોઈ વિધાન કરે કે તરત કામે લાગી જાય! આવાં તો અનેક ઉદાહરણ આપી શકાય તેમ છે. અન્ના હજારે જેવી તોપની સામે આ લોકો વારેવારે ફૂટ્યા વગરનો ટોટો ધરીને ઊભા રહી જાય છે!

રાહુલ ગાંધી યુવાન છે. મોટા પરિવારના છે. પણ એમને પોતાની લાયકાત પૂરી કરી બતાવવાનું કામ બાકી છે.  કોઈ લારી પરની લારી પરની ચાં પીવાથી પણ મોટાં કામ કરવાનાં બાકી છે. કોઈ ઝૂપડામાં જઈને રોટલાનું બટકું ભાંગવું એ સારી વાત છે. પરંતું એટલું પૂરતું નથી. એમની પાસેથી મોટી અપેક્ષાઓ હોવી જઈએ.

રાહુલ ગાંધી દેખાવ ખાતર , રસ્તા પરની દુકાનેથી કે લારી પરથી સમોસાં લઈને ખાય તો એ એમના પક્ષાના લોકો માટે બહુ મોટી ઘટના ગણાય!  અરે નેતાલોગ! આ દેશના ભૂખ્યાં જન માટે તો હવે એક સમોસું પણ સપનું બનવા લાગ્યું છે! રાહુલ ગાંધી બીજું કશું ભલે ન કરે. ભલે પેટ્રોલના ભાવ ઓછા ન કરાવી શકે , ભલે અનાજના ભાવ ઓછા ન કરાવી શકે. ભલે શાક સસ્તું ન કરાવી શકે. પરંતું એમ સમોસું પણ જો સસ્તુ કરાવી શકશે તો એના જેવો  ભડવીર આ દેશમાં કોઈ નહિ હોય!!! સરકાર એમની છે. સત્તા એમની પાસે છે. સવાલ છે માત્ર કશું કરી બતાવવાનો! જેને તમે લોકો વડાપ્રધાન બનાવવા માંગો છો તેની પાસે આજે કશું કરી બતાવવાની એક તક છે. એ એક સમોસું સસ્તું કરી બતાવશે તો પણ ઘણું છે.

દેશની જનતા રાહત માંગે છે. આ ટોટાનો પોતીકો અવાજ સાંભળવા માંગે છે. એ અવાજ થાય પછી ટોટાના  વખાણ થાય તો વાત બરાબર  કહેવાય. ત્યાં સુધી એને તડકે મૂકવાની અને  તપાવવાની જરૂર છે.

[તસવીર: http://www.ifood.tv/network/samosa]

આ પણ વાંચો: રાહુલ ગાંધી ઊંઝા આવશે ત્યારે

જોઈ શું રહ્યાં છો? જોડાઈ જાઓ.

Cartoon Clipart

[તસવીર: http://www.clipartoday.com/clipart/cartoons/cartoon/cartoon_276405.html ]

મિત્રો,

આશા રાખું છું કે “રીડ ગુજરાતી” પર પ્રગટ થયેલી મારી વાર્તા બીક – યશવંત ઠક્કર આપ સહુએ જરૂર વાંચી  હશે.  હું સમજુ છું કે આજના ઝટપટિયા યુગમાં વાર્તા વાંચવાની તમારી મરજી ન જ હોય! તો પણ જરૂર પ્રયાસ કરશો. કારણ કે વાર્તા ખૂબ જ હલકીફૂલકી છે.પ્રસ્તુત વાર્તાનો પાયો છે કે: બીક એ બીમારીથી પણ ભયંકર છે!

આ લેખમાં પણ બીક વિષે થોડીઘણી વાત કરવાનો ઇરાદો છે. ખાસ કરીને એ બાબત વિષે કે:બીકના માર્યા આપણે ક્યારેક ક્યારેક સામુહિક રીતે કેવું એકસરખું વર્તન કરીએ છીએ!

“બીક” વાર્તામાં એ દર્શાવવામાં આવ્યું છે કે:કહેવાતી બીમારી ફેલાવાની બીકથી લોકો પોતાનાં સગાવાહાલાથી પણ અંતર જાળવવા લાગ્યાં હતા. એટલું જ નહિ પરંતું  ડોક્ટરની સલાહ વગર જ જાતે દવાઓ ખાવા માંડ્યા હતાં! બીમારીથી બચવાની તકેદારી જરૂર રાખવી જોઈએ. પરંતું એનો અર્થ એ તો નથીને કે માણસ માત્રમાં બીમારીના દર્શન કરવા!!

પરંતું બીકની  ડાકણ જેને વળગે છે તેની બુદ્ધિ બહેર મારી જાય છે! ને એ ડાકણ જ્યારે સમગ્ર સમાજને વળગે છે ત્યારે સમગ્ર સમાજ એકસરખું વર્તન કરવા લાગી જાય છે! ભાગ્યે જ કોઈ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરવાનું પસંદ કરે! ને કોઈ વિરલો એવું કરે તો તે ગાંડો જ ગણાય! નકટાઓના ગામમાં નાકવાળાની જેવી દશા થાય એવી એની દશા થાય. ભલું હોય તો વગર વાંકે માર ખાય! આગિયાને ફૂંક મારીને અગ્નિ પ્રગટાવવાની મહેનત કરી રહેલા પેલા વાનરોને સલાહ આપવા ગયેલી ચકલીની થઈ હતી તેવી દશા થાય!

 બીમારીની બીક સિવાયની આવી જ કેટલીક ઘટનાઓ યાદ આવે છે.

                                                       ગણપતિ દૂધ પીવે છે!

આ વાત એવી તો ફેલાણી હતી કે જેના હાથમાં જેટલું અને જેવું આવ્યું એવું દૂધ લઈને લોકો દોડ્યાં ગણપતિને દૂધ પીવડાવવા.  કોઈ વાત સાંભળવા કે માનવા તૈયાર નહિ. એક જ દલીલ કે:શ્રદ્ધા હોય તો પુરાવાની જરૂર નહિ. હવે શ્રદ્ધાની જ વાત કરીએ તો જેને ખરેખર શ્રદ્ધા હોય તેને ગણપતિને દૂધ પીવડાવવાનો ખેલ કરવાની જરૂર જ ન રહે! ગણપતિ એક જ દિવસે દૂધ કે પ્રસાદ આરોગવા લાગ્યાં તો આડે દિવસે શું પ્રસાદ નહોતા આરોગતા?  જો નહોતા આરોગતા તો એ પ્રસાદ નકામો ગયોને? પણ માણસ કોને કહેવાય? આમ કહે કે પુરાવાની જરૂર નથી ને આમ  પુરાવા ઊભા કરે! પ્રચાર માધ્યમોએ પણ બેવડા ધોરણ અપનાવ્યા હતાં અને આ વાતને ચગાવવામાં ખૂબ જ ભાગ ભજવ્યો હતો. તેમને તો વળી માં TRPને પણ રાજી રાખવાં પડેને? મોટાભાગનાં તો ચાલુ ગાડીએ ચડી ગયાં હતાં. તીર નહિ તો તુક્કો! પોતાનું દૂધ ગણપતિબાપાએ નથી પીધું એવું કોણ બોલે? જ્યાં ગામ આખું ગાંડું થયું હોય તો તેને  કોણ રોકવા જાય? રોકવા જાય તો ઈશ્વર-વિરોધીમાં ગણાય જાય!  ભલું હોય તો વગર કારણે ટીપાઈ જાય! :)                                                      

                                                    રક્ષાબંધનનો અમંગળ દિવસ! 

થોડા વર્ષો પહેલાં એવી વાતે જોર પકડ્યું હતું કે: આ વખતે રક્ષાબંધનનો દિવસ ભારે હોવાથી જે ભાઈઓએ  બહેન પાસે રક્ષા બંધાવી હશે તેનું અમંગળ થશે! બસ ખલાસ!! વીરાઓ માંડ્યા કાંડેથી રાખડીઓ  તોડવા! બહેનોને તો ભાઈઓનું હિત હૈયે વસ્યું હોય. તેઓ તો સ્વાભાવિક રીતે જ જોખમ ન લે અને ભાઈઓને રાખડી છોડી નાંખવાનું કહી દે. પરંતું ભાઈઓનો રક્ષા પરનો અને બહેનોની ભાવના પરનો ભરોસો એટલો બધો તકલાદી કે જરા પણ અક્કલનો ઉપયોગ કર્યાં વગર યુદ્ધના ધોરણે રાખડીઓ છોડવા લાગે! અરે! એવાં પણ ભાયડાઓ હતા કે જેમણે અર્ધી રાતે પથારીમાથી ઊભા થઈને, રાખડીઓથી વહેલો છૂટકારો મેળવવા માટે બ્લેડનો ઉપયોગ કર્યો હતો! :)

                                                                      કોમી રમખાણો                                                     ખાસ કરીને  ગોધરા ટ્રેન હત્યાકાંડ પછીનાં રમખાણોની વાત કરું તો જે વિસ્તારમાં સહેજ પણ ભયભીત થવાનું કારણ નહોતું ત્યાં પણ ઘણા બહાદુરો હાથમાં એકાદ હથિયાર રાખીને પોતાનાં ઘરની આસપાસ ફરતા હતા! જેમણે જિંદગીમાં એક લાકડું નહિ પકડ્યું હોય તેઓ  પણ હાથમાં પાઈપ રાખીને ફરતા હતા. વળી, પોલીસની જીપ આવતી જણાય તો ઘર તરફ ભાગતા હતા. તેઓ સતત એવી વાતો કરતા હતા કે જાણે સમગ્ર સમાજની સલામતીનો ભાર એમના માથાં પર હોય! એ લોકો ખરેખર સુરક્ષા માટે સાવચેત હતા કે પછી વગર જોખમે વીરતા પ્રદર્શિત કરવાનો આનંદ માણતા હતા એ નક્કી કરવું મુશ્કેલ હતું. તેઓ રાત્રે જાગરણ કરતા હતા અને અન્ય લોકો પણ જાગરણ કરે એવો આગ્રહ રાખતા હતા. તેઓ ક્યારેક મંદિરના ઓટલે બેસીને પત્તાં રમતા હતા તો ક્યારેક નજીકના વિસ્તારમાં ભજિયાં ખાવા પહોંચી જતા હતા. એમની વાત ન માને તેને તેઓ સમાજ અને ધર્મનો દુશ્મન ગણાવતા હતા. કેટલાક સંદેશાવાહકો વારંવાર પડીકાં છોડતા હતા. હા, પડીકું છોડવું એ મહાવરો કદાચ આ દિવસોમાં જ વધારે પ્રચલિત બન્યો. “અમુક રંગની તેમજ અમુક નંબરની ગાડી હથિયાર સાથે આવવાની તૈયારીમાં છે” એવાં અનેક પડીકાં છોડનારો વર્ગ સક્રિય બની ગયો હતો. કોઈને એક થપ્પડ પણ ન મારી શકે એવાં લોકોએ પણ, એ દિવસોમાં માત્ર વાતો દ્વારા બહાદુરીનો ખૂબ આનંદ માણ્યો.  સામાન્ય પરિસ્થિતિ હોવા છતાં એક વિસ્તારના લોકો અન્ય વિસ્તારના લોકોને સાવચેત રહેવા જણાવતા હતા. આ બધું જાણે કે આપોઆપ બનતું હતું! આ વાતાવરણના રંગે જે ન રંગાય તેનો અવતાર એળે જવાનો હોય એવો નજારો હતો! :smile:    

ભય સિવાય પણ લોકો સામુહિક રીતે એકસરખું વર્તન કરતાં હોય છે. જેમ કે: ફેશનનું પ્રદર્શન, તહેવારની ઉજવણી, ચોક્કસ વ્યક્તિનો પ્રચાર,આંદોલન, વિરોધ પ્રદર્શન વગેરે…આવા વર્તનનું પરિણામ ઘણી વખત  સકારાત્મક પણ આવી શકે છે.  

તો રજા લઉં?

છેલ્લે…

કોણ જાણે ક્યાં જવા એક ટોળું નીકળ્યું…

થઈ ગયો ‘સામેલ’ હું આ ચહેરો તંગ લઈ.  

અને હા   બીક –  વાર્તા વાંચજો. એના માટે  તો આટલું પીંજણ કર્યું છે!!!!  

ખરેખર દુનિયા મૂળ ચાવી ગયેલાં માણસોની થતી જાય છે?

A line art drawing of a half-elf (or similar c...

Image via Wikipedia

દુનિયા બડી જાલિમ હૈ.

આવું આપણે ઘણી વખત બોલીએ છીએ કે સાંભળીએ છીએ.

સહેજ પણ ભોળા બન્યા કે બાટલીમાં પુરાઈ જવાય અને ઉપરથી બૂચ વાગી જાય!!!

જોજો, માહોલ બહુ ખરાબ છે. એવી ચેતવણી પણ વગર માંગે મળતી હોય છે અને સમય જતાં એવી ચેતવણી આપનારાં જ આપણને બાટલીમાં ઉતારી દેતાં હોય છે! !

સવાલ એ છે કે: શું ખરેખર દુનિયા મૂળ ચાવી ગયેલા માણસોની થતી જાય છે? કે પછી પહેલેથી જ એવી છે?

અચ્છા, માહોલ ખરાબ છે તો આપણે પણ એવા બની જવું જરૂરી છે? શું આપણે સરળ થઈને જીવી ન શકીએ?

” હા” પાડતાં પહેલાં વિચારવું પડે છે ને? નજર સમક્ષ આવીને કેટકેટલાં લોકો આવીને ઊભાં રહી જશે?

કોઈએ સંબધમાં ચાલાકી કરી છે! કોઈએ વ્યવહાર જાળવવામાં ચાલાકી કરી છે!

કોઈ” ભાઈસાબ”  કહીને પૈસા લઈ ગયું પણ હવે પરત કરવામાં ગલ્લાતલ્લા કરે છે!

વેપારી રકમ પૂરતી લે છે ને માલ ઓછો અને ખરાબ આપે છે!

રિક્ષાવાળો આપણને ઢીલા જાણીને વધારે પૈસા પડાવે છે!

મોંઘાભાવે ખરીદેલી ચીજ માથે પડે છે! જરૂરી સેવા મળતી નથી! અગાઉથી પૈસા ચૂકવ્યા છતાં ખરા સમયે જ કામ થતું નથી! જીવ બળી જાય છે!

બધાં જાણે કે આપણું કરી નાંખવા માટે જ મીઠું મીઠું બોલે છે!

આડે દિવસે સામું પણ ન જોનાર, જ્યારે પોતાને કામ પડે છે ત્યારે “જય શ્રી કૃષ્ણ”  ”જય શ્રી કૃષ્ણ”  કરતો દોડતો આવે છે!

કોઈ આપણે ત્યાં મહેમાન થતુ હોય ત્યારે આપણે એમને  જાતજાતના ભોજન ધરી અને આપણે જઈએ ત્યારે એકલી  પાણીપૂરી  ખવડાવીને પૂછે કે: જલસો આવી ગયોને?

કાકો લુચ્ચો! મામો ભગવાનનો માણસ પણ મામી લુચ્ચી! જીજાજીએ જ કરી નાંખ્યું! શું કહેવું? કહીએ તો બહેનને દુ:ખ થાય! પોતાનાં હતાં તે આપણાં થયાં નહીં તો  પારકાની શી વાત કરવી?

છે કોઈ અંત?

ધોબી લુચ્ચો! દૂધવાળો લુચ્ચો! મકાનમાલિક સારો પણ એનો દીકરો લુચ્ચો! અને હવે એ જ વહીવટ કરવાનો છે

ડૉકટર લુચ્ચો! પણ મોંઢે નથી કહી શકાતું!

સ્કૂલવાળા અને કોલેજવાળા ઢગલો પૈસા ઓકાવે છે! ધંધો માંડીને બેટાં છે!  કિલોમોંઢે સોનું ભેગું કરે છે!

સરકારી ઓફિસવાળા બધાં જ ચોર છે! હરામનો પગાર લે છે!

પ્રધાનો લુચ્ચા! સરકાર લુચ્ચી!  એન.જી.ઓ. વાળા લુચ્ચા! સામાજિક કાર્યોકરો સેવાના નામે મેવા આરોગે! મીડિયાવાળા સત્ય પ્રગટ કરવાને નામે બ્લેકમેલ કરે!

સ્વામીજીઓ …. હરિ ઓમ ! હરિ ઓમ!

બાકી હોય તેમ પાકિસ્તાન લુચ્ચું! ઓસ્ટ્રેલિયાની આખી ટીમ લુચ્ચી! અમેરિકા ખંધું! બાંગલાદેશ તો કે મેરી બિલ્લી મુજકો મ્યાઉં! ..

કહાં તક નામ ગિનવાયે સભીને હમકો લૂંટા હૈ… એ ગઝલયાદ આવી જાય છે ને?

મિત્રો, કોઈ કટારલેખક જિંદગી આખી બીજું કશું જ ન કરે ને માત્ર દુનિયા કેટલી ખરાબ છે તે બાબત જ લખતો રહે તો એને બીજો કોઈ વિષય જ ન શોધવો પડે!એનું ગુજરાન આખી જિંદગી ચાલતું રહે!

તો માહોલ આવો છે!  રમેશ પારેખની  એક રચના છે…

આ શહેર તમારા મનસૂબા ઉથલાવી દે, કહેવાય નહીં

આ ચહેરા પર બીજો ચહેરો ચિપકાવી દે , કહેવાય નહીં

આ તો ખરું કહેવાય નહીં? ચહેરા પર ચહેરો ચિપકાવ્યા સિવાય છૂટકો નહીં?  ને  એ જ રચનાની છેલ્લી બે પંક્તિ જોઈએ તો…

ટાવર ધબકે, રસ્તા ધબકે, અરધો-પરધો માણસ ધબકે

કોનો ધબકારો કોણ અહીં અટકાવી દે, કહેવાય નહીં

ભલે વાતાવરણ ગમે તેવું લાગતું હોય પણ આટલી હદે શંકાશીલ બનવું જરૂરી છે! ખરેખર દુનિયા મૂળ ચાવી ગયેલા માણસોની થતી જાય છે?

શું સાચું?

આપ ભલા તો જગ ભલા,

કે પછી..

થાય તેવા થઈએ તો ગામ વચ્ચે રહીએ!

અચ્છા,  આપણે જે ન હોઈએ તે થઈ શકાય ખરું?

પાકા ન હોઈએ તો પાકા થઈ  શકાય ખરું?

ફિલ્મનું નામ નથી યાદ આવતુ. ડૉ. શ્રી રામ લાગુ એક અધિકારીનું પાત્ર ભજવે છે.  જે પહેલી જ વખત લાંચ લેવા જાય છે ને પકડાઈ જાય છે! ત્યારાબાદ તે પાત્ર એ  મતલબનું કહે છે કે: લોકોને તો કેટકેટલાં પાપ માફક આવી જાય છે! હું તો પહેલી વખત પાપ કરવા ગયો ને પકડાઈ ગયો.

સમાજમાં પણ એવું જોવાં મળે છે કે, રીઢા કે ખડ્ડુસનું નામ ભાગ્યે જ કોઈ લેશે! જ્યારે સીધા કે સરળ માણસને વાતવાતમાં દબડાવશે!

તો શું જિંદગી એ જંગલમાં રહેવાનો ખેલ છે?

હંમે કુછ નહિ પતા!

સો સરકાર કી … એક અન્ના કી…

મિત્રો, થોડા દિવસોથી આરામ પર હતો. બ્લોગ-લેખન પણ બંધ રાખ્યું હતું.વિચાર તો હતો કે, રક્ષાબંધનના  શુભ પર્વ પર એક નટખટ ભાઈ અને તેની મોટી બહેનના વહાલની વાર્તા મૂકીને ફરીથી બ્લોગ સફર શરૂ કરું. પણ વાર્તા પૂરી ટાઈપ થઈ શકી નહી. આમ તો ટાઈપ મારો વિષય નથી.  આ તો બ્લોગલેખન કરવું હોય તો  ટાઈપથી વેર રાખવું કેમનું  પોસાય? બાવા બને હૈ તો હિન્દી બોલના પડેગા.. જેવી વાત છે.

એ દરમ્યાન .. જુસ્સો, આક્રોશ, ફરિયાદો , આશા, વિશ્વાસ… ઉથલપાથલ… વગેરેથી છલકાતાં દૃશ્યો જોઈને એમ થાય છે કે: ખરેખર વાસ્તવિકતા કલ્પનાથી પણ ચઢિયાતી હોય છે.

માત્ર  એક જ દિવસમાં સમગ્ર સરકાર બાઘી પૂરવાર થઈ ગઈ!  અન્નાજીની મક્કમતાની ઓળખાણ જેટલી જનતાને હતી એટલી સરકારને નહોતી? સોનિયાજી જેમ ગુજરાતની પ્રજાની નાડ પારખવામાં ભૂલ ખાઈ ગયાં હતાં તેમ આ વખતે  દેશની પ્રજાની નાડ પારખવામાં ભૂલ ખાઈ ગયાં? રાહુલ ગાંધીએ તો ઘણું ભ્રમણ કર્યું હતું!એ કામ ન લાગ્યું? મનમોહનજીએ તો પહેલેથી  પરિક્ષામાં ડ્રોપ લેતા હોય તેમ કહી દીધું છે કે: અમારી પાસે જાદુઈ છડી નથી.

બેફામ વિધાનો કરનારા પ્રધાનો પર રસોઈ બગાડવાનો દોષ ન આવે તો જ નવાઈ!

સહુથી મહત્વની છે  અન્નાજીની એ સલાહ: હિંસા નહી કરની હૈ… રાષ્ટ્રીય સંપત્તિ કો હાનિ નહીં પહુંચાના… કિસી વ્યક્તિ કો હાનિ નહીં પહુંચાના… ચારથી પાંચ  મિનિટનું વક્તવ્ય કેટલી ઉર્જા પ્રગટાવી શકે છે એ જોઈને ભલભલા દંગ થઈ ગયાં હશે!

બાકી… જન સમર્થન.. લોકપ્રિયતા .. એ સિંહની સવારી બરાબર છે. સંયમ ન જળવાય તો આડું વેતારાતાં વાર ન લાગે! ઘણાં લોકો માટે આ ઘટનાઓ પોતપોતાની રોટી શેકવા માટે તૈયાર ચૂલા જેવી હોઈ શકે.

અત્યાર સુધીના બનાવો તો અન્નાજીની નિષ્ઠા અને મક્કમતાનો પરિચય આપે છે.

જેલમાં જતી વખતે એમના ચહેરા પરની આત્મવિશ્વાસથી  છલકાતું  સ્મિત ઘણું ઘણું કહેતું હતું.

બીમારીને સ્વીકારી લેનાર વ્યક્તિ જો એમ વિચારે કે: હવે આનો કોઈ ઈલાજ નથી. કોઈ આશા રાખ્યા વગર .. કોઈ સપનાં જોયા  વગર આમ જ પથારીમાં પડી રહેવાનું છે ને મરવાનું  છે. તો કોઈ ઈલાજ કામ ન પણ લાગે!

ભ્રષ્ટાચારને આપણે કેવી બીમારી ગણી શકીએ?

આજે નાનાંમોટાં સહુ એકાએક રસ્તા પર આવી ગયાં હોય એમ ભલે લાગે પણ એ માટેની એમની તૈયારી તો હતી જ! જરૂર હતી કે , કોઈ ભરોસાપાત્રનું  આહવાન  થાય.

જે યુવાની મોબાઈલ, બાઈક કે ફેશનના વળગણથી સાચાખોટા ઠપકાઓ સાંભળતી હતી એ જ યુવાનીને આજે ઠપકો આપવા જેવું કેમ નથી લાગતું?કારણ કે, એ જ યુવાની આજે પોતાનો આગવો રંગ બતાવી રહી છે.

એમના હાથમાં રહેલાં બેનર્સ પરનાં લખાણોને ક્યાં સુધી અવગણી શકાશે?

ને એમની અંદરની આગને ઉછીની લીધેલી આગ માનનારાઓ હજી પણ પોતાની ભૂલ સુધારી શકે છે.

એ માટે ચોઘડિયું જોવાની જરૂર નથી.