નિરાંત

 

નિરાંત                                    -યશવંત ઠક્કર

મા,

આપણે ઘેર નળ આવી ગયા છે

તું આજે હોત તો તારે કૂવે પાણી ભરવા જવું ન પડત!

મા,

આપણે ઘેર વૉશિંગ મશીન આવી ગયું છે

તું આજે હોત તો તારે નદીએ કપડાં ધોવા જવું ન પડત!

મા,

આપણે ઘેર ઘરઘંટી આવી ગઈ છે

તું આજે હોત તો તારે વહેલી સવારે દળણું દળવું ન પડત!

મા,

આપણે ઘેર ગેસનો ચૂલો આવી ગયો છે

તું આજે હોત તો તારે બળતણ વીણવા જવું ન પડત!

મા,

આપણે ઘેર કેટકેટલું આવી ગયું છે!

તું આજે હોત તો તને કેટલી નિરાંત હોત!

…પણ…

નિરાંત હોત ખરી?

માને ક્યારેય નિરાંત હોય છે ખરી?  

************

મિત્રો,

ગઈ કાલે   હું  એક  નવો કાવ્યસંગ્રહ મેળવવા માટે  સદભાગી થયો છું. એ સંગ્રહનું નામ છે: મા, તું માનસરોવર [ભાગ-૧]

ઉપરોક્ત રચના એ સંગ્રહમાં સ્થાન પામી છે. આ બાબતનો  મને આનંદ છે.  આ કાવ્યસંગ્રહ નું સંપાદન શ્રી હસમુખ શાહ  ’બેઝાર’  દ્વારા થયું છે. જેમાં ‘મા’ વિષે ૯૫ જેટલા કવિઓની  રચનાઓનો સમાવેશ થયો છે.  સંગ્રહ ઘણો જ સરસ બન્યો છે.  મા તો અવારનવાર યાદ આવતી જ હોય. પરંતુ આ રીતે યાદ કરવાનો  મોકો મળ્યો  એ વાતનો મને વિશેષ આનંદ છે.  

આ આનંદની વહેંચણી સાથે માતૃદિન નિમિત્તે સહુને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું.

મા, તું માનસરોવર [ભાગ-૧]  કાવ્યસંગ્રહનાં પ્રેરક છે:  મહેશ ‘ સપનાવાલા’

પ્રકાશક: હાર્મોનીકા પ્રકાશન, ૧૦૧ મધુવન એવન્યુ, પ્રજાપતિ પાર્ક પાસે, ડૉ.જીવરાજ મહેતા હોસ્પિટલ માર્ગ, વાસણા. અમદાવાદ.-૭.  [મોબાઈલ-૯૪૨૮૯૦૩૧૪૪]

સદભાવ મૂલ્ય: र ૭૫

ધાબે ધાબે તડકા તારા ડાયરા

ઉગ્ર પ્રતિભાવ સમો તડકો સામેના ધાબા પર સવારથીથી ધામો નાખીને બેઠો છે. વહેલી સવારે અગાસીની પાળી પર, એક ક્બૂતરીને રીઝવવા માટે જે બે કબૂતરો વ્યાયામ કરતા હતા એ હવે દેખાતા નથી. કદાચ જોબ પર ચાલ્યા ગયા હશે. અવગતે ગયેલા જીવાત્મા જેવી એક  પતંગ ફાટેલી દશામાં વીજળીના થાંભલે હજી લટકી રહી છે.  કેટલાંક ધાબાં પર  મોબાઈલટાવર વૃક્ષોને ચીડવતા હોય એવી વાઈડાઈથી ઊભા છે. ધાબે ધાબે  જડેલાં ડિસ્ક -ઍન્ટેના સુદર્શન ચક્રની યાદ અપાવે છે. કોઈ ધર્મનો પ્રચાર કરવા અનુયાયીઓ નીકળી પડ્યા હોય એ રીતે વાયરના દોરડાઓ ધાબે ધાબે ફેલાઈ ગયા છે. આકરી તપસ્યાનું પ્રણ લઈને બેઠેલા તપસ્વીઓ જેવાં સોલર કૂકર  સૂર્યને  આહવાન આપી રહ્યાં  છે. લોખંડની નિસરણીઓના પડછાયા એ નિસરણીઓની એકલતા દૂર કરવાના પ્રયાસો કરી રહ્યા છે. બારીઓ પરનાં છાપરાં યથાશક્તિ છાંયાની વહેંચણીકરી રહ્યા છે. સૂર્યને શાંતિસંદેશો આપતાં હોય એ રીતે, એક અગાસીમાં ભીનાં કપડાં સુકાઈ રહ્યાં છે. એ જ ધાબા પર એક સ્ત્રી વારેવારે ઊઠબેસ કરી રહીછે. એ જરૂર સૂર્યદેવને ચોખાની પાપડીનો નિવેદ ધરી રહી હશે.  બીજા એક ધાબા પર કેટલાંક બાળકો દેખાયાં ન દેખાયાં ને જતાં રહ્યાં. એ કદાચ ધાબાને વચન આપવા આવ્યાં હશે કે, ‘અમે સાંજે  જરૂર તારી પાસે આવીશું.’ સમગ્ર વાતાવરણ નીરવ છે. 

આ નીરવપણું દૂર થાય એ માટે , ઉમાશંકર જોશીની કવિતામાં ભૂક્યો હતો એવો કોઈ ગધેડો ભૂકે એની રાહ જોવી જરૂરી નથી.  ટીવી હાજરાહજૂર છે! 

કાગળ, પેન અને હું

કમ્પ્યુટર અને કી બોર્ડની લાંબી  સંગત પછી હું જ્યારે કાગળ પર પેનથી લખવાનો પ્રયાસ કરું છું ત્યારે મને લાગે છે કે, જાણે હું વર્ષો પહેલાં મેં છોડેલા મારા નાનીધારી  ગામ તરફ  પાછો જઈ રહ્યો છું.

મારા લખાણની પંક્તિઓમાં મને મારા નાનીધારી ગામ તરફ જતા રસ્તાઓનાં દર્શન થાય છે.

મારા  અક્ષરોના વળાંકોમાં મને મારા ગામની દેદુમલ નદીના વળાંકો નજરે પડે છે.

મારા લખેલા શબ્દોની માત્રાઓ મને મારા ગામના આકાશમાં ઊડતાં કબૂતરો જેવી લાગે છે. અને, હ્રસ્વ ઉ અને દીર્ઘ ઊ જાણે કે, કાંટાળી વાડમાંથી સાવ અચાનક બહાર નીકળીને ફરરર કરતાં ઊડી ગયેલાં તેતરો. 

આ કાનાઓ ક્યારે ખાંભીઓ થઈને ખોડાઈ ગયા એની તો મને ખબર જ ના રહી.  આજે એને જોઉં છું તો મને મારા ગામની ધાર પરની ખાંભીઓ નજરે તરે છે. 

આ હ્રસ્વ ઇ અને દીર્ઘ ઈ જાણે કે મારા ગામના ચોમાસામાં કાગડો થઈને ઊડી ગયેલી છત્રીઓ. 

આથમતા સૂર્ય જેવા આ અનુસ્વરોનો ફરીથી ઉદય થશે ખરો? 

પરંતુ …

મેં સાંભળ્યું છે કે,  મારું નાનીધારી ગામ પણ, કમ્પ્યુટરમાં બદલાયેલા વર્ઝનની જેમ  હવે  બદલાઈ  ગયું  છે. 

મારા ગામના કેડા હવે સડક બની ગયા છે. .

દેદુમલ નદીના વળાંકો હવે પાણી વગર ઉઘાડા થઈ ગયા છે.  

કબૂતરો અને તેતરો હવે મોબાઈલમાં Save  થઈ ગયાં છે. 

ગામની ખાંભીઓ પર કોઈએ અપશબ્દો લખવાની બેવકુફી કરી છે. 

રેનકોટ સામે હારેલી  છત્રીઓ હવે  કાયમી ખૂણો પાળે છે. 

છેલ્લે , મારે એ પણ ન ભૂલવું જોઈએ કે, સૂર્ય ન તો આથમે છે… ન તો ઊગે છે.

મારે જ  સૂર્યની સમક્ષ આવવું રહ્યું!

હું પ્રયાસ કરું છું.  

વાતનો/ વાર્તાનો અંત ક્યારે હોવો જોઈએ?

મિત્રો,

કહેવાય છે કે, દરેક સારી વાતનો એક અંત હોય છે. અને, એની પણ એક મજા હોય છે. વાત સારી હોય તો શ્રોતામાં ક્યારેક એવો રસ પણ જાગે કે, ‘મજા આવે છે. ભલે વાત લાંબી ચાલતી.’ પરંતુ  શ્રોતાની એ રસવૃત્તિનો વક્તા જો ગેરલાભ ઉઠાવવા જાય અને વાતનો યોગ્ય અંત ન લાવે તો પણ મજા મારી જતી હોય છે. મજાની પણ એક માજા હોય છે.  ભલભલા વક્તાઓ પણ વાતનો અંત લાવવાનો વિવેક ચૂકી જતા હોય છે.

એક પ્રસંગ યાદ આવે છે.  એક વકતા દ્વારા બીજા કવિ વિષે વક્તવ્ય ચાલતું હતું.  કવિ માટે શ્રોતાઓને માન હતું. એમના વિષે વક્તા દ્વારા જે વાતો કહેવાતી હતી એમાં શ્રોતાઓને આનદ પણ આવતો હતો. પરંતુ ધીરે ધીરે વક્તા, વિષયથી દૂ….ર  દૂ…ર જવા લાગ્યા. કવિની કવિતા વિષે બોલવાને બદલે કવિ વિષે વધારે બોલવા લાગ્યા. શ્રોતાઓને એમાં પણ વાંધો નહોતો. વક્તા, કવિના બાળપણની લીલા વિષે વધારે વાતો કરવા લાગ્યા. શ્રોતાઓને એમાં પણ વાંધો નહોતો. વક્તા, કવિના બાળપણની સાથેસાથે પોતાના બાળપણની વાતો કરવા લાગ્યા. શ્રોતાઓએ એ પણ સહન કરી લીધું કારણ કે વક્તા પોતે કવિના સ્નેહીજન હતા. પરંતુ કવિની અને સાથેસાથે વકતાની પોતાની એ બાળલીલા બહુ લાંબી ચાલી.  ’અમે નાના હતા ત્યારે આમ ખાતા’તા ને આમ નદીએ જાતા’તા ને આમ વગર ચડ્ડીએ નાતા’તા…”  એવી વાતો લંબાતી ગઈ. એ વખતનાં ગામડાંમાં જન્મેલા સહુ છોકરાઓ નદીએ વગર ચડ્ડીએ જ નહાતા હતા અને એ સત્કર્મ કરવામાંથી  ભવિષ્યના કવિશ્રી પણ બાકાત નહોતા રહ્યા – એ વાતથી શ્રોતાઓને જરૂર આનંદ થયો પરંતુ  વક્તાનું વક્તવ્ય એ બાળલીલા પર જ કેન્દ્રિત થઈ જવાથી એ આનંદ ઓછો થતો ગયો. વક્તાને બેસાડી દેવા માટે શ્રોતાઓએ તાળીઓ પાડી તો વક્તાને એમ લાગ્યું કે શ્રોતાઓને  વકતવ્યથી આનંદ આવી રહ્યો છે. એમણેવાતનો વિસ્તાર વધાર્યો તો શ્રોતાઓએ તાળીઓનું પ્રમાણ વધાર્યું. પછી તો વક્તાને પણ ખ્યાલ આવી ગયો કે, આ તાળીઓ વક્તવ્યના સમર્થનમાં નહિ પરંતુ વિરોધમાં પડી રહી છે. પરંતુ એમણે પણ હઠ પકડી કે , ‘મારે જે કહેવાનું છે એ કહ્યા વગર  હું માઈક નહિ છોડું.’ વાત વટે ચડી ગઈ. વક્તા બોલતા રહ્યા અને શ્રોતાઓ તાળીઓ પાડતા રહ્યા. છેવટે વક્તા બેઠા. વાતનો અંત આવ્યો.  પરંતુ  ખાટી છાશ જેવો અંત આવ્યો.  કવિતાને પામવાના બદલે શ્રોતાઓ હાસ્યને પામ્યા.  હાસ્ય ખોટું નહિ,પરંતુ એ હાસ્ય કસમયનું હતું. મજબૂરીનું હતું. 

વક્તા તો સમજ્યા મારાભાઈ, વક્તા હોય એટલે વક્તવ્ય આપે. પરંતુ, રોજિંદા જીવનમાં કોઈ વાત કહેતી વખતે આપણે પોતે પણ ક્યા ઝાલ્યા રહીએ છીએ? વધુ પડતા હરખપદોડા થઈને ‘વાત’ અને ‘વક્તવ્ય’ વચ્ચેનો તફાવત ક્યા ધ્યાનમાં રાખીએ છીએ? સામેવાળાનો રસભંગ થતો હોવાનો ખ્યાલ આપણને રહેતો નથી એટલે આપણે આપણી વાણીનો ભંગ થવા દેતા નથી. વાતનો યોગ્ય સમયે યોગ્ય અંત લાવવો એ પણ એક કળા છે. જે વ્યક્તિ વાત કહેતી વખતે સામેવાળાનાં રસને ધ્યાનમાં લેતો નથી એ વ્યક્તિમાંથી સમય જતાં લોકોનો રસ ઊડી જાય છે.  વાતનો અંત ક્યારે લાવવો એ માટે આપણી પાસે કોઈ વૈજ્ઞાનિક સાધન ભલે ન હોય પરંતુ સમજદારી હોય તો વાંધો ન આવે! અને, સમજદારી સાલી જ્યારે ખરી જરૂર હોય ત્યારે જ હાજર હોતી નથી! સમગ્ર વાત સમય, સંજોગો અને વિવેક પર આધાર રાખે છે.  ઉપરાઉપરી ફાલતું વાતો કરવાના પણ  પ્રસંગો  હોય છે અને અતિ મહત્વની વાત  ટૂંકમાં કહેવાનાં પણ પ્રસંગો હોય છે.  કોઈના મરણના સમાચાર અનેક લોકોને પહોંચાડવાની જવાબદારી જેને સોંપવામાં આવી હોય એ વ્યક્તિ જો એ સમાચાર આપતી વખતે સામેવાળાની સમક્ષ, મરણ પામનારઆ જીવનની  અંતિમ ક્ષણોનુ વર્ણન કરવા લાગે તો..?  

હવે વાત કરીએ ટૂંકી વાર્તાની. ટૂંકી વાર્તા એ સાહિત્યનો એક પ્રકાર છે એ તો આપ સહુ જાણો જ છો. વિવિધ છાપાંઓમાં, સામયિકોમાં કે બ્લોગ પર ટૂંકીવાર્તાઓ રજૂ થતી હોય છે.  વાર્તાઓ વિષે જાણકારોનું  કહેવું  છે કે, ‘ટૂંકી વાર્તા રચવી એ કુશળતા માંગી લે એવું  કામ છે. માત્ર ઘટના, સંવેદના, બોધ, વર્ણન, પાત્રાલેખન, ચમત્કાર વગેરે થકી સારી વાર્તા નથી બની જતી. એ બધાંને ખપમાં લેનારું નકશીકામ પણ જરૂરી છે. એ વીસ પાનાંની પણ હોઈ શકે અને બે પાનાંની પણ હોઈ શકે. બધું જ જે તે વાર્તા પર નિર્ભર છે. એમાં ખરી ખૂબી તો વાર્તાનો  અંત લાવવામાં છે. અંતમાં એક પણ વાક્ય ઓછું લખાય કે વધારે લખાય તો પણ વાર્તા નંદવાઈ જાય. કોઈને એમ થાય કે, એકાદ વાક્ય વધારે લખાઈ જાય તો એમાં શું બગડી જવાનું? પરંતુ ત્યાં જ વાર્તાકારની કસોટી થાય છે. ક્યા અટકવું અને વાચકો પર છોડી દેવું એ કુશળતા માંગી લે એવું કામ છે.  સારો વાર્તાકાર વાચકોને આગળ વિચારવાનો મોકો આપે છે. વાચકોની સમજ પર  શ્રદ્ધા રાખે છે.’ 

હિન્દી ફિલ્મ ક્ષેત્રે એક ‘સમાંતર’ કે ‘કલાત્મક’  ફિલ્મોનો યુગ આવ્યો હતો.  ચક્ર, આક્રોશ, શોધ, અંકુર, પાર વગેરે આવી ફિલ્મો હતી. આવી ફિલ્મોમાં અંત પ્રેક્ષકો પર છોડી દેવાતો હતો. આવી ફિલ્મોને પસંદ કરનારો એક ખાસ વર્ગ હતો. પરંપરાગત મનોરંજક ફિલ્મ જોવા ટેવાયેલા લોકોમાંથી કેટલાક લોકોને આવી ફિલ્મ જોયા પછી એવું લાગતું હતું કે: ‘આ કેવી ફિલ્મ? પછી છેલ્લે શું થયું એ તો બતાવ્યું જ નહિ! ‘ આજે ફિલ્મોમાં  ’આર્ટ ફિલ્મ’ કે ‘કમર્શલ’ ફિલ્મ’ એવા વર્ગો નથી. પરંતુ દરેક ફિલ્મમાં છેલ્લે ‘ખાધું પીધું અને રાજ કર્યું’  એવો અંત જરૂરી માનવામાં આવતો નથી. આજે પ્રેક્ષકો ઘણા ઘડાઈ ગયા છે! અંત લંબાતો હોય તો ઊભા પણ થઈ જાય! 

… આ કોણ ઊભું થયું? આ ‘ બંધ કરો’ એમ કોણ બોલ્યું? કોઈ નહિ!? ના.. ના… મેં સાંભળ્યુંને.  આ તાળીઓના અવાજો પણ આવવા લાગ્યા! … સમજ્યો! મારે બંધ કરવું જોઈએ.  :D

અટકું છું.  આવજો અને જલસા કરજો. 

*************************************

જો સમય હોય તો અહી પણ નજર નાખશોજી.  

http://asaryc.wordpress.com/2009/07/27/પાંચકડાં/

ગુજરાતી સાહિત્યના વાચકો છે/નથી.

મિત્રો,  સાક્ષરતા દિનના પાવન પ્રસંગે  આપણી ભાષાના જાણીતા લેખક શ્રી મોહમ્મદ માંકડ દ્વારા લખાયેલા એક લેખની લિંક મૂકવાનું મન થયું છે.   એ લેખની લિંક આ રહી.  

વાચક ક્યાં છે? (કેલિડોસ્કોપ)(Columnist).

આ લેખમાં એમને વર્તમાન સાહિત્ય ક્ષેત્ર બાબત કેટલીક વાતો કહી છે.  એમની ફરિયાદ છે કે: વાચક ક્યા છે?   જેની એકચક્રી સત્તા હતી એવી ચક્રવર્તી વાર્તા કેમ વિલાઈ ગઈ?

વર્તમાન સાહિત્ય ક્ષેત્રનાં વાતાવરણ વિષે પણ એમણે નિરાશા વ્યક્ત કરી છે.  જેમ કે:

*આજે પણ સારી વાર્તાઓ અને નવલકથાઓ લખાય છે, પરંતુ આજના લેખકના હાથમાંથી દોર છૂટી ગયો છે. બજારની રીતે જોઈએ તો આજે બજાર લેખકનું નથી, પરંતુ પ્રકાશકનું છે. આજે ભાગ્યે જ કોઈ લેખકના વાર્તાસંગ્રહની બે કે અઢી હજાર નકલો છપાય છે. હજી દિવાળી અંકોમાં બીજા લેખો સાથે વાર્તાઓ છાપવાનો રિવાજ છે એટલે લેખકોને આમંત્રણો મળે છે, પરંતુ એ તો એક દિન કી સુલતાની છે!

*પરંતુ, આગળ કહ્યું તેમ આજના લેખકને પ્રકાશક ઉપર આધાર રાખવો પડે છે. એ જ રીતે એને વિવેચકો અકાદમીઓ, સાહિત્ય પરિષદો અને અન્ય સાહિત્ય સંસ્થાઓ, યુનિવર્સિટીમાં પાઠયપુસ્તકોની પસંદગી કરનારાઓ ઉપર આધાર રાખવો પડે છે. આજે પણ અમુક માસિકોમાં અને સામયિકોમાં ’વાર્તા’ વિશે ચર્ચા થાય છે, પરંતુ એમાં વધારે તો મામકાઓની કૃતિઓનો જ ઉલ્લેખ થાય છે. “હું તારી પીઠ થાબડું અને તું મારી પીઠ થાબડ.” એવું ચાલ્યા કરે છે અને જે બીજાની પીઠ થાબડી ન શકે એની પીઠ થાબડવાની તો દૂર રહી એના નામનો ઉલ્લેખ પણ ક્યારેય થતો નથી.

* અત્યારે પણ દૈનિકોમાં હપ્તાવાર છપાતી નવલકથાઓ સિવાયની નવલકથાઓ છાપવા માટે પ્રકાશકો તૈયાર થતા હોય છે. જો એના લેખકો સરકારમાં કોઈક હોદ્દા ઉપર હોય, કોઈક સાહિત્યસંસ્થા કે શિક્ષણસંસ્થા સાથે સંકળાયેલા હોય કે વેચાણમાં પ્રકાશકને ઉપયોગી થઈ શકે તેમ હોય, કારણ કે આજે જમાનો રૂપિયાનો છે. આજે કરોડ બે કરોડ તો જાણે કોઈ હિસાબમાં નથી. આવી સ્થિતિમાં પ્રકાશકો પણ વધુ રૂપિયા મળી શકે તેમ હોય એવો માલ તૈયાર કરવાનું જ વિચારે છે. પ્રકાશકો પાસેથી આપણે ’સાહિત્ય સેવા’ની આશા ન રાખી શકીએ, પરંતુ પુસ્તક પ્રકાશનનો વ્યવસાય બીજા વ્યવસાય કરતાં જુદો છે. એની સાથે ’સરસ્વતી’નું નામ જોડાયેલું છે. એ નામ અગાઉ ક્યારેય આટલું અભડાયું હોય એવું યાદ નથી. આજના માણસને આયુર્વેદમાં જેને ભસ્મક રોગ કહે છે એવો રોગ લાગુ પડયો છે. કહે છે કે, જેને ભસ્મક રોગ લાગુ પડયો હોય એ માણસ ગમે તેટલું ખાય તોય એની ભૂખ મટતી નથી. આનો અંત ક્યારે આવશે એ આપણે જાણતા નથી.

*પુસ્તકમેળાઓ થશે, એમાં લાખો રૂપિયાનાં પુસ્તકો પણ ખપશે અને મોટાં શહેરોની અને છેવાડાનાં નાનાં ગામોની લાઇબ્રેરીઓમાં પુસ્તકો ખડકાશે પણ ખરાં, પરંતુ એ પુસ્તકો વંચાશે નહીં. આનો અર્થ એ કે સરકાર ગમે તેવી સારી યોજનાઓ કરે પણ એ યોજનાઓ લોકોને વાંચતા કરી શકતી નથી. ઘોડાને તમે નદીકાંઠે લઈ જઈ શકો છો, પરંતુ પાણી પીવડાવી શકતા નથી.

***************

મિત્રો, આવું  લખાણ કોઈ  નવાસવા કે અપ્રસિદ્ધ લેખકે લખ્યું હોય તો એનું કદાચ વજન ન પડે! કોઈને એમ લાગે કે, આ તો પોતાને જે નથી મળ્યું એની ફરિયાદ  છે.  

પરંતુ, શ્રી મોહમ્મદ માંકડને  તો વાચકો, પ્રસિદ્ધિ , માનસન્માન  … વગેરે બધું જ મળ્યું છે.  એટલે,  ’દ્રાક્ષ ખાટી છે’ એ કહેવત  અહીં લાગુ પાડી શકાય એમ નથી.  અન્ય  પ્રસિદ્ધ સાહિત્યકારોએ  જે વાત ન કરી એ વાત એમણે કરી છે.   

એક તરફ એવી વાતો સંભળાય છે  કે: ‘ગુજરાતી વાચકો વધ્યા છે.  પુસ્તકોનું વેચાણ વધ્યું છે.  અર્થાત ‘ઓલ ઇઝ વેલ’   તો બીજી તરફ એક જાણીતા સાહિત્યકાર તરફથી જ આકરી લાગે એવી જે  વાત કહેવામાં આવી છે એ વાત પણ હકીકત પર આધારિત હશેને?

સાહિત્ય સાથે સંકળાયેલી સંસ્થાઓમાં બધું હેમખેમ હશે કે પછી જેમતેમ હશે?

એક વાચક તરીકે તમને શું  લાગે છે?

જો તમે થોડુંઘણું લખતા હો તો તમને શું લાગે છે?

ઈન્ટરનેટનું માધ્યમ આવ્યા પછી પરિસ્થિતિમાં કોઈ ખાસ ફેરફાર થયો છે? થશે? 

ચિંતા કરવાનું નથી કહેતો! મનની વાત કરવાનું કહું છું. 

जिंदगी इत्तेफ़ाक हैं!

જિંદગીમાં આયોજન જરૂરી છે.  ધંધા, વ્યવસાય, શિક્ષણ, ઉજવણી, સામાજિક પ્રસંગો વગેરેમાં તો આયોજન ખૂબ જ મહત્વ ધરાવે છે.  એમાં ‘હરિ ઇચ્છા બળવાન’ વાળી વાત ચાલતી નથી. પછી ભલે છેવટે એમ માનવું પડે! પરંતુ શરૂઆતમાં તો આપણે આયોજનને જ મહત્વ આપતા હોઈએ છીએ.

છતાંય એ વાત પણ માનવી જ પડશે કે, જિંદગીમાં કેટલીકક નાનીમોટી ખુશીઓ  આપણને વગર આયોજને પણ મળી જતી હોય છે.  કોઈ પોતાના ઘરના દરવાજે પતંગિયાનું સુંદર ચિત્ર મુકાવીને ખુશ થવાનું આયોજન કરી શકે છે. પરંતુ, ક્યારેક કોઈ જીવતુંજાગતું  સાચુકલું પતંગિયું ઊડતું ઊડતું એના ઘરના દરવાજે આવીને બેસી જાય અને એ જોઈને એને જે ખુશી થાય; એ ખુશી મેળવવા માટે એણે કોઈ જ આયોજન કર્યું હોતું નથી! અરે! એ પતંગિયાને તસવીરમાં કેદ કરવા માટે કેમેરો પણ એણે હાથવગો હોતો નથી! 

કોઈ માણસ  પોતાના આયોજન મુજબ સફરમાં નીકળે છે.  એક બસ ચૂકી જાય છે.  એના અફસોસનો પાર રહેતો નથી.  બીજી બસ પકડે છે.  એમાં બેસવાની જગ્યા પણ મળતી નથી.  વચ્ચે એકાદ સ્ટેશન પર એને જગ્યા મળે છે.  બાજુમાં બેઠેલા માણસ સાથે  વાતચીતની શરૂઆત થાય છે.  બંનેના રસના વિષયો સરખા હોય છે.  છુટા પડતી વખતે નવો પરિચિત માણસ એને પોતાનું ‘વિઝિટિંગ કાર્ડ’ આપે છે.  એ કાર્ડ એની જિંદગી બદલી નાખે છે!  હા, એ કાર્ડનાઆધારે ફરીથી મુલાકાતો થાય છે.  એ મુલાકાતો એને પોતાનો વ્યવસાય જમાવવામાં એવો તો ભાગ ભજવે છે કે, બંને વચ્ચેની પહેલી મુલાકાત એને ચમત્કાર જ લાગે છે! એના વ્યવસાયના વિકાસ માટે મળેલી તકનો લાભ લેવા માટે એણે જરૂર આયોજન કર્યું હોય, પરંતુ એ બંને વચ્ચેની પહેલી મુલાકાત માટેનું  માટેનું આયોજન કોણે કર્યું હશે? 

‘છોટીસી મુલાકત પ્યાર બન ગઈ’ એ  વાત માત્ર ફિલ્મોમાં જ નથી બનતી, હકીકતમાં પણ બનતી હોય છે! એ મુલાકાત મોટાભાગે  આકસ્મિક જ હોય છે! કોઈ યુવાન કે યુવતી પ્રેમમાં પડવાનું આયોજન કરીને કે ચોઘડિયાં જોઈને  ઘેરથી નથી નીકળતાં! પછી એમનાં લગ્ન માટે ચોઘડિયાં જોવાય અને નાનામોટા આયોજનો થાય એ અલગ વાત છે! 

વિજ્ઞાનની કેટલીય  શોધખોળોમાં અકસ્માતે પણ ભાગ ભજવ્યો છે!

સામાન્ય આનંદ મેળવવા માટે પરિવાર ભેગો થયો હોય, એમાં કોઈ એકાદ વાનગી બનાવી હોય અને એ વાનગી સમય જતાં એ પરિવારની ‘પ્રૉડક્ટ ’ તરીકે નામના મેળવે!

પરંતુ, કહેવાનો આશય એ પણ નથી કે, ‘બધું જ અકસ્માતે થાય છે માટે કોઈ પ્રકારનું આયોજન જ ન કરવું.’  વળી, જેમ સુખદ અકસ્માતો થાય છે એમ  દુખદ અકસ્માતો પણ થતા હોય છે.  કેટલાક લોકો જિંદગીમાં સુખદ ઘટનાઓ જ બને અને દુખદ ઘટનાઓ ટળે એ માટે આંધળી વિધિઓમાં જ રચ્યાપચ્યા રહેતા હોય છે.  એ લોકો ભલે ઈશ્વરમાં માનતા હોવાનો ડોળ કરતા હોય, હકીકતમાં ઈશ્વરના નિર્ણયોને ન  સ્વીકારવાનાં એ ધમપછાડા જ હોય છે.  વિજ્ઞાનના કે ટેક્નૉલોજિની મદદથી જીવનને સુવિધાભાર્યું બનાવવું  એ અલગ વાત છે અને વિધિઓ કરાવીને ચમત્કારની આશા રાખવી એ અલગ વાત છે.  

તો ચાલો, તમારા જીવનમાં સુખદ અકસ્માતો થતા રહે એવી શુભ ભાવના સાથે રજા લઉં.  કદાચ કોઈ સુખદ અકસ્માત મારી રાહ જોતો હોય! 

આવજો અને જલસા કરજો. 

સૂઈમૂઈ ચલ પડી હૈ..

સૂઈમૂઈ ચલ પડી હૈ… શાંત હોને કા નામ નહીં લે રહી હૈ.  

શ્રીમતી સોનિયા ગાંધીએ હાલમાં જ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવ્યાં હતાં ત્યારે  એકઠી થયેલી ભીડ એમને કેટલી સારી લાગી હશે! એ ભીડ સમક્ષ, ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા બાબતની ચિંતા વ્યકત કરવી કેટલી સહેલી લાગી હશે! આજે  દિલ્હીમાં અને  એમાં પણ પોતાના નિવાસસ્થાન સામે એકઠી થયેલી ભીડ કેટલી આકરી લાગી હશે! એ ભીડ સામે દેશમાં અને ખાસ કરીને દિલ્હીમાં મહિલાઓની સુરક્ષા બાબતના સવાલોના જવાબો આપવાની ફરજ કેટલી અઘરી લાગી હશે! એમને અર્ધી રાત્રે પોતાના નિવાસસ્થાનની બહાર આવીને પ્રદર્શનકારીઓને જે જવાબો આપવા પડ્યા એમાં તૈયાર લખાણ કામ લાગે એમ નહોતું! એમના જવાબોથી પ્રદર્શનકારીઓને સંતોષ થયો નથી. દેશના તમામ નેતાઓએ આ ઘટના પરથી સબક લેવા જેવો છે.  દેશમાં મહિલાઓનું સ્વમાન અને સુરક્ષા, એ સંવેદનશીલ મુદ્દો છે. આવા  સંવેદનશીલ સમસ્યાને માત્ર રાજકારણીની નજરે મૂલવવા જેવી નથી. એને માત્ર ચૂંટણીના પ્રચારમાં ઉપયોગમાં લઈને સંતોષ માનવા જેવું નથી. ચૂંટણી પ્રચારમાં જેટલું જોર દાખવ્યું એટલું જોર આ સમસ્યા પાછળ દાખવ્યું હોત તો  કદાચ આ ઘટના બની ન હોત. રાજકારણીઓ પોતે પણ મહિલાઓ માટે કેટલું માનસન્માન દાખવે છે એનાં ઉદાહરણો પણ સતત મળતાં જ રહે છે.   

ગુજરાતમાં  મહિલાઓ, અન્ય રાજ્યોની મહિલાઓની સરખામણીમાં વધારે સુરક્ષિત હોવા છતાં સરકાર કે પ્રજાએ અતિવિશ્વાસમાં રહેવા જેવું નથી. સાવચેત રહેવું જરૂરી છે. પાપ છાપરે ચડીને પોકારે છે, પણ એ પાપ થઈ ગયા પછી! થયા પહેલાં નહિ!

બરાબર એક વરસ પહેલાં પણ સરકારને ભીડ અને દર્શનકારીઓનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ, ત્યારે મુદ્દા અલગ હતા. વાળી, પ્રદર્શનકારીઓના કોઈ નેતાઓ હતા. સરકાર એ નેતાઓ પર રાજકીય આક્ષેપો કરી શકતી હતી. આજની સ્થિતિમાં તો સરકાર એમ પણ કહી શકે એમ નથી કે, આ અંદોલન પાછળ વિરોધ પક્ષોનો હાથ છે.

ટીવીના પરદેથી જ્ઞાનીજનો ભીડ અને આક્રોશનાં કારણો, લક્ષણો, અપલક્ષણો, પરિણામો વગેરેની ગંભીર ચર્ચાઓ કરે છે! પોલીસ ભીડ અને આક્રોશને કાબૂમાં કરવાના પ્રયાસો કરે છે! અને, આક્રોશ જવાબ માંગે છે. તાત્કાલિક ઉકેલ માંગે છે. અને..

સૂઈમૂઈ ચલ પડી હૈ… શાંત હોને કા નામ નહીં લે રહી હૈ.  

http://visfot.com/index.php/news/8038-%E0%A4%B0%E0%A4%BE%E0%A4%9C%E0%A4%AA%E0%A4%A5-%E0%A4%AA%E0%A4%B0-%E0%A4%89%E0%A4%A4%E0%A4%B0%E0%A4%BE-%E0%A4%9C%E0%A4%A8%E0%A4%A4%E0%A4%BE-%E0%A4%95%E0%A4%BE-%E0%A4%90%E0%A4%A4%E0%A4%BF%E0%A4%B9%E0%A4%BE%E0%A4%B8%E0%A4%BF%E0%A4%95-%E0%A4%97%E0%A5%81%E0%A4%B8%E0%A5%8D%E0%A4%B8%E0%A4%BE.html

બાંધછોડ કર્યા વગર કેમ નથી ચાલતું?

મિત્રો, 

કોઈ વ્યક્તિ ભગવાનમાં ન માનતી હોય, ભગવાનના નામ માત્રથી એને ચીડ ચડતી હોય, ભગવાનનું  નામ લેવાનું એને પસંદ ન હોય અને  બીજાં લોકો ભગવાનનું નામ લે એનાથી પણ એને અકળામણ થતી હોય એવું બનતું હોય છે. એવું બનવા માટે વાજબી કારણો પણ હોય.  જેવા કે અજ્ઞાન, અંધશ્રદ્ધા, દંભ, દેખાદેખી  અને શોષણ તરફ એને સખત નફરત  હોય.   છતાંય આ વ્યક્તિએ પોતાના વિરોધને ક્યાંક ને ક્યાંક કાબૂમાં રાખવો પડે છે.

આવી વ્યક્તિ જો વિદેશમાં રહેતી હોય તો નસીબદાર.  પરંતુ જો આપણા દેશમાં રહેતી હોય અને  ભગવાન કે દેવતાના નામ માત્રથી એ ડગલે ને પગલે પોતાના નાકનું ટેરવું ચડાવવા જાય તો  જતે દહાડે ઘસાઈ ઘસાઈને એના નાકનું અસિત્વ જ ન રહે! આવો, આ પરિસ્થિતિ માટેનાં કારણો તપાસીએ. 

આવી વ્યક્તિ જે વિસ્તાર, સોસાયટી,કૉલનિ, કોમ્પ્લેક્ષ્, એન્કલેવ વગેરેનાં નામ કેવાં હોઈ શકે? આવાં હોઈ શકે…  

*શ્રીકૃષ્ણ વાટિકા. 

*રાધાકૃષ્ણ સોસાઇટી. 

*બાલાજી રેસિડન્સી

*આસુતોષ નગર. 

*લક્ષ્મીકૃપા સોસાઇટી. 

*રામનગર. 

*સીતાબાગ. 

*મારુતીધામ . 

વગેરે.. વગેરે… વગેરે… 

હવે વિચાર કરો કે, એ વ્યક્તિ એવો આગ્રહ રાખે કે : “હું ભગવાનમાં નથી માનતો. વિજ્ઞાનમાંઅને ગણિતમાં માનું છું માટે હું જે વિસ્તારમાં રહું એ વિસ્તારનું નામ કોઈ વિજ્ઞાનિક કે ગણિતજ્ઞનાં નામ પર હોવું જોઈએ. જેમ કે,  રામાનુજન નગર! … ના, ના, ના. આમાંય ભગવાનનું નામ આવે છે! જગદીશચંદ્ર બોઝ કોમ્પ્લેક્ષ હોવું જોઈએ. ના, ના. આમાં પણ લોચો છે!  આલ્બર્ટ આઇન્સ્ટાઇન નગર કે ન્યૂટનધામ હોવું જોઈએ. જેમાં ભગવાનનું  કે દેવતાનું નામ આવતું હશે એ વિસ્તારમાં હું નહિ રહું.” 

તો વિચાર કરો કે એ વ્યક્તિ ક્યા રહેવા જાય? જંગલમાં? જંગલમાં પણ મંગલ હોય છે! ત્યાં તો કેટકેટલા આશ્રમો હોય! મંદિરો હોય! બાપુઓ હોય! 

મિત્રો, આપણે સહુ જાણીએ છીએ કે,  વિજ્ઞાનનો ડગલે ને પગલે ઉપયોગ કરતાં હોવા છતાં સમાજમાં વિજ્ઞાનિકોને વિસ્તારનાં નામ રાખતી વખતે જરૂરી મહત્વ આપતું નથી.  આપણે એ બાબતમાં કશું કરી શકતા નથી. કારણ કે નામકરણ તો મોટાભાગે બિલ્ડરો કરતા હોય છે!એમને મોટાભાગે ભગવાન કે દેવતાઓનાં જ નામ પસંદ હોય છે. વાળી,  તેત્રીસ કરોડ દેવતા હોવા છતાય એ લોકો અમુક જ નામનો ઉપયોગ કરે છે જેના કારણે એક જ વિસ્તારમાં અનેક બાલાજી નગર કે શ્યામધામ સોસાઇટી હોય છે. પરિણામે પોસ્ટમેન, ગેસના બાટલા પહોંચાડનારા તેમ જ મોંઘેરા મહેમાનો  ગોટે ચડે છે. એ પણ એક બીજી મોટી સમસ્યાછે.

મૂળ વાત પર આવીએ તો ભગવાનના નામ માત્રથી ભાગતી વ્યક્તિએ પોતાનું મન મોટું રાખીને પણ  જે તે વિસ્તારમાં રહેવું જ પડે. 

ચાલો, માની લઈએ કે એ વ્યક્તિ જ્યાં રહેતી હોય એ વિસ્તારનું નામ  ભગવાનના નામ  પર ન હોય.  એ વિસ્તારનું નામ ડ્રીમલૅન્ડ કે આનંદનગર જેવું હોય. તો પણ એ વ્યક્તિ બચવાની નથી.  આખું સરનામું આપતી વખતે એણે પોતાનું રહેઠાણ ક્યા આવ્યું એની વિગત તો આપવી જ પડે! પરિણામે એણે ભગવાનનું નામ તો લેવું જ પડે! કારણ કે  એનું રહેઠાણ મોટાભાગે આવી જગ્યાએ આવેલું હોય…

*લંબે હનુમાન રોડ.  

*પંચમુખી મહાદેવના મંદિરની પાછળ. 

* લક્ષ્મીહૉલની બાજુમાં. 

*શ્રીકૃષ્ણ ભોજનાલયની સામે. 

*અંબે વિદ્યાલયવાળી શેરી. 

વગેરે.. વગેરે… વગેરે. 

આવી સમસ્યા એક કે બીજા રૂપે દરેક દેશ કે સમાજમાં હશે જ!  

તો સો વાતની એક વાત!  સમાજમાં રહેનારે ક્યાંક ને ક્યાંક … ક્યારેક ને ક્યારેક,  પોતાના ગમા-અણગમા સાથે બાંધછોડ કરવી જ પડે છે.  આપણામાંથી   ઘણાએ ‘ઓહ માય  ગોડ’  ફિલ્મ જોઈને તાળીઓ પાડી હશે.જેમાંથી  ઘણાખરાએ  બીજે જ દિવસે  કોઈને ત્યાં ‘સત્યનારાયણ’ની કથામાં કે ‘લક્ષ્મી પૂજન’ માં હાજરી આપી હશે.  મને કે કમને પણ હાજરી આપી હશે. આપવી પડી હશે! 

અર્થાત,  ક્રાંતિકારી વિચારો  માટે હાકલા-પડકારા  કરનારાઓ પણ પોતાના પરિવારમાં થતાં પૂજાપાઠથી દૂર રહી શકતા નથી.  કેમ એવું? આપણામાંથી ઘણાંને ક્રાંતિકારી થવું ગમે છે પરંતુ, વખત આવ્યે કેમ પલાંઠી મારીને ડાહ્યાડમરા થઈને બેસી જવું પડે છે? 

આપણને બાંધછોડ કર્યા વગર કેમ નથી ચાલતું?  

કેમ? 

કેમ?

કેમ?  

થોડોઘણો જવાબ આમાં છે… 

વધારે વાત, ફરી  મળીએ ત્યારે. 

આજનું સમોસું: 

ભગાએ બાપુને પૂછ્યું કે, “બાપુ આપણે ‘હાંક્યું હાંક્યું’ તો બહુ સાંભળ્યુંતું પણ આ ‘આઈક્યુ આઈક્યુ’ શું છે?”

બાપુએ જવાબ આપ્યો કે, “એ હાંક્યુંનું અંગ્રેજી છે.”

ગોદડાંખેંચ

મિત્રો,

આજના વખતમાં લગ્નપ્રસંગ ઉકેલવાનું કામ મોંઘુ પડતું હશે પરંતુ પહેલાંના પ્રમાણમાં સરળ જરૂર થઈ ગયું છે. ઘણાં લોકો કહેતાં હોય છે કે: “પહેલાંના લગ્નપ્રસંગોમાં આવતી હતી એવી મજા હવેના પ્રસંગોમાં આવતી નથી. ત્યારે સગવડો ઓછી હતી, સાધનો ઓછાં હતાં,વાનગીઓ પણ ઓછી હતી. પણ તોય મજા આવતી હતી.”

આવું કહેનારાં અમુક અંશે સાચાં હોય તો પણ જો તેઓ સાચા દિલથી એ વખતની હાડમારીઓ યાદ કરે તો જરૂર કબૂલ કરે કે: ” જેને ત્યાં પ્રસંગ હોય એની એવી તો કસોટી થઈ જતી હતી કે પોતાને તો પ્રસંગનો આનંદ માણવાને બદલે સતત ચિંતામાં રહેવું પડતું હતું.”

તે વખતમાં પૈસા ખર્ચવા છતાં સગવડો પ્રાપ્ત થતી નહોતી. આમતેમથી બધું ભેગું કરવું પડતું હતું. બીજાઓના સાથ અને સહકારની ખૂબ જ જરૂર પડતી હતી. જેને ત્યાં પ્રસંગ હોય એણે વાતવાતમાં જેનેતેને નમવું પડતું હતું. દીકરીના બાપની દશા તો ઘણી વખત કફોડી થઈ જતી હતી. જાનૈયાઓને  સાચવવા એ ગબ્બરસિંગના માણસોને સાચવવા જેવી કપરી આફત હતી!

આજે તો દીકરીના માબાપ સવારે લગ્નસ્થળે જાય અને દીકરીને વળાવ્યા પછી રાત્રે ઘેર આવીને રોજિંદી ટીવી સિરિઅલ આરામથી જોઈ શકે એવો સતયુગ આવ્યો છે! દીકરીને પરણાવનાર માબાપે લગ્નસ્થળે દીકરી સિવાય માત્ર પૈસા જ લઈ જવા પડે છે!

એક જૂનો શિયાળો યાદ આવે છે. મારા એક મિત્રની બહેનના લગ્ન હતા.  એ લગ્નપ્રસંગમાં અમે થાકીને લોથપોથ થઈ ગયા હતા છતાય ખૂબ  મજા આવી હતી.

જાનને આખો દિવસ સાચવી. રાત્રે ફેરા ફરવાનો મુખ્ય કાર્યક્રમ પૂરો થયો. જાનની વિદાય બીજાં દિવસે હતી. સહુ જાનૈયાઓ કાજે અમે પથારીઓ તૈયાર રાખી હતી. પરંતુ કેટલાક જાનૈયાઓ અમારી તૈયારી પર પથારી ફેરવતા હોય તેમ એકએક ગોદડું ઓઢવાને બદલે બબ્બે ઠપકારીને પોઢી ગયા.

જાનૈયાઓના પ્રમાણમાં ગોદડાં ખૂટ્યાં. તાત્કાલિક વાડીનો સ્ટોર ખોલાવીને ગોદડાંનો પૂરવઠો હતો એટલો બહાર કઢાવ્યો તોય માંગ ઓછી થઈ નહિ!

હવે એક જ રસ્તો હતો. જેણેજેણે બબ્બે ગોદડાં ધારણ કર્યાં હોય તેમને વિનતી કરીને એક એક ગોદડું પાછું લઈને એ ગોદડાં ગોદડાંવિહોણાં હોય તેમને વહેંચવાં.

પરંતુ અમારો એ ઉપાય બહુ કારગત ન નીવડ્યો. અમારી વિનંતીભર્યા શબ્દો બબ્બે ગોદડાં વીંધીને એ લોકોના કાન સુધી પહોંચી ન શક્યા. દ્વિગોદડાંધારી લોકો જાણે પોતે ભર નિદ્રામાં હોય તેમ સુષુપ્ત અવસ્થામાં જ પડી રહ્યા.

જબાબદાર વડીલ તરફથી અમને આદેશ થયો કે:જ્યાં જ્યાં બે ગોદડાં હોય ત્યાંથી એક ગોદડું ધીરેથી, કોઈની નિદ્રામાં ખલેલ ન પડે તે રીતે સરકાવી લો. અને જરૂરિયાત હોય તેને પૂરાં પાડો.

અમે એમના આદેશનું પૂરી વફાદારીથી પાલન કર્યું. દબાતે પગલે અમે શયનખંડમાં ફરવા લાગ્યા. જ્યાં જ્યાં બે ગોદડાં હતાં ત્યાત્યાથી એક એક ગોદડું સરકાવવાની કામગીરી શરૂ કરી. આ ઉપાય ખૂબ જ કારગત નીવડ્યો. ચારેક ફેરા મરવાના પરિણામે પરિસ્થિતિ ઘણી હળવી થઈ ગઈ.

હવે વધારે ફેરા મારવા જેવું રહ્યું નહોતું! છતાંય છેલ્લી વખત નસીબ અજમાવવાની લાલચે અમે છેલ્લો ફેરો મારવા નીકળ્યા.

હજી તો અમે એકપણ ગોદડું ખેંચ્યું નહોતું ત્યાતો  એક છોકરાનો અવાજ આવ્યો: “કાકા, ચેતજો. આવ્યા છે.”

વાત એમ બનેલી કે અમારી કડક કામગીરીના સાક્ષી જેવા કાકોભાત્રીજો એમ બે જણા જાગતા હતા. એ લોકો વધારાનું ગોદડું ગુમાવવા માંગતા નહોતા. એટલે, અમારા આગમનની જાણ થતાં જ ભત્રીજાએ એનાં કાકાને જાણ કરી કે:”કાકા, ચેતજો. આવ્યા છે.”

જાણે અમે કોઈ બહારવટિયા હોઇએ એમ અમારાથી ચેતવાની તૈયારી ચાલી રહી હતી.

છોકરાના શબ્દો સાંભળીને અમને એવું તો હસવું આવ્યું કે માંડમાંડ હસવું રાખીને ત્યાંથી ભાગ્યા.

શયનખંડની બહાર નીકળીને મન મૂકીને હસ્યા.

જ્યારેજ્યારે શિયાળો આવે છે અને એની તાકાત બતાવે છે ત્યારેત્યારે મને એ શબ્દો યાદ આવી જાય છે:”કાકા, ચેતજો. આવ્યા છે.”

મિત્રો, સામાજિક પ્રસંગોમાં હિસ્સેદાર બનવું હોય તો ક્યારેક ક્યારેક આવા ગોદડાં ખેંચવાના ધંધા પણ કરવા પડે!

તમે પણ, આવા નહિ તો બીજા પ્રકારના ધંધા કર્યાં જ હશે!

આજનું લંગર :

લંગર પ્રાપ્તિસ્થાન: http://www.cartoonstock.com/directory/h/hogging_the_blanket.asp

દિલ છે તો દૂધપાક છે

સન ૧૯૬૭ની આસપાસનો જમાનો હતો. હું આઠમાં ધોરણમાં ભણતો હતો. નિશાળની પાછળનું મેદાન હતું. રીસેસનો સમય હતો. ખુશનુમા મોસમ હતી. કુમળી ઉમર જેવો જ કુમળો તડકો હતો.

નજર સામે કમળધારી તળાવની જાહોજલાલીનું અમૂલ્ય પ્રદર્શન હતું. એ પ્રદર્શનના કાર્યક્રમની પ્રકાશ વ્યવસ્થા સૂરજ એકલપંડે સંભાળી રહ્યો હતો. નગરની કપડાં ધોઈ રહેલી મહિલાઓએ  સંગીત પ્રસારણની વ્યવસ્થા સંભાળી હતી. ધબાક!ધબાક!ના સૂર વાતાવરણમાં ભળી રહ્યા હતા. તળાવને સામેના કિનારેથી તે છેક ક્ષિતિજ સુધી સમગ્ર સૃષ્ટિ શુદ્ધ પ્રસન્નતા વહેંચી રહી હતી.

પ્રસન્નતાના આ રંગમાં કોઈ નબળી વાતને જરા પણ સ્થાન નહતું.

 .. ને મારા એક વર્ગમિત્રે મારી પાસે આવીને કહ્યું: યાર ઠક્કર, તારી પાસેથી ઉછીના લીધેલા પૈસા લાવવાના રહી ગયાં. કાલે લાવું તો ચાલશેને?

જવાબમાં મે કહ્યું: “ચાલશે યાર. ક્યારેય ન લાવે તો પણ ચાલશે.”

“એવું ચાલે ખરું યાર? વહેવારે તો આપવા પડેને?”

“બધું ચાલે” મે કહ્યું.  ત્યારબાદ મારા હોઠ પર એક વાક્ય આવી ગયું: “દિલ છે તો દૂધપાક છે.” 

એ મિત્રને તો વાક્ય સાંભળીને મજા પડી ગઈ પરંતુ હાજર હતા તે બધાને મજા પડી ગઈ!

પછી તો મારા મિત્રવર્તુળમાં વાતવાતમાં “ દિલ છે તો દૂધપાક છે”  એ વાક્ય વપરાવા લાગ્યું. 

જોતજોતામાં તો એ વાક્ય આખી નિશાળમાં વપરાવા લાગ્યું. પછી તો આખા નગરમાં  વપરાવા લાગ્યું! જાણે કે એક કહેવત બની ગઈ કે: “ દિલ છે તો દૂધપાક છે”  

.. સમય પસાર થઈ ગયો. એ નિશાળ છૂટી ગઈ. એ નગર છૂટી ગયું. એ મિત્રો છૂટી ગયા. એ વાક્ય છૂટી ગયું. એનો વપરાશ છૂટી ગયો.

.. ને લગભગ ત્રીસેક વર્ષો પછી એક દિવસ વાતવાતમાં આ જ વાક્ય મે બીજાનાં મોઢેથી સાંભળ્યું:

  “ દિલ છે તો દૂધપાક છે” 

મારી નવાઈનો પાર નહોતો! મારાથી સામી વ્યક્તિને પૂછાઈ ગયું કે: આ વાક્ય તમે ક્યાંથી સાંભળ્યું?

“લે, આ તો જાણીતી કહેવત છે.” એ વ્યક્તિએ જવાબ આપ્યો.

*********

મિત્રો, મારો એવો દાવો નથી કે આ કહેવતની રચના મે જ કરી છે. વર્ષો પહેલાં મારાથી અનાયાસે બોલાયેલું વાક્ય જ ફરતું ફરતું મારા સુધી આવ્યું હોય તો પણ એની સાબિતી આપવી અસંભવ છે.

પણ એક વાત નક્કી છે કે કહેવતો અનાયાસે જ સર્જાઈ જતી હશે. એકાદ નાનકડું વાક્ય, પેઢીઓ સુધી  આપણી વાતચીતનો હિસ્સો બની જાય છે! કેટકેટલી કહેવતોનો આપણે સહજ રીતે વપરાશ કરીએ છીએ પરંતુ એનાં મૂળ સર્જકનો કોઈને ખ્યાલ હોતો નથી!

કેટલી કહેવતો કાળની ગર્તામાં ધકેલાઈ જાય છે તો કેટલીક નવી કહેવતો આપણને ખબર ન પડે તેમ વપરાશમાં દાખલ થતી જાય છે.

“મજબૂરી કા નામ મહાત્મા ગાંધી.”  આ કહેવત જાણીતી થઈ ગઈ છે.  વળી એ વાત પણ ચોક્કસ છે કે એ  કહેવત ચલણમાં આવ્યાને બહુ સમય નહિ થયો હોય. એ કહેવત બહુ બહુ તો ગાંધીજીના જીવનકાળમાં શરૂ થઈ હશે. કદાચ એમના અવસાન પછી જ વપરાશમાં આવી હોવાની શક્યતા વધારે છે. કોઈ મજાકમાં આ વાક્ય બોલ્યું હશે અને જોત જોતામાં એક કહેવત બની ગઈ હશે! આજે ભલે  ભલે આ કહેવત મજાક માં બોલાતી હોય પણ કેવી અસર છોડી જાય છે! ને કેવી ચલણમાં કેવી છૂટથી વપરાય છે!

કહેવત એક વખત ચલણમાં આવી કે પછી એને જાણે કે કોઈ પ્રકારનાં બંધનો નડતાં નથી! વળી એને વિદ્વાનોના પ્રમાણપત્રની જરૂર પડતી નથી!

“મોટી નોટ હોવા”નો મુહાવરો યુવાનોમાં વધારે વપરાય છે.  “ફલાણો તો મોટી નોટ છે.” એવાં વાક્યો આપણે ઘણી વખત સાંભળીએ છીએ. આ મુહાવરો પણ તાજેતરના વર્ષોમાં જ અમલમાં આવ્યો હોવાનું લાગે છે.

ખેર! હવે પછી તમે પણ અવસર આવ્યે,  “ દિલ છે તો દૂધપાક છે” .એ કહેવતનો વપરાશ કરજો.

અને…. બીજું તો શું કહું?

પ્રતિભાવ આપવા હોય તો આપજો નહિ તો અમે પણ માનશું કે: તમારું  દિલ છે તો દૂધપાક છે!   

જલસા કરજો.