![]()
સાવરકુંડલા ત્યારે નાનકડું નગર હતું. પરંતુ નાવલી નદીનો પટ શોરબકોરથી ધમધમતો રહેતો. એ જ પટમાં ‘હેર કટિંગ સલૂન’ પણ હતું. જેના બોર્ડ પર દેવાનંદની તસવીર હતી. સલૂનની ખુરશી પર બિરાજતી વખતે બાર તેર વર્ષના છોકરાઓ પણ કેશ કલાકારને ‘દેવાનંદ કટ’ની સૂચના આપી દેતાં. દેવાનંદ કટ એટલે આગળથી ફુગ્ગો અને પાછળ ટૂંકા વરીયાળી કટ વાળ!
એ ૧૯૬૬ની આસપાસના દિવસો હતાં. જિંદગીઓ આજે પણ સંઘર્ષોથી ભરેલી છે અને ત્યારે પણ હતી. પરંતુ એ દિવસો હતાં આઠ આના[પચાસ પૈસા], બાર આના[પંચોતેર પૈસા] કે એક રૂપિયાની ટિકિટ લઈને ટોકીઝના અંધારામાં પુરાઈને, સીટીઓ અને તાળીઓના અવાજ સાથે દેવાનંદની અદાઓ, હરકતો અને મસ્તીના દરિયામાં ડૂબી જવાના.
નડિયાદ જેવા કોઈ પણ નગરની શેરીના છોકરાઓ જિદે ચડતા કે: “રાજકપુર અને દિલીપકુમારમાંથી કોણ ચડે?” ત્યારે કેટલાક છોકરાઓ દૂર રહીને એ ચર્ચાનો આનંદ, ઊંચા કોલર રાખીને માણતા. એ ઊંચા કોલર એ દેવાનંદના આશિકોની આગવી ઓળખ હતી. ”અદા તો દેવાનંદની” આવી કહેવત પડી ગઈ હતી!
ગઈ કાલથી ટીવીના પર્દા પર, દેવાનંદને શ્રદ્ધાંજલિ નિમિત્તે એમની જિંદગી વિષે જાણીતી અને અજાણી ઘણી વાતો રજૂ થઈ રહી છે તેમાં ઉમેરો થાય તેવી કોઈ વાત મારી પાસે નથી. પરંતુ એક કલાકારનો પ્રભાવ સમાજ પર કેટલો હોઈ શકે છે તે આપણે સહુ અનુભવી શકીએ છીએ.
દેવાનંદની પોતાની આગવી શૈલી હતી. ડોલતા રહેવાની! આપણા વિદ્વાનો એને ડોલનશૈલી કહી શકે! ઝડપથી સંવાદો બોલવાની એમની રીતની તો આજે પણ મિમિક્રી થાય છે. કર્ણપ્રિય ગીતોમાં દેવાનંદ પોતાના હાવભાવથી એક પ્રકારનો નશો ઉમેરી દેતા. રોજિંદી ઘટમાળથી થાકેલા મનને બીજું શું જોઈએ?
પરંતુ ‘ગાઈડ’ ફિલ્મે ચાહકોને આનંદ સાથે આંચકો પણ આપ્યો! દેવાનંદના મોંઢેથી ગીતાના શ્લોક! આત્મા અને પરમાત્માની વાતો! પરંતુ દેવાનંદે એ કસોટી પણ પોતાની અદા સાથે નિભાવી. “ગાઈડ” આર.કે નારાયણના પુસ્તક પર આધારિત હતી. જેમાં લીધેલી છૂટછાટના કારણે લેખક પણ નારાજ હોવાની વાત બહાર આવી હતી.
‘ગાઈડ’ હોય કે ‘દેવદાસ’ હોય. જાણીતા પુસ્તક પરથી ફિલ્મ બને ત્યારે મોટાભાગે ટીકા થતી હોય છે કે:મૂળ કથાને પૂરો ન્યાય નથી મળ્યો. પરંતુ પ્રેક્ષકોને ફિલ્મ ગમી જાય છે તો તેઓ વિવેચકોને ગાંઠતા નથી. ‘ગાઈડ’ આજે પણ ફરી ફરીને જોવાનું પસંદ કરનારા લોકો છે.
દેવાનંદ છેવટ સુધી ફિલ્મ્સ બનાવતા રહ્યા. છેલ્લી ઘણી ફિલ્મ્સ ચાલતી પણ નહોતી. છતાંય તેઓનું મનોબળ તૂટ્યું નહોતું. શું પોતાની મર્યાદાઓ એમને નહિ સમજાતી હોય? કે બદલાતા જમાનાનો ખ્યાલ એમને નહિ આવતો હોય?આ વાત ઘણાને મગજમાં ન બેસે તેવી છે. તેઓએ પોતાની જાતને ફિલ્મ ઉદ્યોગથી દૂર ન કરી. સતત પોતાની ધૂનમાં રહ્યા. કદાચ એટલે જ તેઓ છેવટ સુધી શાનથી જીવી શક્યા. લાહોરમાં જન્મ, ભારતમાં જિંદગી અને લંડનમાં અવસાન! આ પણ એમની ડોલન શૈલીનું જ ઉદાહરણને?
દેવાનંદના ચાહકો માટે દેવાનંદને અલવિદા કહેવાનો સવાલ જ નથી. ચાહકોના દિલના પોકેટમાં દેવાનંદ અકબંધ છે અને રહેશે. દેવાનંદે એમના જીવનમાં ભરેલા રંગો દેવાનંદને ભૂલવા નહિ દે.
એ પણ અજબની વાત છે કે: જેની સાથે લોહીના સંબંધ ન હોય તેવાં લોકો પણ માણસની રોજિંદી જિંદગી પર ગજબનો પ્રભાવ પાડતા હોય છે. ખાસ કરીને કલાકારો!
આવા જ એક કલાકાર દેવાનંદને ઊંચા કોલર સાથે સલામ.