રંગલો ચિંતનના માર્ગે

[રંગલો આંખો મીંચીને ધ્યાનની મુદ્રામાં બેઠો છે. રંગલીનો પ્રવેશ.]

રગલી- [નાચીને]

સત્તર કામ પડતાં મૂકી હું તો આવી અહીં

મોટે ઉપાડે  આવી ગઈ પણ રંગલો આવ્યો નહીં

રંગલો આવ્યો નહીં રંગલો આવ્યો નહીં હજી મારો રંગલો આવ્યો નહીં

તા થૈયા થૈયા ને તા થૈ .

[રંગલા સામે ધાન જતાં... ] લે કર વાત. હું રંગલાના નામની માળા જપું છું ને રોયો આયાં બેઠો છે.  અરે ઓ રંગલા. કેમ સોગિયું મોંઢું કરીને બેઠો  છે?શું થયું?

[જવાબ ન મળતાં]   એલા બોલ તો ખરો.

રંગલો- [ઊભો થઈને] માંડ  ચિંતન કરવાનો મોકો મળ્યોતો! તેં આવીને ભંગ પાડ્યો.

[રંગલી ખડખડાટ  હસે]

રંગલો– એમાં આવું  હાસ્યના ફુવારા ઊડાડવાની જરૂર ખરી?

રંગલી— તું અને વળી ચિંતન?

રંગલો— કેમ વળી? અમને  ચિંતન કરવાનું મન ન થાય?

રંગલી— થવું તો ન જોઈએ.

રંગલો— [પોતાનાં પેટ તરફ આંગળી ચીંધીને] રંગલી….  મારા આત્મામાંથી ઊંડે ઊંડેથી અવાજ આવી રહ્યો છે કે- રંગલા તું ચિંતનના માર્ગે આગળ વધ.

રંગલી— પણ આ તો તારું પેટ છે.  આત્મા ત્યાં હોય?

રંગલો— તું વાતને આડે પાટે ન ચડાવીશ.  મને ચિંતનના માર્ગેથી પાછો ન વાળીશ. હું તને હાથ જોડું છું.

રંગલી— સારું. તારે  ચિંતનના માર્ગે જેટલા કિલોમીટર આગળ જવું હોય એટલો જજે. પણ એક વાતનો જવાબ દે કે આજે બપોરે તું શું જમ્યો છે?

રંગલો— બપોરે તો બધું બહુ જમ્યો છું. તેં જ તો જમાડ્યો છે.

રંગલી— તોય તારે મોંઢે જ બોલ. આ બ્લોગમિત્રોને પણ ખબર પડેને.

રંગલો— લિસ્ટ તો ઘણું લાંબુ છે. પણ યાદ આવે એટલી વાનગીના નામ બોલું છું.

રંગલી— ઇર્શાદ!

રંગલો—એક તો જાણે પૂરણપોળી.

રંગલી— કેટલી ખાધી? માપ પણ બોલવાનું છે.

રંગલો— ગણી તો નહોતી પણ  દસબાર  જેટલી તો ખાધી હશે.

રંગલી— આગળ બોલ.

રંગલો— દૂધપાક. માત્ર સાતેક વાટકા.

રંગલી— એ સિવાય? જલ્દી બોલને.

રંગલો— [ફટાફટ ] એ સિવાય શાક, ભજીયાં, અથાણું , કચુંબર, પાપડ વગેરે વગેરે વગેરે.  માપ યાદ નથી પણ ખવાય તેટલું ખાધું છે.

રંગલી— મતલબ કે  આજની આ ક્ષણ સુધી તારું  આ પેટ ભરેલું છે!

રંગલો— છે જ ને.

રંગલી— રંગલા. તારું પેટ ભરેલું છે એટલે જ તને ચિંતન સૂઝે છે.  જો પેટ ખાલી હોત ને તો ચિંતા સૂઝી હોત! તેં કોઈ દિવસ મજૂર કે કડિયાને ચિંતન કરતાં જોયો?

રંગલો— એવું તો  ક્યારેય જોવામાં નથી આવ્યું.

રંગલી— તો વાત એમ છે રંગલા. જેના પેટ ભરેલાં છે તે ચિંતન કરે છે ને જેના પેટ ખાલી છે તે ચિંતા કરે છે.

રંગલો— એ જે હોય તે. હું હવે ચિંતન કરવાનો કરવાનો ને કરવાનો.  તું નહીં કરવા દે તો હિમાલયની ગુફામાં જઈને પણ કરવાનો.

રંગલી— હિમાલય? હિમાલય જવું સહેલું છે? એટલા રૂપિયા છે તારી પાસે?

રંગલો— ચાલતો જઈશ.

રંગલી— હવે રહેવા દે ચાલવાવાળી! કોઈ ટ્રકવાળો ટક્કર મારીને જતો રહેશે તો હિમાલયના બદલે દવાખાના ભેગો થઈશ.

રંગલો— હિમાલય આઘો પડશે તો  ક્યાંક  નજીકમાં જઈશ. ગિરનાર છે જ ને? એમાં એકાદ ગુફામાં મેળ પાડી દઈશ.

રંગલી— નહીં મેળ પડે! રંગલા. કોઈ કહેતા કોઈ ગુફા ખાલી નહીં હોય! એકે એક ગુફા કોઈને કોઈ બાવાજીએ રોકી પાડી હશે.  તપાસ કરાવવી હોય તો અશોકભાઈ પાસે કરાવી લેજે!

રંગલો— અરે ગિરનારમાં મેળ નહીં પડે તો જંગલમાં  એકાદ આશ્રમ બનાવીને  ચિંતન કરીશ.  હવે તારે  કાંઈ કહેવું છે?

રંગલી— જંગલખાતું આડું આવશે! જંગલમાં રહેવાની મનાઈ છે.

રંગલો— તો ય ઘૂસ મારી દઈશ.

રંગલી— ઘૂસણખોરી થવાની હતી એટલી થઈ ગઈ છે.  હવે જગ્યા મળે એવા ચાન્સ ઓછા છે.  વળી આશ્રમ બનાવવાની લાઈનમાં પણ જબરી હરિફાઈ છે. તારા જેવાનું એમાં કામ નથી.

રંગલો— તો  કોઈ નદીના  કિનારે બેસી જઈશ.

રંગલી— નદી કિનારો પણ ખાલી હોવો જોઈએને?

રંગલો— [ગુસ્સે થઈને] મારી મા હવે બાંધ કર. હું ગટરના કિનારે બેસી જઈશ. પણ ચિંતન કરીશ કરીશ ને કરીશ.

રંગલી— રંગલા તું સમજતો કેમ નથી? ક્યાંય કહેતા ક્યાંય જમીન બાકી નથી રહી! ગટરના કિનારે પણ મકાનો,દુકાનો, કોલેજો, કૅબિનો, મંદિરો  બનતાં જ જાય છે!

રંગલો— તો શું જગ્યાના અભાવે મારે ચિંતનના માર્ગેથી પાછું ફરવું?

રંગલી— પણ ચિંતન કરવાની જરૂર કેમ પડી?

રંગલો— ચિંતન કરીને મારે શોધી કાઢવું છે કે , આ જગતમાં ભગવાન છે કે નહીં?

રંગલી— લે કર વાત!   આ સવાલ આજસુધી તારા દિમાગમાં ન આવ્યો ને હવે?

રંગલો— હા હવે. હું આ સવાલનો જવાબ શોધીને જ જંપીશ. ભલે ગમે તેટલા જથ્થામાં ચિંતન કરવું પડે.

રગલી— તારે જેટલું ચિંતન કરવું હોય તેટલું કરજે.  પણ પહેલાં મારા બે સવાલોના જવાબ દે.

રંગલો— પૂછ. દિમાગ ફેરવવું હોય તેટલું ફેરવી લે. પછી આ રંગલો તારાથી દૂર દૂર દૂર દૂર જાતો રહેશે.

રંગલી— રંગલા. ધારી લે કે  ભગવાન છે.

રંગલો— ક્યાં છે ભગવાન? એની શોધમાં તો મારે  જવું છે.

રંગલી— ધારવાની  વાત છે.  તારા માનવા મુજબ ભગવાન છે એમ તારે ધારવાનું છે.

રંગલો— ધારી લીધું.

રંગલી– હવે ધારી લે કે તું આ રસ્તે આગળ જઈ રહ્યો છે ને કોઈ માણસ રસ્તો ઓળંગવા માટે તારી સહાય માંગે છે. તો તું શું કરીશ? યાદ રાખજે. તું જે કરીશ તેની નોંધ ચિત્રગુપ્તના ચોપડે થશે. ભગવાન તારા સારાંનરસાં કામોની નોંધ લેશે.

રંગલો— હું તો આવે વખતે જે કરું છું એ જ કરીશ. એવા અસહાયને સહાય કરીશ.

રંગલી— વાહ! હવે ધાર કે ભગવાન નથી.  બિલકુલ નથી. પાકે પાયે નથી એવું સાબિત થઈ ગયું છે.  તું  રસ્તે જાય છે ને કોઈ રસ્તો ઓઅળંગવા માટે તારી મદદ માંગે  છે. યાદ રાખજે કે , ભગવાન નથી. સારાનરસા કામોની નોંધ લેનાર કોઈ કહેતાં નથી.  તું સારું કામ કરીશ તો તેનું સારું ફળ મળવાની કોઈ ખતરી નથી. તો તું શું કરીશ? પેલા અસહાયને રસ્તો પાર કરાવીશ? વિચાર કરીને જવાબ દેજે.

રંગલો— એમાં વિચાર વળી શાનો કરવાનો? એને રસ્તો પાર કરાવવાનો જ હોય ને?

રંગલી— ભગવાન ન હોય તો પણ? તારા સારા કામની નોંધ લેનાર કોઈ ન હોય તો પણ?

રંગલો– તો એમાં શું થઈ ગયું?  સારા કામની નોંધ લેનાર કોઈ ન હોય તો સારા કામ નહી કરવાનાં? આપણે આપણી માણસાઈ ભૂલી જવાની? રંગલી, ભગવાન હોય કે ન હોય! માણસાઈ તો મારાથી ન છૂટે!

રંગલી—- [ખુશ થઈને] વાહ મારા રંગલા વાહ! મને પાકે પાયે ખાતરી  જ કે તારો આ જ જવાબ હશે. રંગલા. મારી વાત માન તો તારે ચિંતનના માર્ગે જવાની જરૂર નથી.

રંગલો— એટલે શું હું મારો કાર્યક્રમ કેન્સલ કરી નાંખું?

રંગલી— સવાલ જ નથી રંગલા.   તને જો માણસાઈમાં ભરોસો હોય તો તારે ભગવાન છે કે નહીં એ પીંજણમાં પડવાની જરૂર નથી! ચિંતન કરનારા ભલે કર્યા કરે! આપણે આપણું કામ કરતાં રહીએ!

રંગલો— એટલે? મારે ચિંતન કરવાની જરૂર નથી?

રંગલી– ના. બિલકુલ નહીં. ચાલ એ વિચાર જ મનમાંથી કાઢી નાંખ. આપણું કામ છે ખેલ કરવાનું. ખેલ એ જ આપણું ચિંતન.

રંગલો—- એમ હોય તો લે આ રંગલો આવ્યો પડમાં!

[નાચીને]

માણસાઈ હોય હૈયામાં  તો  ચિંતા કરવી નહીં

ભગવાન છે કે નહીંનું પીંજણ કરવું નહીં

કારણ વગર ભેજાનું કરવું નહીં દહીં

[બંને  સાથે] તા થૈયા થૈયા ને તા થૈ.

મેરે દિલમેં આજ ક્યા હૈ…

મિત્રો, આ પહેલાંની પોસ્ટમાં જે રચના મૂકી હતી તેની પહેલી બે પંક્તિ આ પ્રમાણે છે:

બેફિકર થઈ હું મિલાવું હાથ પણ

શહેરમાં શકમંદ એકે એક જણ.

આ પંક્તિઓ બાબત અમારે થોડી [ઝાઝી!!!] વાત કરવી છે. પણ  તે પહેલાં એક ગીત યાદ કરાવું.

મેરે દિલમેં આજ ક્યા હૈ…

આ પંક્તિ વાંચીને તમને રાજેશખન્નાવાળી ફિલ્મ “દાગ” યાદ આવી ગઈ હોય તો સોનામાં સુગંધ જેવું! પર્દા પર ખન્નાજીએ તેમની આગવી અદામાં આ ગીત રજૂ કરીને નાયિકાની સાથે સાથે પ્રેક્ષકોને ખુશ કરી દીધાં હતાં.

અમે  વર્ષો પહેલાં આ ફિલ્મ જોઈ હતી. ત્યારે અમે નાદાન હતા એટલે અમારા દિલમાં કોઈ સવાલો જાગ્યા નહીં. વળી ત્યારે  અમારી વાત સાંભળનાર કોઈ નહોતું જ્યારે આજે ભગવાનની [ ભગવાન મતલબ wordpress ] દયાથી તમે લોકો છો!!! { કોઈને આ બાબતમાં wordpress ની કોઈ મહેરબાની ન જણાય એવું પણ બને! આ તો અમને જે લાગ્યું તે લખ્યું!! }

અમારું કહેવું એમ છે કે: ફિલ્મમાં બતાવેલા સંજોગોમાં નાયકના દિલમાં શું હોય તે નાયિકાને ખબર ન પડી જાય? નાયકે તે કહેવું પડે? કે પછી પ્રેક્ષકોને ધ્યાનમાં રાખીને ગીત બતાવ્યું હશે! અરે એણે બીજા કોઈ કલાસ ન ભર્યા હોય ને માત્ર હિદી ફિલ્મસ્ જોઈ હોય તો પણ એને ખબર પડી જાય કે આવા સંજોગોમાં નાયકના દિલમાં શું હોય! અરે! આ ફિલ્મની પહેલાં તો “આરાધના” આવી ગઈ હતી! અને “રૂપ તેરા મસ્તાના…” ગીત પણ આવી ગયું હતું! વળી આજ નાયક હતો અને આ જ નાયિકા હતી! તો પણ ફરીથી ભૂલ! ભૂલોની જ પરંપરા!

અમારું કહેવું એમ છે કે: આવા વિશિષ્ઠ સંજોગો ન હોય અને સામાન્ય સંજોગો હોય તો પણ નાયિકાને ખબર પડી જ જાય કે, નાયકના કે ખલનાયકના દિલમાં શું છે! નાયકે એ વાત  હાવભાવ સાથે અન્ય ગાયક કલાકારની મદદથી જણાવવાની જરૂર રહેતી નથી!

પણ .. ફિલ્મ બનાવવાનો સવાલ હતો! એટલે આ સરસ મજાનું ગીત બતાવ્યું!  ગીત એ મોટાભાગની હિદી ફિલ્મનો પ્રાણવાયુ છે! હિંદી ફિલ્મ એ માછલી જેવી હોય છે. માછલીએ જેમ શ્વાસ લેવા માટે વારેવારે પાણીની સપાટી પર આવવું પડે છે તેમ હિંદી ફિલ્મની પણ મજબૂરી છે કે એણે વારેવારે કહાનીની બહાર ગીત લેવા આવવું પડે છે! ઘણી ફિલ્મસ્ તો ગીતો થકી જ તરી ગઈ છે!

ચાલો જવા દઈએ એ મુદ્દો! આપણે યાદ કરીએ એ ગીત… મેરે દિલમેં આજ ક્યા હૈ.. તૂ કહે તો મૈ બતા દૂ…અમારું કહેવું એમ છે કે: શું નાયક ખરેખર જે પોતાના દિલમાં હશે એ બતાવવાની વાત કરે છે કે પછી બીજું કશું ક ભળતું જ! શું ખરેખર કોઈપણ વ્યક્તિ દિલની વાત કહે છે ખરી? ખરેખર દિલમાં જે હોય તે કોઈ કહે છે ખરું?

આજ ફિલ્મમાં આગળ જતાં બીજું એક ગીત આવે છે કે:  જબ ભી જી ચાહે નઈ દુનિયા બસા લેતે હૈ લોગ, એક ચેહરે પે કઈ ચેહરે લગા લેતે હૈ લોગ...

આવી  ગઈને એ જ વાત કે:

ચાવવાના દાંત જુદા ને બતાવવાના જુદા ! … મુખમેં રામ બગલમેં છૂરી!  …માણસના મનને કોણ ઓળખી શક્યું છે? .. મુખવટો… આંચળો…બેવડું વ્યક્તિત્વ … દંભ… વગેરે વગેરે વગેરે!

પણ નાયક શું કહે છે? એનું તો કહેવું છે કે, આ બધું હાલાતને કારણે થયું!

હાલાત, સંજોગો, સમય, વક્ત, મજબૂરી, જરૂરિયાત… આ બધા કેવા મજાના શબ્દો છે! ખરા સમયે કેવા કામ લાગે છે! ચાલો જોઈએ…

હું તો ભાઈ ભગવાનનો માણસ! પણ સંજોગોએ ભાન ભુલાવ્યું!

શું કરીએ? સમય એવો આવ્યો! બાકી અમે જિંદગીમાં કદી આવાં કામ કર્યાં નથી!

સમય ભાન ભુલાવે છે ભાઈ! નહીં તો પાંચમાં પૂછાતો માણસ આવું કરે?

સંજોગો જ માણસને મજબૂર કરે છે!

… ઓળઘોળ જાય બધું સંજોગો કે સમય પર! આપણો શો વાંક!

બધાંને સાફ દિલના રહેવું છે પણ મજબૂરી!!! નથી રહેવાતું!! કારણ તો કે, દુનિયા એવી જાલિમ છે! થાય તેવા થઈએ તો ગામ વચ્ચે રહીએ! જમાનો ખરાબ છે! કોણ ક્યારે બાટલીમાં ઉતારીને બૂચ મારી દે તે કહેવાય નહીં. સંભાળી સંભાળીને જીવવા જેવું છે! … આમને આમ સંભાળતાં સંભાળતાં આપણે દૂધને બદલે છાશ પણ ફૂંકી ફૂંકીને પીતાં થઈ જઈએ છીએ! ને આપણને ખબર પણ નથી પડતી કે: જમાનો તો પહેલાં જેવો ભલે ન રહ્યો હોય પણ આપણે પોતે પણ પહેલાં જેવા નથી રહ્યા!!!  જાતનો બચાવ કરતાં કરતાં બીજાનો શિકાર કરતાં થઈ જઈએ છીએ! સામે આવનારો એકે એક માણસ જાણે આપણને બાટલીમાં ઉતારવા જ આવ્યો હોય તેવું લાગે છે!!!  ખરાબ અનુભવોના બહાનાં મદદે આવે છે!! ને આપણે હોશિયાર થઈ જઈએ છીએ! પછી ભલે મામલો ધંધાનો હોય કે સંબધનો હોય કે વહેવારનો હોય! આપણી આંખો પર જાસુસનાચશ્માં લાગી જાય છે! .. ને લખનાર લખી નાંખે છે કે:

બેફિકર થઈ હું મિલાવું હાથ પણ

શહેરમાં શકમંદ એકે એક જણ.

કોઈને કદાચ એમ થાય કે: આ લખનાર આખા શહેરને શકમંદ કહે છે તો પોતે શું સજ્જનનો સાતમો અવતાર છે? પોતે શું હંમેશા ભરોસાને પાત્ર છે? બીજાને શકમંદ કહેનાર પોતે કેવો છે તે નહીં વિચારતો હોય? પોતાની જાતમાં ડોકિયું  નહીં કરતો હોય? અરે! હાથ ન મિલાવવો  હોય તો ન મિલાવે! પણ બીજાને શા માટે વગોવે છે?

થાય! કોઈને પણ થાય! અને થવું જ જોઈએ! કોઈએ જે પણ લખ્યું તેના પર ઓળઘોળ થઈ જવાની જરૂર નથી! સારું સારું લખનાર પોતે ખરેખર બત્રીસ લક્ષણો હશે એમ માનવાની જરૂર નથી! સુંદર મજાની ચિંતન કણિકાઓ લખતો ચિંતક દૂરથી દેખાતા અને કુદરતી દૃશ્ય દોરવામાં કામ લાગે તેવા રળિયામણા ડુંગર જેવો હોય છે! નજીક જાઓ તો ખબર પડે કે: કેટલા કંટકો સંઘરીને બેઠો છે! તેને સારા સારા વિચારો આવવાનું કારણ નિયમિતરૂપે મળી  જતા પુરસ્કારના ચેક પણ હોઈ શકે! અત્રે આ લખનારને સારું લખવાની આવી કોઈ મજબૂરી નથી. તે કોઈ ચિંતક પણ  નથી. છતાંય તે ક્યારેક ભૂલથી સારું સારું લખી નાંખતો હોય તો પણ તેનું લખાણ સવાલોને પાત્ર હોઈ શકે! કોઈ મફત ભજીયાં ખવડાવે એનો અર્થ એ તો નથીને કે, તે વાસી ભજીયાં ખવડાવે!

તો વાત કરીએ મુદાની! આ લખનારે શું લખ્યું છે? શહેરમાં શકમંદ એકે એક જણ! તો એકે એક જણમાં તે પોતે પણ આવી ગયોને?

તો પછી?

ગાંધીજી બ્લોગજગતમાં હોત તો

[તસવીર: સહુના  હૃદયમાં છે. ]

ધારો કે: ગાંધીજીના વખતમાં બ્લોગજગત હોત અથવા તો આજના બ્લોગજગતમાં ગાંધીજી હોત તો તેઓ શું લખત એ બાબત ઘણી કલ્પનાઓ થઈ શકે.

અમને લાગે છે કે તેઓ આવું કશુંક જરૂર લખત….

પ્યારા બ્લોગજનો; આજથી, તમારા બ્લોગ પર ન આવનારના બ્લોગ પર જજો. તમારું લખાણ ન વાચનારનું પણ લખાણ વાંચજો. તમને પ્રતિભાવ ન આપનારને પણ પ્રતિભાવ આપજો. બ્લોગજગત લેણદાર છે. તમે દેણદાર છો.”

સ્વાદિષ્ટ સેવખમણી

[બ્લોગજનો, આજે અમે આપની સમક્ષ લાવ્યા છીએ સ્વાદિષ્ટ સેવખમણી. સેવ સમાન વિવિધ તસવીરોની  સાથે  ખમણી જેવી કાવ્યપંક્તિઓનું મિશ્રણ કરીને આ સેવખમણી તૈયાર કરી છે. કાવ્યપંક્તિઓ   શ્રી રમેશ પારેખના  કાવ્યસંગ્રહ "છ અક્ષરનું નામ"માંથી લીધેલી છે. ]

ઊભો છું સ્થિર તોય હું લાગું છું પ્રવાસમાં

મારાથી ગુપ્ત થાય કશું આસપાસમાં .

*******************************

આ ધોતી ઝભ્ભા જાકિટમાં શકમંદ શખ્શ છે

હલંચલન છે ભેદી , એનાં ભેદી નાક નક્શ છે.

**************************************

ચીતરી બેઠા છીએ જેના વડે

એ જ આંગળીઓથી પહાડો ભૂંસીએ

પણ પડી હો કાચના ચહેરા ઉપર

કઈ રીતે તેવી તિરાડો ભૂંસીએ.

*********************************

હા, ફલક કોરું ભરી શકતો નથી

એકાંતને હું ચીતરી શકતો નથી

પાંપણો મીંચી દીધાથી શું વળે

એમ કૈં સૂરજ ખરી શકતો નથી.

******************************

બધાને આવતો સરખો વિચાર હોઈ શકું

અગર વિચારના વર્તુળની બહાર હોઈ શકું

હું કોઈ નક્કી નથી કે મને વિચારી શકો

જીવું અને જિંદગીમાંથી ફરાર હોઈ શકું

************************************

કદી આવે ઠોકર મદદગાર થઈને

નડે તો ચરણ પણ નડે એ ય સાચું

હું પથ્થર વિષે કોતરાયેલું પંખી ને

પાંખો સતત ફડફડે એ ય સાચું

*****************************

હું જ્યાં વસું છું એ એવી સૂની હવેલી છે ,

ભીંતોની જેમ હવા સ્તબ્ધ થઈ ઊભેલી છે.

મને ખબર નથી શું લખાશે બચેલા હિસ્સામાં ,

મેં કોરા કાગળે મારી સહી કરેલી છે.

***************************************

બાપા આવે છે

જય જલારામ.
આજે જલારામ જયંતી છે.
સંત જલારામ. ભગત જલારામ. બાપા જલારામ. વીરપુરના વાસી જલારામ.
એ જલારામ કે જેણે તરસ્યાને પાણી પાયા. ભૂખ્યાને ભોજન દીધા. થાકેલાને આશરો દીધો.
એ જમાનામા.. કે જમાનામાં આટલી બધી સગવડતાઓ નહોતી. આટલા બધાં સાધનો નહોતાં. આવા રસ્તા નહોતા. આવાં વાહનો નહોતાં. તોય વીરપુર જેવાં નાનકડાં ગામમાં એક સામાન્ય વેપારીના દીકરાએ ભક્તિ,ભજન,સત્સંગ અને સેવાનો કારોબાર શરૂ કર્યો. આજે ભલે છપ્પનભોગ,ભંડારો કે મહાપ્રસાદનાં આયોજન છાશવારે થતાં હોય પણ ત્યારે જલારામે કેટલી કેટલી મુસીબતો વેઠીને અતિથીઓનાં ભાણાંમાં શાક,રોટલો કે ખીચડી મૂક્યાં હશે? ને આટલું ઓછું હોય એમ પાછા સત્સંગ માટે વીરપુરથી ઠેઠ ફત્તેપુર[અમરેલી] ગુરુ ભોજા ભગત પાસે પહોંચતા. વાત વાતમાં હાંસીને પાત્ર ઠરતો હતો એ જલો પછીથી જલારામબાપા કહેવાયો. કોઈ જાતના પ્રચાર વગર. માત્ર ને માત્ર પોતાનાં કાર્યોથી.
જલારામ જેવા કોઈ પણ સંતોએ ભલે કોઈપણ જ્ઞાતીમાં જન્મ લીધો હોય પણ તેઓનું જીવન સમગ્ર સમાજ માટે સમર્પિત હોય છે. જલારામ લોહાણા કે ઠક્કર જેવી વેપારી જ્ઞાતિમાં જન્મ્યા હતા. સ્વાભાવિક રીતે જ આ જ્ઞાતીને આ બાબતનો ગર્વ હોય. અમારા મનમાં પણ એવો ભાવ રમતો હોય છે. પણ અમે જાણીએ છીએ કે એ માત્ર અમારા બાપા નથી. આપણા સહુના બાપા છે. જલારામને મન કોઈ ભેદ નહોતા. નાત,જાત કે ધર્મના ભેદ નહોતા. અમીર-ગરીબના ભેદ નહોતા. સમાજના તમામે તમામ વર્ગના લોકો જેને ચાહતી હોય એવી વિભૂતિ કોઈ ચોક્ઠામાં પૂરાઈને રહેતી નથી.
બીજી વાત. આવા ભક્તો કે સંતોના જીવન સાથે અનેક ચમત્કારોની વાતો જોડાયેલી હોય છે. આજે પણ બાપાના જીવન સાથે નાના મોટા પરચા કે ચમત્કારોની વાતો જોડાતી હોય છે. સહુની શ્રધ્ધાને અમે નમસ્કાર કરીએ છીએ. પણ અમને વાત વાતમાં માનતા માનવાની આદત નથી. અમે બાપા પાસે આશીર્વાદ માંગીએ છીએ પણ અમારા સંઘર્ષ વગર ચમત્કારની આશા રાખતા નથી. સંતાનો પરિક્ષામાં પાસ થઈ જાય, કોઈને નોકરી મળી જાય કે કોઈની નાનીમોટી બીમારી મટી જાય એ બધી વાતો આનંદ આપનારી છે.પણ એથી કરીને મહેનત કે સંઘર્ષનો મહિમા ઘટવો ન જોઈએ એવું અમે નમ્રપણે માનીએ છીએ. એવી જ રીતે ચમત્કારોની છાયામાં જલારામબાપાનો પોતાનો સંઘર્ષ પણ અમે ભૂલવા માંગતા નથી..
અમે જ્યારે જ્યારે વીરપુર જઈએ છીએ ત્યારે ત્યારે અમને એવી ક્લ્પના કરવવી ગમે છે કે જાણે આ દેખાય છે એ કશું જ નથી. ન બજાર.ન દુકાનો. ન વાહનો. ન પાકા રસ્તાઓ. નાનકડું ખોબા સમાન ગામ છે. ગામની બહાર ખેતરોની વચ્ચે વાંકોચૂકો કેડો છે. કેડા પર કોઈ કહેતા કોઈ નથી. અને પછી લાગે છે કે કોઈ આવી રહ્યું છે. .. પછી ઓળખાણ પડે છે કે: અરે! આ તો બાપા આવે છે. જલાબાપા. હાથમાં લાકડી.ખભે જોળી. માથે પાઘડી.અને અંતરમાં રામ.
ઘણું કરીને અમે ધર્મ,ભક્તિ કે સત્સંગની વાતોની રજૂઆત કરતા નથી. અમે એમાં ઊંડા ઉતર્યા નથી. વધારે જાણતા નથી. એટલે ડહાપણ કરવામાં માનતા નથી. જલારામબાપા જીવન વિષે પણ સહુને જાણ છે. અમારે વિશેષ કશું કહેવું નથી. પણ અમારા મનમાં રમતી બેચાર વાતો આ બહાને રજૂ કરવાની તમન્ના અમે રોકી શક્યા નથી.
જય જલારામ બાપા.

ખાડાદર્શન

છેલ્લાં ત્રણેક વર્ષોથી વડોદરા નગરીમાં ખોદકામ અને તોડફોડ પ્રવૃત્તિ ચાલી રહી છે. ઘણી જગ્યાએ ખાડા ખોદવામાં આવ્યા છે અને માટીના ઢગલા કરવામાં આવ્યા છે. અને પછીએ જાણે એ અખંડ રહેવાના હોય એમ વહીવટી તંત્ર એને વતાવતું નથી. વહીવટી તંત્ર આ પ્રવ્રુત્તિને નવસર્જનનું રૂપાળું નામ આપે છે. પણ કેટલાક નગરજનોને  તો આ પ્રવ્રુત્તિ વિસર્જનની પ્રવૃત્તિ લાગી રહી છે અને તેથી તેઓ  અજ્ઞાત ભયથી પીડાય રહ્યાં છે. હતાશા,ઉશ્કેરાટ ,તણાવ જેવી માનસિક બીમારીનો શિકાર થઈ પડ્યાં છે. પ્રસ્તુત લેખથી એ લોકોને થોડીઘણી રાહત પહોંચશે એવા શુભ આશયથી આ લેખ રજૂ કરવામાં આવ્યો છે.

આમ તો અન્યને કોઈપણ પ્રકારનો ઉપદેશ આપવો એ અમારી હેસિયત બહારની વાત છે. પણ  ખબર નહીં, ઉમરનો પ્રતાપ હોય કે પછી વાતાવરણની અસર હોય! આજકાલ અમને બધી બબતોમાં  શાંત ચિત્તે અને હકારત્મક રીતે વિચારવાની આદત પડતી જાય છે. આ  ખાડાઓ અને માટીના ઢગલાઓ નો અમે પૂરતો અનુભવ લીધો છે અને એ બાબત બાબત અમે ઘણું ચિંતન કર્યું  છે. એથી કરીને અમને  દિવ્ય કહી શકાય એવાં જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે. જ્ઞાન જેટલું વહેંચાય એટલું સારું એવી અમારી  માન્યતા છે. એ માન્યતાને આધીન અમારું  જ્ઞાન વહેંચવાનો  અમારો આ પ્રયાસ છે. અમને વિશ્વાસ છે કે  સુજ્ઞ વાચકોને અમારો આ પ્રયાસ  જરૂર ગમશે.

એક દિવસ અમે  અમારાં દ્વિચક્ર વાહન પર સવાર થઈને શહેરમાં નીકળ્યા હતા.  અચાનક જ  અમે  એવી જગ્યાએ પહોંચી ગયા કે  જે અમને સાવ અજાણી લાગી. એકદમ ઉજ્જડ જગ્યા. માટીના ઢગલા. ઊંડા ઊંડા  ખાડા.  એકાદ જ ખૂલ્લી દુકાન.  આરામ ફરમાવતા કૂતરાઓ.  ઝાડ નીચે વગડાને માણતી હોય એવા ભાવ સાથે ઊભેલી ગાયો. કોઈ પ્રકારનો  અવાજ નહીં. અમને નવાઈ લાગી. અમે  એકદમ જ  આ ક્યાં ગામડે આવી પહોંચ્યા? અમને  મતિભ્રમ જેવું થઈ ગયું.  પણ  ત્યાં તો અમારું ધ્યાન  એક મોટા  અને જાણીતા કોમ્પલેક્સ તરફ  ગયું.  ત્યારે અમને  ભાન થયું કે :અરે, અમે  તો વડોદરાના એ  રાજમાર્ગ પર ઊભા છીએ કે  જે માર્ગ ઘણા વખતથી બંધ રાખવામાં આવ્યો  છે.

અમને તો સમગ્ર વાતાવરણ ખૂબ જ ગમ્યું એટલે  મનભરીને ગ્રામ્યદર્શનનો લાભ લીધો.  શહેરની માયાજાળમાં અટવાયેલા એવા અમે વર્ષોથી ગામડે જઈ શક્યા નહોતા. આ તો ઘેર બેઠાં ગંગા! શહેરીજનોએ તો આવી અમૂલ્ય તકનો લાભ લઈને અમારી જેમ ગ્રામ્યદર્શનનો લાભ લેવો જોઈએ. પોતાના બાળકોને હોંશે હોંશે ખાડાના દર્શન કરાવવા જોઈએ.  ગામડે જવું હોય  તો મફતમાં જવાય છે? કેટલું કષ્ટ પડે? પણ અરેરે! મૂઢ આત્માઓ શહેરના વહીવટી તંત્રના શુભ આશયને સમજી શકતા નથી. મજાનો   લહાવો લેતા નથી અને છાપાં ની વાદેવાદે વ્યર્થ  ઉહાપોહ કરે છે.

… અને આ માટીના ઢગલા! અહાહા! માટીમાં રમતું આ નગર ફરી મળે ના મળે! આટલી માટી સાથે અને આટલો વખત આ શહેર કદી રમ્યું નથી!! અરેરે! શહેરમાં ક્યારેક તો  શોધી માટી પણ નથી મળતી! અને જ્યારે માટીના એકાગ્ર ચિત્તે દર્શન કરવાનો મોકો મળ્યો છે ત્યારે વાતવાતમાં ‘ આ બધું ક્યારે સરખું થશે?’ એવા અર્થહીન પ્રશ્નો કરનારાંને શું કહેવું? અરેરે! આડે દિવસે વતનની ધૂળને માથે ચડાવવાનાં ગીતો લલકાવનારા , તમને  જ્યારે ખરેખર એ ધૂળમાં નહાવાનો મોકો મળ્યો છે ત્યારે ઊભી પૂછડીએ  ભાગો છો? આ તમારો દંભ નથી તો બીજું શું છે?  કથાકારો ગળું ફાડી ફાડીને કહે છે કે ‘એક દિવસે તો આપણે માટીમાં જ મળી  જવાનું છે.’ તો  પછી આપણાં ભવિષ્યનાં રહેઠાણને મનભરીને નીરખવાના બદલે દુ;ખી થવાનો અર્થ ખરો? અમે તો કહીએ છીએ કે  કે કશો જ અર્થ નથી!વાતવાતમાં માતાપિતાને  AC મુકાવી દેવાની સલાહ આપનારા સંતાનોને એ માબાપ કહી શકે કે : ‘દીકરાઓ, AC  મુકાવવું જ હોય તો આ ખાડામાં મુકાવીએ કારણ કે એ જ આપણું કાયમી રહેઠાણ  છે. ‘

એ તો સાવ સાદી ને સીધી વાત છે કે  ખાડો  હોય તો દી ક્યારેક પડી  પણ જવાય. TV ના પરદે વિદેશીઓની  જીવના જોખમે રમાતી રમતો જોઈને ‘ આપણે ત્યાં આવું બધું  ક્યારે આવશે?’ એવા સવાલો કરીને જીવ બાળનારાં  સાહસપ્રિય લોકોને તો  આ ખાડાઓ તો મફતમાં મળેલી ભેટ જેવા લાગવા જોઈએ. જોખમ વગરનું જીવન શાં કામનું? નગરના કવિઓએ તો  ખાડાકાવ્યો રચવા જોઈએ જેવાં કે : ખાડાની  ધારે ધારે તું  ચાલ્યો જા… ચાલ્યો જા…

પણ આવું ક્યાં કોઈને સૂઝે  છે? ખાડામાં પડવાના એકાદ બે બનાવ બને છે કે છાપાંમાં સવાલો પૂછાય છે કે : ‘વહીવટી તંત્ર હજી કેટલાંના ભોગ લેશે?’   પણ  અમારો સવાલ છે કે ખાડાઓ પુરાશે પછી  વધારે ભોગ નહીં લેવાય? લેવાવાના જ છે. કારણ કે ખાડા પુરાશે તો રસ્તા સારા થશે અને મોટા થશે. પરિણામે વાહનોની અવર જવર વધશે અને એમની ઝડપ પણ વધશે જેનાં પરિણામે અકસ્માતો વધશે ને ભોગ લેવાનો આંકડો વધશે.એથી કરીને અમારું માનવું છે કે વહીવટી તંત્ર જે વિલંબ દાખવી રહ્યું છે તે જાહેર જનતાના લાભાર્થે જ છે. ખરેખર તો આ    વિલંબ  લાગતાવળગતાઓને   ખાડાની ધારે કે માટીના ઢગલા પર ઊભા રાખીને  જાહેરમાં  સન્માન કરવું જોઈએ.

ખાડા ખોદાય ત્યારે ટેલિફોનખાતામાં  ફલાણી જગ્યાએ કેબલ કપાયો… કેબલ કપાયો… એવા ખબર ફરી વળે છે. જાણે કે કોઈ વીર યોધ્ધો રણ મેદાનમાં વીરગતિ પામ્યો હોય!  એ કેબલ સંધાય ત્યાં સુધી સૌ ટેલિફોન ધારકોને ટેલિફોનથી મુક્તિ મળે છે . વ્યર્થ વાણીવિલાસ અટકે છે. સમયની ઘણી જ બચત થાય છે. જે સમયનો ઉપયોગ પ્રભુ સ્મરણ માટે કરી શકાય. મૌન ધારણ કરીને બેઠેલા ટેલિફોનમાં સૌએ  તપ કરવા બેઠેલા મુનીનાં  દર્શન કરવા. ધંધામાં નુકસાન જવાની વાતો કરીને સરકારી ખાતાઓને દોષ દેનારા કમાણી કરતી વખતે એ જ ખાતાઓને કેમ યાદ નથી કરતા?  જે કાંઈ તકલીફો પડે છે તે તમને  આવી વાતોનું ભાન કરાવવા માટે માટે પડે  છે એમ માનવું.

ખાડાની કામગીરીના કારણે જેમની દુકાને ઘરાકો ન આવી શકતા હોય એમણે આવી નવરાશ  મળવા  બદલ રાજી થવું જોઈએ.  દુકાનો બંધ કરીને આરામ કરવો જોઈએ. ફરવા જવું જોઈએ. સગાવ્હાલાંને ત્યાં મહેમાન તરીકે ધામા નાખવા જોઈએ. કારણ કે અમસ્તા દુકાન બંધ કરવાનો  જીવ ચાલતો નથી. બીજો દુકાનદાર વધું કમાઈ લેશે એવો ડર લાગે છે!! જ્યારે સૌના ધંધા બંધ હોય ત્યારે એવો ડર રહેતો નથી.

આમ  ખાડાઓના કારણે  કેટલાય  વળગણોથી થોડીઘણી પણ   મુક્તિ મળે છે. જેથી કરીને સરવાળે આપણાં જીવને નિરાંત મળે છે. બીજું આપણને જોઈએ શું?

અને છેલ્લી વાત. કેટલાક લોકો કહે છે કે આવા ખાડા ખોદીને જે તે  ખાતાંવાળાં પૈસા  ખાય છે! લો કરો વાત! ખાતાંવાળા મફતમાં તો પૈસા ખાતા નથી! આપણને માટી ખવડાવીને પૈસા ખાય છે. પછી કકળાટ શાનો?

અમે માનીએ છીએ કે જે કોઈ  પૂરા ભાવથી ખાડાદર્શન કરશે એમને  અમને  થયું એવું જ દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થશે. ખાડા જેવા અમને ફળ્યા એવા સૌને ફળજો! અસ્તુ!  જય ખાડેશ્વર.

આ નવું શું થાય છે ટોળે વળો

નગર તસવીર:ધવલ ઠક્કર

નગર તસવીર: ધવલ ઠક્કર લેખ:યશવંત ઠક્કર

આપણું નગરજીવન સાચી ને ખોટી રીતે ઘણું જ વગોવાયું છે. નગરજીવન બાબત કેટલીક મુખ્ય ફરિયાદો  આવી હોય છે.

[1] નગર કે શહેરમાં કોઈ કોઈનું નથી.  સાચો માણસ મળવો મુશ્કેલ છે.

[2] નગરમાં ઘાસ અને વૃક્ષોનો સફાયો થઈ જતો હોય છે . ગાયમાતાઓ ઘાસના અભાવે પ્લાસ્ટિકની થેલીઓ ખાતી હોય એ જાણે કે સ્વાભાવિક ગણાવા માંડ્યું છે.

[3] નગરમાં પક્ષીઓ માટે કોઈ જગ્યા નથી.  પક્ષીઓના ટહુકા ડોરબેલ કે ટીવી મારફતે સાંભળીને સંતોષ માનવો પડે છે.

[4] શહેરમાં ચોખ્ખી હવા માટે ફાંફા મારવા પડે છે.

[5] શહેરમાં લાજ શરમ નેવે મુકાઈ ગયા છે. ખાસ કરીને કન્યાઓ અને મહિલાઓની બાબતમાં.

… ઉપર જણાવેલી બાબતો રજૂ કરતી હોય એવી અનેક કવિતાઓ ,વાર્તાઓ કે અન્ય પ્રકારની રચનાઓ  આપણે માણી ચૂક્યા છીએ. પરંતુ આજની તારીખે આ તમામ મુદ્દાઓ સાથે મને સો ટકા સહમત થવા જેવું લાગતું નથી.

કારણ કે મને લાગે છે કે…

- હજી શહેરમાંથી માણસાઈએ સંપૂર્ણ વિદાય લીધી નથી.

-શહેરમાં  હજી પણ ગાયમાતાને ખાવા માટે ક્યાંક ક્યાંક  ઘાસનાં તરણાં નસીબમાં છે.

- શહેરના બહારના વિસ્તારમાં રહેતા લોકોને કોકિલનો કલશોર કે મોરલાનો કેકારવ કે કબૂતરનું ઘૂ ઘૂ ઘૂ સાંભળવા મળી શકે છે. જો સાંભળવાનો ઈરાદો હોય તો!

- જો શહેરમાં હજી પણ  કેટલીક જગ્યાએ  ચોખ્ખી હવા મળી શકે છે. અલબત્ત એ માટે આઘાંપાછાં  થવું પડે.

- છેલ્લો મુદ્દો નાજુક છે. ગેરસમજ કરે એવો છે.  પણ આજની નારી જ્યારે તમામ  ક્ષેત્રમાં પોતાની શક્તિ પૂરવાર કરે રહી છે ત્યારે કઈ કન્યા ખરેખર આવું કહેશે કે :

ત્રાજવે ત્રફેંલા મોરની ભેળી હું છાનકી વાતું કરું રે લોલ

લોલ, મારે મોભારે કાગડો બોલે ને અમથી લાજી મરું રે લોલ    [રમેશ પારેખ નાં ગીતમાંથી]

એટલે બિન જરૂરી લાજ શરમ નેવે મુકાઈ ગયા હોય તો સમયનો તકાજો છે.  બાકી .. શરમાતી કન્યાઓ હજી પણ  જોવા મળી શકે છે.

… પણ ધારો કે ભવિષ્યમાં ખરેખર શહેરનું જીવન  ઉપર જણાવેલી તકલીફો ના  પ્રભાવ  હેઠળ સો  એ સો ટકા આવી જાય તો .. તો … તો … મારા જેવો  અ- કવી કેવી રચના કરે.

એક કલ્પના રજૂ કરવાનું મન થાય છે.

ટોળે વળો

આ નવું શું થાય છે  ટોળે વળો.

એક માણસ જાય છે  ટોળે વળો.

ઘાસ ઊગ્યું આ નગરની મધ્યમાં

ગાય તરણાં ખાય છે ટોળે વળો.

સાવ અસલી એક પક્ષી જોઈ લો

ગીત મીઠાં ગાય છે ટોળે વળો.

ના ધુમાડાનું  નથી નામો નિશાન

વાયુ ચોખ્ખો  વાય છે ટોળે વળો.

માનવામાં આવશે એ  વાત  કે

છોકરી શરમાય છે ટોળે વળો.

ફાગણની ઝાળઝાળ બળતી વેળામાં… ગરમીમાં ઠંડીનો એહસાસ! — યશવંત ઠક્કર

શિયાળો ઓણસાલ ઓછો રોકાયો હોય એવું લાગે છે. આજકાલ વધતું જતું તાપમાન સમાચાર અંને ચર્ચાનો વિષય બન્યું છે ત્યારે શહેરના રાજમાર્ગ પર ભાગતા માણસને રોકીને પૂછ્યું હોય કે ભલા માણસ તને ફાગણ ફોરમતો આયોની ખબર પડી? તો કશો જવાબ આપ્યા વગર ચહેરા પર 42 ડીગ્રી તાપમાનનો આંક બતાબતો ભાગી જાય એવી શક્યતા વધારે છે. પણ આજ માણસ આપણને નવરાત્રિના તહેવાર વખતે ‘ફાગણ ફોરમતો આયો’ ગીત પર ઝૂમતો દેખાય તો આંચકો ન ખાવો. આતો Airconditioned Hotel માં બેસીને રોટલો અને અડદની દાળ ખાવાની મજા માણવાની વાત છે!!

પરંતુ એક કવિને આવા જ દિવસોમાં અમરેલીમાં જિંદગીની દોડધામ વચ્ચે પણ એક મજાનું ગીત સૂજ્યું. કવિ નામે રમેશ પારેખ અને ગીત આ રહ્યું……..

તારું પહેલા વરસાદ સમું આવવું

ફાગણની ઝાળઝાળ સુક્કી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું

હવે આંખોને કેમરે ભુલાવવું

બળતે બપોરે ભીનો પગરવ સુણીને

કાંઈ વાસ્યાં કમાડ અમે ખોલ્યાં

ચારે આંખોનાં એવાં અંધાર્યાં વાદળાં

કે શમણે આવેલ મોર બોલ્યા

ઓચિતા ધોધમાર સામસામે આપણે ઊભા રહ્યાં-નું પૂર આવવું

ફળિયે પલાશફૂલ નીતરતું ઝાડ

અને હું રે વેરાઈ જઉં રાનમાં

મારી હથેળીમાં ય એવી રેખાઓ

જેવી રેખા છે ખાખરાનાં પાનમાં

લીંબોળી વાવીને છાંયડા ઊછેરું પણ ચોમાસું કેમ કરી વાવવું ?

ફાગણની ઝાળઝાળ બળતી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું

હવે આંખોને કેમરે ભુલાવવું

********

*માત્ર ને માત્ર એક પ્રશંશક તરીકે કેટલાક ચમકારા રજૂ કરવાનું મન થાય છે

*આંખોને શું નથી ભુલાતું?: કોઈનું આગમન.

*કોઈનાં આગમનનો સમય : ફાગણની ઝાળઝાળ સુક્કી વેળામાં.

*આગમન કેવુ? : પહેલા વરસાદ સમું.

*પગરવ કેવો?: ભીનો ને વળી એવો કે જેને સાંભળીને કળી શકાયો.

*આવનારને શાની તકલીફ લેવી ન પડી?: બારણું ખખડાવવાની કે ‘ ડોર-બેલ’ વગાડવાની.

*વાદળાં શેનાં અંધાર્યાં? : ચારે આંખોનાં.

*ક્યા મોર બોલ્યા?: શમણે આવેલ.

*શેનું પૂર આવ્યું?: ઓચિતા ધોધમાર સામસામે બેઉનું ઊભા રહ્યાંનું.

*ફળિયે ઝાડ કેવું?: પલાશફૂલ નીતરતું.

*ક્યાં વેરાઈ જવાની વાત ?: રાનમાં.

*હથેળીમાં રેખઓ કેવી?: જેવી રેખા છે ખાખરાનાં પાનમાં.

*છાંયડાં કેવી રીતે ઊછેરી શકાય?: લીંબોળી વાવીને.

*મૂંઝવણ શાની થાય છે?: ચોમાસું વાવવાની.

*અરે યાર … આવું તો બધા બહુંને થયું હશે પણ આવું ગીત લખ્યું કેટલાયે?: માત્ર રમેશભાઈએ.

*આ ગીત કેવું લાગે છે?: ગરમીમાં ઠંડીનો એહસાસ કરાવે એવું!

બલિહારી બ્લૉગની —- યશવંત ઠક્કર

મેં થોડુઘણું લખ્યું છે. એમાંથી કેટલુંક છપાયું છે. કેટલુંક ફાડ્યું છે. પણ એક વાત નક્કી છે કે મજા પડે છે એટલે લખ લખ અને હવે ટક ટક કરવાનું મન થયા કરે છે.
એ કેવા દિવસો હતા! ફુલસ્કેપ કાગળોમાં મરોડદાર અક્ષરોમાં વાર્તાઓ લખાતી હતી,મઠારાતી હતી અને મૅગઝિનમાં છપાવવા કાજે હોંશે હોંશે ટપાલપેટીમાં નખાતી હતી.અને પછી સંપાદકશ્રી કે તંત્રીશ્રીના જવાબની ઇંતેજારી! સ્વીકૃત કે સાભાર-પરત! બધું જ જાણે નસીબને આધીન હતું. વાર્તા પસંદ થવી, પસંદ થઈ હોય તો છપાઈ જવી,છપાયા પછી મૅગઝિન સહિત વાર્તાનું પધારવું! બહુ જ સારાં નસીબ હોય તો પુરસ્કાર પ્રાપ્ત થવો!!! વાર્તા ના પસંદ થઈ હોય તો વાર્તાનું હેમખેમ પાછા ફરવું એ પણ નસીબને આધીન! નહીં તો કાળજા કેરો કટકો મારો ગાંઠથી છુટી ગ્યો…
અહાહા! કેવા મીઠી મીઠી પીડા દેનારા એ દિવસો હતા!!
ક્યાં ગયા એ દિવસો! ક્યાં ગઈ એ શાહી દુજતી કલમો!
ક્યાં ગયા એ સામયિકો! [એ વળી કઈ બલા!]
ક્યાં ગયા એ સંપાદકશ્રીઓ..તંત્રીશ્રીઓ..
વાર્તા લઈ જનારા ને લાવનારા એ ટપાલીઓ ક્યાં ગયા?
ક્યાં ગઈ લીલાછમ વૃક્ષની ડાળીએ લટકતી લાલરંગી ટપાલપેટીઓ?
બધું જ જાણેDelete થઈ ગયું!
સર્વસ્વ જાણે કે લુંટાઈ ગયું હતું ! શબ્દો જાણે કે પાંજરામાં પુરાઈ ગયા હતા!
ને જાણે કે ચમત્કાર થયો! અશાનું એક કિરણ જ નહીં ,આખેઆખો સૂરજ ઊગ્યો!!!
Internet નો સૂરજ! ને એ સૂરજના અનેક કિરણો જેવા આ Blogs!
ને મારી આ વાત તમારા સુધી પહોંચી એ બ્લોગની જ બલિહારી નહીં તો બીજું શું?
પણ વિચાર કરો કે ધનાધન પ્રગટ થતા આ બ્લોગ્સને જોઈને પેલા વિદ્વાન સંપાદકશ્રીઓ અને તંત્રીશ્રીઓના આત્મા કેવા કકળતા હશે?

બ્લૉગલેખ  કરનારે  પોતે જ પોતાનાં  લખાણના સંપાદક થવું રહ્યું.