जिंदगी इत्तेफ़ाक हैं!

જિંદગીમાં આયોજન જરૂરી છે.  ધંધા, વ્યવસાય, શિક્ષણ, ઉજવણી, સામાજિક પ્રસંગો વગેરેમાં તો આયોજન ખૂબ જ મહત્વ ધરાવે છે.  એમાં ‘હરિ ઇચ્છા બળવાન’ વાળી વાત ચાલતી નથી. પછી ભલે છેવટે એમ માનવું પડે! પરંતુ શરૂઆતમાં તો આપણે આયોજનને જ મહત્વ આપતા હોઈએ છીએ.

છતાંય એ વાત પણ માનવી જ પડશે કે, જિંદગીમાં કેટલીકક નાનીમોટી ખુશીઓ  આપણને વગર આયોજને પણ મળી જતી હોય છે.  કોઈ પોતાના ઘરના દરવાજે પતંગિયાનું સુંદર ચિત્ર મુકાવીને ખુશ થવાનું આયોજન કરી શકે છે. પરંતુ, ક્યારેક કોઈ જીવતુંજાગતું  સાચુકલું પતંગિયું ઊડતું ઊડતું એના ઘરના દરવાજે આવીને બેસી જાય અને એ જોઈને એને જે ખુશી થાય; એ ખુશી મેળવવા માટે એણે કોઈ જ આયોજન કર્યું હોતું નથી! અરે! એ પતંગિયાને તસવીરમાં કેદ કરવા માટે કેમેરો પણ એણે હાથવગો હોતો નથી! 

કોઈ માણસ  પોતાના આયોજન મુજબ સફરમાં નીકળે છે.  એક બસ ચૂકી જાય છે.  એના અફસોસનો પાર રહેતો નથી.  બીજી બસ પકડે છે.  એમાં બેસવાની જગ્યા પણ મળતી નથી.  વચ્ચે એકાદ સ્ટેશન પર એને જગ્યા મળે છે.  બાજુમાં બેઠેલા માણસ સાથે  વાતચીતની શરૂઆત થાય છે.  બંનેના રસના વિષયો સરખા હોય છે.  છુટા પડતી વખતે નવો પરિચિત માણસ એને પોતાનું ‘વિઝિટિંગ કાર્ડ’ આપે છે.  એ કાર્ડ એની જિંદગી બદલી નાખે છે!  હા, એ કાર્ડનાઆધારે ફરીથી મુલાકાતો થાય છે.  એ મુલાકાતો એને પોતાનો વ્યવસાય જમાવવામાં એવો તો ભાગ ભજવે છે કે, બંને વચ્ચેની પહેલી મુલાકાત એને ચમત્કાર જ લાગે છે! એના વ્યવસાયના વિકાસ માટે મળેલી તકનો લાભ લેવા માટે એણે જરૂર આયોજન કર્યું હોય, પરંતુ એ બંને વચ્ચેની પહેલી મુલાકાત માટેનું  માટેનું આયોજન કોણે કર્યું હશે? 

‘છોટીસી મુલાકત પ્યાર બન ગઈ’ એ  વાત માત્ર ફિલ્મોમાં જ નથી બનતી, હકીકતમાં પણ બનતી હોય છે! એ મુલાકાત મોટાભાગે  આકસ્મિક જ હોય છે! કોઈ યુવાન કે યુવતી પ્રેમમાં પડવાનું આયોજન કરીને કે ચોઘડિયાં જોઈને  ઘેરથી નથી નીકળતાં! પછી એમનાં લગ્ન માટે ચોઘડિયાં જોવાય અને નાનામોટા આયોજનો થાય એ અલગ વાત છે! 

વિજ્ઞાનની કેટલીય  શોધખોળોમાં અકસ્માતે પણ ભાગ ભજવ્યો છે!

સામાન્ય આનંદ મેળવવા માટે પરિવાર ભેગો થયો હોય, એમાં કોઈ એકાદ વાનગી બનાવી હોય અને એ વાનગી સમય જતાં એ પરિવારની ‘પ્રૉડક્ટ ’ તરીકે નામના મેળવે!

પરંતુ, કહેવાનો આશય એ પણ નથી કે, ‘બધું જ અકસ્માતે થાય છે માટે કોઈ પ્રકારનું આયોજન જ ન કરવું.’  વળી, જેમ સુખદ અકસ્માતો થાય છે એમ  દુખદ અકસ્માતો પણ થતા હોય છે.  કેટલાક લોકો જિંદગીમાં સુખદ ઘટનાઓ જ બને અને દુખદ ઘટનાઓ ટળે એ માટે આંધળી વિધિઓમાં જ રચ્યાપચ્યા રહેતા હોય છે.  એ લોકો ભલે ઈશ્વરમાં માનતા હોવાનો ડોળ કરતા હોય, હકીકતમાં ઈશ્વરના નિર્ણયોને ન  સ્વીકારવાનાં એ ધમપછાડા જ હોય છે.  વિજ્ઞાનના કે ટેક્નૉલોજિની મદદથી જીવનને સુવિધાભાર્યું બનાવવું  એ અલગ વાત છે અને વિધિઓ કરાવીને ચમત્કારની આશા રાખવી એ અલગ વાત છે.  

તો ચાલો, તમારા જીવનમાં સુખદ અકસ્માતો થતા રહે એવી શુભ ભાવના સાથે રજા લઉં.  કદાચ કોઈ સુખદ અકસ્માત મારી રાહ જોતો હોય! 

આવજો અને જલસા કરજો. 

આપણા નેતાઓ, નિવેદનો અને અર્થઘટનો!

હે ભારત દેશના નવરંગી નેતાઓ , 

દેશના એક સામાન્ય નાગરિક તરીકે શું કહું તમને? નમસ્કાર? દેશનો સામાન્ય માણસ તમને દિલથી નમસ્કાર કરે એ વાત તો તમને પણ માનવામાં નહિ જ આવતી હોય.  આપણે એમાં નથી પડવું.  વખત આવ્યે સહુ એકબીજાને નમસ્કાર કરતા જ હોય છે.  જેમ કે, ચૂંટણી વખતે તમે લોકો પ્રજાને નમસ્કાર કરો છો અને ચૂંટણી પછી પ્રજા તમને અને તમારા લાગતાવળગતાને.

આજે તમને લોકોને આ દેશની પ્રજા વતી મારો એક પ્રશ્ન છે કે, શું તમે લોકો નિવેદન કર્યા વગર ન જીવી શકો? શું હવા, પાણી અને ખોરાક પછી નિવેદન એ તમારી ચોથી મૂળભૂત જરૂરિયાત છે?  શું એ કુદરતી હાજત છે કે જેને રોકી ન શકાય? અને, એવાં તે કેવાં નિવેદનો કે જેના પર વિવાદ જ થાય? 

એક સામાન્ય પ્રક્રિયા થઇ ગઈ છે કે, કોઈ નેતા પહેલાં એવું  નિવેદન કરે કે જે બળતા પદાર્થ જેવું હોય. પછી મીડિયા એ બળતાં પદાર્થમાં ઘી રેડવાની પોતાની ફરજ બજાવે.  પછી તમારા જ વર્ગના તમારા વિરોધીઓ  એનો  વિરોધ કરે. એ વિરોધમાં જાહેર જગ્યાઓ પર પૂતળાં બળે અને આગ લગાડાય. એ આગ પર તમે લોકો તમારાં રાજકીય પરોઠાં શેકો . અને, પ્રજાજનો કે જેના ચૂલાઓને તમે આગથી વંચિત કરી દીધા છે એ તમારા આ રસોઈ શો જોઈને જીવ બાળે! 

પછી, તમારાં નિવેદનો બદલ તમારા વિરોધીઓ દ્વારા તમારા પર આક્રમણ થાય, તમારાં રાજીનામાં મંગાય, તમારી બચાવફોજ દ્વારા તમારો બચાવ થાય,  આગળપાછળના  હિસાબો  ચૂકતે થાય, મીડિયામાં એની ચર્ચાઓ થાય, ચર્ચાઓમાં બીજા અનેક વિવાદાસ્પદ નિવેદનો થાય અને છેવટે  બાર વરસે મનમોહન બોલતા હોય એવું એક નિવેદન થાય કે,  ”મારા નિવેદનનું ખોટું અર્થઘટન  કરવામાં આવ્યું છે.  એને  તોડીમરોડીને રજૂ કરવામાં આવ્યું છે.”  એ તો  હોના હી થા!   

એકાદ વખત આવું થાય એ માની શકાય. પરંતુ, વારંવાર અને લગાતાર? તમારાં નિવેદનો એવાં કેવાં કે જેનાં અર્થઘટન કરવા પડે! એનો કોઈ સારી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવોને.  અરે, હવે તો  લેખકો અને કથાકારો પણ સુધારી ગયા છે. એ લોકો પણ અર્થઘટન કરવી પડે એવી ભાષા વાપરતા નથી. સામાન્ય માણસને સમજમાં આવે એવી ભાષા વાપરે છે. એ લોકોને પણ સમજાયું છે કે. આજના માણસ પાસે શબ્દકોશમાં જોવાનો પણ સમય નથી. અને તમારાં નિવેદનોનું અર્થઘટન કરવું પડે? એવાં નિવેદનો કરોને કે સામાન્ય માણસ તો શું પણ તમારા વિરોધીઓ પણ અવળું અર્થઘટન ન કરી શકે.  પરંતુ, તમારે એવું કરવું નથી. 

તમે નેતા છો તો નેતા તરીકે ન રહી શકો? તમે પ્રજાનાં કામ કરો એટલે તમારી ફરજ પૂરી. કોણ તમને પૂછે છે કે, ઝીણા માણસ તરીકે કેવા હતા? છોડોને એ વાત.   પાકિસ્તાનના અત્યારના નેતાઓ કેવા છે એ ખોંખારો ખાઈને કહોને.  વિવેકાનંદજી વિષે જાણકારી આપનારા આ દેશમાં અનેક યોગ્ય વક્તાઓ છે. એમના પર વિશ્વાસ રાખોને. દાઉદનો પૂરેપૂરો પરિચય આપનારી ફિલ્મો પણ બની ગઈ છે! તમારે એ બાબતમાં કષ્ટ ઉઠાવવાની જરૂર જ નથી. કોઈ તમને એ લોકોની બુદ્ધિમત્તા વિષે પૂછવાનું નથી.  હા, તમારી માલમત્તા વિષે સવાલો થશે. એ સવાલોના સાચા જવાબો તૈયાર રાખો.  પરંતુ, એ ક્યા સહેલું છે!

ધાર્મિક અને ઐતિહાસિક પાત્રોનો ઉલ્લેખ કર્યા વગર તમારાથી રહેવાતું નથી. રામ, સીતા, રાવણ, કુંભકર્ણ, અર્જુન, દુર્યોધન, દ્રૌપદી, શિખંડી, બાબર, શિવાજી, ચંગીઝખાન … તમે ક્યારે કોને તમારી જબાન પર લાવી દો એ નક્કી નહિ.  તમે તો નિર્દોષ પશુપંખીઓને પણ નથી છોડતા.  તમારા વિરોધીઓની સરખામણી વાંદરા, કૂતરા, ગધેડા, કાગડા, ઘૂવડ વગેરે સાથે  કરવાની તમારી આદત હવે પ્રજાથી છાની નથી રહી. પ્રજા, તમે કહો એને વાનર અને તમે કહો એને સિંહ માની લેશે? પ્રજાને ખબર નથી કે સિંહ કેવો હોય? સપનાંમાંય ગર્જના ન કરી શકતો હોય એને પ્રજાએ સિંહ માની લેવાનો? ઉપમા આપો તો વાજબી આપો. ટાઢા પહોરની ઉપમા નહિ આપો.  ઉપમા અલંકારો વાપરવાના આટલા બધા કોડ હોય તો તમારે કવિ કે લેખક જ બનવું’તુને. નેતા શા માટે બન્યા? નેતા બન્યા છો તો નેતાની રીતે રહોને. કેટલાક નેતાઓ  ટીવીના પરદે ચર્ચા કરતા હોય છે એ દૃશ્ય  જો શેરીના કૂતરાઓ જુએને તો એ લોકો પણ ભસવાની બાબતમાં તમારી સમક્ષ હાર માની લે! મદારી જેમ બાળકોને, સાપ અને નોળિયાની લડાઈ બતાવતો હોય એમ  ટીવી એન્કર દર્શકોને તમારી લડાઈ બતાવે છે. તમારા કર્કશ અવાજમાંથતી ચર્ચા એ શેરીમાં થતા ઝઘડા  જેવી હોય છે. જેનું સમાપન ટીવી એન્કર, સમયનો  હવાલો આપીને કરીને કરે છે.  સાર એવો નીકળે છે કે, આ દેશના નેતાઓને  તંદુરસ્ત ચર્ચા કરતા આવડતી નથી.

ચર્ચાઓ કેવી હોય એનું ઉદાહરણ અમેરિકાના નેતાઓએ હાલમાં જ પૂરું પાડ્યું છે. એકબીજા તરફ માનભર્યું વર્તન,મુદ્દાસર વાત, સમસ્યાઓ વિષે વાત કરતી વખતે ધાર્મિક કે ઐતિહાસિક પાત્રોને વચ્ચે લાવવાના નહિ, નિર્દોષ પશુપંખીઓને ઝપાટામાં લેવાના નહિ, હારજીત થયા પછી પણ અરસપરસ વચ્ચે સૌમ્ય વ્યવહાર, દેશના હિત માટે સહકાર આપવાનું વચન … આ બધું તમને કશી અસર નથી કરતું? 

 દેશહિતના કર્યો કરવામાં ભાગ લઈ રહ્યા છો.  તમે કોઈ વકતૃત્વસ્પર્ધામાં ભાગ નથી લઈ રહ્યા. રામે સીતાને અન્યાય કર્યો હતો  કે નહિ, એવા મુદ્દાઓ પર ઘણી ચર્ચાઓ થઈ ચૂકી છે અને થતી રહેશે. સામાન્ય માણસ પણ  યોગ્ય મંચ પર આવા મુદ્દાઓ માટે પોતાનો અભિપ્રાય ખૂલ્લા મનથી આપી શકે છે.  તમે જે મંચ પર બિરાજમાન છો એ મંચ દેશની વર્તમાન પ્રજાની  ચિંતા કરવા માટેનો મંચ છે.  ભૂતપૂર્વ પ્રજાની ચિંતા કરવા માટે નહિ. એ ચિંતા કરવાવાળા બીજાં ઘણાં છે. દેશની પ્રજાને અત્યારે જે અન્યાય થતો હોય એ માટે તમે ગુસ્સો કરો તો  પ્રજા પણ તમારાં ગુસ્સાને દાદ આપવા તૈયાર છે.  પરંતુ, તમારી દલીલશક્તિ ખોટા માર્ગે વેડફાય છે ત્યારે એમ થાય છે કે,  સાવન જો અગન લગાયે ઉસે કૌન બુઝાયે? ..’

તમારી ફરજ એ છે કે, પ્રજાને જીવન જરૂરી પદાર્થો જેવા કે, શાકભાજી, અનાજ, દૂધ, ગેસ, પેટ્રોલ વગેરે સહેલાઈથી અને વાજબી ભાવે પ્રાપ્ત થાય. પરંતુ, એ બધા પદાર્થોને નજરઅંદાઝ  કરીને તમે ક્યારેક ક્યારેક પ્રેમ-પદાર્થ વિષે નિવેદનો કરવા લાગો છો ત્યારે પ્રજાને લાગે છે કે, આ તે નેતાઓ છે કે વરણાગી વાલમાઓ છે! બરાબર છે કે: પ્રેમ, પ્રિયતમા, પત્ની વગેરે દરેકના જીવનના યથાશક્તિ ભાગ ભજવતાં જ હોય છે.  પરંતુ, ક્યા નેતાની પ્રિયતમા કે પત્ની કેવી છે એની સાથે પ્રજાને શું મતલબ?  અને, કોઈ નેતાને એની પ્રિયતમા કે પત્ની  સાથેનો સંબંધ  કેવો રંગીન છે એનાથી શું લાગેવળગે? તમે તો રંગીન તબિયતના હો એનાથી પ્રજાનો શો દહાડો વળે?  પ્રજાનાં જીવનમાં રંગીનતા જળવાઈ રહે એવાં કામ કરી બતાવો તો પ્રજા પણ રાધાકૃષ્ણના ગીતોની જેમ તમારાં સ્નેહગીતો ગાશે! નવી-જૂની પ્રિયતમા કે નવી-જુની પત્ની, આ બધું શું છે? તમે દેશ ચલાવી રહ્યા છો કે હિન્દી ટીવી-સિરિઅલ ચલાવી રહ્યા છો? પરંતુ, પ્રેમ પ્રકરણોની બાબતમાં તો કેટલાક નેતાઓએ તો અભિનેતાઓને પણ પાછળ રાખી દીધા છે.  નેતાઓની લવસ્ટોરીના અનેક એપિસોડ થાય એટલો મસાલો કેટલાક નેતાઓએ પૂરો પાડ્યો છે. 

તમારા કોઈ નેતાને જમવા માટેનું ૮૦૦૦ રૂપિયાનું ભાણું મોંઘુ નથી લાગતું! કોઈ રીપોર્ટર એને મોંઘુ કહે તો નેતા ગુસ્સામાં પોતાની છાતી કૂટે અને એ મતલબનો બળાપો કાઢે કે,  ’મોંઘવારી છે તો અમારે મોજમજા નહિ કરવાની?’ કરો. મોજમજા કરો. તમારા દિવસો છે. પણ, વાજબી મોજમજા કરો.  પ્રજાને પણ મોજમજા કરવા જેવું રહેવા દ્યો. વીસ રૂપિયાની પાણીની બોટલ પીનારને ૯૦૦ રૂપિયાનો ગેસ સિલિન્ડર મોંઘો ન લાગવો જોઈએ, એ વાત માની લઈએ. પણ બાપલા, વાત માત્ર પાણીની બોટલ કે ગેસ સિલિન્ડર પૂરતી નથી.  જીવન જરૂરિયાતની તમામ ચીજો માટેની પણ છે.  તર્કનાં તીર  વિરોધીઓ કે મીડિયાના કાળજે વાગે કે ન વાગે પણ, પ્રજાને કાળજે વાગે છે.  ચલાવો  ના  નિવેદનો  સે બાણ રે…

મંદિર અને મસ્જિદનું રાજકારણ ખૂબ ખેલાયું.  હવે તમે લોકો મંદિર અને મૂતરડીના પ્રાસ બેસાડવાના ચાળે ચડ્યા છો.  મૂતરડીની ગંદકી તમારા નાક સુધી પહોંચી ખરી! એક ઉપાય છે.  તમારાથી મોંઘવારી દૂર નથી થતી તો તમને લોકોએ FDIનો સહારો લેવાનું  ઠીક લાગ્યું છે. હવે તમને FDIમાં જાદુની છડીનાં દર્શન થવા લાગ્યાં છે.  તો એ જાદુઈ છડીનો ઉપયોગ મૂતરડી ક્ષેત્રે ન કરી શકાય? આ ક્ષેત્ર માટે વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે તમારા નિવેદનોનો ઉપયોગ થઈ શકે એમ છે.  વિચાર કરો.  એ કેવું મજાનું દૃશ્ય હોય કે, હાલની ગંધાતી મૂતરડીઓની જગ્યાએ દસ દસ માળની વોલમાર્ટની અદ્યતન મૂતરડીઓ  હોય! અને, આ દેશના નાગરિકો સરકતી સીડી પર એક તરફથી સવાર થઈને મૂત્ર વિસર્જન કરીને બીજી તરફથી પ્રસન્ન  ચહેરે નીચે ઉતારતા  હોય! મૂતરડી ક્ષેત્રે FDI આવશે તો એની વિરોધ કરવા કોઈ પરંપરાવાદી નહિ આવે એની ખાતરી રાખજો.  

નેતા ક્યારેક ક્યારેક હાસ્યકલાકારનો રોલ ભજવવા લાગે છે.  સંસદમાં પણ પોતાના નિવેદન મારફતે હાસ્યનાં મોજા ફેલાવે છે! ચૂંટણીમાં કેટકેટલો  ખર્ચ થયા પછી તમે લોકો સંસદમાં પહોંચો છો. તમારે ત્યાં જઈને જો હાસ્યનાં મોજાં જ ફેલાવવા હોય તો આ દેશના હાસ્યકલાકારો શાકામના? તમે લોકો ત્રાસવાદીઓને ફટકારી નથી શકતા અને સંસદમાં શાયરીઓ ફટકારો છો! દેશમાં શાયરો ઓછા છે? બરાબર છે કે, ક્યારેક હસીમજાક થાય. ક્યારેક શેરશાયરી પણ  થાય. પરંતુ, એ તમારો મુખ્ય વ્યવસાય નથી. 

તમે લોકો જ્યારે મંથન કરવાનો કાર્યક્રમ રાખો ત્યારે  નિવેદનો માટેનું મંથન કરજો.  આગ લાગે ત્યારે કૂવો ખોદાવો હોય એમ તમે લોકો ચૂંટણી આવે ત્યારે મંથન કરવા માટે ભેગા થાવ છો.  સારી વાત છે. બાકી, દેશનો સાંમાન્ય નાગરિક તો બિચારો રોજેરોજ ઘર ચલાવવા માટે કે વ્યવહારો સાચવવા માટે  મંથન કરતો જ હોય છે.  તમે લોકો  પહેલાંવગર મંથને દેશ ચલાવો  છો અને પછી મંથન કરવા બેસો છો. ગમે તેટલાં મંથન કરજો.  પણ, નિવેદનો માટે ખાસ મંથન કરજો.  બને તો એના પર કાપ મૂકજો.  વર્ષનાં છ નિવેદનો બહુ થઈ ગયાં. જો તમે માનતા હો કે પ્રજાને રાહત ભાવના માત્ર  છ ગેસ- બાટલાથી  ચાલશે; તો તમારે એ વાત પણ માનવી જોઈએ કે પ્રજાને તમારા નિવેદનો વગર પણ ચાલશે.  

નિવેદનોથી  પ્રજાના હૈયામાં આગ લાગે છે. ચૂલામાં નહિ. 

કમસેકમ,  દિવાળીના આ શુભ તહેવારો દરમ્યાન તમારા તરફથી કોઈ આડાઅવળાં નિવેદનો નહિ થાય એવી અમર આશા સાથે પૂરું કરું છું. 

લિ.  દેશનો  મતદાતા + કરદાતા.   

બાંધછોડ કર્યા વગર કેમ નથી ચાલતું?

મિત્રો, 

કોઈ વ્યક્તિ ભગવાનમાં ન માનતી હોય, ભગવાનના નામ માત્રથી એને ચીડ ચડતી હોય, ભગવાનનું  નામ લેવાનું એને પસંદ ન હોય અને  બીજાં લોકો ભગવાનનું નામ લે એનાથી પણ એને અકળામણ થતી હોય એવું બનતું હોય છે. એવું બનવા માટે વાજબી કારણો પણ હોય.  જેવા કે અજ્ઞાન, અંધશ્રદ્ધા, દંભ, દેખાદેખી  અને શોષણ તરફ એને સખત નફરત  હોય.   છતાંય આ વ્યક્તિએ પોતાના વિરોધને ક્યાંક ને ક્યાંક કાબૂમાં રાખવો પડે છે.

આવી વ્યક્તિ જો વિદેશમાં રહેતી હોય તો નસીબદાર.  પરંતુ જો આપણા દેશમાં રહેતી હોય અને  ભગવાન કે દેવતાના નામ માત્રથી એ ડગલે ને પગલે પોતાના નાકનું ટેરવું ચડાવવા જાય તો  જતે દહાડે ઘસાઈ ઘસાઈને એના નાકનું અસિત્વ જ ન રહે! આવો, આ પરિસ્થિતિ માટેનાં કારણો તપાસીએ. 

આવી વ્યક્તિ જે વિસ્તાર, સોસાયટી,કૉલનિ, કોમ્પ્લેક્ષ્, એન્કલેવ વગેરેનાં નામ કેવાં હોઈ શકે? આવાં હોઈ શકે…  

*શ્રીકૃષ્ણ વાટિકા. 

*રાધાકૃષ્ણ સોસાઇટી. 

*બાલાજી રેસિડન્સી

*આસુતોષ નગર. 

*લક્ષ્મીકૃપા સોસાઇટી. 

*રામનગર. 

*સીતાબાગ. 

*મારુતીધામ . 

વગેરે.. વગેરે… વગેરે… 

હવે વિચાર કરો કે, એ વ્યક્તિ એવો આગ્રહ રાખે કે : “હું ભગવાનમાં નથી માનતો. વિજ્ઞાનમાંઅને ગણિતમાં માનું છું માટે હું જે વિસ્તારમાં રહું એ વિસ્તારનું નામ કોઈ વિજ્ઞાનિક કે ગણિતજ્ઞનાં નામ પર હોવું જોઈએ. જેમ કે,  રામાનુજન નગર! … ના, ના, ના. આમાંય ભગવાનનું નામ આવે છે! જગદીશચંદ્ર બોઝ કોમ્પ્લેક્ષ હોવું જોઈએ. ના, ના. આમાં પણ લોચો છે!  આલ્બર્ટ આઇન્સ્ટાઇન નગર કે ન્યૂટનધામ હોવું જોઈએ. જેમાં ભગવાનનું  કે દેવતાનું નામ આવતું હશે એ વિસ્તારમાં હું નહિ રહું.” 

તો વિચાર કરો કે એ વ્યક્તિ ક્યા રહેવા જાય? જંગલમાં? જંગલમાં પણ મંગલ હોય છે! ત્યાં તો કેટકેટલા આશ્રમો હોય! મંદિરો હોય! બાપુઓ હોય! 

મિત્રો, આપણે સહુ જાણીએ છીએ કે,  વિજ્ઞાનનો ડગલે ને પગલે ઉપયોગ કરતાં હોવા છતાં સમાજમાં વિજ્ઞાનિકોને વિસ્તારનાં નામ રાખતી વખતે જરૂરી મહત્વ આપતું નથી.  આપણે એ બાબતમાં કશું કરી શકતા નથી. કારણ કે નામકરણ તો મોટાભાગે બિલ્ડરો કરતા હોય છે!એમને મોટાભાગે ભગવાન કે દેવતાઓનાં જ નામ પસંદ હોય છે. વાળી,  તેત્રીસ કરોડ દેવતા હોવા છતાય એ લોકો અમુક જ નામનો ઉપયોગ કરે છે જેના કારણે એક જ વિસ્તારમાં અનેક બાલાજી નગર કે શ્યામધામ સોસાઇટી હોય છે. પરિણામે પોસ્ટમેન, ગેસના બાટલા પહોંચાડનારા તેમ જ મોંઘેરા મહેમાનો  ગોટે ચડે છે. એ પણ એક બીજી મોટી સમસ્યાછે.

મૂળ વાત પર આવીએ તો ભગવાનના નામ માત્રથી ભાગતી વ્યક્તિએ પોતાનું મન મોટું રાખીને પણ  જે તે વિસ્તારમાં રહેવું જ પડે. 

ચાલો, માની લઈએ કે એ વ્યક્તિ જ્યાં રહેતી હોય એ વિસ્તારનું નામ  ભગવાનના નામ  પર ન હોય.  એ વિસ્તારનું નામ ડ્રીમલૅન્ડ કે આનંદનગર જેવું હોય. તો પણ એ વ્યક્તિ બચવાની નથી.  આખું સરનામું આપતી વખતે એણે પોતાનું રહેઠાણ ક્યા આવ્યું એની વિગત તો આપવી જ પડે! પરિણામે એણે ભગવાનનું નામ તો લેવું જ પડે! કારણ કે  એનું રહેઠાણ મોટાભાગે આવી જગ્યાએ આવેલું હોય…

*લંબે હનુમાન રોડ.  

*પંચમુખી મહાદેવના મંદિરની પાછળ. 

* લક્ષ્મીહૉલની બાજુમાં. 

*શ્રીકૃષ્ણ ભોજનાલયની સામે. 

*અંબે વિદ્યાલયવાળી શેરી. 

વગેરે.. વગેરે… વગેરે. 

આવી સમસ્યા એક કે બીજા રૂપે દરેક દેશ કે સમાજમાં હશે જ!  

તો સો વાતની એક વાત!  સમાજમાં રહેનારે ક્યાંક ને ક્યાંક … ક્યારેક ને ક્યારેક,  પોતાના ગમા-અણગમા સાથે બાંધછોડ કરવી જ પડે છે.  આપણામાંથી   ઘણાએ ‘ઓહ માય  ગોડ’  ફિલ્મ જોઈને તાળીઓ પાડી હશે.જેમાંથી  ઘણાખરાએ  બીજે જ દિવસે  કોઈને ત્યાં ‘સત્યનારાયણ’ની કથામાં કે ‘લક્ષ્મી પૂજન’ માં હાજરી આપી હશે.  મને કે કમને પણ હાજરી આપી હશે. આપવી પડી હશે! 

અર્થાત,  ક્રાંતિકારી વિચારો  માટે હાકલા-પડકારા  કરનારાઓ પણ પોતાના પરિવારમાં થતાં પૂજાપાઠથી દૂર રહી શકતા નથી.  કેમ એવું? આપણામાંથી ઘણાંને ક્રાંતિકારી થવું ગમે છે પરંતુ, વખત આવ્યે કેમ પલાંઠી મારીને ડાહ્યાડમરા થઈને બેસી જવું પડે છે? 

આપણને બાંધછોડ કર્યા વગર કેમ નથી ચાલતું?  

કેમ? 

કેમ?

કેમ?  

થોડોઘણો જવાબ આમાં છે… 

વધારે વાત, ફરી  મળીએ ત્યારે. 

આજનું સમોસું: 

ભગાએ બાપુને પૂછ્યું કે, “બાપુ આપણે ‘હાંક્યું હાંક્યું’ તો બહુ સાંભળ્યુંતું પણ આ ‘આઈક્યુ આઈક્યુ’ શું છે?”

બાપુએ જવાબ આપ્યો કે, “એ હાંક્યુંનું અંગ્રેજી છે.”

મૈ ‘બક્ષી’ કા પ્યાલા પી આયા!

શિયાળે,ઉનાળે કે ચોમાસે એમ ઋતુ પ્રમાણે ભલે ગુજરાતી સાહિત્યનાં વિવિધ પીણાંની બોલબાલા હોય, પરંતુ  ’બક્ષી’ બારેમાસ પીવાતું પીણું છે. એ નશાકારક પણ છે! ને આજે ‘નશાદિવસ’ છે.  

આજે  વાચકલાડીલા સાહિત્યકાર શ્રીબક્ષીબાબુનો  જન્મદિવસ છે. એ પ્રસંગે  આજે ઘણી જગ્યાએથી  ’બક્ષી પ્યાલા’ ધરવામાં આવશે. એક પ્યાલો મારા તરફથી.  એમના વાચક અને ચાહક  તરીકે એક ગુસ્તાખી! 

વર્ષો પહેલાં , મને વાંચવાનો શોખ છે એ જાણીને અમરેલીમાં  એક મિત્રએ સલાહ આપી કે: ચંદ્રકાંત બક્ષીને વાંચો. મજા પડી જશે.  મને એમ કે: કશુક ઉપદેશાત્મક લખાણ હશે. કમને વાંચવાનું શરૂ કર્યું તો ખ્યાલ આવ્યો કે. ‘સાલું, વાંચ્યા પછી કિક વાગવા જેવું થાય છે! પછી તો આદત પડી ગઈ.  પુસ્તકાલયમાં બક્ષીના જેટલાં પુસ્તકો મળે એટલાં વાંચી નાખ્યાં. એનાં તમામ લખાણો વાંચ્યાંનો કે ગમ્યાંનો  મારો દાવો નથી. પરંતુ, એને લીધે એ પીણાની અસરમાં કોઈ ફરક પડતો નથી.  આજે પણ બક્ષીનું કોઈ ન વાંચેલું લખાણ વાંચવા મળે તો રાજી રાજી થઈ જવાય છે.  વાંચેલું લખાણ પણ ફરીથી વાંચવા મળે તો  ’ડબલ ધમાકા’ જેવું લાગે છે.   

 બક્ષીબાબુના જાદુ  વિષે બીજાં લેખકોએ નહિ લખ્યું હોય એટલું એમના વાચકોએ લખ્યું હશે.  મારે એ લખાણોનું પુનરાવર્તન નથી કરવું.  પરંતુ, મારે મારો અનુભવ લખવો હોય તો આવું લખું: બક્ષીબાબુ વિષે વાતો કરવી હોય તો  રસિકજનોને ગોતવા નહોતું જવું પડતું.  એ લોકો  હાજર સ્ટોકમાં જ મળી રહેતા.   સાહિત્યરસિકો જ  બક્ષીને વાંચે એવું નહોતું. સાથે નોકરી કરનારા પણ એમના ચાહક હતા.  ભજિયાંભૂસું વેચનારા પણ એમના ચાહક હતા.  આજે પણ છે. જ્યારે પણ ભેગા થાય અને વાત નીકળે તો એક પછી એક બક્ષી-પંચ મારવાની મજા આવે છે.  એક જમાનો એવો હતો કે, લેખકોનું જે લખાણ ગમે એ લખાણ ડાયરીમાં ‘રત્નકણિકા’ તરીકે ટપકાવી લેવાતું હતું.  પણ, બક્ષીની ‘રત્નકણિકાઓ’ લોકોને હોઠવગી રહેવા લાગી.  લોકો દુહાઓ કે શાયરીઓ  યાદ કરીને બોલતા હોય એમ બક્ષીના તાતા તીર જેવાં વાક્યો આખેઆખા બોલતા થયા.  આજે પણ બોલે છે.  આ એક મોટો ફેરફાર હતો.  આ ગદ્યકાર  બક્ષીનો જાદુ છે. એટલે જ, આજે પણ નેટગલીઓમાં ઠેરઠેર બક્ષીપ્યાલીઓ પ્રસાદીરૂપે વહેંચાઈ રહી છે.  બક્ષીપ્યાલી પીવાની અને માણવાની પણ એક મજા છે. 

પીવાની અને માણવાની વાત કરીએ  તો ઘણાને ખબર હશે કે, બક્ષીએ પીવાની અને માણવાની રીતભાત વિષે પણ લખ્યું છે. બહુ જ સારી રીતે લખ્યું છે.  કેમ પીવું, કેટલું પીવું, શાંની સાથે  શું મિલાવીને પીવું, પીધાં પછી શું કરવું ને શું ન કરવું .. વગેરે   વિષે  પણ લખ્યું છે.  અર્થાત, પીવાની તમીજ બાબત લખ્યું છે. એમણે તો એ પણ લખ્યું છે કે,  પીધાં પછી ક્યા સાહિત્યકાર ખૂલતા હતા અને ક્યા સાહિત્યકાર સૂમ થઇ જતા હતા!

ભલે આપણે શરાબપાન બાબત ઝાઝું ન જાણતા હોઈએ. પરંતુ, એટલું તો જાણતા જ હોઈશું કે, પીધાં પછી કોઈ સૂમ મારી જાય, કોઈ બરાબરનું ખૂલે, કોઈ ખીલે,.. આ બધું તો થાય. ભલેને ઘેરબેઠા એ બધું કરે. પણ કોઈનાથી જીરવાય નહિ તો ઓકે પણ ખરું.  કેટલાક તો પાવળું પીધું  નથીને રાજાપાઠમાં આવ્યા નથી.  જાહેર રસ્તા પર તમાશા કરે. બચ્ચન કે ધર્મેન્દ્ર જે  પર્દા પર કરે એવું એ લોકો જાહેરમાં કરે.   એક ફેંટનો ઘરાક હોય પણ હસુભાઈથી માંડીને હિટલરને લડવા માટે આહવાન કરે! ને મજાકને પાત્ર ઠરે. 

‘બક્ષી’ બ્રાંડ પીધાં પછી પીનારે પણ એ તમીજ જાળવવી જોઈએ.  નહિ તો એ બ્રાન્ડની બેઇજ્જતી કરી કહેવાય.  પીવું એ મોટી વાત નથી.  પીધાં પછી જીરવવું એ મોટી વાત છે.  કોઈ પણ લેખક કે કલાકારને ચાહવાની પણ એક તમીજ છે.  બક્ષીનાં લખાણ બાબત કોઈની ટીકા પસંદ ન આવતી  હોય તો એનો જવાબ મુદ્દાસર રજૂઆતથી  આપી શકાય. એમાં બક્ષીનાં લખાણોનો સંદર્ભ આપી શકાય.  પરંતુ, એના બદલે  ઉછીની ખુમારીનાં જોરે  હાકલા પડકારા કરવાથી તો  બક્ષીબ્રાન્ડનું અપમાન થયું કહેવાય!  

સીધી વાત.  બક્ષીએ પહેલા ગાદીતકિયે બેઠેલા  સાહિત્યકારોને નિશાન બનાવતાં પહેલાં પોતાની જાતને તૈયાર કરી હતી. એમનું વાંચન, એમનો અભ્યાસ, એમનો અનુભવ, એમનો સંઘર્ષ,  એમનું નિરીક્ષણ.. એ બધું કામે લગાડીને  તાકાત કેળવી હતી.   ઘા મારવાની સાથે ઘા ખાવાની પણ તૈયારી રાખી હતી.   એટલે રંગ જામ્યો’તો.  એમને વિવેચન સામે વાંધો નહોતો.  અભ્યાસપૂર્ણ વિવેચન ન હોવાનો વાંધો  હતો.   આજે એમની ટીકા થવાથી એમની લોકપ્રિયતાની એક કાંકરી પણ ખરવાની નથી.  એમના વાચકો કે ચાહકોએ એથી વિચલિત ન થવાનું હોય. પરંતુ, પૂરી સજ્જતાપૂર્વક એનો જવાબ આપવાનો હોય.  નહિ તો એની અવગણના કરવાની હોય.  પરંતુ, એમના લખાણોને કોઈ કસોટીની એરણે ચડાવે જ નહિ એવો આગ્રહ વધારે  પડતો છે.  વેદવ્યાસથી માંડીને તુલસીદાસ સુધીના સર્જકોને  આજે પણ કસોટીની એરણે ચડાવાય છે.  શું ફરક પડે છે?

 નવા ઊગતા લેખકોએ બક્ષી પાસેથી  પ્રેરણા લઈને નવું નવું  ખૂબ વાંચવાની, વિચારવાની, નવા નવા અનુભવો લેવાની, પોતાનું સ્વમાન જાળવવાની  ખાસ જરૂર છે.  ખુમારી કૉપીપેસ્ટથી નથી આવી શકતી. એ જાતમાં ઊભી કરવી પડે.  માત્ર બક્ષીસ્ટાઈલનો રૂઆબ લાંબો સમય સાથ ન આપે.  પોતાનું આગવું ખમીર પણ બતાવવું પડે. એ માટે બક્ષી પ્રેરણારૂપ જરૂર બની  શકે. સોય કે ટાંચણીએ પણ અણીદાર થવા માટે ટીચાવાની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.  થોડુંઘણું લખાયું, વખણાયું કે છપાયું હોય એટલામાત્રથી કોઈ પોતાનાં લખાણ માટે નબળો અભિપ્રાય આપે નહિ એવી ધાક  જમાવાવાથી તો નુકસાન પોતાને જ થવાનું છે.  કોઈને એમ લાગે કે, આને તો બક્ષીપ્યાલી ચડી ગઈ લાગે છે. એને નથી વતાવવો. આજના જમાનામાં કોઈ સગા ભાઈને પણ સાચું કહીને નારાજ કરવા નથી માંગતું તો નવા  લેખકને નારાજ કરવાનો દોષ કોણ વહોરે? લાયકાત મુજબ પ્રશંસા, પ્રોત્સાહન એ બધું જરૂરી છે.  પરંતુ,  ખોટી પ્રશંસા તો ભેખડે ભરાવે!    

ચાલો,   કોટો  ઉતરવા આવ્યો  છે. વધું  બક્ષીપ્યાલી પીવા માટે નેટબજારમાં ચક્કર મારવા જઉં છું. બને તો  ભેગા થઈશું. 

આવજો અને જલસા કરજો. 

ગોદડાંખેંચ

મિત્રો,

આજના વખતમાં લગ્નપ્રસંગ ઉકેલવાનું કામ મોંઘુ પડતું હશે પરંતુ પહેલાંના પ્રમાણમાં સરળ જરૂર થઈ ગયું છે. ઘણાં લોકો કહેતાં હોય છે કે: “પહેલાંના લગ્નપ્રસંગોમાં આવતી હતી એવી મજા હવેના પ્રસંગોમાં આવતી નથી. ત્યારે સગવડો ઓછી હતી, સાધનો ઓછાં હતાં,વાનગીઓ પણ ઓછી હતી. પણ તોય મજા આવતી હતી.”

આવું કહેનારાં અમુક અંશે સાચાં હોય તો પણ જો તેઓ સાચા દિલથી એ વખતની હાડમારીઓ યાદ કરે તો જરૂર કબૂલ કરે કે: ” જેને ત્યાં પ્રસંગ હોય એની એવી તો કસોટી થઈ જતી હતી કે પોતાને તો પ્રસંગનો આનંદ માણવાને બદલે સતત ચિંતામાં રહેવું પડતું હતું.”

તે વખતમાં પૈસા ખર્ચવા છતાં સગવડો પ્રાપ્ત થતી નહોતી. આમતેમથી બધું ભેગું કરવું પડતું હતું. બીજાઓના સાથ અને સહકારની ખૂબ જ જરૂર પડતી હતી. જેને ત્યાં પ્રસંગ હોય એણે વાતવાતમાં જેનેતેને નમવું પડતું હતું. દીકરીના બાપની દશા તો ઘણી વખત કફોડી થઈ જતી હતી. જાનૈયાઓને  સાચવવા એ ગબ્બરસિંગના માણસોને સાચવવા જેવી કપરી આફત હતી!

આજે તો દીકરીના માબાપ સવારે લગ્નસ્થળે જાય અને દીકરીને વળાવ્યા પછી રાત્રે ઘેર આવીને રોજિંદી ટીવી સિરિઅલ આરામથી જોઈ શકે એવો સતયુગ આવ્યો છે! દીકરીને પરણાવનાર માબાપે લગ્નસ્થળે દીકરી સિવાય માત્ર પૈસા જ લઈ જવા પડે છે!

એક જૂનો શિયાળો યાદ આવે છે. મારા એક મિત્રની બહેનના લગ્ન હતા.  એ લગ્નપ્રસંગમાં અમે થાકીને લોથપોથ થઈ ગયા હતા છતાય ખૂબ  મજા આવી હતી.

જાનને આખો દિવસ સાચવી. રાત્રે ફેરા ફરવાનો મુખ્ય કાર્યક્રમ પૂરો થયો. જાનની વિદાય બીજાં દિવસે હતી. સહુ જાનૈયાઓ કાજે અમે પથારીઓ તૈયાર રાખી હતી. પરંતુ કેટલાક જાનૈયાઓ અમારી તૈયારી પર પથારી ફેરવતા હોય તેમ એકએક ગોદડું ઓઢવાને બદલે બબ્બે ઠપકારીને પોઢી ગયા.

જાનૈયાઓના પ્રમાણમાં ગોદડાં ખૂટ્યાં. તાત્કાલિક વાડીનો સ્ટોર ખોલાવીને ગોદડાંનો પૂરવઠો હતો એટલો બહાર કઢાવ્યો તોય માંગ ઓછી થઈ નહિ!

હવે એક જ રસ્તો હતો. જેણેજેણે બબ્બે ગોદડાં ધારણ કર્યાં હોય તેમને વિનતી કરીને એક એક ગોદડું પાછું લઈને એ ગોદડાં ગોદડાંવિહોણાં હોય તેમને વહેંચવાં.

પરંતુ અમારો એ ઉપાય બહુ કારગત ન નીવડ્યો. અમારી વિનંતીભર્યા શબ્દો બબ્બે ગોદડાં વીંધીને એ લોકોના કાન સુધી પહોંચી ન શક્યા. દ્વિગોદડાંધારી લોકો જાણે પોતે ભર નિદ્રામાં હોય તેમ સુષુપ્ત અવસ્થામાં જ પડી રહ્યા.

જબાબદાર વડીલ તરફથી અમને આદેશ થયો કે:જ્યાં જ્યાં બે ગોદડાં હોય ત્યાંથી એક ગોદડું ધીરેથી, કોઈની નિદ્રામાં ખલેલ ન પડે તે રીતે સરકાવી લો. અને જરૂરિયાત હોય તેને પૂરાં પાડો.

અમે એમના આદેશનું પૂરી વફાદારીથી પાલન કર્યું. દબાતે પગલે અમે શયનખંડમાં ફરવા લાગ્યા. જ્યાં જ્યાં બે ગોદડાં હતાં ત્યાત્યાથી એક એક ગોદડું સરકાવવાની કામગીરી શરૂ કરી. આ ઉપાય ખૂબ જ કારગત નીવડ્યો. ચારેક ફેરા મરવાના પરિણામે પરિસ્થિતિ ઘણી હળવી થઈ ગઈ.

હવે વધારે ફેરા મારવા જેવું રહ્યું નહોતું! છતાંય છેલ્લી વખત નસીબ અજમાવવાની લાલચે અમે છેલ્લો ફેરો મારવા નીકળ્યા.

હજી તો અમે એકપણ ગોદડું ખેંચ્યું નહોતું ત્યાતો  એક છોકરાનો અવાજ આવ્યો: “કાકા, ચેતજો. આવ્યા છે.”

વાત એમ બનેલી કે અમારી કડક કામગીરીના સાક્ષી જેવા કાકોભાત્રીજો એમ બે જણા જાગતા હતા. એ લોકો વધારાનું ગોદડું ગુમાવવા માંગતા નહોતા. એટલે, અમારા આગમનની જાણ થતાં જ ભત્રીજાએ એનાં કાકાને જાણ કરી કે:”કાકા, ચેતજો. આવ્યા છે.”

જાણે અમે કોઈ બહારવટિયા હોઇએ એમ અમારાથી ચેતવાની તૈયારી ચાલી રહી હતી.

છોકરાના શબ્દો સાંભળીને અમને એવું તો હસવું આવ્યું કે માંડમાંડ હસવું રાખીને ત્યાંથી ભાગ્યા.

શયનખંડની બહાર નીકળીને મન મૂકીને હસ્યા.

જ્યારેજ્યારે શિયાળો આવે છે અને એની તાકાત બતાવે છે ત્યારેત્યારે મને એ શબ્દો યાદ આવી જાય છે:”કાકા, ચેતજો. આવ્યા છે.”

મિત્રો, સામાજિક પ્રસંગોમાં હિસ્સેદાર બનવું હોય તો ક્યારેક ક્યારેક આવા ગોદડાં ખેંચવાના ધંધા પણ કરવા પડે!

તમે પણ, આવા નહિ તો બીજા પ્રકારના ધંધા કર્યાં જ હશે!

આજનું લંગર :

લંગર પ્રાપ્તિસ્થાન: 
http://www.cartoonstock.com/directory/h/hogging_the_blanket.asp

ફરી એક વાર

[મિત્રો, તા.૧૯-૧૦-૧૯૯૧ના રોજ સાંજના ૬:૧૫ વાગે આકાશાવાણી અમદાવાદ- વડોદરા પરથી પ્રસારિત થયેલી મારી  એક નવલિકા અત્રે રજૂ કરું છું. આપને જરૂર ગમશે એવી આશા સાથે ... ] 

વાચનયાત્રા

સૌજન્ય: અશોક મોઢવાડીયાનો બ્લોગ: વાંચનયાત્રા

ફરી એક વાર

એક લારીમાં વેચાતી લીલી મગફળી નજરે પડી ને  મારું મન તો જે ભાગ્યું છે … જે ભાગ્યું છે કે સીધું રૂડાબાપાના ખેતરે! હવે ક્યાં આ વડોદરા શહેર ને ક્યાં અમરેલી જિલ્લામાં, મારા ગામની સીમમાં આવેલું રૂડાબાપાનું ખેતર? ઓરું તો ન જ કહેવાયને? પણ મનને તો શું દૂર ને શું નજીક? એ તો ઘોડે ચડીને ઉપડે ને ભલું હોય તો વાયરાની હારોહાર ઉપડે! મનને ક્યાં ટિકિટ ફડાવવી પડે છે કે ક્યાં ધક્કામુક્કી સહન કરવી પડે છે!

મારું મન તો ઉપડ્યું.  રૂડાબાપાના ખેતરમાંથી મગફળીના થોડાક છોડવા ખેંચ્યા હોય તો? ને એ છોડવામાંથી મગફળીના ડોડવા તોડી તોડીને ખિસ્સામાં ભર્યાં હોય તો? ને એ ડોડવામાંથી કુમળા કુમળા દાણા મોઢામાં મૂક્યા હોય તો? અહાહા! એવી મજા આવે એવી મજા આવે! મન તો માંડ્યું મજા લેવા. પણ બિચારી જીભલડીને શું સમજવું? ને જ્યાં સુધી જીભલડીણા ચટાકા પૂરા ન થાય ત્યાં સુધી મનની મજા પણ અધૂરી જ રહી જાય ને? એટલે મારું મન ચડ્યું કજિયે! 

મન કજિયે ચડ્યું તો એવું ચડ્યું કે, ગમે તે થાય પણ આ મોસમમાં નાનીધારી જાવું જ છે. ને રૂડાબાપાના ખેતરમાંથી મગફળીના છોડવા ખેંચવા જ છે. ને એ પણ છાનામના! કોઈ જુએ નહી તેમ! પછી છોડવાને બાથમાં લઈને ખેતરની વાડ પાસેથી નીકળતી નેળમાં સંતાઈને બેસી જાવું છે! પછી તો મગફળીના ડોડવા તોડી તોડી ને ખિસ્સા ભરી લેવા છે! ને પછી તો ચાલતાં ચાલતાં મગફળી ખાવાની મજા લેવી છે, લેવી છે ને લેવી છે! પચીસ વર્ષો પહેલાં આવી જ રીતે રૂડાબાપાના ખેતરની મગફળી ખાવાની મજા લેતો હતો ને હવે પણ એ જ રીતે ફરી એક વખત મજા લેવી છે!!   

મેં મારા મનને સમજાવ્યું કે :”ભાઈ મનજી, બહુ આઘાપાછા થવામાં મજા નથી. રજા બગાડવી પોસાય તેમ નથી. બસભાડાં વધ્યા છે. માટે છાનુંમાનું બેસી રહે.”  મન તો સાલું એવું ને કે મનાવ્યું માની પણ જાય. એટલે માની ગયું. 

પરંતુ બીજા દિવસે મેં ફરીથી એક લારીમાં લીલી મગફળી જોઈ. મારું મન ફરીથી કજિયે હળ્યું. આ વખત સાલા મનિયાએ વધારે ધમપછાડા કર્યાં. મેં ફરીથી મનને સમજાવ્યું. નવામાં નવી ફિલ્મની લાલચ આપી. મન ફરીથી માની ગયું. 

આમ ને આમ પૂરા ચાર દિવસો સુધી ચાલ્યું. છેવટે પાંચમાં દિવસે વહેલી સવારે થેલામાં કપડાં નાખીને હું તો નીકળી પડ્યો મારા ગામ તરફની બસ પકડવા. 

જ્યારે રાશવા દી રહ્યો ત્યારે ત્યારે હું ઈંગોરાળા ગામને પાદર ઉતાર્યો. હવે દોઢ ગાઉ ચાલવાનું હતું. પચીસ વર્ષો પહેલાં આ જ સમયે હું. કાળીદાસ અને નાથો ઈંગોરાળાને નિશાળેથી છૂટીને નાનીધારી ગામનો રસ્તો પકડતા. દોઢ ગાઉના એ રસ્તાના એકે એક વળાંક, એકે એક ઝાડ ને એકે એક ટેકરી મારા માની તિજોરીમાં કિમંતી દસ્તાવેજોની માફક સચવાઈને પડ્યાં હતાં.વળી રસ્તામાં આવતું રૂડાબાપાનું ખેતર તો અણમોલ ખજાનો હતો.

વિસાવદરીયા નદીણા વહેતાં વહેણમાં મારા પગ ઝબોળીને મેં બાકી રહેલી સફર પગપાળા શરૂ કરી. રસ્તાની તબિયત પર હજુ વરસાદની અસર જણાતી હતી. પણ મારે તો તકલીફની મજા લેવી હતી. તેથી રસ્તાની વિરુદ્ધ મારે કોઈ ફરિયાદ નહોતી. ખેતરોની લીલાશ પીવાથી મારી આંખો લીલા લીલા નશાથી ઘેરાવાઘ્ર લાગી. આમથી તેમ ઊડતાં પતંગિયાં જોઈને મને લાગ્યું કે: મારા બાળપણના ગુજરી ગયેલા દિવસો રંગબેરંગી પતંગિયાંની નાતમાં જન્મીને મારી જ સામે ઊડી રહ્યાં છે! વડલા, પીપળા ને આંબા તો વહાલા લાગે પણ વાતના બાવળિયા પણ વહાલા લાગવા માંડ્યા.  

.. હાથલિયા થોરની વાડામાંથી ફરરર કરતાં તેતર ઊડ્યાં ને મારી બી જવાની ઈચ્છા પૂરી થઈ. બોરડીના એક ઝાળામાથી એક સસલું દોડી ગયું ને મને ફરીથી મજા આવી ગઈ.મેં ફરીથી વતનના ડુંગરા જોયા. ફરીથી ખેડૂતોના હાકલા સાંભળ્યા. ફરીથી અંધારિયો કેડો પાર કર્યો ને ફરીથી જોયું રૂડાબાપાનું ખેતર! 

હું ઊભો રહી ગયો. આંખો ભરી ભરીને રૂડાબાપાનું ખેતર જોયું. ખેતર મગફળીના છોડવાથી ભર્યું ભર્યું હતું. મેં આસપાસ નજર કરી. કોઈ આવતું નહોતું. કોઈ જાતું નહોતું. માંનેમાં થયું કે  મારું એક ઠેકડો ને ઠેકી જાઉં વાડ! ખેંચી લઉં થોડા છોડવા ને બેસી જાઉં સંતાઈને નેળડીમાં!મગફળીના ડોડવાથી ભરી લઊ ખિસ્સાં! 

હું રૂડાબાપાના ખેતરની વાડ સુધી પહોંચ્યો ત્યાં સુધીમાં તો મારામાં રહેલો ચાલીસ વર્ષોની ઉમરનો માણસ તેના તમામ ડહાપણ સાથે મારું જ આડફળું બાંધીને ઊભો રહી ગયો હતો! 

હું વાડ પાસેથી પાછો ફર્યો. મને ડર લાગ્યો કે કોઈ આવી જાશે ને મને જોઈ જાશે  તો  શું કહેશે? કહેશે કે: ભલા માણસ, આ ઉમરે ને આવી ચોરી? અરે!ગામમાં જઈને માંગી હોત તો બે મુઠ્ઠી માંડવી આપવાની કોણ ના પાડત? 

એ જ ઘડીએ મેં દૂરથી આવતાં બળદગાડાની ધડબડાટી સાંભળી. મારે ભારે હૈયે ગામ તરફ પગલાં ભરવા પડ્યાં. જતાં જતાં રૂડાબાપાના ખેતર તરફ નજર નાખતો રહ્યો. પચીસ વર્ષો પહેલાના અતિતનો એક ટૂકડો ફરીથી જીવી જવાની મારી ઇચ્છા મનમાં જ રહી ગઈ. 

…. અને બીજે દિવસે રૂડાબાપાની ડેલી હતી.ડેલીપછી ફળિયું હતું. ફળિયા પછી પગથિયાં ને પગથિયાં પછી ઓસરી હતી. ઓસરીમાં ઢોલિયો હતો ને ઢોલિયે મને બેસાડાવામાં આવ્યો હતો. મારી સામે પૂનમના ચંદ્રમા સમી થાળી હતી અને થાળીમાં હતા છલોછલ લીલી મગફળીના ડોડવા!

રૂડાબાપા બોલ્યા: “ખા દીકરા ખા. પેટભરીને ખા. શહેરમાં માંડવી તો મળતી હશે પણ આવી મીઠી નહી મળતી હોય.”

ત્યાં તો દુલો બોલ્યો: “બાપા, શહેરમાં તો આને મગફળી કહેવાય. માંડવી કહો તો કોઈ સમજે ના.” ઓસરીમાં બેઠેલાં બધાં હસ્યાં. હું પણ હસ્યો. મને વડોદરાનો માંડવી દરવાજો સાંભરી આવ્યો. 

મેં કહ્યું: ” તમે પણ ખાવા લાગો. મારાથી આટલી બધી નહિ ખવાય. “ 

“અમારે તો રોજનું થયું. તમે ખાવ.” છોકરાઓ સામટા બોલી ઊઠ્યા.  

પછી તો મારી આંગળીઓ અને મારું મોંઢું કામે લાગી ગયાં. ફોફાનો ઢગલો થવા લાગ્યો. જીભનો ચટાકો પૂરો થવાથી જીભ રાજી થઈ. મનનો કજિયો ભાંગવાથી મન રાજી થયું. 

મનનો એ રાજીપો પૂરો થાય તે પહેલાં તો રૂડાબાપાએ મને પૂછ્યું: “કેમ દીકરા? લીલી માંડવી ખાવાની મજા આવે છેને?” 

“મજા તો આવે જ ને.” મેં કહ્યું.

“બહુ મહા આવે છે?”

“હા..હા. બહુ મજા આવે છે.”

“તુ ખોટું બોલે છે. “

“એમાં ખોટું શા માટે બોલવાનું? ખરેખર બહુ મજા આવે છે.”

“ના.. ના… સાવ ખોટી વાત.” રૂડાબાપા જાણે હઠે ચડ્યા. “તુ ભલે કહે કે બહુ મજા આવે છે. પણ એવી મજા તો નહિ જ આવતી હોય.”

“કેવી મજા?” મને હવે રૂડાબાપાની બીક લાગવા માંડી.

“જેવી મજા મારા ખેતરની વાડ કૂદીને ખાવાની મજા આવતી હતી એવી મજા” 

.. ને મારા હાથ અટકી ગયાં. હાથમાંથી મગફળીના ડોડવા પડી ગયાં. મોઢામાં મૂકેલા દાણાને કમને ચાવી ગયો અને કડવો ઘૂંટડો ઉતારતો હોઉં તેમ ગળે ઉતારી ગયો.રૂડાબાપાનો એ ઢોલિયો જો ઊડનખટોલો હોત  તો હું ઘડીનોય વિલંબ કર્યાં વગર ઊડી જાત!

“કેમ જવાબ નથી દેતો દીકરા? હું ખોટું કહું છું?   ઇંગોરાળાની નિશાળેથી પાછા ફરતી વખતે તુ, કાળીદાસ અને નાથો મારા ખેતરમાં નહોતા ખાબકતા? અરે! હું મારી સગી આંખે તમને જોતો હતો! તમને કેવી મજા આવતી હતી તે મારાથી અસ્તુ નથી.”

પચીસ વર્ષો જૂના ગુના મને સતાવવા લાગ્યાં. હું જેનો ગુનેગાર હતો તે રૂડાબાપા મારી જ સામે હતા અને હું જે ખાઈ રહ્યો હતો તે મગફળી પણ એમની જ હતી! શરમનો માર્યો હું થાળીમાં પડેલી મગફળીને જોઈ રહ્યો. 

“દીકરા, તારે આમાં  શરમાવાની જરૂર નથી. એનું જ નામ બાળપણ! બાળપણમાં ખાધાચીજ ચોરીને જ ખાવાની મજા આવે. ભગવાન જેવાં ભગવાને પણ માખણ ચોરીને જ ખાધુતુને? ગોકુળ છોડ્યા પછી એને ફુરસદ મળીતી?”  

રૂડાબાપાના શબ્દોએ મારી શરમ દૂર કરી. મેં કહ્યું:” બાપા, તમે અમને જોતાં હતા તો પછી રોકતા કેમ નહોતા?” 

” લે કર્ય વાત! છોકરા બે છોડવા ખેંચીને થોડીક માંડવી ખાતા હોય તો એણે રોકવાના હોય? હા, જો તમે માંડવી વેચવા માટે ચોરતા હોત તો જરૂર સોટાવાળી કરત. પણ હું તો તમારા આવવાના ટાણે જાણી જોઈને સંતાઈ જાતોતો. તમને એમ કે અમને કોઈ જોતું નથી. તમને ચોરીને માંડવી ખાવામાં મજા પડતીતી. એ જોઈને મનેય મજા આવતીતી. પછી રંગમાં ભંગ પાડવાનો મતલબ ખરો?” 

રૂડાબાપાની હળવાશે મને પણ હળવો કરી દીધો. “બસ હવે નહિ ખવાય.” એવું કહીને મેં હાથ ખંખેર્યા તો રૂડાબાપાએ મારો હાથ પકડીને કહ્યું: : આટલી પૂરી ન કરે તો તને મારા સમ છે.”

મેં ફરીથી મગફળી ખાવાનું શરૂ કર્યું.  રૂડાબાપાના શબ્દો મારા મનમાં રમતે ચડ્યા હતા.

મને થયું કે: માત્ર કાનુડાને જ નહિ કેટલાય માણસોને પોતપોતાનું ગોકુળ અને ભાવતું માખણ છોડીને, જવાબદારીઓ અને મજબુરીઓથી ભરેલા મથુરાની વાત પકડવી પડે છે!  

પરંતુ હું કેટલો નસીબદાર હતો કે આજે ફરીથી મારા ગોકુળમાં આવી શક્યો હતો!

“પણ મારા સવાલનો જવાબ હજી બાકી છે. દીકરા સાચું કહે . ત્યારે આવતીતી એવી મજા અત્યારે આવે છે? રૂડાબાપાએ પોતાનો એ સવાલ ફરી દોહરાવ્યો.

મારાથો મુક્તપણે હસી પડાયું. ” બાપા, એ મજા તો મજા હતી. હવે એવી મજા તો ન જ આવેને!” મારાથી બોલાઈ ગયું. 

મારા એ જવાબ પર બધાં ખળખળ વહેતાં ઝરણા જેવું હસી પડ્યાં. 

લીલી મગફળી મીઠી તો હતી જ. પછી એ વધારે મીઠી લાગવા માંડી.

[સમાપ્ત]  

[ લીલી મગફળીનો છોડવો ચોરવા બદલ  વાચનયાત્રા  બ્લોગના ધણીની અમે ક્ષમા માંગીએ છીએ. ]

હાલો ભેરુ શહેરમાં

મિત્રો,

અમે ગામડે નિશાળમાં ભણતા હતા ત્યારે સાહેબે અમને બધાંને એક બાળગીત  અભિનય સાથે ગાતાં શીખવાડ્યું હતું :ભીની માટીની ગંધ આવે યાદ રે હાલો ભેરુ ગામડે.. હાલો ભેરુ ગામડે.

કવિ શ્રી નાથાલાલ દવે લેખિત આ ગીત તમે લોકોએ પણ કદાચ ગાયું હશે, સાંભળ્યું હશે કે વાંચ્યુ હશે.

સાચુ કહીએ તો અમે ગામડે રહેતા હતાઅંને   આવાં ગીતો ગાતા હતા છતાંય મન તો પોકારતું હતું કે: હાલો ભેરુ શહેરમાં…. હાલો ભેરુ શહેરમાં.

હા જી! શહેર એક સપનું હતું. સવાલો ઊઠતા હતાકે .. શહેર કેવું  હશે? કેવડું હશે? બહુ મોટું હશે? આપણા ગામ જેવડાં દસ બાર નહીંપણ સો જેટલાં ગામ સામી  જાય એવડું હશે????

શહેરમાંથી આવેલા માણસને જ નહીં  પણ  મોટર,ભારખટારા,રેડિઓ, થાળીવાજુ જેવી નિર્જીવ ચીજોને પણ અમે નિરખતા હતા.

ને… માત્ર નાના બાળકોના મનની આ વાત નહોતી! મોટાઓના મનની પણ આ વાત હતી!

ને એકાદ ગામની આ વાત નહોતી! ગામે ગામની આ વાત હતી!

ગામડાનાં રળિયામણાં ચિત્રો, ગીતો,  વાર્તાઓ વગેરેથી આપણું સાહિત્ય ફાટફાટ થાય છે! શું એ બધું માત્ર કલ્પના પર આધારિત છે ?

શું ખરેખર બધાં  ખરેખર ગોકુળિયાં હતાં.. ત્યાં ઘી દૂધની નદીઓ વહેતી હતી… પનઘટે પનિહારીઓ ગીતો ગાતી ગાતી પાણી ભરતી હતી.. આંગણે મોર ચણવા આવતા હતા.. ખળખળ ઝરણાં વહેતાં હતાં… દુહાઓની રમઝટ બોલતી હતી… બધાં જ ડાહ્યાંડમરાં થઈને અને સંપીને રહેતાં હતાં!

અમારું કહેવું એમ છે કે: આ બધી વાતો ‘આધી હકીકત આધા ફસાના’ જેવી છે!

ગામડાનું ચિત્ર ખરેખર આવું હતું પણ ખરું અને આનાથી સાવ અવળું પણ હતું!

સંજોગો બદલાય તેમ ત્યાં પણ બધું બદલાતું હતું. ઘણું ખરું બદલાયા પછી પણ કવિકર્મના કારણે ઘણુંખરું એનું એ જ લખાતું રહ્યું ને આપણને સહુને ગમતું રહ્યું. સારી વાતો સહુને ગમે એ સ્વાભાવિક છે.

પણ યાદ કરો એ કહેવતો..

બાપના કૂવામાં ડૂબી ન મરાય.

ફરે તે ચરે અને બાંધ્યો ભૂખે મરે.

મતલબ કે ગામના માણસોમાં શહેર તરફ જવાના ભૂખ અને તરસ જાગ્યાં હતાં.

એવું નહોતું કે શહેરની હાડમારીની વાતો ગામડે નહોતી પહોંચતી.

પહોંચતી હતી. કથાકારો અને ગઢવીઓ ગમડાની ગરવી ગરવી વાતો કહેતા હતા અને શહેરના લોકોના સાંકડા ઘરની અને સાંકડા મનની  વાતો પણ કરતા હતા.

ભવાયા શહેરના લોકોની તકલીફોની વાતો ગમ્મત ગમ્મતમાં કહેતા હતા.  ફેશનેબલ વહુ બંગાળી સાડી પહેરીને અને બે ચોટલા લઈને  સેનેમા જોવા જાય એવી ગમ્મતો રજૂ થતી હતી.

આંધળી માનો કાગળ પણ ગવાતો હતો.  ને લોકોને મજા મજા થઈ જતી હતી.

પણ સાથે સાથે આવાં ગીતો પણ ગવાતાં હતાં..

તેરા તન ડોલે મેરા મન ડોલે… મેરા દિલકા ગયા કરારરે ..

પ્યાર કિયા તો ડરના ક્યા ..

ને લોકોને એમાં પણ મજા પડતી હતી.  સાંભળીને તરસ જાગતી હતી.. સેનેમા જોવાની…સારું સારું પહેરવાઓઢવાની.. બગીચામાં બેસીને સીંગચણા ખાવાની!

યુવાનો અને યુવતીઓને કોડ જાગતા હતા કે પોતે પણ પ્રેમપત્રો લખે..

ચલી ચલી રે પતંગની માફક પોતે પણ ઊડે!

આ તો હળવા હળવા કારણો થયાં… શહેર તરફ ભાગવાના ભારે ભારે કારણો બાકી રાખીએ! ફરી મળીએ..

ત્યાંસુધી કરો જલસા!!!!

ને એમાં પાછા પડવું નહીં!!!!

“અસર” પરિવારનું કહેવું છે કે:

તેજ

અમારી નજર સમક્ષ ઝળહળ ઝળહળ નગર  છે.

રોશની વત્તા રોશની વત્તા રોશની વત્તા  રોશની વત્તા રોશની …. છે.

એ તમામ રોશનીનો સરવાળો જ નહીં

ગુણાકાર આપ સહુને મુબારક હો.

અમારી સમક્ષ તેજ વેરતાં દીવડાઓ છે.

અમે ઇચ્છીએ  છીએ કે:

આપના ભાગે આવેલો અંધકાર

એવા દીવડાઓ થકી

અજવાળામાં ફેરવાતો રહે.

અમારી નજર સમક્ષ ઊંચાઈને આંબતો ઉત્સાહ છે.

એવા ઉત્સાહ થકી આપ પણ

જીવનની તમામ ઊંચાઈને પામતા રહો..

દિવાળી અને નૂતન વર્ષ નિમિત્તે

અમર્યાદિત શુભેચ્છાઓ

રવાના કરી છે

આપના તરફ………

મનના ખજાનામાં એને સમાવશો.

લિખિતંગ,

“અસર” પરિવાર.

બ્લોગ જગતમાં ફરાળી બ્લોગ્સ કેટલા?

જય બ્લોગનારાયણ.

અમારા કમ્પ્યૂટરમાં ખરાબી થવાના કારણે અમે લગભગ  દોઢ મહિના પછી આ ઓટલે આવ્યા છીએ. અમને હતું કે,ઓટલે ઝાળાં બાઝી ગયાં હશે! પણ ઓટલો એકદમ સાફ છે! અમે ભલે હાજર નહોતા પરંતુ લોકોની અવરજવર રહી છે! કેટલાક મિત્રોએ અમારી ગેરહાજરીની નોંધ પણ લીધી છે! એથી અમને સારું લાગ્યું છે!

પોતાની ગેરહાજરીની  થોડીકેય નોંધ લેવાય એ કોને ન ગમે? ને એ પણ આટલા મોટા બ્લોગજગતમાં? હેં? શું કહો છો? નહીં તો એક બ્લોગર થોડાક દિવસો દેખાયો તોય શું ને ન દેખાયો તોય શું? જો કે અમે સમજદાર  છીએ એટલે અમને ખબર છે કે, અમારા ન લખવાથી બ્લોગજગતમાં કોઈ મોટી ખોટ નથી પડી ગઈ!!! કે નથી આભ તૂટી પડ્યું!

મિત્રો, એક વાત યાદ આવે છે. એક કર્મચારી મિત્રને એવો ભ્રમ હતો કે, આખી ઓફિસ અને એના સાહેબનું દિમાગ બંને એના થકી જ ચાલે છે!!! વટના માર્યા એણે બોસને પાઠ ભણાવવા સાવ અચાનક રજા મૂકી દીધી!! ઓફિસ કેમ ચાલે છે તે જાણવા માટે વળી એક મિત્રને છાનાંસપનાં ફોન પણકર્યો!!! ફોન ઉપાડનાર પણ એના માથાનો હતો!!! .. આવો એ સંવાદો યાદ કરીએ…

ગેરહાજર રહેનાર: [ધીરેથી] હલો… હું  બોલું છું. ઓફિસ કેમ ચાલે છે?

ફોન ઉપાડનાર: બરાબર ચાલે છે!!!

: સાહેબ શું કરે છે?

:મજા કરે છે!!

:પણ આજે તો હું નથીને?

:એટલે જ મજા કરે છે!!

: કોઈ પ્રોબલેમ નથીને?

: ના ભાઈ ના! પ્રોબલેમ આજ ગેરહાજર છે!!!!!!!

તો મિત્રો, વાત આમ છે! અમારી હાજરીથી કોઈને રાહત ન થાય તો ચાલે પણ અમારી ગેરહાજરીથી કોઈને રાહત થાય એ દિવસો બ્લોગનારાયણ ન દેખાડે!!

એક બીજી વાત યાદ આવે છે. આજકાલ તો લોકોને મોટાભાગે કોઈની જાનમાં જવાનો પણ સમય નથી! પણ એક જમાનો હતો કે, કોઈની જાનમાં જવા માટે નાનામોટા સહુને ઉમંગ રહેતો હતો. જઈ જઈને ક્યાં જવાનું હોય? પાંચ પચીસ ગાઉ દૂરના ગામે! જમવામાં પણ મોટાભાગે બુંદીના લાડુ અને મોહનથાળ જ હોય! [યાદ કરો.. શાહબુદ્દીનભાઈ રાઠોડ સર્જિત, “વનેચંદનો વરઘોડો”.] પણ તોય મજા મજા થઈ જતી હતી.

હવે વાત એમ બને કે, કોઈની જાન ઉપડવાની થાય ત્યાં સુધી એ વડીલ જ ન આવે કે જે વડીલ થકી સગાઈ નકી થઈ હોય! તો? જાન ઉપાડાય? આજની વાત અલગ છે! પણ ત્યારે વરના બાપા અને મા બંને એ વડીલને મનાવવા જાતાં! જરૂર પડે તો વરના કાકા ને મામા પણ દોડતા!! આમ તો એ વડીલે જાનમાં જવાની થેલી પણ તૈયાર જ રાખી હોય. છતાંય વિવિધ પ્રકારના બહાનાં કાઢે: જેવાં કે.. તબિયત બરાબર નથી.. મને સરખો આગ્રહ કર્યો નથી… મારી હવે જરૂર નથી… વગેરે વગેરે!!! પણ એ વડીલને માનસહિત જાનમાં લઈ જવાતા. આજે એવા વડીલો નામશેષ થઈ ગયા છે.

ધારો કે આવા કોઈ વડીલથી જાનમાં ન જવાયું હોય:પણ જ્યારે એને ખબર પડે કે, એમની ગેરહાજરીની નોંધ માંડવાવાળાએ પણ લીધી હતી ત્યારે એમને શેર લોહી ચડતું!!!!!

બ્લોગજગતમાં પણ ગેરહાજરીની નોંધ લેવાય એ વાત પણ આનંદ આપનારી કે અહમને સંતોષનારી છે!!!

અટકીએ? બ્લોગાચાર્યનું કહેવું છે કે. લાંબા બ્લોગાપવાસ પછી બ્લોગ ભોજન થોડું થોડું વધારવું! તો આવજો અને જલસા કરજો. જો ઉપવાસ કે એકટાણાં કર્યાં હોય તો ધમધમાવીને  ફરાળ કરજો. આજકાલ તો કેવું કેવું ફરાળી મળે છે! ફરાળી ચેવડો… ફરાળી પેટીસ.. ફરાળી ભજીયાં.. ફરાળી કટલેસ…

કદાચ, ફરાળી પાણીપૂરી કે ફરાળી સેવઉસળ કે ફરાળી પિત્ઝા કે ફરાળી બર્ગર સુધી વાત પહોંચી ગઈ હોય તો અમને જાણ નથી!!! પણ આ પવિત્ર શ્રાવણ મહિનામાં અમારા મનમાં એક પવિત્ર સવાલ એવો થાય છે કે: બ્લોગ જગતમાં ફરાળી બ્લોગ્સ કેટલા?