ઉલાળા! ઉલાળા!

ઉલાળા! ઉલાળા!

મિત્રો, આ  શબ્દો વાંચીને તમને, “ડર્ટી પિક્ચર”નું આજકાલ ખૂબ ઉલાળા મારતું ગીત ઉલ્લાલા.. ઉલ્લાલા હોઠે ચડી જાય અને તમે મનોમન ઉલાળા મારવા લાગો તો તેમાં કશું અજુગતું નથી. ગીત જ  ઉલાળા મરાવે એવું છે. જોવાનું એ રહે છે કે, નાયિકા વિદ્યા બાલનના ઉલાળા ફિલ્મને થિયેટરમાથી વહેલી વહેલી ઉલળતી બચાવી શકે છે કે નહિ. 

[તસવીર: http://gallery.southdreamz.com/actress/vidya-balan/indian-glamour-actress-vidya-balan-hot-dirty-picture-garam-maslala-photos-2.jpg.html ]

મનુષ્ય સામાજિક પ્રાણી છે. મતલબ કે પ્રાણી તો છે જ. પ્રાણીમાત્ર ઉલાળા મારવાને પાત્ર છે. સામાજિક પ્રસંગોએ મનુષ્ય ઉલાળા મારે તે સ્વાભાવિક છે. લગ્નની મોસમમાં રસ્તા વચ્ચે વિહરતા વરઘોડા આ બાબતમાં  ઉત્તમ ઉદાહરણ છે. વરઘોડો શબ્દ જ મનુષ્ય અને પ્રાણી વચ્ચેની સમાનતા સૂચિત કરે છે.  જેમાં વરનારો અને વરાવનારાઓ ઘોડાની જેમ ઉછળી શકે તે વરઘોડો!

ધાર્મિક પ્રસંગોમાં તેમજ તહેવારોમાં પણ મનુષ્યને ઉલાળા મારવાના મોકા મળે છે.  આ પ્રસંગોએ પણ ધાર્મિક ગીતોના બદલે ફિલ્મી ગીતો વગાડવામાં આવે છે કારણ કે ફિલ્મી ગીતો ઉલાળા મારવા માટે શક્તિ મેળવવાનું શ્રેષ્ઠ માધ્યમ છે. 

રાજકીય ક્ષેત્રે તો  આજકાલ ઉલાળાયુગ ચાલી રહ્યો હોય તેવું લાગે છે!

ચાર રાજ્યોમાં ચૂંટણી આવી રહી છે એટલે સ્વાભાવિક છે કે નેતાઓ ઉલળી ઉલળીને ભાષણો કરવા લાગે! રાહુલ ગાંધી ખરેખર બાંયો ચડાવીને અને ઉલળી ઉલળીને,માયાવતીની સરકારને ઉલાળી નાખવા માટે લોકોને આહવાન કરી રહ્યા છે. તો સામે પક્ષે વગર ઉલાળા માર્યે માયાવતી ભાષણ વાંચી જાય છે! એમનું કહેવું એમ છે કે, સપનાં જોયા કરો. હું કે મારો હાથી ઉલળીએ તેવાં નથી.

ભાજપના નેતાઓને રૂડા રૂડા શબ્દો ઉલાળવામાં કાબેલ છે. સુષ્મા સ્વરાજ બોલતાં હોય ત્યારે ડોલમાંથી સાબુનાં ફીણ ઉલાળા મારતાં હોય તેવું લાગે છે. અડવાણીજીને તો ધોળે દિવસે સરકાર ઉલળી જવાનાં સપનાં આવતાં હોય તો નવાઈ નહિ.

સરકારે વોલમાર્ટ માટે રસ્તો ખોલવાની વાત કરીને વિરોધ પક્ષો અને નાનામોટા વેપારીઓને ઉલાળા મારતાં કરી દીધા છે. નાના નાના વેપારીઓ ને  હવે પોતે ઉલળી  જશે એવી બીક લાગી છે.

પેટ ઉલાળવાની અનોખી કળા જેને આવડે છે તે બાબા રામદેવને સરકારે પોલીસ મારફતે મંચ પરથી એક વખત ઉલાળો મરાવ્યો. હવે તેમને લોકોની નજરમાંથી ઉલાળી નાખવા માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે. અન્ના મંડળીના અભ્યોને ઉલાળી નાંખવા માટે એમની નાનીમોટી ભૂલો શોધી કાઢીને ઉછાળવામાં આવી રહી છે.

આન્નાજીના વ્યક્તિત્વમાથી તો  ક્યારેક  ગાંધીજી તો ક્યારેક  શિવાજી ઉછળીને બહાર આવી જાય છે! ટુ ઇન વન! ડબલ પર્સનાલીટી!! ન ઉછળવા જેવાં શબ્દો તેમના હોઠેથી ઉછળી જાય છે ત્યારે કેટલાક લોકોને તેમનાં પૂતળાં ઉછાળવાના મોકા મળી જાય છે! તેમાં મિડીયાનો ફાળો પણ નોંધપાત્ર હોય છે. અન્નાજીના મોંઢેથી “ચાટા મારા? એક હી મારા?” શબ્દો ઉછળ્યા એક વાર. પરંતુ મીડિયાએ ઉછળતા દેખાડ્યા વારંવાર!  ”ચાટા મારા? એક હી મારા?”… ”ચાટા મારા? એક હી મારા?”…. ”ચાટા મારા? એક હી મારા?”.  મીડિયા પોતે તો ઉલાળા મારે પણ બીજાંને પણ ઉલાળા મરાવી શકે છે. 

સંસદ સભ્યો પણ સંસદમાં વિરોધ કરવામાં મર્યાદા રાખતાં નથી ત્યારે  સંસદના આખેઆખાં સત્રો કામ કર્યાં વગર ઉલળી  જતાં હોય છે.  

તાજેતરનો સહુથી વધારે ચર્ચાસ્પદ ઉલાળો, હરવિન્દરસિંહનો ગણી શકાય. આ ઉલાlળાના પરિણામે તેણે શરદ પવારના ગાલે તમાચો ચોડી દીધો. આ ઉલાળાના પ્રભાવે જ તમામ સંસદ સભ્યોએ એક થવું પડ્યું અને હરવિંદરસિંહના ઉલાળાને એકી અવાજે વખોડવો પડ્યો! કાશ! આવી જ એકતાનું પ્રદર્શન  જનતાની ભલાઈ માટેના ઠરાવો પસાર કરવા માટે થયું હોત  તો દેશના કોઈ યુવાનના દિમાગમાં  ગુસ્સો  ઉલાળા ન મારતો હોત!

बात हद से बढ गई तो हो गई बबाल

ढाई किलो के हाथने ढूंढ लिया एक गाल!

મિત્રો, શિયાળો આવી ચૂક્યો છે. શિયાળામાં વ્યાયામના બહાને સહુને ઉલળવાના અવસર મળે છે. યથાશક્તિ ઉલળવાથી આપણું દિલ પણ સારી રીતે ધબકતું રહે છે. જેનું દિલ ધબકતું બંધ થાય તે આ દુનિયામાંથી ઉલળી જાય છે. 

આ હિસાબે ઉલળવું તે આપણો જન્મસિદ્ધ જ નહિ પરંતુ મરણસિદ્ધ અધિકાર પણ છે!   

લોકશાહીનાં કડવાં ફળ!

આપણા દેશમાં લોકશાહી જ નથી પરંતુ સવાઈ લોકશાહી છે.  જેનાં કેટલાંક ફળ મીઠાં છે. તો કેટલાંક કડવાં છે.  

આજનું કડવું ફળ એ છે કે:  આપણી છાતી પર ફણીધર નાગ બેઠો હોય તેમ એક ત્રાસવાદી ત્રણ ત્રણ વર્ષોથી લાખો કરોડોના ખર્ચે જેલમાં રહીને એના હકો ભોગવે છે જ્યારે એણે કરેલા હુમલામાં જેમણે પોતાનાં સ્વજનો ગુમાવ્યાં છે તેમાનાં કેટલાંક લોકોને, પુરાવાના અભાવે  હજુ વળતર માટે વલખાં મારવાં પડે છે!

શહીદોને સલામ. 

ગુજરાતનો વાઈબ્રાન્ટ ફટાકડો

મિત્રો, 

દેવદિવાળી પણ ગઈ. પરંતુ આપણી પાસે રાજકીય ફટાકડાઓની વાતો ખૂટે તેમાં નથી. કારણ કે રાજકીય ફટાકડાઓ બારેમાસ ફૂટતા હોય છે. આ પહેલાં આપણે આવાં  ત્રણ ફટાકડાની  વાતો કરી. જેમ કે:

 (૧) અપણા નેતાઓમાં ફટાકડાનાં દર્શન કરો.  જેમાં મનમોહન સિંહ નામે લવિંગિયાની વાત કરી. 

(૨) શ્રી લાલકૃષ્ણ અડવાણી-ભાજપની ભો ચકરડી 

(૩) રાહુલ ગાંધી- વગર ફૂટ્યે વખણાતો કોંગી ટોટો 

આજે આપણે ગુજરાતના વાઈબ્રાન્ટ ફટાકડાની  વાત કરવાની છે.  ચતુર નરનારીઓ સમજી જ ગયાં હશે કે: આ ફટાકડો બીજો કોઈ નહિ પણ પાંચ પાંચ કરોડ ગુજરાતીઓના નામે પોરસાતા શ્રી નરેન્દ્ર મોદી.

આ  ફટાકડો લગભગ છેલ્લા દસ વર્ષોથી સતત પોતાની ફરજો બજાવી રહ્યો છે. વિવિધ  ફટાકડાની મુખ્ય ફરજો તો આપ સહુ જાણતાં જ હશો. જેવી કે:

*ફૂટવું- સીધું કે આડું.

*રંગ બેરંગી તણખા વેરવા.- એવાં વેરવા કે જેને અડે તેણે બરાબર ચચળે.

*ધડાકા  કરવા- એવા  ધડાકા કે જે ધડાકા બાબત  અમુક સંસ્થાઓ સતત ચિંતા કરતી રહે.

*ઊડવું- એવી રીતે ઊંચે જવું  કે જોનારાં જોતાં જ રહી જાય.

*ફરવું- અમુક ફટાકડાની ફરજ માત્ર ફરવાની જ હોય!જેમ કે: ભો ચકરડી

*ઘૂસવું- કેટલાક ફટાકડા ફૂટવાની સાથે સાથે ગમે ત્યાં ઘૂસી પણ જાય. કેટલાક તો ફૂટે ઓછા ને ઘૂસે વધારે!

*રોશની વેરવી- એવી રોશની કે જેનાથી જોનારાંની આંખો અંજાઈ જાય.

*લાંબા થઈને અવનવા વળાંકો લેવા- સાપ!

ફટાકડાઓ આ સિવાયની પણ નાનીમોટી અનેક ફરજો બજાવતા હોય છે. સંજોવાશાત આમાંની એકપણ ફરજ ન બજાવી શકે તો છેવટે સૂ……… રસૂરિયું થવાની ફરજ તો બજાવતા જ હોય છે. 

આપણે  ગુજરાતના જે વાઈબ્રાન્ટ ફટાકડાની ફટાકડાની વાત કરી છીએ એ ફટાકડાની વિશેષતા એ છે કે: આ ફટાકડો ઉપર બતાવેલી ફરજોમાંથી સૂરસૂરિયું થવા સિવાયની તમામ ફરજો એકલો  બજાવી શકે છે! હા, ફૂટેય ખરો અને ઊડેય ખરો. આપણને એમ થાય કે:બસ, હવે પતી ગયું.  ત્યાં તો પાછો જમીન પર આવીને ગોળ ગોળ ફરવા લાગે. આપણને એમ થાય કે ફરતો ફરતો થાકશે! પણ ત્યાં તો દાડમની જેમ માંડે રોશની અને તણખા વેરવા! આ ફટાકડો ક્યારે કઈ ફરજ બજાવશે એનું કાઈ નક્કી નહિ! તમે જ કહો. આને શું કહેવાય? માત્ર ટોટો કહેવાય? માત્ર રોકેટ કહેવાય? માત્ર ચકરડી કહેવાય? માત્ર બોમ્બ કહેવાય? ના જ કહેવાય. એટલે જ એનું નામ પડ્યું છે: ગુજરાતનો વાઈબ્રાન્ટ ફટાકડો !

મિત્રો, ભલભલા વિદ્વાન અભ્યાસીઓનાં માથાં ફરી ગયાં છે પણ તેઓ નક્કી નથી કરી શકતાં કે:આવું કઈ રીતે બની શકે? કેટલાક  કહે છે કે: આ ફટાકડામાં તોફાનો કે રમખાણોમાં પેદા થતો હોય તેવો રોષ ભર્યો છે. આ ફટાકડો નકારાત્મક તત્વોથી ભર્યો છે. જો એને વહેલાસર કાબુમાં લેવામાં નહિ આવે તો અનર્થ થશે.

 તો કેટલાક કહે છે કે: આમાં જનતાનો વિશ્વાસ ભર્યો છે. પ્રેમ ભર્યો છે. આ ફટાકડામાં ભરપૂર સકારાત્મક ઉર્જા ભરી છે. માટે આટલું જોર કરી શકે છે. આ ફટાકડો વહેલી તકે રાષ્ટ્રીય ફટાકડા તરીકે જાહેર થવો જોઈએ.

વિરોધીઓ માટે તો આ ફટાકડો ઉકેલી ન શકાય તેવો કોયડો બની ચૂક્યો છે. કહેવાય છે કે આ ફટાકડાને હોલાવાવાના છૂપા તાલીમ કેન્દ્રો ચાલે છે! પરંતુ આજસુધી તો આ ફટાકડાને હોલવવાનો એકેય ઉપાય કારગત નીવડ્યો નથી. હા, એ હોલવાઈ જાય કે એનું સૂરસૂરિયું થઈ જાય એવાં સંજોગો ઘણી વખત ઊભા થાય છે. પણ ત્યાં તો આ ફટાકડો ઉલટાનો વધારે જોરથી ધડાકા કરવા લાગે છે.

એક વખત કેટલાક વિરોધીઓએ પોકાર કર્યો કે: સોનિયા માવડી તમે કઈક કરો. તો સોનિયાજીએ કાદવમાંથી મોતકા સોદાગર નામે એક જોરદાર ફટાકડો તૈયાર કર્યો અને ફેક્યો આ  વાઈબ્રાન્ટ ફટાકડા પર! બધાંને એમ હતું કે:ખલાસ! હવે વાઈબ્રાન્ટ ફટાકડો ગયો કામથી!

પણ બન્યું કઈક જુદું જ! વાઈબ્રાન્ટ ફટાકડો એવો તો બમણા જોરથી ફૂટ્યો કે સોનીયાજીના ફટાકડો ઊડીને પાછો આવ્યો સોનિયાજીની જ પાસે!  ને પછી ફૂટ્યો ! જેના પરિણામે તેમની સાડી કાદવ કાદવ થઈ ગઈ! ત્યારથી તેઓ આ ફટાકડાથી બને ત્યાં સુધી દૂર રહેવાનું પસંદ કરે છે. કહેવાય છે કે એમણે રાહુલને પણ ચેતવ્યો છે કે: દિકરા, દુનિયાભરના ફટાકડાને ચાળો કરજે પણ આ વાઈબ્રાન્ટ ફટાકડાથી સાચવજે!

માધ્યમો પણ મક્કી નથી કરી શકતાં કે આ ફટાકડાને વાગોવવો કે વાખાણવો?  તેથી તેઓ બંને કામો કરે છે! આ ફટાકડાની વાતો દૂર દૂર ફેલાતી ગઈ છે. મોટા મોટા માંધાતાઓ  આ ફટાકડાની લીલા જોવાં ગુજરાતમાં પધારે છે. છાશવારે સમાચાર આવે કે: ફલાણા મોટા માણસે આ ફટાકડાથી પ્રભાવિત થઈને એની પ્રશંસા કરી!

આ ફટાકડાની ચર્ચા દેશભરમાં થતાં થતાં વિદેશોમાં પણ થવા લાગી છે. અમેરિકા જેવાં અમેરિકાને ડર લાગ્યો હતો કે: જો આ ફટાકડાનો પ્રભાવ  અમેરિકા પર પડશે તો  અમેરિકાપણું ઝાંખું થઈ જશે. પણ  ત્યાંની ફટાકડાપ્રેમી જનતા આ ફટાકડાને ટીવી તેમ જ વિડીયો જેવાં માધ્યમો દ્વારા જોઈને આનંદ પામે છે.  જ્યારે ફટાકડા બનાવાવામાં અગ્રેસર એવાં ચીનને પણ આ ફટાકડામાં રસ પડ્યો છે. આ ફટાકડામાં હવે ચાઈનીઝ રંગો તો નહિ ઉમેરાયને? એવી ચર્ચા પણ આજકાલ ચાલી રહી છે.

મિત્રો, આ ફટાકડાની જેટલી વાતો કરીએ તેટલી ઓછી છે! ઘણાનું કહેવું એમ છે કે: આ બધી વાતો ભ્રામક છે.જ્યારે આ ભ્રમ તૂટશે ત્યારે આ ફટાકડાનું તો  સૂરસૂરિયું થઈ જશે.

બાકી અત્યારે તો  ગુજરાતનું નામ આ ફટાકડા સાથે જોડાઈ ચૂક્યું છે. જે ગુજરાત, ખમણઢોકળાં, રાસગરબા કે પતંગ માટે વખણાતું હતું તે હવે આ વાઈબ્રાન્ટ ફટાકડા માટે વખણાવા લાગ્યું છે.

ભો…………………………………………………………………………………પૂપ !!!!!!!!!!

ઓહો! ભોપુપ વાગી ગયું! સમય સમાપ્તિની ઘોષણા થઈ ગઈ છે! તો આજે અમે વિદાય લઈએ. ફરી મળીશું કોઈ નવા ફટાકડાની વાતો સાથે ત્યાં સુધી જલસા કરો અને કરાવો.

Narendra Modi[આ ફટાકડો મેળવ્યો અહીંથી: http://www.topnews.in/law/people/narendra-modi?page=11&destination=taxonomy%2Fterm%2F699%3Fpage%3D7]

મરવા માટે બે ગજ જમીન પણ ન મળે!

મિત્રો, 

આપણે એવાં કેટલાય ભજનો કે ગીતો સાંભળ્યા હશે કે જેમાં ભગવાનને ભીડ ટાળવા માટે આજીજી કરવામાં આવી હોય. અહીં ભીડનો અર્થ થાય છે :અડચણ; મુશ્કેલી; હરકત.આવી ભીડ ટાળવા માટે ભગવાનની મદદ લેવી પડે એ સમજી શકાય તેવી વાત છે. પરંતુ ઘણી વખત આવી ભીડ આવી પડે તે માટે જ જાણે કે માનવ-સર્જિત આયોજનો થતાં હોય છે. એવાં આયોજનો કે જેમાં માનવમહેરામણ ઉમટી પડે. અર્થાત ભીડ થાય. અહીં ભીડનો અર્થ થાય છે:પરસ્પરનો ભીંસો, ગિરદી, ઠઠ, ભરાવો. 

જુઓ. થઈને અજબ ભીડ કી ગજબ કહાની! ભીડ એટલે કે અડચણો કે દુઃખદર્દ વગેરેથી મુક્તિ મેળવવાના બહાને  ભીડ એટલે કે ગિરદીનું  સર્જન કરવામાં આવે. એકલોઅટુલો પડી ગયેલો માણસ ભીડથી મુક્તિ  મેળવવા ભીડ તરફ દોટ મૂકે. પરિણામે ઘણી વખત જે ભીડથી મુક્તિ મેળવવા એ ઘેરથી મોટાં ઉપાડે નીકળ્યો હોય એ ભીડ રહી જાય બાજુ પર અને અણધારી નવી ભીડનો ભોગ થઈ પડે.  

ભગવાન કરે કે ક્યારેય ભીડના કારણે કોઈનો ભોગ ન લેવાય. પરંતું એક નહિ અનેક દાખલાઓ છે કે ભીડના કારણે માણસો ચગદાયા હોય. ખાસ કરીને ધાર્મિક સ્થાનોમાં કે ધાર્મિક કાર્યોક્રમોમાં. આયોજકો લાખો લોકો ભેગાં થાય મોટાં પાયે જાહેરાતો કરે. પરંતું એ વિચાર ન કરે કે આટલાં બધાં લોકો એકઠાં થશે તો જગ્યા કે અન્ય સુવિધાની ભીડ ઊભી થશે.  અહીં ભીડનો અર્થ થાય છે:  ખેંચ, તંગી, અછત, ‘શૉર્ટેઇજ’ .આ ભીડના કારણે ધકામુક્કી થાય અને ન ધારેલી ભીડ ઉભી થાય.   

આપણી શ્રદ્ધાનો ધકામુક્કી સાથે ગાઢ નાતો છે. મંદિરમાં ઘણાંને ધક્કામુક્કી કર્યાં પછી જે પ્રભુદર્શન થાય એમાં જ મજા આવે.કષ્ટ વગરનાં દર્શન આપણને માફક આવતાં નથી. પછી ભલે એવાં દર્શનના કારણે અશક્ત કે ઘરડાં લોકોને ધોળા દિવસે તારાઓનાં દર્શન થઈ જાય. વળી માન્યતાઓ પણ એવી જ સર્જવામાં આવે કે: અમુક સમયે જ  અને અમુક જગ્યાએ જ દર્શન કરવામાં આવે તો અનલિમિટેડ પુણ્ય મળે બસ,આ અનલિમિટેડ પુણ્ય મેળવી લેવાની લ્હાયમાં જ ઘણાં લોકો, અનલિમિટેડ ચરણોની નીચે કચડાવાનું જોખમ પસંદ કરે છે.   ક્યારેક પ્રસાદ માટે ધકામુક્કી થાય તો ક્યારેક ગુરુજી કે સ્વામીજીનાં ચરણસ્પર્શ માટે  થાય. પરિણામે ક્યારેક  ભક્તોને મંદિરેથી સીધાં દવાખા ભેગાં થવું પડે. 

એક માણસ  બીજા માણસને મળવાનું ટાળે છે. લોકો એક જ ફલેટમાં રહેતાં હોય અને રોજ એકબીજાની નજરે ચડતાં હોય તોય વાતચીત કરવાનું ટાળે છે. નવા વર્ષના અભિનંદન આપવા માટે પણ એમના હાથ સળવળતા નથી.  શહેર કે ગામમાં કેટલાય જાણીતાં સનેહી કે મિત્રો હોય તેમનાથી ભાગી છૂટવું હોય તેમ ઘણાં પ્રવાસને  બહાને અજાણ્યાં લોકોની ભીડમાં ભળવા માટે દોટ મૂકે છે. 

ભીડનો ભોગ ન બનવું પડે તેવી ગણત્રીથી અમે વહેલાસર, દિવાળીને પંદરેક દિવસોની વાર હતી ત્યારે સોમનાથ ગયા તો ત્યાં મોટાભાગનાં ગેસ્ટહાઉસ બૂક થઈ ગયા હતાં.જે ખાલી હતાં તેમાં અસુવિધાઓની ખાતરી સાથે ચારગણા ભાવ બોલાતા હતાં. દેશમાં તો મોંઘવારી છે જ. પરંતું સોમનાથમાં એનાથી પણ વધારે મોંઘવારી ખાબકવાનું કારણ એ હતું કે ત્યાં બીજા દિવસથી શ્રી મુરારીબાપુની સપ્તાહ બેસવાની હતી. અમને થયું કે આજે તો સુવાના ભાવ બોલાય છે તો કાલે કદાચ બેસવાના કે ઊભા રહેવાનાય ભાવ બોલાય! સમય વર્તે સાવધાન! અમે ભોળાનાથનાં દર્શન કર્યાં અને ક્ષમા માંગીને એમના ધામમાંથી વહેલાસર વિદાય લઈ લીધી.

અમે એવી પણ વાત સાંભળી કે દિવાળીના તહેવારોમાં અમુક ધાર્મિક સ્થાનોમાં એટલી બધી ભીડ હતી કે ; સુવા માટે ધાબે એક ગાદલુ મેળવવાના ૧૫૦૦ રૂપિયા ભાવ બોલાતો હતો. 

અમને થયું કે: અરેરે!અમારો અસરનો ઓટલો આવી કોઈ જગ્યાએ હોત તો અમે હોંશે હોંશે કહેત કે: આવતાં રહો બાપલા . ઓટલે બેસવા ઊઠવાનો કે સુવાનો કોઈ ચાર્જ નથી. 

પરંતું લાંબુ વિચારતાં અમને ભાન થયું કે:એવું ય બને કે ઓટલે આશરો લેવા બાપલીયાઓની ધકામુક્કી થાય તો નાં થાવાનું પણ થઈ જાય! માટે જે છે તે બરાબર છે. આ આભાસી ઓટલો જ સારો છે કે જ્યાં વટથી આવો બાપલા આવો એવા હાકલા કરી શકાય છે. ઓટલે ભીડ થવાની બીક લાગતી નથી. 

એ મતલબની જાણીતી પંક્તિઓ છે કે: જીવવા કે મરવા માટે બે ગજ જમીન પૂરતી છે. 

પરંતું નસીબમાં લખાયું હોય તો ભીડમાં મરતી વખતે  બે ગજ  જમીન પણ ન મળે!!  

                                                                ****

રાહુલ ગાંધી- વગર ફૂટ્યે વખણાતો કોંગી ટોટો

[તસવીર: http://rahulgandhikabharat.in/organizer.php]

ગમે તેવો રૂડોરૂપાળો ટોટો  હોય, એ ફૂટે ત્યારે જ ફોડનાર કે જોનારને ખરો આનંદ થાય. ફૂટ્યા પછી એની વાહ વાહ થાય એ વાત બરાબર છે. પરંતું એ ફૂટ્યા પહેલાં જ કોઈ  જો એના અવિરત વખાણ કરે તો આપણને જરૂર કહેવાનું મન થાય કે:ભાઈ, ફૂટવા તો દે! પછી જેટલાં વખાણ કરવા હોય તેટલાં કરજે. વગર ફૂટ્યે વખાણ શાં કામનાં?

રાહુલ ગાંધી એ કોંગીનો રંગે રૂડો અને રૂપે પૂરો એવો ટોટો છે. જે હજી ફૂટવાનો બાકી છે. પરંતું એમના કેટલાક પક્ષવાળા આ ટોટાનું માર્કેટિંગ કરતાં થાકતા નથી. મોકો મળ્યો નથી કે:”વાહ રાહુલજી!વાહ રાહુલજી!”  રાહુલજીને જેવાં વિચારો આવે એવાં એમના પક્ષમાં જાણે કોઈને ન આવે! દેશના સામાન્ય યુવાનને આવે એવો વિચાર પણ જો રાહુલજી રજૂ કરે તો જાણે કે રાહુલજીએ કોઈ ગજબનો આઈડિયા બતાવ્યો હોય એમ કેટલાક સિનિયર નેતાઓ રાહુલજીના રાસડા લેવા લાગે. આપણને મીડિયા મારફતે એ રાસલીલા જોવાં મળે છે.

અન્ના હજારેએ જન લોકાપાલ બિલની વાત કરીને આખા દેશનું ધ્યાન ખેંચ્યું તોય એ લોકોને મન જાણે કે કશું નહિ! એ તો ફલાણા કે ઢીકણાનું કાવત્રુ! પરંતું રાહલ ગાંધીએ એ બિલની હવા કાઢી નાખવાના ઈરાદે જન લોકાપાલ બિલના બદલે સ્વતંત્ર એજન્સી બનાવવાની વાત કરી તો તો જાણે કે રાહુલજીએ કોઈ મહાન પરાક્રમ કર્યું હોય તેમ રાહુલઘેલાઓએ  એમની વાહ વાહ શરૂ કરી દીધી. આ જ વાત જો રાહુલ ગાંધીએ પહેલાં કરી હોત તો એમની વિચાર શક્તિ માટે જેટલાં ગુણગાન ગવાયાં હોત એ બધાં લેખે લાગત! મુશાયરામાં કેટલાક લોકો શાયરના મોઢેથી શેર પૂરો સાંભળે ન સાંભળે ને વાહ વાહ શરૂ કરી દે તેમ આ લોકો રાહુલ ગાંધી કોઈ વિધાન કરે કે તરત કામે લાગી જાય! આવાં તો અનેક ઉદાહરણ આપી શકાય તેમ છે. અન્ના હજારે જેવી તોપની સામે આ લોકો વારેવારે ફૂટ્યા વગરનો ટોટો ધરીને ઊભા રહી જાય છે!

રાહુલ ગાંધી યુવાન છે. મોટા પરિવારના છે. પણ એમને પોતાની લાયકાત પૂરી કરી બતાવવાનું કામ બાકી છે.  કોઈ લારી પરની લારી પરની ચાં પીવાથી પણ મોટાં કામ કરવાનાં બાકી છે. કોઈ ઝૂપડામાં જઈને રોટલાનું બટકું ભાંગવું એ સારી વાત છે. પરંતું એટલું પૂરતું નથી. એમની પાસેથી મોટી અપેક્ષાઓ હોવી જઈએ.

રાહુલ ગાંધી દેખાવ ખાતર , રસ્તા પરની દુકાનેથી કે લારી પરથી સમોસાં લઈને ખાય તો એ એમના પક્ષાના લોકો માટે બહુ મોટી ઘટના ગણાય!  અરે નેતાલોગ! આ દેશના ભૂખ્યાં જન માટે તો હવે એક સમોસું પણ સપનું બનવા લાગ્યું છે! રાહુલ ગાંધી બીજું કશું ભલે ન કરે. ભલે પેટ્રોલના ભાવ ઓછા ન કરાવી શકે , ભલે અનાજના ભાવ ઓછા ન કરાવી શકે. ભલે શાક સસ્તું ન કરાવી શકે. પરંતું એમ સમોસું પણ જો સસ્તુ કરાવી શકશે તો એના જેવો  ભડવીર આ દેશમાં કોઈ નહિ હોય!!! સરકાર એમની છે. સત્તા એમની પાસે છે. સવાલ છે માત્ર કશું કરી બતાવવાનો! જેને તમે લોકો વડાપ્રધાન બનાવવા માંગો છો તેની પાસે આજે કશું કરી બતાવવાની એક તક છે. એ એક સમોસું સસ્તું કરી બતાવશે તો પણ ઘણું છે.

દેશની જનતા રાહત માંગે છે. આ ટોટાનો પોતીકો અવાજ સાંભળવા માંગે છે. એ અવાજ થાય પછી ટોટાના  વખાણ થાય તો વાત બરાબર  કહેવાય. ત્યાં સુધી એને તડકે મૂકવાની અને  તપાવવાની જરૂર છે.

[તસવીર: http://www.ifood.tv/network/samosa]

આ પણ વાંચો: રાહુલ ગાંધી ઊંઝા આવશે ત્યારે