મિત્રો,
કોઈ માને કે ન માને! વાત લપાતી છુપાતી … હરતી ફરતી.. એક મુકામે આવીને ઊભી રહેશે કે- પહેલાં સરકાર હટાવો. એ વગર ભ્રષ્ટાચાર નહીં હટે!
આ પરંપરા છે આપણા દેશના રાજકારણની!
ગાંધીજીનો ધ્યેય માત્ર શાસનપલટો નહોતો. તેઓ પણ ભ્રષ્ટાચાર હટાવવા માંગતા હતા. પણ પ્રાથમિકતા આપવી પડી વિદેશી શાસન હટાવવાના મુદ્દાને.
શાસન પલટો થયો. ભ્રષ્ટાચાર રહ્યો! ગાંધી ટોપી પહેરીને જાડિયો પાડિયો થયો. ને અફવાની જેમ ફેલાયો.
એક સમય એવો આવ્યો કે ગાંધી ટોપી ને ગાંધીનું નામ મજાકને પાત્ર બની ગયા.
ગુજરાતમાં નવનિર્માણનું આંદોલન થયું ત્યારે ઠેર ઠેર સરકારના મૃત્યુઘંટ વાગતા હતા કોંગ્રેસી નેતાઓના નામની ઠેર ઠેર હાય હાય બોલાતી હતી. કોંગ્રેસી નેતાઓની નનામીઓ નીકળતી હતી. ગધેડાઓના શરીર પર નેતાઓનાં નામ લખાતાં હતાં. પોલીસો પકડી પકડીને કેટલાને પકડે?
144 ની કલમની નવાઈ ન રહી. કેટલાક લોકોએ તો એમની જિંદગીમાં પહેલી વખત કર્ફ્યુ જોયો અને માણ્યો!
યુવાન છોકરા છોકરીઓએ લડત લડી રહ્યાં હતાં. એમને ત્યારના વિરોધ પક્ષોની દોરવણી અને ટેકો હતા.
પાછળથી એવી પણ ખબર આવી કે - આખી લડત કોઈ કોંગ્રેસના જ નેતાના મગજની પેદાશ હતી!
બોલો! અશક્ય શું છે?
યુવાનોઅને યુવતીઓની આંખોમાં સપનાં હતાં.. બેકારી હટવાના મોંઘવારી હટવાના.. ભ્રષ્ટાચારીઓને ખદેડવાના…
એમનું મુખ્ય સૂત્ર હતું અંધકાર મેં એક પ્રકાશ .. જયપ્રકાશ જયપ્રકાશ.
નવનિર્માણ આ6દોલનની ત્રણ મુખ્ય માંગણીઓ હતી..
*મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલ રાજીનામું આપે.
** ગુજરાત વિધાનસભાનું વિસર્જન થાય.
***ભ્રષ્ટાચાર નાબુદ થાય.
લગભગ સો જેટલા લોકો ગોળીએ વીંધાયા પછી પહેલી બે માંગણીઓ પૂરી થઈ.
ચૂંટણી આવી. કોંગ્રેસનો પરાજય થયો. જનતાપક્ષની સરકાર આવી. મુખ્યમંત્રી તરીકે બાબુભાઈ જશભાઈ પટેલ આવ્યા.
જો કે સરકાર બનાવવા માટે એમણે કિમલોપ ના સભ્યોનો ટેકો લેવો પડ્યો. ને કિમલોપના વડા હતા શ્રી ચીમનભાઈ પટેલ. એ જ ચીમનભાઈ કે જેને હટાવ્યા હતા.
સમાચાર તો એવા હતા કે- ચીમનભાઈ પટેલના ઘરની પાછલી દિવાલ કૂદીને બાબુભાઈ ટેકો મેળવવા ગયા હતા.
વખત આવ્યે કૂદકા ય મારવા પડે!
પછી તો ધારાસભ્યોની આવન જાવનની રમત શરૂ થઈ. સરકાર બને ને ગબડે.
આમાં ભ્રષ્ટાચારને હટાવવાનો વખત કોની પાસે? ને હટાવવા જાય તો એની સાથે સાથે પોતાને હટી જાવું પડે!
દિલ્હીની વાત કરીએ તો કટોકટી પછી આવેલી ચૂંટણીમાં ઇંદિરાજી અને એમનો પક્ષ હાર્યાં.
જાણે કે ન બનવાનું બની ગયું. રામલીલા મેદાનમાં વિજયી સભા ભરાણી. વિવેક ભુલાયો. છાકટાં ભાષણો થયાં. ઇંદિરાજીને હરાવનાર રાજનારાયણ બોલ્યા કે- ભૂલ જાઓ ઇંદિરા કો! ઉસમે કુછ દમ નહીં! ઉસ મેં કુછ કસ નહીં!
ને મોરારજી દેસાઈની નવી સરકારે અંદરોઅંદરની ખટપટને કારણે દોઢેક વરસમાં દમ તોડી દીધો! સરકાર સારી ચાલતી હતી અને ચાલી શકે તેમ હતી. પણ આપણા નેતાઓની સત્તાભૂખ!
છેલ્લે છેલ્લે જે સરકારો બદલાઈ તે તો લોહી રેડ્યા વગર બદલાઈ.
પરંતુ એમની ય મજબુરી! એમની પાસે જાદુઈ છડી નથી.
[લખ્યા તા. ૦૭-૦૬-૨૦૧૧]
************************************************************************************************
ઉપરનું લખાણ નહોતું મુકાયું. મનમાં હતું કે : આ લખાણ મૂકવાની નોબત કદાચ નહિ આવે.
પરંતું આવી ગઈ!
આજે મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ છે. ચેનલ્સ અને છાપાઓ ભરીને ગાંધીને યાદ કરાશે. આ વખતે સાથે સાથે અન્નાજીને રજૂ કરાશે. કારણ કે અન્નાજીનો પરચો તાજો જ છે.
વળી અન્નાજીએ પોતે આડકતરી રીતે પણ ચૂંટણીઓ પર પ્રભાવ પાડશે તેનો સંકેત આપી દીધો છે.
વળી એ પણ સ્વાભાવિક જ ગણાશે કે: ભ્રષ્ટાચાર હટાવવા માટે સરકાર હટાવવી જરૂરી છે. વહેલી નહિ તો એની મુદ્દત પૂરી થાય ત્યારે. કારણ કે , પ્રજાને વર્તમાન પરિસ્થિતિ અગર ઠીક ન લાગતી હોય તો તે માટે સહુથી પ્રથમ જવાબદારી સરકારની જ ગણાશે.
.. ને જ્યારે સરકાર હટાવવાની વાત આવશે ત્યારે અન્ય વાતો ગૌણ ગણાશે. પછી તો એક જ વાત કે: જો સરકાર નિકમ્મી હૈ વો સરકાર બદલની હૈ!
આપણે ઈચ્છીએ કે:જે બદલાવું જરૂરી હોય તે ભલે બદલાય. છેવટે તો આ પરીસ્થિતી બદલાવી જોઈએ.
આ એટલે કઈ પરિસ્થિતિ?
એ જ કે જેની સામે મને,તમને અને મોટાભાગની પ્રજાને ફરિયાદ છે.
ડગલે ને પગલે અન્યાય, શોષણ અને આરાજકતા.
આશા રાખીએ. આશા અમર છે. બાપુ હાજરાહજૂર છે!

Gandhiji
Poster by Pietyz DSILVA
http://www.allvoices.com/contributed-news/10098788/image/86206990-famous-annaji
Like this:
Like Loading...