શ્રી લાલકૃષ્ણ અડવાણી-ભાજપની ભો ચકરડી

[તસવીર http://bengalnewzarchivejanuary2011.blogspot.com/]

મિત્રો,

આજે લાભ પાંચમ છે. નવા વર્ષમાં વેપારીઓ  મુરતના સોદા કરે છે. આ રચના દ્વારા અમે પણ  આજે આપની સાથે ખુશીની આપ લે માટેનો સોદો કરીએ છીએ.

આ અગાઉ અમે એક રચના રજૂ કરી હતી.

અપણા નેતાઓમાં ફટાકડાનાં દર્શન કરો.

આ લેખમાં આપે જાણ્યું હશે કે શ્રી મનમોહન સિંહ એ કોંગ્રેસી સરકારનું લવિંગિયું છે. 

મિત્રો, શ્રી મનમોહન સિંહ કોંગ્રેસ સરકારનું લવિંગિયું  છે તો શ્રી લાલકૃષ્ણ અડવાણી ભાજપની ભો ચકરડી છે. ભો ચકરડીની માફક શ્રી લાલકૃષ્ણ અડવાણીને પણ ચક્કર મારવાં ગમે છે. તેઓ  અવારનવાર દેશમાં ચક્કર મારવા નીકળી પડે છે. જેને સારી ભાષામાં રથયાત્રા એવું નામ અપાય છે. આજકાલ  આ ચકરડી ચક્કર મારતી મારતી  દક્ષિણ ભારતમાં પહોંચી છે. આ ચકરડી સારી રીતે ચક્કર મારી શકે તે માટે જમીન સાફસુથરી રહે તે માટે વહીવટી તંત્ર તરફથી ખાસ બંદોબસ્ત રાખવામાં આવે છે.  

ભાજપની આ ભોચકરડીએ આ પહેલાં પણ દેશમાં ચક્કર માર્યા છે. આ ભો ચકરડી એક વખત ફરતી ફરતી બિહારમાં પહોંચી હતી ત્યારે લાલુજીએ તેના પર પગ મૂકી દીધો હતો. ચકરડી તો ફરતી બંધ થઈ ગઈ હતી પણ આખો દેશ ચકરાવે ચડ્યો હતો!

આ ભો ચકરડી ફરતી ફરતી એક વખત પાકિસ્તાન પહોંચી હતી. ત્યાં તેણે ઝીણાની મજારની આસપાસ જરા વધારે પડતાં ચક્કર માર્યાં હતાં જે ઘણાંને ગમ્યું ન હતું. પરિણામે ભાજપ પક્ષ પોતે ચકરાવે ચડ્યો હતો.

આમ પોતે ચકરાવે ચડે અને બીજાને ચકરાવે ચડાવે  કે કૂદકા મરાવે એ આ ફટાકડાનું આગવું લક્ષણ છે. કોંગ્રેસી નેતાઓ આ ભોચકરડીથી ખૂબ જ સાવચેત રહે છે. આ  ચકરડીને લાત મારવા તેઓ સતત પોતાના પગ સાવધાન મુદ્રામાં રાખે છે. જ્યારે જયારે આ ચકરડી શ્રીમતી સોનિયા તરફ ગતિ કરે છે ત્યારે ત્યારે આ નેતાઓ  ચકરડીને લાતો મારી મારીને દૂર ભગાડે છે. 

કોંગ્રેસી નેતાઓ  માને છે કે: આ ચકરડીનું લક્ષ વડા પ્રધાનની ખુરશી છે જે ક્યારેય સિદ્ધ થવાનું નથી.

હાલમાં આ ચકરડી અટકતી અટકતી પણ દેશમાં ચકરાવા લઈ રહી છે. જેનો આનંદ દેશની જનતા ઉઠાવી રહી છે. 

તો મિત્રો ફરી એક વાર નવા વર્ષ માટે શુભેચ્છાઓ. ફરી મળીશું એક નવા ફટાકડા સાથે.

જલસા કરો.  

એ …નવા વરહના રામરામ બાપલા!

    મુકામ શ્રી બ્લોગજગતના સર્વે ભાઈઓ.બહેનો અને ભાંડરડાવ.

એતાન  શ્રી અસરના ઓટલેથી અખંડ ઓટલાધારીના નવા વરહના ઝાઝેરા કરીને રામરામ વાંચવા. ખાસ લખવાનું કે ઓણસાલ આણીકોરના તમામ બ્લોગખેતરોમાં પાક સોળ આની થયો છે.ઠેરઠેર ધોધમાર લાગણી ખાબકી હોવાથી ગઝલગીતોનાં ગાડાં ભરાયાં છે.વાર્તાનું વાવેતર ઓછું થયું હતું. પણ પાક સારો ઉતર્યો છે. વળી રોકડિયા પાક જેવાં કે લેખ, માહિતી અને સનસનાટી વગેરેનો પાક પણ સારો ઉતર્યો છે. એટલે બધાં ખૂબ ઉમંગ અને ઉત્સાહથી દિવાળી ઉજવી રહ્યાં છે ફટાકડા ફટફટ ફૂટે છે. બ્લોગે બ્લોગે વાનગીઓ નાં ઘાણ ઉતરી રહ્યા છે. તૈયાર વાનગીઓનું ચલણ વધ્યું છે. છતાંય હજી ઘણાં ઠેકાણે પરંપરા જળવાઈ રહી છે એથી  જાતમહેનતથી અવનવી વાનગીઓથી બ્લોગ છલકાઈ રહ્યા છે.

તમારી કોર્ય પણ  વરહ સારું હશે.  ને દિવાળીની ખૂબ ધામધૂમ હશે. આવતા નવા વરહમાં શ્રી બ્લોગ નારાયણની કૃપાથી તમારા સહુના બ્લોગ હર્યાભર્યા રહે, ઢગલામોઢે LIKE મળે અને સૂંડલામોઢે પ્રતિભાવો મળે એવી અમારાં  મનની ઈચ્છા છે.

અનુકૂળતાએ અમારા બ્લોગ ઢાળા આંટો મારતા રહેશો તો અમને સારું લાગશે. બેચાર વાતુંચીતું થાશે અને ઇ બહાને અમને કાંઇક નવું જાણવા મળશે.

આ સાથે અસરના ઓટલેથી બાપુ અને ભગો પણ નવા વરહના રામરામ લખાવે છે. વળી જીતુ, જશુભાઈ અને બહેન નયના પણ નવા વરહના સાલમુબારક લખાવે છે.  થોડા દી પહેલાં રંગલો અને રંગલી આવ્યાં હતાં. એમના તરફથી પણ ખાસ રામરામ વાંચવા. શ્રી ચિત્તભ્રમજી મહારાજ અવારનવાર આવતા રહે છે. એમની વાણીમાંથી ઘણી પ્રેરણા મળતી રહે છે.

બસ. થોડું લખ્યું ઝાઝું માનજો અને આ કાગળનો જવાબ વહેલાસર આપશો.

-લિખિતંગ અસર ઓટલાધારીના ઝાઝેરા રામરામ.

અપણા નેતાઓમાં ફટાકડાનાં દર્શન કરો.

 

તસવીર:http://www.indiatalkies.com/2011/09/manmohan-singh-leaves-twoday-bangladesh-visit.html

આપણા નેતાઓમાં ફટાકડાના દર્શન કરો.

આ બોધ આપ્યો છે શ્રી ચિત્તભ્રમજી  જી મહારાજે. હા. એ જ ચિત્તભ્રમજી મહારાજ કે જેનો કોઈ આશ્રમ નથી! જે ક્યારેય ઉઘરાણું કરતાં નથી. એ જ ચિત્તભ્રમજી મહારાજ કે જે સૂરસૂરિયાંવાદના પ્રણેતા છે.

મિત્રો, ચિત્તભ્રમજી મહારાજ તો એક જ આદેશ આપીને અટકી ગયાં. પરંતું અમે અમારું દિમાગ કામે લગાડ્યું તો અમને એમની વાત વિશ્વાસને યોગ્ય લાગી. જેમ કે:

મનમોહન સિંહ  અને લવિંગિયું :

 લવિંગિયું એટલે સાવ નાનો ટોટો! ફૂટવાની કોઈ ખાતરી નહિ! ને ફૂટે તો પણ ન ફૂટવા જેવું. એકદમ ધીમા  અવાજે ફૂટે. એનો અવાજ સંભળવા માટે કાન એકદમ સરવા રાખવાં પડે! અપણા હાલના વડાપ્રધાનશ્રીમાં અમને લવિંગિયાંનાં દર્શન થાય છે. તેઓ શ્રી ક્યારેય મોટા અવાજે ફૂટતા નથી. તેઓની સામે માઈક પણ લાચાર છે!

ચિત્તભ્રમજી મહારાજશ્રીનું માનવું છે કે: જેમ ઈજાગ્રસ્ત બેટ્સમેન રનર રાખે તેમ તેઓએ નરવા અવાજવાળો એકાદ સ્પીકર રાખવો જોઈએ! જે તેમના વતી બોલે! સામે દેશનો જનસમુદાય હોય કે દુનિયાભરના ખેરખાં બેઠાં હોય! એમના અવાજમાં કોઈ ફરક પડતો નથી. એ બાંધેલા અવાજે જ ફૂટે! સામેવાળાને હચમચાવી નાંખે તેવી વાત પણ તેઓ માર્યાદિત અવાજમાં જ કરે! હા, ભાજપ સામે તેઓ ક્યારેક ધડાકો કરતા હોય તેવું લાગે છે પરંતું જ્યાં ઉપરાઉપરી નિવેદનિયા બોમ્બ ફૂટતા હોય ત્યાં એમના અવાજને કોણ ગણકારે? 

લવિંગિયું લાચાર છે ધડાકો કરી શકે એવા દારૂના અભાવમાં તો આપણા વડાપ્રધાનશ્રી લાચાર છે જાદુઈ છડીના અભાવમાં! એવી છડી કે જે મોઘવારી કે ભ્રષ્ટાચાર હટાવી શકે! 

આવું લવિંગિયું એ શ્રીમતી સોનિયા ગાંધીનો માનીતો ફટાકડો છે. શ્રીમતી સોનિયા ગાંધીની થેલીમાં બીજા અનેક જાતજાતના ફટાકડા છે. કેટલાક સતત અવાજ કરનારા તો કેટલાક અવાજ કરતાં કરતાં અટકી જનારા! કેટલાક ફટાકડા એવો છે કે જે ભાજપિયો  ફટાકડો ફૂટે ત્યારે જ ફૂટે! કોંગ્રેસે ખાસ મહેનત કરીને આવાં ફટાકડા બનાવ્યા છે. આ ઉપરાંત નવા ફટાકડા જન લોકાપાલિયાની સામે તેઓએ ખાસ ટોટા બનાવ્યા છે! આવો એક તોટો છે દિગ્દીગીયો ટોટો!! વળી, સોનિયા ગાંધીએ પોતે એક ખાસ ફટાકડો બનાવ્યો છે. અને કોંગ્રેસનું કહેવું છે કે: એ ફટાકડો ફૂટશે ત્યારે સમગ્ર ભારત દેશ ઝળહળ ઝળહળ થઈ જાશે! અત્યારે તેઓ આ ફટાકડાનું માર્કેટિંગ કરવાનો એકપણ મોકો જવા દેતાં નથી. 

તો મિત્રો, આપણે આવા અનેક ફટાકડાથી પરિચિત થઈશું. અત્યારે આ લવિંગીયાંનો આનંદ માણો.

ફરી મળીશું .. અનેક પ્રકારના  ફટાકડા સાથે. 

શુભ દિવાળી!  

તમે સ્વામીશ્રી ચિત્તભ્રમજી વિષે ન જાણતાં હો તો વાંચો આ અહેવાલ.

અનોખા મહારાજશ્રીની પધરામણી

જોઈ શું રહ્યાં છો? જોડાઈ જાઓ.

Cartoon Clipart

[તસવીર: http://www.clipartoday.com/clipart/cartoons/cartoon/cartoon_276405.html ]

મિત્રો,

આશા રાખું છું કે “રીડ ગુજરાતી” પર પ્રગટ થયેલી મારી વાર્તા બીક – યશવંત ઠક્કર આપ સહુએ જરૂર વાંચી  હશે.  હું સમજુ છું કે આજના ઝટપટિયા યુગમાં વાર્તા વાંચવાની તમારી મરજી ન જ હોય! તો પણ જરૂર પ્રયાસ કરશો. કારણ કે વાર્તા ખૂબ જ હલકીફૂલકી છે.પ્રસ્તુત વાર્તાનો પાયો છે કે: બીક એ બીમારીથી પણ ભયંકર છે!

આ લેખમાં પણ બીક વિષે થોડીઘણી વાત કરવાનો ઇરાદો છે. ખાસ કરીને એ બાબત વિષે કે:બીકના માર્યા આપણે ક્યારેક ક્યારેક સામુહિક રીતે કેવું એકસરખું વર્તન કરીએ છીએ!

“બીક” વાર્તામાં એ દર્શાવવામાં આવ્યું છે કે:કહેવાતી બીમારી ફેલાવાની બીકથી લોકો પોતાનાં સગાવાહાલાથી પણ અંતર જાળવવા લાગ્યાં હતા. એટલું જ નહિ પરંતું  ડોક્ટરની સલાહ વગર જ જાતે દવાઓ ખાવા માંડ્યા હતાં! બીમારીથી બચવાની તકેદારી જરૂર રાખવી જોઈએ. પરંતું એનો અર્થ એ તો નથીને કે માણસ માત્રમાં બીમારીના દર્શન કરવા!!

પરંતું બીકની  ડાકણ જેને વળગે છે તેની બુદ્ધિ બહેર મારી જાય છે! ને એ ડાકણ જ્યારે સમગ્ર સમાજને વળગે છે ત્યારે સમગ્ર સમાજ એકસરખું વર્તન કરવા લાગી જાય છે! ભાગ્યે જ કોઈ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરવાનું પસંદ કરે! ને કોઈ વિરલો એવું કરે તો તે ગાંડો જ ગણાય! નકટાઓના ગામમાં નાકવાળાની જેવી દશા થાય એવી એની દશા થાય. ભલું હોય તો વગર વાંકે માર ખાય! આગિયાને ફૂંક મારીને અગ્નિ પ્રગટાવવાની મહેનત કરી રહેલા પેલા વાનરોને સલાહ આપવા ગયેલી ચકલીની થઈ હતી તેવી દશા થાય!

 બીમારીની બીક સિવાયની આવી જ કેટલીક ઘટનાઓ યાદ આવે છે.

                                                       ગણપતિ દૂધ પીવે છે!

આ વાત એવી તો ફેલાણી હતી કે જેના હાથમાં જેટલું અને જેવું આવ્યું એવું દૂધ લઈને લોકો દોડ્યાં ગણપતિને દૂધ પીવડાવવા.  કોઈ વાત સાંભળવા કે માનવા તૈયાર નહિ. એક જ દલીલ કે:શ્રદ્ધા હોય તો પુરાવાની જરૂર નહિ. હવે શ્રદ્ધાની જ વાત કરીએ તો જેને ખરેખર શ્રદ્ધા હોય તેને ગણપતિને દૂધ પીવડાવવાનો ખેલ કરવાની જરૂર જ ન રહે! ગણપતિ એક જ દિવસે દૂધ કે પ્રસાદ આરોગવા લાગ્યાં તો આડે દિવસે શું પ્રસાદ નહોતા આરોગતા?  જો નહોતા આરોગતા તો એ પ્રસાદ નકામો ગયોને? પણ માણસ કોને કહેવાય? આમ કહે કે પુરાવાની જરૂર નથી ને આમ  પુરાવા ઊભા કરે! પ્રચાર માધ્યમોએ પણ બેવડા ધોરણ અપનાવ્યા હતાં અને આ વાતને ચગાવવામાં ખૂબ જ ભાગ ભજવ્યો હતો. તેમને તો વળી માં TRPને પણ રાજી રાખવાં પડેને? મોટાભાગનાં તો ચાલુ ગાડીએ ચડી ગયાં હતાં. તીર નહિ તો તુક્કો! પોતાનું દૂધ ગણપતિબાપાએ નથી પીધું એવું કોણ બોલે? જ્યાં ગામ આખું ગાંડું થયું હોય તો તેને  કોણ રોકવા જાય? રોકવા જાય તો ઈશ્વર-વિરોધીમાં ગણાય જાય!  ભલું હોય તો વગર કારણે ટીપાઈ જાય! :)                                                      

                                                    રક્ષાબંધનનો અમંગળ દિવસ! 

થોડા વર્ષો પહેલાં એવી વાતે જોર પકડ્યું હતું કે: આ વખતે રક્ષાબંધનનો દિવસ ભારે હોવાથી જે ભાઈઓએ  બહેન પાસે રક્ષા બંધાવી હશે તેનું અમંગળ થશે! બસ ખલાસ!! વીરાઓ માંડ્યા કાંડેથી રાખડીઓ  તોડવા! બહેનોને તો ભાઈઓનું હિત હૈયે વસ્યું હોય. તેઓ તો સ્વાભાવિક રીતે જ જોખમ ન લે અને ભાઈઓને રાખડી છોડી નાંખવાનું કહી દે. પરંતું ભાઈઓનો રક્ષા પરનો અને બહેનોની ભાવના પરનો ભરોસો એટલો બધો તકલાદી કે જરા પણ અક્કલનો ઉપયોગ કર્યાં વગર યુદ્ધના ધોરણે રાખડીઓ છોડવા લાગે! અરે! એવાં પણ ભાયડાઓ હતા કે જેમણે અર્ધી રાતે પથારીમાથી ઊભા થઈને, રાખડીઓથી વહેલો છૂટકારો મેળવવા માટે બ્લેડનો ઉપયોગ કર્યો હતો! :)

                                                                      કોમી રમખાણો                                                     ખાસ કરીને  ગોધરા ટ્રેન હત્યાકાંડ પછીનાં રમખાણોની વાત કરું તો જે વિસ્તારમાં સહેજ પણ ભયભીત થવાનું કારણ નહોતું ત્યાં પણ ઘણા બહાદુરો હાથમાં એકાદ હથિયાર રાખીને પોતાનાં ઘરની આસપાસ ફરતા હતા! જેમણે જિંદગીમાં એક લાકડું નહિ પકડ્યું હોય તેઓ  પણ હાથમાં પાઈપ રાખીને ફરતા હતા. વળી, પોલીસની જીપ આવતી જણાય તો ઘર તરફ ભાગતા હતા. તેઓ સતત એવી વાતો કરતા હતા કે જાણે સમગ્ર સમાજની સલામતીનો ભાર એમના માથાં પર હોય! એ લોકો ખરેખર સુરક્ષા માટે સાવચેત હતા કે પછી વગર જોખમે વીરતા પ્રદર્શિત કરવાનો આનંદ માણતા હતા એ નક્કી કરવું મુશ્કેલ હતું. તેઓ રાત્રે જાગરણ કરતા હતા અને અન્ય લોકો પણ જાગરણ કરે એવો આગ્રહ રાખતા હતા. તેઓ ક્યારેક મંદિરના ઓટલે બેસીને પત્તાં રમતા હતા તો ક્યારેક નજીકના વિસ્તારમાં ભજિયાં ખાવા પહોંચી જતા હતા. એમની વાત ન માને તેને તેઓ સમાજ અને ધર્મનો દુશ્મન ગણાવતા હતા. કેટલાક સંદેશાવાહકો વારંવાર પડીકાં છોડતા હતા. હા, પડીકું છોડવું એ મહાવરો કદાચ આ દિવસોમાં જ વધારે પ્રચલિત બન્યો. “અમુક રંગની તેમજ અમુક નંબરની ગાડી હથિયાર સાથે આવવાની તૈયારીમાં છે” એવાં અનેક પડીકાં છોડનારો વર્ગ સક્રિય બની ગયો હતો. કોઈને એક થપ્પડ પણ ન મારી શકે એવાં લોકોએ પણ, એ દિવસોમાં માત્ર વાતો દ્વારા બહાદુરીનો ખૂબ આનંદ માણ્યો.  સામાન્ય પરિસ્થિતિ હોવા છતાં એક વિસ્તારના લોકો અન્ય વિસ્તારના લોકોને સાવચેત રહેવા જણાવતા હતા. આ બધું જાણે કે આપોઆપ બનતું હતું! આ વાતાવરણના રંગે જે ન રંગાય તેનો અવતાર એળે જવાનો હોય એવો નજારો હતો! :smile:    

ભય સિવાય પણ લોકો સામુહિક રીતે એકસરખું વર્તન કરતાં હોય છે. જેમ કે: ફેશનનું પ્રદર્શન, તહેવારની ઉજવણી, ચોક્કસ વ્યક્તિનો પ્રચાર,આંદોલન, વિરોધ પ્રદર્શન વગેરે…આવા વર્તનનું પરિણામ ઘણી વખત  સકારાત્મક પણ આવી શકે છે.  

તો રજા લઉં?

છેલ્લે…

કોણ જાણે ક્યાં જવા એક ટોળું નીકળ્યું…

થઈ ગયો ‘સામેલ’ હું આ ચહેરો તંગ લઈ.  

અને હા   બીક –  વાર્તા વાંચજો. એના માટે  તો આટલું પીંજણ કર્યું છે!!!!  

અફવાવેગે ફેલાતી બીક

મિત્રો,

“રીડ ગુજરાતી” માં  મારી એક નવલિકા  ”બીક” પ્રગટ થયેલી છે.  જે નવલિકા આપ સહુ મિત્રો નીચે આપેલી લિંક  પર વાંચી શકશો.  નવલિકા વાંચીને “રીડ ગુજરાતી”  પર પ્રતિભાવ આપવા વિનંતી છે.

બીક – યશવંત ઠક્કર

શું પહેલાં હટાવી શકાય? ભ્રષ્ટાચાર કે સરકાર?

મિત્રો,

 કોઈ માને કે ન માને! વાત લપાતી છુપાતી … હરતી ફરતી.. એક મુકામે આવીને ઊભી રહેશે કે-  પહેલાં સરકાર  હટાવો.  એ વગર ભ્રષ્ટાચાર નહીં હટે!

આ પરંપરા છે આપણા દેશના રાજકારણની!

ગાંધીજીનો ધ્યેય માત્ર શાસનપલટો નહોતો.  તેઓ પણ ભ્રષ્ટાચાર હટાવવા માંગતા હતા. પણ પ્રાથમિકતા આપવી પડી વિદેશી શાસન હટાવવાના મુદ્દાને.

શાસન પલટો થયો.  ભ્રષ્ટાચાર રહ્યો! ગાંધી ટોપી પહેરીને જાડિયો પાડિયો થયો.  ને અફવાની જેમ ફેલાયો.

એક સમય એવો આવ્યો કે ગાંધી ટોપી ને ગાંધીનું નામ મજાકને પાત્ર બની ગયા.

ગુજરાતમાં નવનિર્માણનું આંદોલન થયું ત્યારે ઠેર ઠેર સરકારના મૃત્યુઘંટ  વાગતા હતા  કોંગ્રેસી નેતાઓના નામની ઠેર ઠેર  હાય હાય બોલાતી હતી.  કોંગ્રેસી નેતાઓની નનામીઓ નીકળતી હતી. ગધેડાઓના શરીર પર નેતાઓનાં નામ લખાતાં હતાં. પોલીસો પકડી પકડીને કેટલાને પકડે?

144 ની કલમની નવાઈ ન રહી.   કેટલાક લોકોએ તો એમની જિંદગીમાં પહેલી વખત કર્ફ્યુ જોયો અને માણ્યો!

 યુવાન છોકરા છોકરીઓએ લડત લડી રહ્યાં હતાં. એમને ત્યારના વિરોધ પક્ષોની દોરવણી અને ટેકો  હતા.

પાછળથી એવી પણ ખબર આવી કે  - આખી લડત કોઈ કોંગ્રેસના જ  નેતાના મગજની પેદાશ હતી!

બોલો! અશક્ય શું છે?

યુવાનોઅને યુવતીઓની  આંખોમાં સપનાં હતાં.. બેકારી હટવાના મોંઘવારી હટવાના.. ભ્રષ્ટાચારીઓને ખદેડવાના…

એમનું મુખ્ય સૂત્ર હતું અંધકાર મેં એક પ્રકાશ .. જયપ્રકાશ જયપ્રકાશ.

નવનિર્માણ આ6દોલનની ત્રણ મુખ્ય માંગણીઓ હતી..

*મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલ રાજીનામું આપે.

** ગુજરાત વિધાનસભાનું વિસર્જન થાય.

***ભ્રષ્ટાચાર નાબુદ થાય.

લગભગ સો જેટલા  લોકો ગોળીએ વીંધાયા પછી પહેલી બે માંગણીઓ પૂરી થઈ.

ચૂંટણી  આવી. કોંગ્રેસનો પરાજય થયો.  જનતાપક્ષની  સરકાર આવી.   મુખ્યમંત્રી તરીકે બાબુભાઈ જશભાઈ પટેલ આવ્યા.

 જો કે  સરકાર બનાવવા માટે  એમણે કિમલોપ ના સભ્યોનો ટેકો લેવો પડ્યો.  ને  કિમલોપના વડા હતા  શ્રી ચીમનભાઈ પટેલ. એ જ ચીમનભાઈ કે જેને હટાવ્યા  હતા.

સમાચાર તો એવા હતા કે-  ચીમનભાઈ પટેલના ઘરની  પાછલી  દિવાલ કૂદીને બાબુભાઈ ટેકો મેળવવા ગયા હતા.

વખત આવ્યે કૂદકા ય મારવા પડે!

પછી તો ધારાસભ્યોની આવન જાવનની રમત શરૂ થઈ.  સરકાર બને ને ગબડે.

આમાં ભ્રષ્ટાચારને   હટાવવાનો વખત કોની પાસે? ને હટાવવા જાય તો એની સાથે સાથે પોતાને હટી જાવું પડે!

દિલ્હીની  વાત કરીએ તો કટોકટી પછી આવેલી ચૂંટણીમાં ઇંદિરાજી  અને એમનો પક્ષ હાર્યાં.

જાણે કે ન બનવાનું બની ગયું. રામલીલા મેદાનમાં વિજયી સભા ભરાણી.  વિવેક ભુલાયો. છાકટાં ભાષણો થયાં.  ઇંદિરાજીને હરાવનાર રાજનારાયણ  બોલ્યા કે- ભૂલ જાઓ ઇંદિરા કો! ઉસમે કુછ દમ નહીં! ઉસ મેં કુછ કસ નહીં!

ને મોરારજી દેસાઈની નવી સરકારે  અંદરોઅંદરની ખટપટને કારણે  દોઢેક વરસમાં દમ તોડી દીધો!  સરકાર સારી ચાલતી હતી અને ચાલી શકે તેમ હતી. પણ આપણા નેતાઓની સત્તાભૂખ!

છેલ્લે છેલ્લે જે સરકારો બદલાઈ તે તો લોહી રેડ્યા વગર બદલાઈ.

પરંતુ  એમની ય મજબુરી! એમની પાસે જાદુઈ છડી નથી.

[લખ્યા તા. ૦૭-૦૬-૨૦૧૧]

************************************************************************************************

ઉપરનું લખાણ નહોતું મુકાયું. મનમાં હતું કે : આ લખાણ મૂકવાની  નોબત કદાચ નહિ આવે.

પરંતું આવી ગઈ!

આજે  મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ છે.  ચેનલ્સ  અને છાપાઓ ભરીને ગાંધીને યાદ કરાશે. આ વખતે સાથે સાથે અન્નાજીને રજૂ કરાશે. કારણ કે અન્નાજીનો પરચો તાજો જ છે.

વળી અન્નાજીએ પોતે આડકતરી રીતે પણ ચૂંટણીઓ પર પ્રભાવ પાડશે તેનો સંકેત આપી દીધો છે.

વળી એ પણ સ્વાભાવિક જ ગણાશે કે: ભ્રષ્ટાચાર હટાવવા માટે સરકાર હટાવવી જરૂરી છે. વહેલી નહિ તો એની મુદ્દત પૂરી થાય ત્યારે. કારણ કે , પ્રજાને વર્તમાન પરિસ્થિતિ અગર ઠીક ન લાગતી હોય તો તે માટે સહુથી પ્રથમ જવાબદારી સરકારની જ ગણાશે.

.. ને જ્યારે સરકાર હટાવવાની વાત આવશે ત્યારે અન્ય વાતો ગૌણ ગણાશે. પછી તો એક જ વાત કે: જો સરકાર નિકમ્મી હૈ વો સરકાર બદલની હૈ!

આપણે  ઈચ્છીએ કે:જે બદલાવું જરૂરી હોય તે ભલે બદલાય. છેવટે તો આ પરીસ્થિતી બદલાવી જોઈએ.

આ એટલે કઈ પરિસ્થિતિ?

એ જ કે જેની સામે મને,તમને અને મોટાભાગની પ્રજાને ફરિયાદ છે.

ડગલે ને પગલે અન્યાય, શોષણ અને આરાજકતા.

આશા રાખીએ. આશા અમર છે. બાપુ હાજરાહજૂર છે!

Gandhiji

Poster by Pietyz DSILVA

Famous Annaji.http://www.allvoices.com/contributed-news/10098788/image/86206990-famous-annaji