મિત્રો… પોરબંદરથી શ્રી દુર્ગેશ ઓઝાએ મોકલેલી વાર્તા વાંચો…
રમેશ તો નવાઇમા ડૂબી ગયો. ઓરડામાં ચારે બાજુ કરોળિયાના ચિત્રો,રંગોંની ડ્બ્બીઓ,કેંનવાસ,કાગળના થપ્પા,ને એની અંદર ખુંપેલા પપ્પા ! પપ્પાનું આવું રૂપ આ પહેલાં એણે ક્યારેય ન્હોતું જોયું.
અચાનક રમેશની નજર મોટા રંગબેરંગી મથાળાવાળા કાગળ પર પડી,જેમાં એક વાર્તા લખેલી હ્તી,જેને એ રસપૂર્વક વાંચવા લાગ્યો.”એક હ્તી કોયલ.તે એક વાર માંદી પડી.તેને ખબર પડી કે તેનો અવાજ થોડા દી’ પૂરતો બેસી જશે..એની ખબર કાઢનારા કહે,’અ ર ર ર,તારો અવાજ બેસી જ્શે?
હાય હાય….હવે તારી જિંદગી.!’કોયલ કહે,’ભલે અવાજ બેસી જતો.એ પાછો ઊભો થઇ જ્શે.બે-ચાર દી’ અવાજ ચાલ્યો જાય એમાં કાંઇ આખું જીવન નકામું નહીં થઇ જાય,કાગડાકાકા !હું કાંઇ એમ હિમત હારું એવી નથી.અવાજ બેસી ગયો એટલે એવું સમજો કે દસમા-બારમાં ધોરણની પરીક્ષાનું પેપર નબળું ગયું કા એમાં નાપાસ થયા,બસ એટલું જ….તમે ખાલી ચોપડીની પરીક્ષામાં જ હારી ગયા,પરંતુ,પરીક્ષા પૂરી એટલે તમારું સાવ પૂરું થઇ ગયું એવું નથી.તમારી સામે આખી જિંદગી પડી છે.
હજી ઘણી બધી તકો,પ્રવત્તિઓ છે.કાળઝાળ ગરમીમાં એક વખત્ પાક સાવ બળી જાય તો ધરતી કાયમને માટે સુકીભઠ્ઠ થઇ નથી જતી,વાંદરાભાઇ !એ એમ નથી વિચારતી કે” આપણી જિંદગી ખતમ”.પાક ખાલી એક જ વાર બગડ્યો છે,પણ ફરી એ જ જમીનમાં વાવશો તો પાછું ઉગશે,એટલું જ નહીં,ચોતરફ અનેરી હરિયાળી લહેરાઇ ઊઠશે,કારણ કે નબળો પાક એ સમજો માત્ર એક પરીક્ષા કે તેનું પેપર છે,તે આખા જીવનનો સાર કે તેનું માપ નથી.અભી તો પિક્ચર બાકી હૈ મેરે દોસ્ત.”કરતા જાળ કરોળિયો ભોંય પડી પછડાય,તૂટે ઘર તો પાછું નવું બનાવતો જાય.”.એટલે હું નિરાશ થઇ આપઘાતના નબળા વિચાર નહીં કરું.’….ને કોયલ; ખરેખર થોડા દિવસ પછી ફરી એ જ મસ્તીમાં ટહુકવા લાગી ને બીજાનેય ખુશ કરી સાચો રસ્તો બતાવી ગઇ……
……..ને એ રંગબેરંગી કાગળ શોધવા જેવી હિંમતલાલે પાછળ નજર ફેરવી કે તરત જ,…’લે તું ક્યારે રૂમની અંદર ઘુસી ગયો દીકરા!!?અચ્છા,તો એ કાગળ તારા હાથમાં છે એમ ! કેવી લાગી વાર્તા?
‘સરસ છે પપ્પા’રમેશ થોડું મલક્યો ને પપ્પા બોલ્યા,’તને નવાઇ લાગે છે ને કે આ બધું !! એક પુસ્તકે મને જ્ગાડ્યો જેમાં લખેલું કે”તમે જીવનમાં ક્યારેય ન કર્યું હોય એવું સારું,કંઇક નવું. અનોખું કરી બતાવો.”બેટા,નાનો હતો ને ત્યારે હું સરસ ચિત્રો દોરતો,પણ છેલ્લા વીસ વરસથી ધંધા,નફા,પૈસા..વગેરેની હાયવોયમાં હું બધું ભૂલી ગયો હતો,પરંતુ આજ મેં નક્કી કર્યું કે આજકાલ વિધાર્થી નબળા પેપર કે પરિણામથી નાસીપાસ થઇ જીવનનો અંત આણવા સુધી પહોંચી જાય છે;તે ન થાય ને તે ફરી પડકાર ઝીલી લઇ નવી આશા,શ્રદ્ધા સાથે બેઠો થાય એવું કાંઇક કરું.ને દીકરા સાચું કહું?આ વાંચીને વિધાર્થી વગેરેને તો મળશે જ,પણ મને તો અત્યારે જ નવજીવન મળી ગયું.જો આ ચિત્રો.’
પહેલું ચિત્ર કરોળિયો ચડે એવું,બીજું તે નીચે પડે તેનું ને ત્રીજું તે ફરી ઉપર ચડી અંતે ઘર બનાવવામાં સફળ થાય એ પ્રકારનું હતું.રમેશે ચિત્રો જોયા ને પછી તે ઘરની બહાર નીકળ્યો………….. ………દીકરો મોડી સાંજે ઘેર પાછો આવ્યો ને પપ્પાને વળગી રડવા લાગ્યો.પછી થોડું સ્વસ્થ થતા એ બોલ્યો,’પપ્પા,સવારે જ્યારે હું તમને મળવા આવ્યો’તો ત્યારે અમારી પરીક્ષા પૂરી થતાં જ હું કાંકરિયા તળાવની પાળે ફરવા જવાની રજા લેવા આવ્યો’તો.પણ સાચું કહું? હું કાયમ માટે તમારી રજા લેવા આવ્યો’તો.હું ત્યાંથી પાછો ન્હોતો આવવાનો,પણ્ તમારી વાર્તા,ચિત્રો વગેરે જોઇ હું ઘેર પાછો ફર્યો છું.
બધા માબાપ તમારા જેવા હોય જે મિત્ર બની સાચું વહાલ કરે,ખોટું દબાણ ન કરે તો જીવવાની મઝા આવે.થેંક્યુ પપ્પા.’થોડીવાર સાવ શાંતિ છવાઇ ગઇ.ને પછી પપ્પા ગળગળા સાદે કહી રહ્યા,’બેટા,એવા અનેક લોકો છે જે ભણવામાં સાવ ‘’ઢ’’ હતા છતાં સફળ થયા છે.પરીક્ષા મહત્વની છે જે દિલ દઇ પૂરી મહેનત કરી આપો,પણ્ એની જ ફૂટ્ટપટ્ટીથી તમારી કુશળતાને ન માપો.ને ખાલી અભ્યાસક્ર્મના ચોપડા જ ન વાંચો.બીજું પણ વાંચો.થોડું નાચો-ગાઓ,હરો-ફરો તો ટેંન્શન જાશે,આનંદ આવશે,ને ઊલટું વધુ યાદ રહેશે.પરીક્ષા એ જીવનની છેલ્લી તક નથી.એની બહાર પણ એક સુંદર જીવન છે.સચિન તેંડુલકર ઝીરોમાં જાય તો તે કાયમ માટે ક્રિકેટ છોડી નથી દેતો..
ફરી હિંમત બતાવી બીજા મેચમાં સદી ફટકારે છે.ઝીરોમાંથી હીરો બની જાય છે.હારો ભલે,પણ હિંમત ન હારો.બેટા,તું આ પરીક્ષામાં ભલે કદાચ ઓછા ગુણ મેળવ કે નાપાસ થા,પણ જીવનની પરીક્ષામાં તો તું ફર્સ્ટ-ક્લાસ પાસ થયો છે.અભિનંદન.આ સદ્ગુણનું મૂલ્ય પેલી પરીક્ષાના ગુણ કરતાય ક્યાંય વધુ છે..ચાલ,એના માનમાં થોડો મસ્ત ડાંન્સ થઇ જાય.’….ને પિતા-પુત્ર બંને ખુશીમાં નાચવા લાગ્યા.બંનેને કશુંક અનોખું પ્રાપ્ત થયું હતું.
***********************************************************************
“અસર”ના વાચક મિત્રો, આ વાર્તા પોરબંદરના શ્રી દુર્ગેશ ઓઝાએ મોકલી છે. પ્રેરણા કે બોધ આપતી વાર્તાઓ તો ઘણાંય લખે. પરંતુ દુર્ગેશ ઓઝાએ માત્ર વાર્તા લખીને કે છપાવીને સંતોષ નથી માન્યો. જેના સુધી આ સંદેશો પહોંચવો જોઈએ તેના સુધી પહોંચાડવાના શક્ય તેટલા ઉપાયો પણ અજમાવ્યા. લીઓ કલબના સહકારથી વાર્તા અને સાથે સાથે ઉમદા સંદેશો પરિક્ષા વખતે જ પોરબંદરમાં ઘેર ઘેર પહોંચાડ્યો. જે પ્રયાસ બદલ લોકોએ સારા પ્રતિભાવો પણ આપ્યા.
એક ઉમદા હેતુ કાજે અસર બ્લોગને યોગ્ય ગણવા બદલ અમે એમના આભારી છીએ.
શ્રી દુર્ગેશ ઓઝાનો સંપર્ક માટે મોબાઈલ નંબર — 9898164988
મિત્રો… બોર્ડની પરિક્ષાના પરિણામો આવે ત્યારે જે સારા માર્ક્સથી પાસ થયા હોય તેમને ત્યાં આનંદ ..આનંદ ને આનંદ! ને જેમને પરિક્ષામાં નિષ્ફળતા મળી હોય તેમને ત્યાં રાંધ્યાં ધાન રઝળી જાય! વહાલથી ઉછેરેલાં સંતાનો હીબકા ભરે! મનમાંને મનમાં ગુનાહિત ભાવો અનુભવે! ઘરની બહાર નીકળતાં શરમ અનુભવે! માબાપને એમ લાગે કે -બસ બધું ખલાસ થઈ ગયું!
ને આવી ભારેખમ ક્ષણોનેના ભારને સહન ન કરી શકનાર સંતાન ન ભરવા જેવું પગલું ભરી લે એ ક્યાંનો ન્યાય ?
ક્યાં સુધી આવું ચાલ્યાકરે?
કેટલાક લોકોને લાગ્યું કે અટકવું જ જોઈએ. ને એ લોકોએ સમાજને એ માટે સંદેશો પહોંચાડવા પોતાની તાકત કામે લગાડી.કેટલાક લેખકોએ અને પત્રકારોએ પોતાના લખાણો દ્વારા આ વાત વાચકો સુધી પહોંચાડી. સમાજના કેટલાક આગેવાનોએ પોતાની વગ આ સંદેશો લોકો સુધી પહોંચાડવાની પોતાની ફરજ બજાવી.
અમારો પણ આ એક નમ્ર પ્રયાસ છે.
મિત્રો… જે પરિક્ષામાં પાસ થયા હશે તેમને ત્યાં પેંડા ખાવા તો સહુ જશે! પરંતુ જે નાપાસ થયા હોય તેમને ત્યાં માત્ર આશ્વાસન જ નહીં .. હિંમત અને વિશ્વાસ આપવા જનારા પણ હોવા જ જોઈએ!
શ્રી દુર્ગેશભાઇએ સારૂં કામ કર્યું છે.
અભિમન્યુની જેમ આજે આપણે એક જ વાત જાણીએ છીએ -રેટ રેસમાં કેમ જોડાવું. આના માટે કોચિંગ સેન્ટરો ચાલે છે!
પણ અભિમન્યુની જેમ જ આપણે નથી જાણતા કે આ ચક્રવ્યૂહમાંથી બહાર કેમ નીકળવું.
પ્રામાણિકતાથી કહીએ તો – એવાં કોઈ માતાપિતા છે કે જે બાળકોને રેટ-રેસમાં જતાં રોકી શકે? કે ધકેલતાં ન હોય? શું એમનો વાંક છે? મને નથી લાગતું કે ૧૦૦% માતાપિતા જવાબદાર હોય છે. આખો સમાજ વિક્ટિમોનો બનેલો છે. કલ્પ્રિટ છે ખરો, પણ દેખાય છે?
ક્યા માબાપ એવું ઇચ્છતાં હોય કે -નાપાસ થવાના કારણે એમના લાડકવાયાં એમનાથી કાયમ માટે રિસાઈ જાય! પરંતુ સંતાનોની સહુથી વધારે નજીક કદાચ તેઓ હોય છે. હા.. મિત્રોનો પ્રભાવ પણ વધારે હોય છે. એટલે જ આવાં સંજોગોમાં માબાપ તેમજ મિત્રો પાસેથી વધારે અપેક્ષા રહે છે.
બાકી સમાજમાં તો ..ધ્યેય.. .. મહત્વકાંક્ષા… કારકિર્દી… સફળતા… વગેરેની બોલબાલા રહેવાની જ્ આ બધું હોવું પણ જોઈએ. પરંતુ જિંદગી જ ન રહે તો..? સંઘર્ષની પણ એક મજા છે એ વાત જેને સમજાણી છે તે પડ્યા પછી ફરી ઊભો થઈને ડગલાં ભરે છે… જિદગી તરફ.. નહીં કે મોત તરફ.
યુવાનોને સીધી અસર કરી તેવી વાતો લખનારા શ્રી જય વસાવડા અવારનવાર એમનાં લેખોમાં એ વાત જણાવે જ છે કે- પરિક્ષામાં નાપાસ થવાથી જિંદગીથી મોં ફેરવી લેવાની કોઈ જરૂર નથી.
સચ્ચાઈના રણકા વાળાં આવાં લખાણોની અસર પણ પડતી જ હોય છે.
યશવંતભાઇ, તમે મારી ‘’નવજીવન વાર્તાને આપના બ્લોગમાં મૂકી,એટલું જ નહીં,તમે એનો સાર પણ યથાર્થ અને સરળ શૈલીમાં રજૂ કર્યો ને મારો સરસ પરિચય આપી મારા પ્રયાસને બિરદાવ્યો એ બદલ ખાસ આભાર વ્યકત કરુ છુ.આવી નિખાલસતા બધામાં નથી હોતી એટલે તમને પણ અભિનંદન.બીજાની સારી વાતનો ખેદો કર્યા વિના તેની મુક્ત મને પ્રશંસા કરવી એ એક ઉમદા માણસનું લક્ષણ છે.આ વાર્તા સહજ લખાયા પછી થયું કે આ તો પ્રસાદ છે જે જેટલો વધુ વહેંચાય એટલું સારું.એટલે તે પહેલાં એસ.એસ.સી.બોર્ડ તેમ જ અન્ય પરીક્ષા વખતે જ પોરબંદરમાં લીઓ કલબના સહયોગથી પત્રિકારુપે ઘેરઘેર વહેંચી,ને પછી પીડીએફ ફોર્મેટમાં લઇ અસંખ્ય ઇ મેઇલ દ્વારા ઠેરઠેર મોકલાવી.આ વાર્તા દરેક વિધાર્થીના પાઠયપુસ્તક કે તેની નોટબુકના પહેલાં પાને હોવી જોઇએ એવા સુંદર પ્રતિભાવ પણ મળ્યા.આ રચનાત્મક યજ્ઞ હજી ચાલુ જ છે.એકાદ નિષ્ફળતાથી નિરાશ થઇ ગયેલા વિધાર્થી કે માણસ માટે એ ઉપયોગી થશે તો એનો આનંદ અનેરો જ હોવાનો.આ વાર્તા મોટા સ્વરુપે મુંબઇથી પ્રગટ થતા ગુજરાતી સામાયિક ‘’અભિષેક’’ના એપ્રિલ 2011ના અંકમાં પ્રસિધ્ધ થઇ છે.શ્રી યશવંતભાઇ,આપનો ખૂબ આભાર.આપનો આ બ્લોગ મને ખૂબ ગમ્યો.શુભકામના.
દુર્ગેશ બી ઓઝા પોરબંદર લેખક-નવજીવન email-durgeshoza@yahoo.co.in
બહુ સુંદર કાર્ય.
આ વાર્તા વાંચી મને મારા પિતાશ્રી યાદ આવી ગયા.મેં પ્રથમ ચાર ધોરણ બે વર્ષમાં પાસ કરી નાખેલા.અગિયારમાની પરીક્ષા નજીક હતી અને મલેરિયા થયો,દાંડીયા બજાર વડોદરામાં કોઈ ડોક્ટરે પેનીસીલીનનું ઇન્જેક્શન આપી દીધું.સાંજે રીયેક્સન આવ્યું.ખૂબ ખેંચો આવે.કોઠી ચારરસ્તા આગળ ડૉ ગીરીશ વૈષ્ણવને ત્યાં દાખલ કરેલો.માંડ માંડ જીવ બચેલો.બસ અગિયારમાં ધોરણમાં નાપાસ થયો.બબ્બે ધોરણ ભેગા પાસ કરનારો હું નાપાસ?ખૂબ નિરાશ થઇ ગયેલો.પિતાશ્રી હસતા હસતા કહે બેટાં જે પરીક્ષા આપે તે નાપાસ થાય.ના આપે તે શું થવાનો?વાત એટલી હસવામાં કાઢી નાખી કે મારી ઉદાસી હવા થઇ ગઈ.ધન્યવાદ આવી બોધ કથા વહેચવા બદલ.
બહુ ઉમદા હેતુ સાથેનું ઉમદા કાર્ય.
સાવ સાચી વાત છે, લખાણોની અસર પડતી જ હોય છે. નહીં તો હું પણ હવે તો ક્યાંક ડેમના તળીયે પડ્યો પડ્યો સડી ગયો હોત !
શ્રી દુર્ગેશભાઇને લાખ લાખ સલામ.
એવું તો નથીને કે આ નવો ફાલ વધારે પડતો સેન્સિટિવ અથવા
નિરાશાજનક મનોવૃત્તિ ધરાવે છે-મા બાપને કારણે,આર્થિક નિષ્ફળતાઓને કારણે અને શિક્ષણ સંસ્થાઓના પૈસા પડાવાના ગોરખ
ધંધાને કારણે…!?
બસ.. . અમુક જ રીતનું જીવન હોય તો જ સફળ જીવન કહેવાય એવી માનસિકતાના કારણે જુદું જીવન કેટલાકને મંજૂર નથી હોતું.
એક નાનકડો પ્રવાસ પણ આપણા ધાર્યા પ્રમાણે નથી થતો! બની શકે કે વાહનમાં ખરાબી થાય. અચાનક હવામાનમાં ફેરફાર થાય. કોઈની તબિયત બગડે. ન ધારેલી અડચણો આવે!
તો જીવનનો પ્રવાસ તો કેટલો લાબો! એ પ્રવાસ આપણા ધાર્યા પ્રમાણે ન પણ હોય.
જેને નિષ્ફળતા માનવામાં આવે તે મોટી સફળતા માટેનું કારણ પણ બની શકે!
બહુ સરળતાથી સુંદર બોધવાર્તા કહી છે. પિતા અને પુત્ર વચ્ચેનો સંવાદ ઘણું-બધુ કહી જાય છે.
બસ, જો માતા-પિતા માત્ર આટલો સંવાદ તેના બાળકો સાથે કેળવે તો બાળકો પર તેની ઘણી સારી અસર થઇ શકે છે. કોઇ બાળક નિષ્ફળતાથી લડતા ત્યારે શીખશે જયારે તેને વિશ્વાસ આવશે કે તેના નજીકના લોકો તેની સાથે છે,
આ વાર્તાનો સાર સમજી તેંની પ્રશંસા કરવા બદલ આપ સૌનો આભાર.આ વાર્તા શક્ય તેટલી પ્રસાદ તરીકે વહેંચી શકો તો ગમશે.શ્રી યશવંતભાઇનો રચનાત્મક સહયોગ મળ્યો એનો પણ આનંદ છે.આભાર.ઇ મેઇલ વગેરેથી સંપર્ક આવકાર્ય છે.આ વાર્તા પ્રતિષ્ઠિત જન્મભૂમિ જૂથના સમાચારપત્ર ‘’જન્મભૂમિ પ્રવાસી’’ની ૨૯ ૦૫ ૨૦૧૧ની રવિપુર્તિમાં પણ પ્રસિદ્ધ થઇ છે.સૌનો આભાર.-દુર્ગેશ ઓઝા