મિત્રો,
“અસર” બ્લૉગને ચાર વર્ષ પૂરાં થવા આવ્યાં છે.
૭ જુલાઈ ૨૦૦૮ના દિવસે ચોઘડિયું જોયા વગર આ “અસર” બ્લૉગની શરૂઆત કરી હતી. એ એક સુખદ અકસ્માત હતો. જેટલો રોમાંચ હતો એટલી સમજ કે જાણકારી નહોતી. ઘણુંખરું આવડ્યું અને ઘણુંખરું હજુ પણ નથી આવડ્યું. શરૂઆતમાં બ્લોગ ચલાવવો પડતો હતો હવે રોકાતો રોકાતો પણ ચાલે છે.
૧૯૮૦થી ૧૯૯૫ સુધી વિવિધ પ્રતિષ્ઠિત સામયિકોમાં મારી કેટલીક વાર્તાઓ, કવિતાઓ અને હાસ્યરચનાઓ પ્રગટ થઈ હતી. જે સામયિકોના ધારાધોરણને આધારે સ્વીકૃત થઈ હતી. મારે કોઈ સંપાદક કે તંત્રી સાથે અંગત ઓળખાણ નહોતી. હું મારી કૃતિ મોકલતી વખતે હંમેશા એક વાક્ય અવશ્ય લખતો કે: યોગ્ય લાગે તો જ મારી કૃતિ સ્વીકારશો. એ બાબતમાં મને કોઈની કૃપા ત્યારે પણ મંજૂર નહોતી અને આજે પણ નથી. મારી એ રીતરસમને લીધે મને ખોટ પણ ગઈ છે. પરંતુ એ ખોટને હું ફાયદાનો સોદો માનું છુ.
૧૯૯૫ પછી મેં લખવાનું બંધ કરેલું હતું. ઇન્ટરનેટ માધ્યમ સાથે સંપર્કમાં આવ્યા પછી બ્લૉગલેખન શરૂ કર્યું. મેં લેખક હોવાના ભાવ સાથે એ પ્રવૃત્તિ શરૂ નહોતી કરી. મેં બ્લૉગલેખનના એક વિદ્યાર્થી તરીકે જ એ શરૂઆત કરી હતી. જેનો ફાયદો મને એ થયો કે, મને ખૂબ આનંદ આવ્યો. ઘણું નવું જાણવા અને શીખવા મળ્યું. આજે પણ હું એ જ લાગણીથી બ્લૉગલેખન્ કરું છુ. મને એ વાત કહેતાં જરાય સંકોચ નથી કે: બ્લૉગલેખનના કારણે મને નવા નવા વિષયો મળ્યા. રજૂઆતની નવી નવી રીતો મળી. વાચકોનો સાથે ઝડપી સંપર્ક થવાથી ધાર્યા કરતાં ઘણું લખાયું. આ બધું ’પ્રિન્ટ’ માધ્યમ દ્વારા શક્ય નહોતું.
મેં મારા બ્લૉગમાં મારી વાર્તાઓ અને કવિતાઓ મૂકવાનું વિચાર્યું હતું. પરંતુ, મને થોડા જ સમયમાં ખ્યાલ આવી ગયો કે , આ માધ્યમ ખૂબ જ વિશાળ છે અને અનેક શક્યાતાઓથી ભરપૂર છે. પરિણામે મને નવા નવા વિષયો પર જુદી જુદી રીતે લખવાના મોકા મળ્યા. ખાસ કરીને બ્લૉગલેખન સાથે જોડાયેલી વિવિધ બાબતો પર મજાકભરી રચનાઓ દ્વારા મેં વાચકોને આનંદ આપ્યો અને મેળવ્યો.
મેં હાસ્ય કે મજાકભરી રચનાઓમાં મારા માટે મોટેભાગે ‘અમે’ કે ‘અમારું’ જેવાં સંબોધનો વાપર્યાં છે. જે ખરેખર ખુદની મજાક માટે જ વાપર્યાં છે. મોટાઈ માટે નહિ. સમજદાર વાચકોને એ વાતનો ખ્યાલ આવ્યો જ હોય. છતાંય ચોખવટ જરૂરી લાગી છે.
‘કૉપી-પેસ્ટ’ એ ઈન્ટરનેટ દ્વારા થતો એક મોટો ફાયદો છે. મેં એના વિષે ઘણી હાસ્યરચનાઓ લખી છે. એ કોઈ ઝુંબેશના ભાગરૂપે નહિ પણ મારા અને વાચકોના આનંદ માટે લખી છે. મારા બ્લૉગમાંથી કૉપી-પેસ્ટ કરનારા મિત્રોને મેં હમેંશા મેં વિનંતી કરી છે કે, લખાણની સાથે એની લિંક પણ મૂકો. મારું માનવું છે કે, કૉપી-પેસ્ટ કરનારાઓ મોટાભાગે ભૂલથી કે અજાણતાં જ કરતાં હોય છે. એવું કરવાનો એમને હક છે એવી માન્યતાને લીધે કરતા હોય છે. એમનું ધ્યાન દોરવામાં આવે તો પોતાની ભૂલ સુધારી લેતાં હોય છે. જે ન સુધારે એ લોકો સાથે કલહમાં ઉતરવાનું ઠીક નથી લાગ્યું.
કૉપી-પેસ્ટ કરનારા તો મોટાભાગે નવા નવા બ્લૉગર્સ હોય , એમનો તો વાંક પણ કાઢી શકાય , પરંતુ એ લોકોને શું કરી શકાય કે જેઓ કોઈના બ્લૉગની સામગ્રી ઉઠાવીને થોડાઘણા ફેરફાર સાથે કવિતા કે વાર્તા બનાવીને વાહ વાહ મેળવી લેતા હોય. આવું કરનારા પાછા જાણીતા લેખક કે બ્લૉગર્સ હોય. આ ઇન્ટરનેટના યુગમાં આવી હરકતો સહન કરવી જ રહી. નહિ તો પછી નેટ પર લખાણો મૂકવાથી દૂર રહેવું. વિવાદમાં ઉતરવાથી કરવા જેવાં બીજાં કામ અટકે. ’પ્રિન્ટ’ માધ્યમોમાં પણ નકલખોરી હતી અને છે પણ એમાં નકલખોરી થાય તો જેટલું શરમજનક ગણાય એટલું ’બ્લૉગ’ના માધ્યમમાં નથી ગણાતું.
‘પ્રિન્ટ’ માધ્યમમાં લખાણ પ્રગટ થાય એ હજુ પણ અહોભાવની વાત ગણાય છે. ગણાતી રહેશે. એનું કારણ એ છે કે. એ માધ્યમમાં સંપાદક કે તંત્રીની કસોટીમાંથી પસાર થવાનું હોય છે. લખાણ પર એમની મંજૂરી એ લેખક માટે ગર્વની વાત છે. ઘણાં સામયિકો ગુણવતાનું ધોરણ જાળવે છે એટલે એમાં જેનું લખાણ પ્રગટ થાય એને ખરેખર હરખ થવો જ જોઈએ. પરંતુ, ‘કાગળમાં છપાયું એટલું સોનાનું’ એ માન્યતા પણ ભૂલભરેલી છે. કેટલાંક છાપાં અને સામયિકોનાં લખાણો કેટલાંઉજળાં છે એ આજના વાચકોથી અજાણ્યું નથી. એના કરતાં તો અનેકગણા સારાં લખાણો બ્લોગ પર રજૂ થતાં હોય છે.
બ્લોગલેખનનો મોટો ફાયદો એ છે કે, લખાણ ઝડપથી વાચકો સુધી પહોંચે છે. પ્રિન્ટેડ સામયિકોની મર્યાદા હોય છે. એમણે કાયમી અને જાણીતાં લેખકોને ન્યાય આપ્યાં પછી બીજા લેખકોનાં લખાણોને સ્થાન આપવાનું હોય છે. એમાંય મોટાભાગનાં સામયિકોના પોતાનાં નક્કી કરેલા લેખકો હોય છે. ખૂલ્લા મંચ જેવાં સામયિકો ઓછા રહ્યાં છે. આ સંજોગોમાં જે કોઈ પોતાનું લખાણ બીજા લોકો સુધી પહોંચાડવા માંગતું હોય એના માટે બ્લોગ એક જાદુઈ છડી જેવું છે! વળી એ પણ જરૂરી નથી કે, બ્લૉગ લખનાર પોતે લેખક કે કવિ હોય. એ ગમે એ હોય, પરંતુ બ્લૉગલેખન દ્વારા એ લેખક કે કવિ બનવા તરફ ગતિ કરી શકે છે. પછી જેવી જેની તાકાત.
બ્લૉગ દ્વારા લખાણો ઝડપથી વાચકો સુધી પહોંચે છે અને એટલી જ ઝડપથી વાચકોના પ્રતિભાવો બ્લૉગલેખક સુધી પહોંચે છે. આ કારણથી લેખકને લેખકને વધું લખવાનું બળ પ્રાપ્ત થાય છે તો બીજી તરફ વાચકને પણ પોતાની વાત કહેવાનો મોકો મળ્યાનો આનંદ થાય છે. આ રીતે જોઈએ તો બ્લૉગલેખન માટે વાચકોના તેમ જ પ્રતિભાવોના આંકડા હવા,પાણી અને ખોરાકની ગરજ સારે છે. પરંતુ, માત્ર એના પર જ ધ્યાન આપવામાં લખાણ બ્લૉગનું આરોગ્ય ન બગડે એ પણ બ્લૉગલેખકે ધ્યાનમાં રાખવું રહ્યું.
બ્લૉગના માધ્યમથી લોકો એકબીજા સાથે પોતાનાં મંતવ્યો સહેલાઈથી વહેંચી શકતા હોવાથી મજાનું વાતાવરણ ઊભું થાય છે. પરંતુ, આ વાતાવરણ ત્યારે બગાડે છે કે, જ્યારે લોકો પોતાનાં મંતવ્યો વહેંચવાને બદલે એકબીજાં પર છૂટા હાથે ફેંકે છે. કોઈ ઉમરમાં નાનું હોય કે મોટું હોય, દરેકની જિંદગી વિવિધ પ્રકારનાં દબાણો અને તનાવોથી ભરેલી છે. લોકો એમાંથી રાહત મેળવવા જેમ મંદિરે કે આશ્રમમાં જાય , બગીચામાં જાય કે જુદાં જ વાતાવરણમાં જાય એમ આપણામાંથી કેટલાંક બ્લોગજગત તરફ જાય. એ હેતુથી કે જરા મનને રાહત થશે. પરંતુ જો રાહતને બદલે આહત થતી હોય તો આપણે જ વિચારવું રહ્યું.
કહેવાનો મતલબ એ નથી કે , માત્ર મીઠી મીઠી ભાષામાં શુષ્ક ચર્ચાઓ થાય. તડાફડી પણ જરૂરી છે. પણ વધું પડતી તડાફડીથી ‘પૂર્વગ્રહ’ નામનો જે વાયુ પેદા થાય છે એ ભલભલા ડાહ્યા માણસોને પણ નુકસાન પહોચાડી શકે છે. એટલે યથાશક્તિ વિવેક જળવાય એ જરૂરી છે.
બ્લૉગલેખન પર પણ બીજાં માધ્યમોની અસર થઈ છે. એમાં પણ તેજીમંદી આવ્યા કરે છે. લખનારા વધ્યા છે તો વાંચનારા કેટલું વાંચે? આપણે પોતે જ કેટલું વાંચીએ છીએ અને કેટલાને પ્રતિભાવો આપીએ છીએ? એવો સવાલ પોતાની જાતને કરનાર બ્લૉગલેખક ક્યારેય બ્લોગજગતમાંથી ઉછાળા ભરવાનો વિચાર નહિ કરે. બાકી તો… આજનો લહાવો લિજિએરે કાલ્ય કોણે દીઠી છે!
૨૦૧૧નાં વર્ષ માટે શ્રેષ્ઠ બ્લૉગની યાદીમા મારા બ્લૉગનો સમાવેશથી મને આનંદ જરૂર થયો છે. વાચકોનો તેમજ આયોજકોનો એ બદલ આભાર પણ માનું છૂ. છતાંય મને મનમાં ઊંડે ઊંડે એવી લાગણી છે કે, બીજા ઘણાય સારા બ્લૉગ છે જેની નોંધ લેવી જરૂરી છે.
ચાર ચાર વર્ષો સુધી બ્લૉગલેખન કર્યા પછી જે ડહાપણ પ્રાપ્ત થયું છે એની આ વહેંચણી કરી છે. આ ડહાપણ કાયમી છે એમ માનવું નહિ. સહુએ આ રીતે જ વિચારવું એવો મારો આગ્રહ પન નથી. સહુએ પોતપોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવો. આ લખાણને ઉપદેશ માનવો નહિ. આજે ગુરુપૂર્ણિમાનો શુભ દિવસ હોવાથી મારામાં ગુરુભાવ જાગ્યો હોવાનું પણ માનવું નહિ.
આવજો અને જલસા કરજો. ફરી મળીશું.. વધારે ઝનૂન સાથે [ લડવાના નહિ, લખવાના ઝનૂન સાથે.]
*************************************************************************************************************
સરસ મજાનું વાતાવરણ છે. સુંદર વૃક્ષ છે. ગુરુપૂર્ણિમાનો દિવસ છે. માત્ર ગુરુની કમી છે! શિષ્યો તો એક કહેતાં અનેક મળશે. શું કહો છો? બિરાજમાન થઈ જવા જેવું ખરું? નાં ભાઈ નાં. હું મારી વાત નથી કરતો. તમારી વાત કરું છું.

ખુબ ખુબ અભિનંદન યશવંતકાકા…
અને આપ આટલા જ્ઞાની હોવ પછી આ ઓટલા પર અમારે થોડું બેસાય?
અભાર મિત્ર,
જ્ઞાનીની વાત કરીએ તો ‘ગાઈડ’ના એક ગીતની પંક્તિઓ યાદ આવે છે…
कहते है ग्यानी, दुनिया है फानी
पानी पे लिखी लिखाई
है सबकी देखी, है सबकी जानी
हाथ किसीके ना आई ..
कुछ तेरा ना मेरा, कुछ तेरा ना मेरा,
मुसाफिर जाएगा कहाँ…
બ્લોગના ચાર સફળ વરસ પૂરા થયા તે બદલ અનેકાનેક અભિનંદન … ગુજરાતી બ્લોગનું માધ્યમ તમારા જેવા ઘણાની અસર-કારક કલમથી સશક્ત થયું છે … આગામી વરસો માટે અઢળક શુભેચ્છાઓ
આભાર દક્ષેશભાઈ, હવે ટૂંકી વાર્તા પર ધ્યાન આપવાનો વિચાર છે. કાલથી જ.
શ્રી યશવંત ભાઈ
આપની “અસર” ના ચાર વર્ષ સહર્ષ પૂર્ણ થયા તે માટે અભિનંદન. દુખ તો એ વાતનું છે કે અમને આ “અસર” મોડી થઇ.