નિરાંત

 

નિરાંત                                    -યશવંત ઠક્કર

મા,

આપણે ઘેર નળ આવી ગયા છે

તું આજે હોત તો તારે કૂવે પાણી ભરવા જવું ન પડત!

મા,

આપણે ઘેર વૉશિંગ મશીન આવી ગયું છે

તું આજે હોત તો તારે નદીએ કપડાં ધોવા જવું ન પડત!

મા,

આપણે ઘેર ઘરઘંટી આવી ગઈ છે

તું આજે હોત તો તારે વહેલી સવારે દળણું દળવું ન પડત!

મા,

આપણે ઘેર ગેસનો ચૂલો આવી ગયો છે

તું આજે હોત તો તારે બળતણ વીણવા જવું ન પડત!

મા,

આપણે ઘેર કેટકેટલું આવી ગયું છે!

તું આજે હોત તો તને કેટલી નિરાંત હોત!

…પણ…

નિરાંત હોત ખરી?

માને ક્યારેય નિરાંત હોય છે ખરી?  

************

મિત્રો,

ગઈ કાલે   હું  એક  નવો કાવ્યસંગ્રહ મેળવવા માટે  સદભાગી થયો છું. એ સંગ્રહનું નામ છે: મા, તું માનસરોવર [ભાગ-૧]

ઉપરોક્ત રચના એ સંગ્રહમાં સ્થાન પામી છે. આ બાબતનો  મને આનંદ છે.  આ કાવ્યસંગ્રહ નું સંપાદન શ્રી હસમુખ શાહ  ’બેઝાર’  દ્વારા થયું છે. જેમાં ‘મા’ વિષે ૯૫ જેટલા કવિઓની  રચનાઓનો સમાવેશ થયો છે.  સંગ્રહ ઘણો જ સરસ બન્યો છે.  મા તો અવારનવાર યાદ આવતી જ હોય. પરંતુ આ રીતે યાદ કરવાનો  મોકો મળ્યો  એ વાતનો મને વિશેષ આનંદ છે.  

આ આનંદની વહેંચણી સાથે માતૃદિન નિમિત્તે સહુને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું.

મા, તું માનસરોવર [ભાગ-૧]  કાવ્યસંગ્રહનાં પ્રેરક છે:  મહેશ ‘ સપનાવાલા’

પ્રકાશક: હાર્મોનીકા પ્રકાશન, ૧૦૧ મધુવન એવન્યુ, પ્રજાપતિ પાર્ક પાસે, ડૉ.જીવરાજ મહેતા હોસ્પિટલ માર્ગ, વાસણા. અમદાવાદ.-૭.  [મોબાઈલ-૯૪૨૮૯૦૩૧૪૪]

સદભાવ મૂલ્ય: र ૭૫

ધાબે ધાબે તડકા તારા ડાયરા

ઉગ્ર પ્રતિભાવ સમો તડકો સામેના ધાબા પર સવારથીથી ધામો નાખીને બેઠો છે. વહેલી સવારે અગાસીની પાળી પર, એક ક્બૂતરીને રીઝવવા માટે જે બે કબૂતરો વ્યાયામ કરતા હતા એ હવે દેખાતા નથી. કદાચ જોબ પર ચાલ્યા ગયા હશે. અવગતે ગયેલા જીવાત્મા જેવી એક  પતંગ ફાટેલી દશામાં વીજળીના થાંભલે હજી લટકી રહી છે.  કેટલાંક ધાબાં પર  મોબાઈલટાવર વૃક્ષોને ચીડવતા હોય એવી વાઈડાઈથી ઊભા છે. ધાબે ધાબે  જડેલાં ડિસ્ક -ઍન્ટેના સુદર્શન ચક્રની યાદ અપાવે છે. કોઈ ધર્મનો પ્રચાર કરવા અનુયાયીઓ નીકળી પડ્યા હોય એ રીતે વાયરના દોરડાઓ ધાબે ધાબે ફેલાઈ ગયા છે. આકરી તપસ્યાનું પ્રણ લઈને બેઠેલા તપસ્વીઓ જેવાં સોલર કૂકર  સૂર્યને  આહવાન આપી રહ્યાં  છે. લોખંડની નિસરણીઓના પડછાયા એ નિસરણીઓની એકલતા દૂર કરવાના પ્રયાસો કરી રહ્યા છે. બારીઓ પરનાં છાપરાં યથાશક્તિ છાંયાની વહેંચણીકરી રહ્યા છે. સૂર્યને શાંતિસંદેશો આપતાં હોય એ રીતે, એક અગાસીમાં ભીનાં કપડાં સુકાઈ રહ્યાં છે. એ જ ધાબા પર એક સ્ત્રી વારેવારે ઊઠબેસ કરી રહીછે. એ જરૂર સૂર્યદેવને ચોખાની પાપડીનો નિવેદ ધરી રહી હશે.  બીજા એક ધાબા પર કેટલાંક બાળકો દેખાયાં ન દેખાયાં ને જતાં રહ્યાં. એ કદાચ ધાબાને વચન આપવા આવ્યાં હશે કે, ‘અમે સાંજે  જરૂર તારી પાસે આવીશું.’ સમગ્ર વાતાવરણ નીરવ છે. 

આ નીરવપણું દૂર થાય એ માટે , ઉમાશંકર જોશીની કવિતામાં ભૂક્યો હતો એવો કોઈ ગધેડો ભૂકે એની રાહ જોવી જરૂરી નથી.  ટીવી હાજરાહજૂર છે! 

કાગળ, પેન અને હું

કમ્પ્યુટર અને કી બોર્ડની લાંબી  સંગત પછી હું જ્યારે કાગળ પર પેનથી લખવાનો પ્રયાસ કરું છું ત્યારે મને લાગે છે કે, જાણે હું વર્ષો પહેલાં મેં છોડેલા મારા નાનીધારી  ગામ તરફ  પાછો જઈ રહ્યો છું.

મારા લખાણની પંક્તિઓમાં મને મારા નાનીધારી ગામ તરફ જતા રસ્તાઓનાં દર્શન થાય છે.

મારા  અક્ષરોના વળાંકોમાં મને મારા ગામની દેદુમલ નદીના વળાંકો નજરે પડે છે.

મારા લખેલા શબ્દોની માત્રાઓ મને મારા ગામના આકાશમાં ઊડતાં કબૂતરો જેવી લાગે છે. અને, હ્રસ્વ ઉ અને દીર્ઘ ઊ જાણે કે, કાંટાળી વાડમાંથી સાવ અચાનક બહાર નીકળીને ફરરર કરતાં ઊડી ગયેલાં તેતરો. 

આ કાનાઓ ક્યારે ખાંભીઓ થઈને ખોડાઈ ગયા એની તો મને ખબર જ ના રહી.  આજે એને જોઉં છું તો મને મારા ગામની ધાર પરની ખાંભીઓ નજરે તરે છે. 

આ હ્રસ્વ ઇ અને દીર્ઘ ઈ જાણે કે મારા ગામના ચોમાસામાં કાગડો થઈને ઊડી ગયેલી છત્રીઓ. 

આથમતા સૂર્ય જેવા આ અનુસ્વરોનો ફરીથી ઉદય થશે ખરો? 

પરંતુ …

મેં સાંભળ્યું છે કે,  મારું નાનીધારી ગામ પણ, કમ્પ્યુટરમાં બદલાયેલા વર્ઝનની જેમ  હવે  બદલાઈ  ગયું  છે. 

મારા ગામના કેડા હવે સડક બની ગયા છે. .

દેદુમલ નદીના વળાંકો હવે પાણી વગર ઉઘાડા થઈ ગયા છે.  

કબૂતરો અને તેતરો હવે મોબાઈલમાં Save  થઈ ગયાં છે. 

ગામની ખાંભીઓ પર કોઈએ અપશબ્દો લખવાની બેવકુફી કરી છે. 

રેનકોટ સામે હારેલી  છત્રીઓ હવે  કાયમી ખૂણો પાળે છે. 

છેલ્લે , મારે એ પણ ન ભૂલવું જોઈએ કે, સૂર્ય ન તો આથમે છે… ન તો ઊગે છે.

મારે જ  સૂર્યની સમક્ષ આવવું રહ્યું!

હું પ્રયાસ કરું છું.  

ભાઈબંધી

ભાઈબંધી                           

ચંદુ અને મોહન બંને રતનપુર નામે એક નાનકડા ગામમાં રહે. ચંદુ વેપારીનો દીકરો અને મોહન ખેડૂતનો દીકરો. બંને પાકા ભાઈબંધ. આખો દિવસ સાથે ને સાથે રહે. નિશાળે જાય તો પણ સાથે. નિશાળેથી છૂટીને રમવા જાય તો પણ સાથે. નદીએ નહાવા જાય તો પણ સાથે. વગડામાં ફરવા જાય તો પણ સાથે. લેસન કરવા બેસે તો પણ સાથે. બંને એકબીજા પાસેથી ઘણું  ઘણુંશીખે. ચંદુ અને મોહનની જુગલ જોડી આખા ગામમાં વખણાય.

બંને પાંચમાં ધોરણમાં ભણતા હતા ત્યારની વાત છે.

મોહનના બાપુના નાના ભાઈ એટલે કે મોહનના કાકા, સુરત શહેરમાં રહેતા હતા. એ એક દિવસ મોહનની ઘેર આવ્યા. રાત્રે જમ્યા પછી મોહનનાં બા-બાપુ અને કાકા સુખદુઃખની વાતોએ ચડ્યાં. મોહન એ બધી વાતો બેઠો બેઠો સાંભળતો હતો. વાતવાતમાં મોહનના બાપુએ કહ્યું કે, ‘ભાઈ, આ વરસે વરસાદ નહિ થવાથી અમારા ખેતરમાં પાક જરાય થયો નથી. એટલે ઘરમાં આવક પણ જરાય થઈ નથી. ઉપરથી અમારા પર દેવું પણ ખૂબ થઈ ગયું છે. અમને તો મૂંઝવણ થાય છે કે હવે શું કરવું? આવું ને આવું ચાલશે તો પછી અમારે જીવવું ભારે પડશે.’

મોટાભાઈના દુઃખની વાત સાંભળીને નાના ભાઈએ સલાહ આપી કે, ‘તમે મોહનને ભણતો ઉઠાડી મૂકો ને એને મારી સાથે શહેરમાં મોકલો. હું એને કોઈ જગ્યાએ કામે લગાડી દઈશ. તમારી આવક ચાલુ થઈ જશે તો આ બધી ચિંતા ટળી જશે.’

મોહનના બા-બાપુને આ સલાહ જરાય ન ગમી. એમણે કહ્યું કે, ‘ગમે તે થાય પણ મોહનનું ભણતર તો છોડાવવું જ નથી. અમે નથી ભણ્યાં પણ અમારા દીકરાને તો અમારે ભણાવવો જ છે. ભણતર વગરની તે કાંઈ જિંદગી છે?’

મોહનના કાકાએ ખીજાઈને કહ્યું કે, ‘તો તમે ભૂખ્યાં પડ્યાં રહો. હું તો તમારા ફાયદાની વાત કરું છું. મોહન  કામે નહિ લાગે તો તમારે ભૂખે મરવાનો જ વારો આવશે. મારી પણ એટલી બધી આવક નથી કે હું તમને મદદ કરું. તમારી પાસે મોહનને કામે ચડાવ્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી.’

ખૂબ જ માથાકૂટ થઈ. છેવટે મોહનના બા-બાપુ પોતાના નાનકડા દીકરાને શહેરમાં મોકલવા તૈયાર થઈ ગયાં. એમણે મોહનને કહ્યું કે, ‘બેટા, હવે તો તું જ અમારો આધાર છે. તું શહેરમાં કામ કરવા જઈશને?’

મોહનને થયું કે, ‘મારાં માબાપ આટલાં દુઃખી હોય તો મારે ભણીને શું કરવું છે?’ એણે તો તરત જ શહેરમાં જવાની  હા પાડી દીધી.

બીજે દિવસે મોહન નિશાળે ન ગયો. એને તો હવે ભણવાનું હતું નહિ. શહેરમાં જવાનું હતું એટલે એ તો શહેરમાં જવાની તૈયારી કરવા લાગ્યો

ચંદુને તો મોહન વગર આખો દિવસ નિશાળમાં ગમ્યું નહિ. સાંજે બંને ભેગા થયા ત્યારે મોહન એકદમ ઉદાસ હતો. ચંદુએ તરત પૂછ્યું કે, ‘મોહન, આજે તું નિશાળે કેમ નહોતો આવ્યો?’

મોહને જવાબ આપ્યો કે, ‘ચંદુ, હવે હું નિશાળે ક્યારેય નહિ આવું. હું ભણવાનું છોડી દઈશ’ આટલું બોલતાં બોલતાં તો એ રડવા જેવો થઇ ગયો. મોહનનો જવાબ સાંભળીને ચંદુને ખૂબ જ દુઃખ થયું. એને ખબર પડી ગઈ કે, મોહન કશી મુસીબતમાં છે.    

શાંતિથી વાત થાય એ માટે બંને ગામની બહાર એક ટેકરી પર જઈને બેઠા. જ્યાં મોહને પોતાના માબાપના  દુખની બધી વાત કહી. વાત પૂરી કરીને મોહન ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો. રડતાં રડતાં એ બોલ્યો કે, ‘ચંદુ, કાલે સવારે જ હું મારા કાકા સાથે શહેરમાં જવા નીકળી જઈશ. આપણે હવે રોજ ભેગા નહિ થઈ શકીએ. હું તો નહિ ભણી શકું, પણ તું ખૂબ ખૂબ ભણજે. ને ખૂબ આગળ વધજે.’

ચંદુએ મોહનને છાનો રાખ્યો અને કહ્યું કે, ‘તું હિંમત ન હારતો. તારું ભણતર ન બગડે એ માટે આપણે કશું કરીશું.’

મોહન બોલ્યો કે, ‘આપણે તો સાવ નાના છીએ. આપણાથી શું થાય?’

ચંદુ પાસે એ સવાલનો કોઈ જવાબ નહોતો. બંને જણા ક્યાય સુધી ચૂપચાપ ટેકરી પર બેઠા રહ્યા. મોહનનું ભણતર બગડે નહિ એ માટેનો કોઈ ઉપાય એમને સૂઝ્યો નહિ.

સાંજ પડી એટલે બંને જણા ગામમાં આવ્યા. ભારે હૈયે છૂટા પડીને પોતપોતાના ઘર તરફ નીકળ્યા. પણ, રસ્તામાં ચંદુના મનમાં એક જ વાતનું રટણ હતું કે, ‘મોહનનું ભણવાનું અટકે નહિ એ માટે કોઈ ઉપાય કરવો જ જોઈએ.’

એવામાં જ એનું ધ્યાન ગામના સરપંચની ઑફિસ તરફ ગયું. એના મનમાં ચમકારો થયો કે, ‘ગામના સરપંચ તો બહુ જ ભલા માણસ છે. લાવ, એને જ વાત કરું તો કદાચ કોઈ રસ્તો નીકળે.’

ચંદુએ સરપંચની ઑફિસમાં જઈને જોયું તો ત્યાં સરપંચની સાથે પોતાના શિક્ષક પણ બેઠા હતા. ચંદુએ એ બંનેને મોહનના દુઃખની બધી વાત કહી. પછી હાથ જોડીને વિનંતી કરી કે, ‘મારા ભાઈબંધનું  ભણતર અટકે નહિ એ માટે તમે કશું કરો.’

ચંદુની વાત સાંભળીને સરપંચને થયું કે, ‘આ તો બહુ જ ખોટું કહેવાય. ગામના કોઈપણ બાળકનું  ભણતર બગડે તો મારી જ નહિ, આખા ગામની આબરૂ જાય.‘

શિક્ષકે પણ કહ્યું કે, ‘મોહનનું ભણતર તો અટકાવી જ ન શકાય. વિદ્યા મેળવવી એ તો દરેક બાળકનો અધિકાર છે. વળી, નાના બાળક પાસે કામ કરાવવું એ કાયદાની રીતે પણ ગુનો છે. એ બાળ-મજૂરીનો ગુનો  કહેવાય એવો ગુનો કરનારને સજા પણ થઈ શકે છે. આવી ભૂલ અટકાવવી જ જોઈએ.‘

સરપંચ અને શિક્ષક વચ્ચે ચર્ચા થઈ અને બંનેએ નક્કી કર્યું કે, ‘આપણે મોહનના માબાપને સમજાવીએ અને આવી ભૂલ કરતાં અટકાવીએ.’

સરપંચ અને શિક્ષક, ચંદુને સાથે લઈને મોહનના ઘેર પહોંચ્યા. બંનેએ મોહનના બા-બાપુને ખૂબ સમજાવ્યાં કે, ‘તમે તમારા સ્વાર્થ માટે મોહનનું ભવિષ્ય બગાડી રહ્યા છો. મોહનને ભણાવવો એ તમારી ફરજ છે. વિદ્યા મેળવવી એ મોહનનો હક છે. એને અટકાવી ન શકાય. કમાણી માટે નાના બાળક પાસે કામ કરાવવું એ પણ ગુનો છે. એવો ગુનો કરનારને સજા પણ થઈ શકે.’

મોહનનાં માબાપને ગળે એ વાત ઊતરી. એમણે મોહનનું ભણતર અટકાવવાનો વિચાર માંડી વાળ્યો. મોહનના કાકાને પણ પોતાની ભૂલ સમજાણી.

મોહનના બાપુએ હાથ જોડીને સરપંચ અને શિક્ષકનો આભાર માન્યો અને કહ્યું કે, ‘તમે અમને મોટી ભૂલ કરતાં અટકાવ્યાં. અમે તો અમારા દુઃખને લીધે મોહનનું ભણતર અટકાવવા તૈયાર થઈ ગયાં હતાં.’

સરપંચે ચંદુનો વાંસો થાબડતાં કહ્યું કે, ‘આભાર માનવો હોય તો આ છોકરાનો માનો. એણે અમને કહ્યું ન હોત તો અમને આ વાતની ખબર જ ન પડત. રહી વાત તમારા દુઃખની. તો એ દુઃખ પણ કાયમ રહેવાનું નથી. આ વરસે વરસાદ ન થવાથી જે ખેડૂત ભાઈઓને નુકસાન થયું છે એમને સરકાર તરફથી સહાય મળે એ માટે હું પ્રયાસો કરી જ રહ્યો છું. એવી સહાય મેળવવી એ દરેક ખેડૂતનો હક છે. એ સહાય તમને ન મળે ત્યાં સુધી તમારું દુઃખ એ મારું દુઃખ છે. હવેથી તમને કોઈ જાતની તકલીફ ન પડે એની જવાબદારી મારી છે. પરંતુ, મોહનનું ભણતર અટકાવવાનું હવે ક્યારેય નામ ન લેતાં.’

મોહનના માબાપ તો રાજી રાજી થઈ ગયાં. ચંદુને ગળે વળગાડીને બોલ્યાં: ‘ભાઈબંધ હો તો આવા.’ 

પછી તો ચંદુ અને મોહન આગળ ખૂબ ભણ્યા. મોટા થયા અને ખૂબ જ પ્રગતિ કરી. ચંદુએ એના પિતાના ધંધાનો વિકાસ કર્યો. ગામના વિકાસમાં પણ ખૂબ ફાળો આપ્યો. પોતે ગામનો સરપંચ પણ બન્યો. તો મોહન પણ ભણીગણીને શિક્ષક થયો.પોતાના જ ગામની નિશાળમાં આચાર્ય બન્યો. બંનેએ પોતાના ગામના વિકાસમાં જ નહિ પરંતુ આસપાસના વિસ્તારના વિકાસ માટે પણ એટલો જ ભાગ ભજવ્યો.  

બંને ભાઈબંધોની જુગલ જોડી આજે પણ આખા મલકમાં વખણાય છે.

ભાઈબંધી હોય તો આવી!

[સમાપ્ત]

[Childre’n  University  Gandhinagar   બાળ [કિશોર] વાર્તા સ્પર્ધામાં પ્રોત્સાહન પુરસ્કારને પાત્ર ]

 

નેતાઓ અને નવરસ

મિત્રો, 

GGN  દ્વારા યોજાયેલી વ્યંગલેખન સ્પર્ધામાં પ્રથમ સ્થાને આવેલી મારી આ રચના રજૂ કરતાં આનંદ અનુભવું છું.  

નેતાઓ અને નવરસ 

જો થોડીઘણી પણ કલાત્મક નજરથી જોવામાં આવે તો માલુમ પડશે કે,  જેમ કલાકારો પ્રજાને નવ પ્રકારના રસ પૂરા પાડે છે એમ નેતાઓ પણ પ્રજાને નવ પ્રકારના રસ પૂરા પાડે છે. કઈ રીતે?  .

[૧] શૃંગાર રસ: નેતાઓનાં શરીર પર જેટલી ચરબી ભરી હોય છે એથી વધારે એમના મનમાં શૃંગાર રસ ભર્યો હોય છે. તેઓ શહેરની સડકોને હીરોઈનના ગાલ જેવી બનાવી દેવાનાં વચનો આપે છે. મોટી ઉમરના કેટલાક નેતાઓ યુવાનોને પણ પ્રેરણા આપે એવાં પ્રેમસંબંધોનાં ઉદાહરણો પૂરાં પાડે છે.

[૨] હાસ્ય રસ: દેશના નેતાઓ પ્રજાને ગેસના બાટલા પૂરા પાડવામાં ભલે મર્યાદા બાંધતા હોય પરંતુ, પ્રજાને હાસ્યરસ પૂરો પાડવામાં જરા પણ કસર છોડતા નથી. એ નેતાઓના દર્શન માત્રથી લોકોને હસવું આવી જાય છે. લોકોને સો ટકા ખાતરી હોય છે કે, આ નેતાઓ જરૂર હાસ્યાસ્પદ નિવેદનો કરશે.   

[૩] કરુણ રસ: જ્યારે જ્યારે નેતાઓથી ખુરશીનો વિરહ સહન થતો નથી ત્યારે ત્યારે એમના જીવનમાં કરુણ સ્થિતિનું સર્જન થાય છે. ખુરશી પ્રાપ્ત થાય એ માટે તેઓ એક પક્ષથી બીજા પક્ષમાં અને બીજા પક્ષથી ત્રીજા પક્ષમાં ભટકે છે. એ જોઈને આપણને લયલા માટે ભટકતા મજનુની વાત યાદ આવી જાય છે. 

[૪] રૌદ્ર રસ: કેટલાક નેતાઓ સદાય રૌદ્ર રૂપમાં જ જોવા મળતા હોય છે. એ લોકો ભાષણ કરતા હોય તો પણ એમ લાગે કે જાણે તોપના ગોળા છોડી રહ્યા હોય. પોતે પ્રેસ-કોન્ફરસ બોલાવે અનેપછી પ્રશ્ન પૂછનાર પ્રેસ-રિપૉર્ટરને જ  તતડાવી નાખે. એવા પણ નેતાઓ આપણને જોવા મળે છે કે, જેઓથી રૌદ્રરસ ન જીરવાતા જાહેરમાં બંદૂકમાંથી ભડાકા કરવા લાગે!

[૫] વીર રસ: આપણે સંસદમાં કાગળોથી માંડીને એકબીજાનાં કપડાં ફાડી નાખતા નેતાઓને જોયા છે. દુશ્મન-દેશ  તરફ મોરચો લઈ જતા હોય એમ અધ્યક્ષશ્રી તરફ ધસી જતા નેતાઓને જોયા છે. આ વીર રસનાં ઉદાહરણો છે. મોટાભાગના નેતાઓ ચૂંટણીસભાઓમાં વીર રસનું ભરપૂર પ્રદર્શન કરતા હોય છે. ચૂંટણી એ નેતાઓ માટે વીર રસના પ્રદર્શનની ઋતુ છે. 

[૬] ભયાનક રસ: કેટલાક નેતાઓ પ્રજા વચ્ચે આવે છે ત્યારે ભયનાં કારણો લઈને આવતા હોય છે. એમનો વિરોધ થાય, કાળા વાવટા દેખાડાય, પોલીસ દ્વારા લાઠીચાર્જ થાય .. આ બધા ભયાનક રસનાં ઉદાહરણો છે. કેટલાક નેતાઓનો આ સહુથી પ્રિય રસ છે. એમની કારકિર્દી જ ભયની, ભય દ્વારા અને ભય માટે જ હોય છે. ભય થકી જ તેઓ, લોકો પાસેથી મત અને પ્રિત બંને મેળવે છે.  

[૭] બીભત્સ રસ: એક નેતા બીજા નેતા પર આક્ષેપો  કરતી વખતે પોતાના નિવેદનોમાં ક્યારેક ક્યારેક બીભત્સ રસનો છંટકાવ કરી નાખે છે. અને જો બહુ ઉહાપોહ થાય તો પોતાનો બચાવ કરતા કહે છે કે, ‘મારા નિવેદનનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે’

[૮] અદ્ભુતરસ: નેતાઓની સંપતિમાં ઝડપથી થતો વધારો  પ્રજાને અદ્ભત લાગે છે. નેતાઓ પ્રજાને જે રીતે ખોટાં વચનો આપે છે અને અવનવાં સપનાં દેખાડે છે એ અદ્ભુત રસનાં ઉદાહરણો છે. એકબીજા સામે ભયંકર આક્ષેપો કરનારા નેતાઓ વખત આવ્યે અદ્ભુત રીતે સંપી પણ જાય છે. .

[૯]  શાંત રસ: આમ તો નેતાઓ  હોય ત્યાં શાંતરસ સંભવ નથી. પરંતુ, ક્યારેક ક્યારેક નેતાઓ અને શાંતિ વચ્ચે સંબંધ સ્થાપિત થઈ જાય છે. સંસદમાં નિદ્રા દ્વારા શાંતરસ માણતા નેતાઓને આપણે જોયા છે. મોંઘવારી અને ભ્રષ્ટાચારમાં ગમે તેટલો વધારો થવા છતાં શાંતરસનું પ્રદર્શન કરતા પ્રધાનો પણ આપણે જોયા છે.

આમ નવ નવ રસના સહારે વારંવાર રંગ બદલતા નેતાઓ પ્રજાની જે સેવા કરે છે એની આપણે જરૂર કદર કરવી જોઈએ.    

[સમાપ્ત] 

સંભારણું

budreti

મિત્રો,

તાજેતરમાં મળેલા સંભારણાની  તસવીર દ્વારા મારો આનંદ વ્યકત કરું છું. ‘થિએટર મીડિયા સેન્ટર-બુડ્રેટી ટ્રસ્ટ અમદાવાદ’ દ્વારા આયોજિત ‘કૉમેડી નાટ્યલેખન યોજના -૭ ‘ માં  ૩૦ મિનિટ માટેનું મારું નાટક  ”ખમણ… કોરાં… વઘારેલાં… ટમટમ…’ પુરસ્કાર માટે પસંદગી પામ્યું  હતું. 

કુલ ૨૭ નાટકોમાંથી ચાર નાટકો પસંદ થયાં હતાં. 

[૧] ‘અવતાર’   લેખક -રવીન્દ્ર પારેખ,  સુરત. 

[૨] ‘નેવર પ્લાનિંગ ફોર ડાર્લિંગ’  લેખક-જય દિક્ષિત,  સુરત.

[૩] ‘યમની અકળામણ’ લેખક- નીતીનકુમાર ઢાઢોદરા, અમદાવાદ.

[૪] “ખમણ… કોરાં… વઘારેલાં… ટમટમ…’ લેખક- યશવંત ઠક્કર 

પસંદગી સમિતિમાં પ્રા. જનક દવે અને નાટ્યલેખક શ્રી નટવર પટેલે સેવા આપી હતી.  

તા. ૨૮-૩-૧૩ ના રોજ  અમદાવાદ ખાતે શ્રી હસુભાઈ યાજ્ઞિક,  શ્રી નટવરભાઈ પટેલ અને શ્રી હસમુખભાઈ બારાડીએ ખૂબ જ ઉમળકાથી ચારેય નાટ્યલેખકોને  આવકાર્યા અને પુરસ્કાર અર્પણ કર્યા. 

નાટક માટે  શ્રી હસમુખભાઈ બારાડી પોતાની ઉમર કે તબિયતની પણ પરવા કર્યા વગર વિવિધ પ્રવૃત્તિઓ  કરી રહ્યા છે એ પ્રેરણારૂપ છે.  એ નાટ્યકર્મીને સલામી આપવાનું મન થાય છે. 

આવી રીતે પસંદ થયેલાં નાટકો  આ ટ્રસ્ટ દ્વારા ભજવવા માટે રસ ધરાવતા નાટ્યકર્મીઓને પૂરાં પાડવામાં આવે છે. 

તમે લોકોએ  આ પણ વાંચ્યું જ હશે. http://wp.me/phscX-23h

વાતનો/ વાર્તાનો અંત ક્યારે હોવો જોઈએ?

મિત્રો,

કહેવાય છે કે, દરેક સારી વાતનો એક અંત હોય છે. અને, એની પણ એક મજા હોય છે. વાત સારી હોય તો શ્રોતામાં ક્યારેક એવો રસ પણ જાગે કે, ‘મજા આવે છે. ભલે વાત લાંબી ચાલતી.’ પરંતુ  શ્રોતાની એ રસવૃત્તિનો વક્તા જો ગેરલાભ ઉઠાવવા જાય અને વાતનો યોગ્ય અંત ન લાવે તો પણ મજા મારી જતી હોય છે. મજાની પણ એક માજા હોય છે.  ભલભલા વક્તાઓ પણ વાતનો અંત લાવવાનો વિવેક ચૂકી જતા હોય છે.

એક પ્રસંગ યાદ આવે છે.  એક વકતા દ્વારા બીજા કવિ વિષે વક્તવ્ય ચાલતું હતું.  કવિ માટે શ્રોતાઓને માન હતું. એમના વિષે વક્તા દ્વારા જે વાતો કહેવાતી હતી એમાં શ્રોતાઓને આનદ પણ આવતો હતો. પરંતુ ધીરે ધીરે વક્તા, વિષયથી દૂ….ર  દૂ…ર જવા લાગ્યા. કવિની કવિતા વિષે બોલવાને બદલે કવિ વિષે વધારે બોલવા લાગ્યા. શ્રોતાઓને એમાં પણ વાંધો નહોતો. વક્તા, કવિના બાળપણની લીલા વિષે વધારે વાતો કરવા લાગ્યા. શ્રોતાઓને એમાં પણ વાંધો નહોતો. વક્તા, કવિના બાળપણની સાથેસાથે પોતાના બાળપણની વાતો કરવા લાગ્યા. શ્રોતાઓએ એ પણ સહન કરી લીધું કારણ કે વક્તા પોતે કવિના સ્નેહીજન હતા. પરંતુ કવિની અને સાથેસાથે વકતાની પોતાની એ બાળલીલા બહુ લાંબી ચાલી.  ’અમે નાના હતા ત્યારે આમ ખાતા’તા ને આમ નદીએ જાતા’તા ને આમ વગર ચડ્ડીએ નાતા’તા…”  એવી વાતો લંબાતી ગઈ. એ વખતનાં ગામડાંમાં જન્મેલા સહુ છોકરાઓ નદીએ વગર ચડ્ડીએ જ નહાતા હતા અને એ સત્કર્મ કરવામાંથી  ભવિષ્યના કવિશ્રી પણ બાકાત નહોતા રહ્યા – એ વાતથી શ્રોતાઓને જરૂર આનંદ થયો પરંતુ  વક્તાનું વક્તવ્ય એ બાળલીલા પર જ કેન્દ્રિત થઈ જવાથી એ આનંદ ઓછો થતો ગયો. વક્તાને બેસાડી દેવા માટે શ્રોતાઓએ તાળીઓ પાડી તો વક્તાને એમ લાગ્યું કે શ્રોતાઓને  વકતવ્યથી આનંદ આવી રહ્યો છે. એમણેવાતનો વિસ્તાર વધાર્યો તો શ્રોતાઓએ તાળીઓનું પ્રમાણ વધાર્યું. પછી તો વક્તાને પણ ખ્યાલ આવી ગયો કે, આ તાળીઓ વક્તવ્યના સમર્થનમાં નહિ પરંતુ વિરોધમાં પડી રહી છે. પરંતુ એમણે પણ હઠ પકડી કે , ‘મારે જે કહેવાનું છે એ કહ્યા વગર  હું માઈક નહિ છોડું.’ વાત વટે ચડી ગઈ. વક્તા બોલતા રહ્યા અને શ્રોતાઓ તાળીઓ પાડતા રહ્યા. છેવટે વક્તા બેઠા. વાતનો અંત આવ્યો.  પરંતુ  ખાટી છાશ જેવો અંત આવ્યો.  કવિતાને પામવાના બદલે શ્રોતાઓ હાસ્યને પામ્યા.  હાસ્ય ખોટું નહિ,પરંતુ એ હાસ્ય કસમયનું હતું. મજબૂરીનું હતું. 

વક્તા તો સમજ્યા મારાભાઈ, વક્તા હોય એટલે વક્તવ્ય આપે. પરંતુ, રોજિંદા જીવનમાં કોઈ વાત કહેતી વખતે આપણે પોતે પણ ક્યા ઝાલ્યા રહીએ છીએ? વધુ પડતા હરખપદોડા થઈને ‘વાત’ અને ‘વક્તવ્ય’ વચ્ચેનો તફાવત ક્યા ધ્યાનમાં રાખીએ છીએ? સામેવાળાનો રસભંગ થતો હોવાનો ખ્યાલ આપણને રહેતો નથી એટલે આપણે આપણી વાણીનો ભંગ થવા દેતા નથી. વાતનો યોગ્ય સમયે યોગ્ય અંત લાવવો એ પણ એક કળા છે. જે વ્યક્તિ વાત કહેતી વખતે સામેવાળાનાં રસને ધ્યાનમાં લેતો નથી એ વ્યક્તિમાંથી સમય જતાં લોકોનો રસ ઊડી જાય છે.  વાતનો અંત ક્યારે લાવવો એ માટે આપણી પાસે કોઈ વૈજ્ઞાનિક સાધન ભલે ન હોય પરંતુ સમજદારી હોય તો વાંધો ન આવે! અને, સમજદારી સાલી જ્યારે ખરી જરૂર હોય ત્યારે જ હાજર હોતી નથી! સમગ્ર વાત સમય, સંજોગો અને વિવેક પર આધાર રાખે છે.  ઉપરાઉપરી ફાલતું વાતો કરવાના પણ  પ્રસંગો  હોય છે અને અતિ મહત્વની વાત  ટૂંકમાં કહેવાનાં પણ પ્રસંગો હોય છે.  કોઈના મરણના સમાચાર અનેક લોકોને પહોંચાડવાની જવાબદારી જેને સોંપવામાં આવી હોય એ વ્યક્તિ જો એ સમાચાર આપતી વખતે સામેવાળાની સમક્ષ, મરણ પામનારઆ જીવનની  અંતિમ ક્ષણોનુ વર્ણન કરવા લાગે તો..?  

હવે વાત કરીએ ટૂંકી વાર્તાની. ટૂંકી વાર્તા એ સાહિત્યનો એક પ્રકાર છે એ તો આપ સહુ જાણો જ છો. વિવિધ છાપાંઓમાં, સામયિકોમાં કે બ્લોગ પર ટૂંકીવાર્તાઓ રજૂ થતી હોય છે.  વાર્તાઓ વિષે જાણકારોનું  કહેવું  છે કે, ‘ટૂંકી વાર્તા રચવી એ કુશળતા માંગી લે એવું  કામ છે. માત્ર ઘટના, સંવેદના, બોધ, વર્ણન, પાત્રાલેખન, ચમત્કાર વગેરે થકી સારી વાર્તા નથી બની જતી. એ બધાંને ખપમાં લેનારું નકશીકામ પણ જરૂરી છે. એ વીસ પાનાંની પણ હોઈ શકે અને બે પાનાંની પણ હોઈ શકે. બધું જ જે તે વાર્તા પર નિર્ભર છે. એમાં ખરી ખૂબી તો વાર્તાનો  અંત લાવવામાં છે. અંતમાં એક પણ વાક્ય ઓછું લખાય કે વધારે લખાય તો પણ વાર્તા નંદવાઈ જાય. કોઈને એમ થાય કે, એકાદ વાક્ય વધારે લખાઈ જાય તો એમાં શું બગડી જવાનું? પરંતુ ત્યાં જ વાર્તાકારની કસોટી થાય છે. ક્યા અટકવું અને વાચકો પર છોડી દેવું એ કુશળતા માંગી લે એવું કામ છે.  સારો વાર્તાકાર વાચકોને આગળ વિચારવાનો મોકો આપે છે. વાચકોની સમજ પર  શ્રદ્ધા રાખે છે.’ 

હિન્દી ફિલ્મ ક્ષેત્રે એક ‘સમાંતર’ કે ‘કલાત્મક’  ફિલ્મોનો યુગ આવ્યો હતો.  ચક્ર, આક્રોશ, શોધ, અંકુર, પાર વગેરે આવી ફિલ્મો હતી. આવી ફિલ્મોમાં અંત પ્રેક્ષકો પર છોડી દેવાતો હતો. આવી ફિલ્મોને પસંદ કરનારો એક ખાસ વર્ગ હતો. પરંપરાગત મનોરંજક ફિલ્મ જોવા ટેવાયેલા લોકોમાંથી કેટલાક લોકોને આવી ફિલ્મ જોયા પછી એવું લાગતું હતું કે: ‘આ કેવી ફિલ્મ? પછી છેલ્લે શું થયું એ તો બતાવ્યું જ નહિ! ‘ આજે ફિલ્મોમાં  ’આર્ટ ફિલ્મ’ કે ‘કમર્શલ’ ફિલ્મ’ એવા વર્ગો નથી. પરંતુ દરેક ફિલ્મમાં છેલ્લે ‘ખાધું પીધું અને રાજ કર્યું’  એવો અંત જરૂરી માનવામાં આવતો નથી. આજે પ્રેક્ષકો ઘણા ઘડાઈ ગયા છે! અંત લંબાતો હોય તો ઊભા પણ થઈ જાય! 

… આ કોણ ઊભું થયું? આ ‘ બંધ કરો’ એમ કોણ બોલ્યું? કોઈ નહિ!? ના.. ના… મેં સાંભળ્યુંને.  આ તાળીઓના અવાજો પણ આવવા લાગ્યા! … સમજ્યો! મારે બંધ કરવું જોઈએ.  :D

અટકું છું.  આવજો અને જલસા કરજો. 

*************************************

જો સમય હોય તો અહી પણ નજર નાખશોજી.  

http://asaryc.wordpress.com/2009/07/27/પાંચકડાં/